50 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક કોલેજ જતી છોકરી જે દુનિયા જીતવા માગે છે, જેની આંખોમાં મોટા સપના છે, તેની પાંખો આકાશની ઊંચાઈઓને સ્પર્શવા માગે છે.
પછી એક દિવસ તેના લગ્ન થાય છે. એક વર્ષ પછી તે માતા પણ બને છે. નવા જમાનાની બેદરકારી વચ્ચે કાળજીથી ઉછરેલી આ દીકરી રસોઈની સાથે બેબી કેર પણ શીખે છે. જે છોકરી પોતાના કપડા ધોતી વખતે ભવાં ચડાવતી અથવા નાક મચકોડતી હતી તે પણ હવે ખૂબ પ્રેમથી પોતાના બાળકનું ડાયપર બદલી નાખે છે કારણ કે તે પોતે મા બની ગઈ છે.
પરંતુ આ કેવી રીતે થાય છે? આ પરિવર્તનનું કારણ શું છે? તમે કદાચ એવું વિચારશો કે, આ બધું ભગવાનનો કાયદો અથવા કુદરતનો નિયમ છે, કે સ્ત્રીઓને આ જ કરવા માટે બનાવવામાં આવી છે અને આ ગુણો તેમનામાં કુદરતી રીતે હાજર છે.
પરંતુ વૈજ્ઞાનિક સંશોધનમાં આ વિચાર ખોટો સાબિત થયો છે. ‘હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂ’ના એક રિપોર્ટ અનુસાર, માતૃત્વની લાગણી કોઈ પણ છોકરીમાં જન્મજાત નથી, પરંતુ સામાજિક સ્થિતિ અને તેમના પર લાદવામાં આવેલી જવાબદારીઓને કારણે સર્જાય છે.
આવી સ્થિતિમાં, જો પુરૂષો પણ શરૂઆતથી જ માતાની જેમ બાળકની સંભાળ રાખે છે, તેની લંગોટ બદલે છે, તેને ખવડાવે છે, તેને સૂવડાવે છે, રડતા બાળકને શાંત કરે છે, આખી રાત બાળક સાથે જાગતા રહે છે, તો પછી તેઓ પણ આ કામમાં સહજ અને નિષ્ણાત બની શકે છે.
વાર્તામાં આગળ વધતાં પહેલાં, ચાલો સહજ અને શીખેલા વર્તન વચ્ચેનો તફાવત સમજીએ-
સહજવૃત્તિ- (instinct) એટલે મનુષ્ય અથવા પ્રાણીના તે ગુણો, જે તેને કુદરત દ્વારા કુદરતી રીતે મળેલા હોય છે. તેને અલગથી શીખવાની જરૂર નથી. ઉદાહરણ તરીકે, સૌથી મૂર્ખ પ્રાણીઓ પણ જ્યારે તેઓ ભય જુએ છે ત્યારે ભાગવાનું શરૂ કરે છે. નવજાત બાળક જ્યારે ભૂખ્યું થાય ત્યારે આપોઆપ રડવા લાગે છે. આ વસ્તુઓ તેમને શીખવવામાં આવતી નથી, બલ્કે આ ગુણો તેમનામાં જન્મજાત વૃત્તિ તરીકે આપોઆપ ઊતરી આવે છે.
શીખેલું વર્તન- (Learned Behavior) જન્મજાત વૃત્તિ સિવાયના તમામ દુન્યવી ગુણો, જેને શીખવાની અને સમજવાની જરૂર છે, તે આ શ્રેણીમાં આવે છે. ઉદાહરણ તરીકે, બાળકને વડીલોના પગ સ્પર્શ કરવાનું શીખવવામાં આવે છે ત્યારે જ તે એવું કરે છે.
તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, તે પુરુષ હોય કે સ્ત્રી, પેરેન્ટિંગ તેમના માટે જન્મજાત વૃત્તિ નથી. બંનેએ આ શીખવું પડશે. બાળક સાથે જેટલો વધુ સમય વિતાવશે, તેટલી જ સારી પેરેન્ટિંગ કૌશલ્ય ‘લર્ન્ડ બિહેવિયર’ સ્વરૂપે બનશે.
પિતૃત્વની રજા લેવાથી પુરુષોના મગજનાં કાર્યમાં ફેરફાર થઈ શકે છે
અમેરિકાની યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના મનોવિજ્ઞાનના પ્રોફેસર ડાર્બી સૈક્બી અને તેમના સહયોગી સોફિયા કર્ડેનસે તેમના એક સંશોધનમાં ‘પેરેન્ટિંગ બ્રેઈન’નું પરીક્ષણ કરવાનો પ્રયાસ કર્યો હતો.
તેમને સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે, માતા કે પિતા બન્યા પછી લોકોના મગજના કાર્યમાં કેવા પ્રકારના ફેરફારો થાય છે અને તેમની વિચારસરણીમાં કેવો ફેરફાર થાય છે. આ માટે તેમણે કેટલાક લોકોના ‘બ્રેઈન મેપિંગ’ની મદદ લીધી જેઓ પહેલીવાર માતા કે પિતા બન્યા હતા.
ડાર્બી સૈકબીના જણાવ્યા અનુસાર, આપણા મગજમાં પુરૂષો કે સ્ત્રીઓમાં પેરેન્ટિંગ કૌશલ્ય વિકસાવવાની ‘ન્યુરોપ્લાસ્ટિસિટી’ ક્ષમતા છે. આ ક્ષમતા પુખ્ત વયના લોકોને કોઈપણ વર્તન સાથે અનુકૂલન સાધવાની તાકાત આપે છે. બસ આ માટે તેઓએ તે વસ્તુ પ્રત્યે વધુ ખુલ્લું થવું પડશે.
તેમના સંશોધનમાં ડાર્બી સૈક્બી અને સોફિયા કર્ડેનસને જાણવા મળ્યું કે, જો પુરુષો પિતૃત્વની રજા લે છે, તો ‘ન્યુરોપ્લાસ્ટિસિટી’ ક્ષમતાની મદદથી તેમનામાં વાલીપણાનાં તમામ ગુણો વિકસિત થવા લાગે છે. તેઓ ભલે પોતે ગર્ભવતી ન હોય, પરંતુ તેઓ કોઈપણ સ્ત્રીની જેમ બાળઉછેરના તમામ કૌશલ્ય શીખી શકે છે.
ફિલ્મ ‘એનિમલ’માં રણબીર કપૂરના પિતા એબસેન્ટ પિતા હતા
હાલમાં જ રણબીર કપૂરની એક ફિલ્મ આવી હતી ‘એનિમલ.’ આ ફિલ્મમાં અનિલ કપૂરે રણબીરના પિતાની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે પિતા અને પુત્ર વચ્ચેના સંબંધો હદથી વધુ બગડી ગયા છે. રણબીરને તેના પિતાનો સાથ અને ભાવનાત્મક ટેકો જોઈએ છે, તો બીજી તરફ અનિલ કપૂર પાસે આ માટે સમય નથી.
જો આપણે પ્રોફેસર ડાર્બી સૈક્બી અને સોફિયા કર્ડેનસ સંશોધન પર આધારિત આ ફિલ્મને સમજવાનો પ્રયત્ન કરીએ, તો આપણને જાણવા મળશે કે-
બાળપણમાં પિતાએ પોતાના બાળકના ઉછેર માટે માટે પોતાનો પૂરતો સમય ન આપ્યો હોવાથી તેમનામાં ‘પેરેન્ટિંગ બ્રેઈન’નો વિકાસ થઈ શક્યો નથી. આ કારણોસર પિતા અને પુત્ર વચ્ચેના સંબંધો ક્યારેય સુધરી શક્યા નહીં.
પુરુષોને પિતૃત્વની રજા મળતી નથી, તેઓ તે લેવા પણ માંગતા નથી
મેટરનિટી બેનિફિટ (એમેન્ડમેન્ટ) એક્ટ, 2017 મુજબ, માતા બન્યા પછી, મહિલાઓને 26 અઠવાડિયાની પ્રસૂતિ રજા મળે છે જેથી તેઓ તેમના નવજાત બાળકનો ઉછેર કરી શકે.
સામાન્ય રીતે, પિતા બનેલા પુરુષોને આવી કોઈ રજા આપવામાં આવતી નથી. જો તમને મળે છે તો તે પણ માત્ર એકાદ દિવસની આકસ્મિક રજા મળે છે. તે એક દિવસમાં બાળકના જન્મની માંડ ઉજવણી કરી શકાય છે.
એ પણ સાચું છે કે, આપણા સમાજમાં બાળકોને ઉછેરવા એ સંપૂર્ણપણે સ્ત્રીઓનું કામ ગણાય છે. આવી સ્થિતિમાં પુરુષો ન તો રજા માગે છે અને ન તો તેમને આપવામાં આવે છે.
પરંતુ નવા સંશોધન સૂચવે છે કે પિતા બન્યા પછી પુરુષો માટે સમય કાઢવો ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનાથી માતા-પિતા અને બાળક ત્રણેયને ફાયદો થઈ શકે છે.