15 મિનિટ પેહલાલેખક: સંદીપ કુમાર
- કૉપી લિંક
ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે કારણ કે ગાય અને ભેંસ જેવા દુધાળા પ્રાણીઓની સંખ્યા ભારતમાં સૌથી વધુ છે. 2021માં ભારતીય ડેરી માર્કેટ અંદાજે રૂ. 13 લાખ કરોડનું હતું, જે 2027 સુધીમાં અંદાજે રૂ. 31 લાખ કરોડ સુધી પહોંચવાની શક્યતા છે.
આ પાછળનું કારણ એ છે કે છેલ્લાં ત્રણ દાયકામાં શહેરીકરણ અને લોકોની આવકમાં વધારાને કારણે ડેરી પ્રોડક્ટના ઉપયોગમાં વધારો થયો છે. પરંતુ દૂધની વધતી ડિમાન્ડની સાથે-સાથે ભેળસેળ કરનારાઓ પણ એક્ટિવ થઇ જાય છે.
ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પણ ભેળસેળયુક્ત દૂધને રોકવા માટે વિવિધ રાજ્યોમાં નિયમિત દરોડા પાડે છે.
આ વર્ષે જાન્યુઆરીમાં રાજસ્થાનના અલવરમાં 3 હજાર લીટર ભેળસેળયુક્ત દૂધ જપ્ત કરવામાં આવ્યું હતું, જે મુખ્યત્વે રિફાઈન્ડ ઓઈલમાંથી બનાવવામાં આવ્યું હતું. ભેળસેળવાળું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી સાબિત થાય છે.
આ સ્થિતિમાં આપણા ઘરે આવતું દૂધ અસલી છે કે નકલી તે જાણવું ખૂબ જ જરૂરી છે.
ઘણી વખત આપણી પાસે સાચી માહિતીન હોવાને કારણે, સિન્થેટિક, ભેળસેળયુક્ત દૂધ અને શુદ્ધ દૂધ વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બને છે.
આજે કામના સમાચારમાં આપણે વાત કરીશું દૂધમાં થતી ભેળસેળ વિશે.
આ સાથે જ એ પણ જાણીએ કે
- ભેળસેળયુક્ત દૂધ પીવાથી કેવા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે?
- નકલી દૂધ અને અસલી દૂધ વચ્ચેનો તફાવત કેવી રીતે ઓળખવો?
નિષ્ણાત-
ડો. હરિ પ્રસાદ યાદવ- ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ, મેદાંતા હોસ્પિટલ (ઈન્દોર)
ચતુર્ભુજ મીણા- સ્ટેટ ફૂડ એનાલિસ્ટ, ઝારખંડ
સવાલ – ભેળસેળવાળું દૂધ પીવાથી કઈ સમસ્યા થઈ શકે છે?
જવાબ – દૂધ એક સુપરફૂડ છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ ઉંમરના લોકો દૂધ પીવે છે. દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ ઉપરાંત વિટામિન બી12, મેગ્નેશિયમ, મિનરલ્સ અને ફેટ જેવા જરૂરી પોષક તત્ત્વો હોય છે.
પરંતુ આ બધા પોષક તત્ત્વો ત્યારે જ મળે છે જ્યારે દૂધ શુદ્ધ હોય એટલે કે તેમાં કોઈ ભેળસેળ કરવામાં ન આવી હોય.
ભેળસેળયુક્ત દૂધમાં ફક્ત શૂન્ય પોષક તત્ત્વો નથી હોતા પરંતુ તે શરીરને પણ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
ભેળસેળવાળું દૂધ પીવાથી ઊલટી અને ઝાડા જેવી સમસ્યા થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી ભેળસેળવાળું દૂધ પીવે છે તો તેની કિડની અને લિવરને પણ નુકસાન થઈ શકે છે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/28/zkk-adulteration-in-milk-24-06-2024-1-ezgifcom-opt_1719545986.gif)
સવાલ – દૂધમાં ક્યાં પ્રકારની વસ્તુઓ મિક્સ કરવામાં આવે છે?
જવાબ –અગાઉ દૂધમાં પાણી ઉમેરવાની જ માહિતી આપણી પાસે હતી, પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોમાં દૂધનું પ્રમાણ વધારવા માટે પાણીને બદલે યુરિયા, ડિટર્જન્ટ, કાસ્ટિક સોડા, માલ્ટોડેક્સ્ટ્રિન પાવડરનું પ્રમાણ વધ્યું છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે.
સવાલ – દૂધમાં આવી વસ્તુઓ ભેળવવાનું કારણ શું છે?
જવાબ – દૂધમાં ચરબી અને સોલિડ-નોટ-ફેટ (SNF) હોય છે. નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર, ભેળસેળ કરનારાઓ દ્વારા દૂધમાં આવી વસ્તુઓ ઉમેરવા પાછળ આ કારણો છે:
- યુરિયા અથવા ખાતર ઉમેરવાથી દૂધની માત્રા તેમજ SNF અને ફેટ વધે છે.
- ન્યુટ્રલાઈઝર ઉમેરવાથી દૂધમાં ખટાશ નથી આવતી.
- દૂધને ઝડપથી બગડતું અટકાવવા માટે તેમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ફોર્માલિન ઉમેરવામાં આવે છે.
- એમોનિયા અને યુરિયાના કારણે ખરાબ થયેલા ટેસ્ટને સુધારવા માટે તેમાં લોટ અને સ્ટાર્ચ ઉમેરવામાં આવે છે.
ગાયના દૂધમાં ફેટનું પ્રમાણ 3.5 ટકા અને સોલિડ નોન ફેટનું પ્રમાણ 8.5 ટકા હોવું જોઈએ. જ્યારે ભેંસના દૂધમાં ફેટનું પ્રમાણ 5 ટકા અને સોલિડ નોન ફેટનું પ્રમાણ 9.5 ટકા હોવું જોઈએ.
સવાલ – દૂધમાં યુરિયા મિક્સ છે કે નહીં તે આપણે ઘરે કેવી રીતે જાણી શકાય?
જવાબ – દૂધમાં યુરિયા ઉમેરવાનો હેતુ SNF વધારવાનો છે. SNF વધારવાથી ફેટ દ્વારા વધુ નફો થાય છે. દૂધમાં યુરિયા ખાતર હોવાને કારણે લાંબા સમય સુધી આ દૂધ પીવાથી કિડની કે લિવરની સમસ્યા થઈ શકે છે.
યુરિયાનો ટેસ્ટ કરવા માટે, એક વાસણમાં થોડું દૂધ લો અને તેમાં સોયાબીન પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
પછી એક લાલ લિટમસ પેપરને દૂધ અને સોયાબીન પાવડરના મિશ્રણમાં પાંચ મિનિટ માટે ડુબાડો. જો લિટમસ પેપરનો રંગ લાલથી વાદળી થઈ જાય તો તમારા દૂધમાં યુરિયા ભેળવવામાં આવ્યું છે.
સવાલ – આપણે કેવી રીતે જાણી શકીએ કે દૂધમાં ડિટર્જન્ટ છે કે નહીં?
જવાબ – દૂધમાં ડિટર્જન્ટ છે કે નહીં તે જાણવા માટે એક બોટલમાં દૂધ અને પાણી એક સરખા પ્રમાણમાં મિક્સ કરો. આ પછી બોટલને સારી રીતે હલાવો. જો મિશ્રણ ફીણવાળું બને કે જાડું ફીણ બને તો સમજવું કે દૂધમાં ડિટર્જન્ટ મિક્સ કરવામાં આવ્યું છે.
દૂધમાં ઓક્સિટોસિન, ફોર્મેલિન અને હાઇડ્રોજન પેરોક્સાઇડ જેવી વસ્તુઓની ભેળસેળ શોધવા માટે લેબ ટેસ્ટિંગ જરૂરી છે.
સવાલ – દૂધમાં પાણી મિક્સ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?
જવાબ – દૂધમાં પાણી મિક્સ છે કે નહીં તે જાણવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે પ્લાસ્ટિકના સાદા ટુકડા અથવા અન્ય કોઈ વસ્તુ પર દૂધના થોડા ટીપાં નાખવા. આ પછી તેને થોડું નમાવો, જો દૂધનું ટીપું સફેદ નિશાન છોડીને ધીમે ધીમે વહેતું હોય, તો તેનો અર્થ એ કે દૂધમાં પાણીની ભેળસેળ નથી. જો તે સફેદ નિશાન ન છોડે તો તેનો અર્થ એ કે પાણીની ભેળસેળ કરવામાં આવી છે.
પ્રશ્ન- ડેરીમાંથી દૂધ ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
જવાબ- તમે જ્યાં પણ દૂધ ખરીદતા હો ત્યાં આ વાતોનું ધ્યાન રાખો.
જેમ કે-
- દૂધ આપનાર સ્વચ્છતાનું ધ્યાન રાખે છે કે નહીં.
- જે વાસણમાં દૂધ રાખવામાં આવ્યું છે તે સ્વચ્છ છે કે નહીં.
- તાજા દૂધમાં ગંધ હોતી નથી, જ્યારે બગડેલા દૂધમાં ખાટી વાસ આવે છે.
- તાજા અને શુદ્ધ દૂધનો રંગ સફેદ હોય છે, જ્યારે ભેળસેળયુક્ત દૂધનો રંગ પીળો હોઈ શકે છે.
- તાજું દૂધ બહુ પાતળું ન હોવું જોઈએ. પાતળા દૂધમાં પાણી મિક્સ હોઈ શકે છે