નવી દિલ્હી2 કલાક પેહલા
- કૉપી લિંક
બિહારના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 12 જિલ્લામાં વીજળી પડવાથી 21 લોકોનાં મોત થયાં છે. રાજ્યની નદીઓમાં પૂર આવ્યું છે. ભાગલપુરમાં ગંગામાં પૂર જેવી સ્થિતિ છે. અનેક ઘરો નદીમાં ડૂબી ગયાં છે. કેટલાક લોકો તેમનાં ઘર છોડવા મજબૂર થયા છે.
બીજી તરફ, ઉત્તરપ્રદેશમાં નેપાળની સરહદે આવેલા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. પીલીભીત, લખીમપુર ખેરી, બહરાઈચ, શ્રાવસ્તી, બલરામપુર, સિદ્ધાર્થનગર, મહારાજગંજના લગભગ 800 ગામ સતત ત્રીજા દિવસે પૂરની ઝપેટમાં છે, શાહજહાંપુરમાં દિલ્હી-લખનઉ હાઈવે સતત બીજા દિવસે બંધ છે. બલરામપુરની પ્રાથમિક સ્કૂલમાં 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં છે.
UP-બિહાર ઉપરાંત સમગ્ર દેશમાં ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, જમ્મુ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે.
IMDએ મુંબઈમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેના કારણે રોડ, રેલ અને હવાઈ ટ્રાફિક સેવાને અસર થઈ શકે છે. શુક્રવારે મોડીરાત્રે અને શનિવારે સવારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. આજે પણ અહીં વરસાદ પડવાની શક્યતા છે.
દેશમાં વરસાદની અસર
બિહારઃ સીએમ નીતિશે કહ્યું- સાવધાન રહો, ઘરમાં સુરક્ષિત રહો
બિહારના ભાગલપુરમાં કોસીમાં પૂર જેવી સ્થિતિ છે. છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી મધુબનીમાં 6, ઔરંગાબાદમાં 4 અને પટનામાં 2 લોકોનાં મોત થયાં છે તેમજ રોહતાસ, ભોજપુર, જહાનાબાદ, સારણ, કૈમુર, ગોપાલગંજ, લખીસરાય, મધેપુરા અને સુપૌલમાં એક-એક વ્યક્તિનાં મોત થયા છે.
સીએમ નીતિશ કુમારે મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ લોકોને ખરાબ હવામાનમાં સાવધાની રાખવાની અપીલ કરી છે. વીજળીથી પોતાને બચાવવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા સમયાંતરે આપવામાં આવેલાં સૂચનોનું પાલન કરો. લોકોને ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવા સલાહ આપવામાં આવી છે.
ઉત્તરપ્રદેશઃ દિલ્હી-લખનઉ હાઈવે પર હજુ પણ 3 ફૂટ સુધી પાણી ભરાયાં
દિલ્હી-લખનઉ હાઈવે પર શાહજહાંપુરમાં લગભગ 2થી 3 ફૂટ પાણી ભરાયાં છે. હાઈવેનો એક ભાગ સતત બંધ રહ્યો છે. શુક્રવારે 15-20 જિલ્લામાં 5 મિમી વરસાદ નોંધાયો હતો. લખીમપુર ખીરીમાં સૌથી વધુ 38 મિમી વરસાદ નોંધાયો હતો. બરેલીમાં સૌથી ઓછું તાપમાન 22.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ગોરખપુરમાં રાપ્તી નદીના કિનારે બહેરામપુરમાં ઈમારતોનો એક માળ ડૂબી ગયો છે. નદીથી દૂર આવેલી અહીંની વસાહતોમાં પણ 3-4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં છે. અહીં બોટ પણ દોડી રહી છે. પ્રશાસને કહ્યું છે કે રાપ્તીની નજીક હોવાને કારણે આ વિસ્તાર દર વર્ષે ડૂબી જાય છે.
આજે 21 રાજ્યમાં વરસાદનું એલર્ટ
આજે IMDએ 21 રાજ્ય કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, તેલંગાણા, આસામ, મેઘાલય, પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, પૂર્વ-પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ચેતવણી જાહેર કરી છે. છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, જમ્મુ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને આંદામાન-નિકોબારમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે, સાથે જ ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, વિદર્ભ (મહારાષ્ટ્ર), છત્તીસગઢમાં વાવાઝોડા સાથે વીજળી પડવાનું એલર્ટ અપાયું છે.
દેશભરમાં વરસાદની તસવીરો જુઓ…
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં ભારે વરસાદને કારણે પહાડોમાંથી પાણી રસ્તા પરથી વહેવા લાગ્યું, જેના કારણે લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
નેપાળના તેરાઈ વિસ્તારમાં ભારે વરસાદ બાદ ગંડક નદીમાં 2.97 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે બિહારના ગોપાલગંજ, સિવાન, બેતિયામાં પૂરનું જોખમ વધી ગયું છે. બગહાના નીચાણવાળા વિસ્તારો ડૂબવા લાગ્યા છે. તસવીર માત્ર બગહાની છે.
મુંબઈમાં ફૂટઓવર બ્રિજ (FOB) પરથી પસાર થતા લોકો.
બિકાનેરમાં ભારે વરસાદને કારણે રહેણાક વિસ્તારનાં મકાનો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં.
ભાગલપુરમાં કોસી નદીમાં ઉછાળો છે, જેના કારણે ધોવાણ થઈ રહ્યું છે.
ગંગટોકમાં પણ ઘણો વરસાદ થયો છે, જેના કારણે તિસ્તાના જળસ્તર વધવાને કારણે તિસ્તા બજાર પણ ડૂબી ગયું છે.
યુપીમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. કાનપુરમાં ગંગામાં પૂર, ઘણા વિસ્તારો ડૂબી ગયા છે.
આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે…
- કોંકણ-ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, કેરળ, કોસ્ટલ અને દક્ષિણ કર્ણાટક, કેરળમાં 13થી 16 જુલાઈ દરમિયાન ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.
- આ ઉપરાંત આસામ, મેઘાલય, ઓડિશામાં 13-16 જુલાઈએ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, આંદામાન-નિકોબારમાં 14 જુલાઈએ અને નાગાલેન્ડ-મણિપુરમાં 14 -15 જુલાઈએ ભારે વરસાદનું એલર્ટ છે.
સેન્ટ્રલ વોટર કમિશને કહ્યું- 10 મહિનામાં પહેલીવાર જળાશયોના જળસ્તરમાં વધારો થયો
સેન્ટ્રલ વોટર કમિશને કહ્યું છે કે દેશનાં જળાશયોના જળસ્તરમાં ગયા વર્ષે સપ્ટેમ્બર બાદ પ્રથમ વખત વધારો થયો છે. ખરેખરમાં CWC, જે ભારતનાં 150 જળાશયો પર નજર રાખે છે તેણે 4 જુલાઈએ નવી માહિતી શેર કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે પાણીના સ્તરમાં કુલ 2 ટકાનો વધારો થયો છે.
CWCએ કહ્યું હતું કે ગયા વર્ષની સરખામણીમાં આ જળાશયોના કુલ સંગ્રહ સ્તરમાં ઘટાડો થયો છે.
રાજ્યોના હવામાન સમાચાર…
ઉત્તરપ્રદેશઃ શાહજહાંપુરમાં લખનઉ-દિલ્હી હાઈવે પાણીથી ભરાઈ ગયો, ગોરખપુરમાં રાપ્તીના કિનારે ઘરો એક માળ ડૂબી ગયાં
તસવીર શાહજહાંપુરની છે. છેલ્લા 2 દિવસથી અહીં પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.
પહાડોમાં વરસાદને કારણે નેપાળ-યુપી બોર્ડરના ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. સૌથી ભયાનક સ્થિતિ શાહજહાંપુરમાં છે. લોકો અહીંથી સ્થળાંતર કરવા લાગ્યા છે. લખનઉ-દિલ્હી હાઈવેનો એક ભાગ બીજા દિવસે પણ બંધ રહ્યો છે. હાઈવે પર 3 ફૂટ પાણી ભરાયેલું છે.
રાજસ્થાનઃ આજે 20 જિલ્લામાં વાવાઝોડાનું એલર્ટ, શ્રીગંગાનગર-હનુમાનગઢમાં તોફાની વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન શ્રીગંગાનગરના અનુપગઢ વિસ્તારમાં 40 મિમી વરસાદ નોંધાયો છે. શુક્રવારે મોડી સાંજે શ્રી ગંગાનગર અને હનુમાનગઢના વિસ્તારોમાં લગભગ 68 કિલોમીટરની ઝડપે ભારે વાવાઝોડું ફૂંકાયું હતું.
શુક્રવારે ઉત્તર રાજસ્થાનના જિલ્લાઓમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદ થયો હતો. હનુમાનગઢ-ગંગાનગરમાં વાવાઝોડાને કારણે ઘણી જગ્યાએ વૃક્ષો અને માટીનાં મકાનોના ટીનશેડ પડી ગયા હતા. જયપુર, ઝાલાવાડ, ચુરુ, બુંદી, બારન, બાંસવાડા, ઝુંઝુનુ, પ્રતાપગઢ, બિકાનેરમાં પણ વરસાદ પડ્યો હતો.
હરિયાણાઃ 7 શહેરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, 14 જુલાઈ પછી ફરી સક્રિય થશે ચોમાસું
કરનાલની આસપાસનાં ખેતરોમાં ડાંગરનો પાક અને આકાશમાં હળવાં વાદળો.
શનિવારે સવારે 9 વાગ્યા સુધી હરિયાણાનાં 7 શહેરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પલવલ, ફરીદાબાદ, ગુરુગ્રામ, ઝજ્જર, રોહતક, સોનીપત, પાણીપતમાં ગાજવીજ/વીજળી/અચાનક ભારે પવન સાથે મધ્યમ વરસાદની શક્યતા છે.
પંજાબઃ રાજ્યમાં 2 દિવસ સુધી વરસાદની શક્યતા, ચોમાસું ફરી સક્રિય થવાથી તાપમાનમાં 6.5 ડિગ્રીનો ઘટાડો
પંજાબના ફિરોઝપુરમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં.
પંજાબમાં ચોમાસું ફરી સક્રિય થયા બાદ તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે. પંજાબનું સરેરાશ તાપમાન એક જ દિવસમાં 6.5 ડિગ્રી ઘટી ગયું છે, જે સામાન્ય કરતાં 3.3 ડિગ્રી ઓછું છે. પંજાબમાં આગામી બે દિવસમાં સામાન્ય કે હળવો વરસાદ પડવાની શક્યતા છે.