58 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટ્રમ્પ એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે બાઇડનના નિવેદનને એક મોટી ભૂલ ગણાવી
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઇઝરાયલે ઈરાનના મિસાઈલ હુમલાના જવાબમાં તેના એટમી ઠેકાણાં પર હુમલા કરવા જોઈએ. ન્યૂઝ એજન્સી AFPના જણાવ્યા પ્રમાણે, ટ્રમ્પે શુક્રવારે નોર્થ કેરોલિનામાં એક ચૂંટણી કેમ્પેનમાં આ વાત કહી.
આ પહેલાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે જો ઇઝરાયલ ઈરાનના ન્યૂક્લિયર સાઇટ્સ પર હુમલો કરે છે તો અમેરિકા એમાં તેનો સાથ આપશે નહીં. ટ્રમ્પે બાઇડનના આ નિવેદનની આલોચના કરી છે.
ટ્રમ્પે કહ્યું-
બાઇડન ખોટા છે. પરમાણુ હથિયાર અમારા માટે સૌથી મોટું જોખમ છે. ઈરાન પાસે જલ્દી જ પરમાણુ હથિયાર હશે જે અમારા માટે મુશ્કેલી પેદા કરશે. જ્યારે તેમને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમનો જવાબ હોવો જોઈએ કે, પહેલાં ત્યાં બોમ્બમારો કરો અને અન્ય બાબતોની ચિંતા પછી કરો.
ટ્રમ્પે 2 દિવસ પહેલાં કહ્યું હતું કે ઈઝરાયલ-ઈરાન વચ્ચે તણાવ વધવો એ બાબતનો સંકેત છે કે કે દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધની તરફ આગળ વધી રહ્યું છે.
બાઇડને કહ્યું- ઈઝરાયલે ઈરાનના ઓઈલ બેઝ પર હુમલો ન કરવો જોઈએ
ટાઈમ્સ ઓફ ઈઝરાયલના જણાવ્યા પ્રમાણે, બાઇડને શુક્રવારે કહ્યું હતું કે ઈઝરાયલે હજુ સુધી એ નક્કી નથી કર્યું કે તે ઈરાનના હુમલાનો કેવી રીતે જવાબ આપશે. તેણે ઈઝરાયલને ઈરાનના તેલ ભંડારો પર હુમલો ન કરવાની સલાહ આપી છે.
બાઇડને પત્રકારોને જણાવ્યું હતું કે જો તે નેતન્યાહુની જગ્યાએ હોત તો તે અન્ય વિકલ્પો વિશે વિચારશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ થવાનું નથી. તેઓ મધ્ય-પૂર્વમાં યુદ્ધને રોકવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.
બાઇડને કહ્યું, તેઓ પહેલાં પણ ઇઝરાયલની મદદ કરતા રહ્યા છે, આગળ પણ રક્ષા કરશે. તેઓ વ્હાઇટ હાઉસમાં પત્રકારોને બ્રીફ કરી રહ્યા હતા.
શું નેતન્યાહુ અમેરિકન ચૂંટણીને પ્રભાવિત કરવા માગે છે, બાઇડને કહ્યું- મને ખાતરી નથી બાઇડનને પૂછવામાં આવ્યું હતું કે શું ઇઝરાયલના પીએમ નેતન્યાહુ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીને પ્રભાવિત કરવા ગાઝા અને લેબનનમાં યુદ્ધવિરામ કરારને નકારી રહ્યા છે. આના જવાબમાં તેમણે કહ્યું- “મારાથી વધુ કોઈએ ઈઝરાયલને મદદ કરી નથી. નેતન્યાહુએ આ યાદ રાખવું જોઈએ. જ્યાં સુધી ચૂંટણીને પ્રભાવિત કરવાની વાત છે, હું એમાં માનતો નથી.
બાઇડને કહ્યું હતું કે તેઓ વિચારે છે કે ઇઝરાયલ ઇરાનને કેવી રીતે જવાબ આપવા માગે છે એ નક્કી કર્યા પછી તેઓ નેતન્યાહુ સાથે વાત કરશે. રિપોર્ટ અનુસાર બંને નેતાઓ વચ્ચે 6 અઠવાડિયાંથી કોઈ વાતચીત થઈ નથી.
આ પહેલાં બુધવારે બાઇડને કહ્યું હતું કે અમે ઈરાનનાં પરમાણુ સ્થળો પર હુમલાનું સમર્થન કરતા નથી. તેમણે કહ્યું હતું કે ઈરાન પર કેટલાક પ્રતિબંધો લાદવામાં આવશે. તેઓ ઈચ્છે છે કે આ સમસ્યાનું સમાધાન વાતચીત દ્વારા થાય.
અમેરિકાએ હુતી વિદ્રોહીઓ પર હુમલો કર્યો અમેરિકી સેનાએ શુક્રવારે યમનમાં હુતી વિદ્રોહીઓની 15 જગ્યા પર હુમલો કર્યો અને તેમનાં શસ્ત્રોનો નાશ કર્યાં. અમેરિકી સૈન્યએ આ હુમલા એવા સમયે કર્યા હતા જ્યારે થોડા દિવસ પહેલાં જ હુતી વિદ્રોહીઓએ યમનમાં અમેરિકન સૈન્ય ડ્રોનને તોડી પાડ્યું હતું.
હિઝબુલ્લાહ અને હુતી બળવાખોરો ઉપરાંત ઇરાકી મિલિશિયા પણ ઇઝરાયલનાં સૈન્ય મથકો પર હુમલો કરી રહ્યા છે. ગોલાન હાઇટ્સમાં ઇરાકી મિલિશિયાના હુમલામાં બે ઇઝરાયલી સૈનિકો માર્યા ગયા હતા, IDFએ શુક્રવારે જણાવ્યું હતું.
ગોલાન હાઇટ્સમાં 2 ઇઝરાયલ સૈનિક માર્યા ગયા લેબનનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ ઈઝરાયલનું ગ્રાઉન્ડ ઓપરેશન ચાલુ છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ શુક્રવારે કહ્યું હતું કે તેમણે છેલ્લા 4 દિવસમાં 250 હિઝબુલ્લાહ લડવૈયાઓને મારી નાખ્યા છે, જેમાં 5 બટાલિયન કમાન્ડર, 10 કંપની કમાન્ડર, 6 પ્લાટૂન કમાન્ડરનો સમાવેશ થાય છે. ઈઝરાયલી સેનાએ કહ્યું હતું કે ગ્રાઉન્ડ ઓપરેશનમાં હિઝબુલ્લાહના 2,000થી વધુ સૈન્ય લક્ષ્યોને નષ્ટ કરવામાં આવ્યાં છે.
બૈરૂતના દક્ષિણ વિસ્તારમાં ઈઝરાયલના મિસાઈલ હુમલા બાદ ધુમાડાનાં વાદળો ફેલાઈ ગયાં હતાં.
ઈરાનમાં સુપ્રીમ લીડર ખામેનીએ કહ્યું- ઈઝરાયલનો નાશ કરશે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીએ શુક્રવારે તેહરાનની ગ્રાન્ડ મસ્જિદમાં હિઝબુલ્લાના વડાની યાદમાં પ્રાર્થના કરી હતી. આ પછી તેમણે મસ્જિદમાં હાજર હજારો લોકોની સામે ભાષણ આપ્યું. ખામેનીએ વિશ્વના મુસ્લિમોને દુશ્મન સામે એક થવા અપીલ કરી હતી.
ખામેનીએ આરબ દેશોને ઇઝરાયલનો સામનો કરવા માટે એકસાથે આવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે ઈઝરાયલનો વિનાશ જરૂરી છે. મંગળવારે ઇઝરાયલ પર કરવામાં આવેલા મિસાઇલ હુમલો ખૂબ જ નાની સજા હતી. જરૂર પડ્યે ફરી હુમલો કરશે. તેમણે કહ્યું હતું કે ઈઝરાયલ ક્યારેય હમાસ અને હિઝબુલ્લાહને હરાવી શકશે નહીં.
ખામેનીના ભાષણ સાથે જોડાયેલી તસવીરો …
ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીએ શુક્રવારની નમાજનું નેતૃત્વ કર્યું હતું.
તેહરાનની ગ્રાન્ડ મસ્જિદમાં ખામેનીને સાંભળવા લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં.
ખામેનીના ભાષણ દરમિયાન લોકોએ નારા લગાવ્યા હતા.
આંતરરાષ્ટ્રીય સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો…
હિઝબુલ્લાહ ઘૂંટણિયે પડ્યું?:નસરાલ્લાહના જમાઈના મોતનો દાવો, સિરિયા હુમલામાં મૃત્યુ; લેબનને કહ્યું- હિઝબુલ્લાહ યુદ્ધવિરામ માટે તૈયાર હતું
ઈઝરાયલે હિઝબુલ્લાહના વડા હસન નસરાલ્લાહના જમાઈ હસન જાફર અલ-કાસીરને પણ માર્યો હોવાનો દાવો કર્યો હતો. સમાચાર એજન્સી AFPએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ઇઝરાયલી સેનાએ બુધવારે સિરિયાની રાજધાની દમાસ્કસમાં હવાઈહુમલો કર્યો હતો, જેમાં તેનું મોત થયું હતું. તેની સાથે વધુ બે લોકો માર્યા ગયા છે. આ સમાચાર વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો….