1 કલાક પેહલાલેખક: પ્રકાશ.એ.પરમાર
- કૉપી લિંક
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી લગભગ 70 કિલોમીટર દૂર આવેલું સંદેશખાલી આજે દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. 5 જાન્યુઆરીએ TMC નેતા શાહજહાં શેખના ઘરે દરોડો પાડવા ગયેલી EDની ટીમ પર હુમલો થયો ને આ ગામ પ્રથમ વખત અચાનક ચર્ચામાં આવ્યું. સ્થાનિક ભાજપ નેતાઓ અને કેન્દ્રીય નેતાઓ વારંવાર સંદેશખાલીની મુલાકાત લઇ મુદ્દાને સળગતો રાખી રહ્યા છે. તો હવે માર્ચના પહેલા અઠવાડિયામાં PM મોદી બંગાળમાં 3 દિવસ રોકાશે. ત્યારે આ બધાની વચ્ચે રાજકીય વિશ્લેષકોના મતે ભાજપ આ મુદ્દાને સિંગુર અને નંદીગ્રામ જેવો મોટો મુદ્દો બનાવાની ફિરાકમાં છે. તો આવો જાણીએ કે ભાજપને કેમ લાગે છે કે સંદેશખાલીનો મુદ્દો સિંગુર અને નંદીગ્રામની જેમ બંગાળની રાજનીતિ બદલી નાખશે. અને લોકસભામાં મિશન 370 હાંસલ કરવામાં એક મોટો પડાવ સાબિત થશે.
સંદેશખાલી વિવાદનું મૂળ શું?… શરૂઆત ક્યાંથી થઇ?
આવો સૌપ્રથમ જાણીએ કે સંદેશખાલી વિવાદનું મૂળ શું છે અને તેની શરૂઆત ક્યાંથી થઇ?, સંદેશખાલી પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં આવેલું એક ગામ છે. હિંસા ગયા મહિને 5 જાન્યુઆરીએ શરૂ થઈ હતી જ્યારે ED ટીએમસી નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા માટે પહોંચ્યું હતું. EDની ટીમ કરોડો રૂપિયાના રાશન વિતરણ કૌભાંડની તપાસ અર્થે પહોંચી હતી. આ દરમિયાન ED પર હુમલો થયો હતો. જેમાં EDના ત્રણ અધિકારીઓ ઘાયલ થયા હતા. આ પછી કુલ ત્રણ FIR નોંધવામાં આવી હતી. શાહજહાં શેખને આમાં મુખ્ય સૂત્રધાર માનવામાં આવતો હતો. ત્યારબાદથી શાહજહાં શેખ ફરાર છે. કહેવામાં આવી રહ્યું છે કે તે બાંગ્લાદેશ ભાગી ગયો છે.
ઘરમાં સુંદર સ્ત્રી કે છોકરી દેખાય તો તેને પાર્ટી ઓફિસ લઈ જતા હોવાનો આક્ષેપ
EDના દરોડા પછી સ્થાનિક મહિલાઓએ શાહજહાં શેખના સમર્થકો પર જાતીય સતામણી અને જમીન હડપ કરવાનો આરોપ લગાવ્યો હતો. એવો દાવો કરવામાં આવે છે કે શાહજહાં શેખના ગુંડાઓ રાત્રે આવતા હતા અને બળજબરીથી મહિલાઓને ઉપાડી જતા હતા અને સવારે છોડી મુકતા હતા. મહિલાઓનો આરોપ છે કે તૃણમૂલ કોંગ્રેસના લોકો ગામમાં ઘરે-ઘરે જઈ સરવે કરે છે. જો કોઈ ઘરમાં સુંદર સ્ત્રી કે છોકરી દેખાય તો તેને પાર્ટી ઓફિસ લઈ જવામાં આવે છે. ત્યારપછી મહિલાને ઘણી રાત સુધી ત્યાં રાખવામાં આવે છે. અને બાદમાં તેને ઘર પાસે છોડી દેવામાં આવે છે. જ્યારે શાહજહાં ફરાર થઈ ગયો ત્યારે ત્યાં મહિલાઓએ તેની ધરપકડની માગ સાથે પ્રદર્શન કર્યું. જ્યારે વિરોધકર્તાઓએ શાહજહાંના સહયોગી શિબાપ્રસાદ હાઝરાની માલિકીના પોલ્ટ્રી ફાર્મને સળગાવી દીધું ત્યારે તણાવ વધી ગયો. આ પછી આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો. મહિલાઓ દ્વારા કરવામાં આવેલા જાતીય સતામણીના આરોપોને પગલે રાજ્યના ગવર્નર પણ ત્યાં પહોંચ્યા હતા અને મહિલાઓને મળ્યા હતા. રાજ્યપાલની મુલાકાત પછી, કલકત્તા હાઇકોર્ટે આ બાબતની નોંધ લીધી હતી.
ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા જ PMનો બંગાળ પ્રવાસ
લોકસભા ચૂંટણી 2024ની તારીખો ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહી છે. તે પહેલા જ PM મોદી માર્ચના પહેલા અઠવાડિયામાં પશ્ચિમ બંગાળની ત્રણ દિવસની મુલાકાતે જશે. 1-2 માર્ચ પછી તેઓ 6 માર્ચે ફરી બંગાળ જશે. 1 માર્ચે આરામબાગમાં PMની જાહેર સભા, 2 માર્ચે કૃષ્ણનગરમાં PMની જાહેર સભા અને 6 માર્ચે બારાસાતની મુલાકાતે PM જશે.
સંદેશખાલીની પીડિતાઓ PMને મળવા માંગશે તો પાર્ટી વ્યવસ્થા કરશે
ભાજપના પશ્ચિમ બંગાળ એકમના વડા સુકાંત મજુમદારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 માર્ચે રાજ્યના ઉત્તર 24 પરગણા જિલ્લામાં બારાસાતમાં મહિલા રેલીને સંબોધશે. મજમુદારે કહ્યું કે જો સંદેશખાલીની પીડિત મહિલાઓ વડાપ્રધાનને મળવાની ઈચ્છા વ્યક્ત કરશે તો પાર્ટી બેઠકનું આયોજન કરશે.
લોકસભામાં 370ના મિશનમાં બંગાળ મહત્વપૂર્ણ
તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ વડાપ્રધાન પશ્ચિમ બંગાળની મુલાકાત લઇ રહ્યા છે. વડાપ્રધાનના આગમનની સાથે જ ભાજપ બંગાળમાં ફ્રન્ટ ફૂટ પર આવી જશે. અંહીં ભાજપ 42માંથી 30 બેઠકો જીતવા માગે છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે પશ્ચિમ બંગાળ ભાજપ માટે કેટલું મહત્વનું બની ગયું છે. સંદેશખાલી મુદ્દે ભાજપ સતત વિરોધ કરી રહ્યું છે અને પશ્ચિમ બંગાળ સરકારને ભીંસમાં લેવાનો એક પણ મોકો ચૂકી રહ્યુ નથી.
મહિલા સુરક્ષાનો સંદેશ અપાશે
PMના પ્રવાસ દરમિયાન ભાજપ બંગાળમાં મહિલા સુરક્ષાના મુદ્દે મોટો સંદેશ આપશે. હકીકતમાં સંદેશખાલીની ઘટના બાદ ભાજપ મહિલાઓની સુરક્ષાને લઈને સતત સવાલો ઉઠાવી રહ્યું છે. ભાજપ સવાલ કરી રહ્યું છે કે મહિલા મુખ્યમંત્રી હોવા છતાં મહિલાઓ સુરક્ષિત નથી. તે TMC નેતાઓ દ્વારા યૌન શોષણની ઘટનાઓને લઈને સતત સવાલ ઉઠાવી રહ્યું છે. ભાજપના આગેવાનો અને અન્ય સંગઠનોના પ્રતિનિધિ મંડળો પણ સંદેશખાલીની મુલાકાત લઇ રહ્યા છે.
બંગાળમાં બબાલ…ભાજપની આક્રમક રણનીતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક અઠવાડિયામાં બે વખત પશ્ચિમ બંગાળની મુલાકાત ભાજપની આક્રમક રણનીતિ હોવાનું સાબિત કરે છે. આ મુદ્દાને ભાજપ મોટો રાજકીય મુદ્દો બનાવવાની તૈયારીમાં હોય તેમ લાગી રહ્યું છે. ભાજપ આ મુદ્દે આગામી સમયમાં એક અભિયાન પણ ચલાવશે. અગાઉ ભાજપે સંદેશખાલીની પીડિત મહિલાઓ પર એક ડોક્યુમેન્ટરી પણ બનાવી હતી. આ સાથે જ ભાજપના નેતાઓ સતત સંદેશખાલીની મુલાકાત લઇ રહ્યા છે અને ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં પણ સંદેશખાલીનો મુદ્દો પ્રમુખતાથી ઉઠાવાયો હતો. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ અને રાષ્ટ્રીય મહિલા આયોગે પણ સંદેશખાલીની મુલાકાત લીધી હતી.
8 દિવસમાં ભાજપના ડેલિગેશનને બીજી વખત રોકાયું
પોલીસે ભાજપની મહિલા ટીમને સંદેશખાલી જતાં અટકાવી હતી. ભાજપની ટીમનું નેતૃત્વ સાંસદ લોકેટ ચેટર્જી કરી રહ્યા હતા. પ્રતિનિધિમંડળ અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. આ પછી લોકેટની અટકાયત કરવામાં આવી હતી. આ પહેલાં 16 ફેબ્રુઆરીએ પણ કેન્દ્રીય મંત્રી અને મહિલા સાંસદોના પ્રતિનિધિમંડળને સંદેશખાલી જવા દેવામાં આવ્યા નહોતા.
TMC નેતાઓ 50 લોકો સાથે ફરે અને અમારા પર પ્રતિબંધ- સુકાંત મજમુદાર
બંગાળ ભાજપના વડા સુકાંત મજુમદાર 22 ફેબ્રુઆરીએ રાજ્યપાલ સીવી આનંદ બોઝને મળ્યા હતા. અગાઉ તેમણે પ્રદર્શન કર્યું હતું, તેમની ધરપકડ કરવામાં આવી હતી, બાદમાં વ્યક્તિગત બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હતા. બાલુરઘાટના સાંસદ સુકાંતે કહ્યું- મેં રાજ્યપાલને સમગ્ર ઘટના વિશે જણાવ્યું. રાજ્યપાલે એક સાંસદ સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું એના પર ચિંતા વ્યક્ત કરી હતી. કલમ 144 માત્ર ભાજપ માટે જ લાગુ છે, TMC ધારાસભ્યો 50 લોકો સાથે ફરે છે, આ સ્વીકારવામાં આવશે નહીં. શાહજહાં શેખ અને તેના ભાઈઓ લોકોને ત્રાસ આપે છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પાર્ટી આ અંગે વાત નથી કરતા. સંદેશખાલીની મહિલાઓ જ અવાજ ઉઠાવી રહી છે.
મહિલા, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના મતદારોમાં ભાજપનો પ્રભાવ
તો આવો હવે જાણીએ કે ભાજપ આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવવા કેમ મથી રહ્યું છે. હકીકતમાં બંગાળમાં ભાજપના ઉદય માટે મહિલાઓ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના મતદારોની મુખ્ય ભૂમિકા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 18 બેઠકો જીતી હતી. ત્યારે તેમાં મહિલા, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના મતદારોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સંદેશખાલી ઉત્તર 24 પરગણા જિલ્લાના બસીરહાટ પેટાવિભાગમાં આવે છે. આ બાંગ્લાદેશની સરહદને અડીને આવેલો વિસ્તાર છે. લઘુમતી અને આદિવાસી સમુદાયના મોટાભાગના લોકો અહીં રહે છે.
સંદેશખાલીની અસર લોકસભામાં થશે!
આવનારા સમયમાં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે. ત્યારે આ વિસ્તાર બાંગ્લાદેશની સરહદને અડીને આવેલો વિસ્તાર છે. તથા લઘુમતી અને આદિવાસી સમુદાયના મોટાભાગના લોકો અહીં રહે છે. જેથી આ મુદ્દાને લઇને રાજકીય પાર્ટીઓ ધ્રુવીકરણની રાજનીતિ કરશે. અત્યાર સુધી બંગાળમાં એક તરફી ચાલી રહેલી TMCને આ ઘટનાને કારણે ભારે નુકસાન થશે. ભાજપ આ મુદ્દાને તુષ્ટિકરણ અને કાયદો-વ્યવસ્થા સાથે જોડી રાજ્યમાં સત્તાધારી પક્ષ વિરુદ્ધ માહોલ બનાવશે. ભાજપ આ મુદ્દા થકી રાજ્યમાં મહિલા અને અનુસૂચિત જનજાતિના મતદારોને પોતાની તરફેણમાં કરવાનો પ્રયાસ કરશે. આ સાથે જ લોકસભા પહેલા રાજ્ય સરકાર વિરુદ્ધ એક મોટો મુદ્દો મળી જતા હવે આ મુદ્દે રાજકીય ઘમસાણ જામશે. અને તેની અસર લોકસભાની ચૂંટણીમાં ચોક્કસથી થશે.
મહિલા મતદારોને સંદેશખાલીથી ‘સંદેશ’ આપવાનો પ્રયાસ
ભાજપ બંગાળમાં સંદેશખાલીના મુદ્દાથી એવો સંદેશ આપવા માગે છે કે બંગાળમાં મહિલા મુખ્યમંત્રી હોવા છતાં મહિલાઓ સુરક્ષિત નથી. ગઇ લોકસભાની ચૂંટણીમાં ભાજપે બંગાળની 42માંથી 18 બેઠકો જીતી હતી અને આ વખતે 30 બેઠકો જીતવાનું લક્ષ્ય છે. ભાજપનું માનવું છે કે સંદેશખાલીનો મુદ્દો મહિલાઓ સાથે સંબંધિત છે તેથી રાજ્યમાં મોટો મુદ્દો બની શકે છે. આ સાથે જ રાજ્યમાં મમતા બેનર્જીની મોટી જીત માટે મહિલા મતદારોની મોટી ભૂમિકા છે. પશ્ચિમ બંગાળમાં મહિલા મતદારોની સંખ્યા 49 ટકા એટલે કે લગભગ 3.5 કરોડ જેટલી છે. ભાજપને 2014માં 34 ટકા મહિલા મતદારોના વોટ મળ્યા હતા અને 2019માં 4 ટકા વધીને આ સંખ્યા 38 ટકા જેટલી થઇ ગઇ છે. જેથી ભાજપ આ મુદ્દા થકી પોતાની મહિલા મતદારોની વોટબેંકને વધુ મજબૂત કરવા માગે છે.
મિશન 370 માટે પશ્ચિમ બંગાળ કેમ મહત્વપૂર્ણ?
હવે એ જાણીએ કે ભાજપના લોકસભામાં મિશન 370 માટે પશ્ચિમ બંગાળ કેમ મહત્વપૂર્ણ છે. ભાજપ 2019ની લોકસભા ચૂંટણીમાં 303 બેઠકો જીત્યું હતુ. જેમાં હિન્દી બેલ્ટ સિવાય જે અન્ય મોટા રાજ્યોમાં ભાજપને મોટી જીત મળી હતી તેમાં પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ થાય છે. અહીં ભાજપે 42માંથી 18 બેઠકો જીતીને સપાટો બોલાવી દીધો હતો. ત્યારે આ વખતની લોકસભા ચૂંટણીમાં મિશન 370 પૂર્ણ કરવા માટે ભાજપે આ પરિણામ રિપિટ જ નહીં પરંતુ તેમાં વધારો કરવો પડશે. પણ ભાજપ માટે આ આસાન નથી. કારણ કે આ વખતે I.N.D.I.A ગઠબંધન ભાજપને ટક્કર આપી રહ્યું છે. દેશના અનેક રાજ્યોમાં I.N.D.I.A ગઠબંધનની બેઠકો મુદ્દે સહમતિ સધાઇ ગઇ છે. ત્યારે બંગાળમાં પણ સંભવિત જોડાણની શક્યતા જોવાઇ રહી છે. 2019માં જ્યારે ભાજપે 303 બેઠકો જીતી તેમાં એક મુખ્ય કારણ ભાજપ વિરોધી મતો વહેંચાઇ જવાનું પણ હતું. પરંતુ હવે I.N.D.I.A ગઠબંધન થવાની વિપક્ષી મતો વહેંચાશે નહીં અને તેની સીધી અસર ચૂંટણી પરિણામ પર પડશે.
વિધાનસભા અને પંચાયત ચૂંટણીના પરિણામો ભાજપ માટે ચિંતાજનક
આ સાથે પશ્ચિમ બંગાળના વિધાનસભા-2021 અને પંચાયત ચૂંટણી-2023ના પરિણામ પણ ભાજપને ચિંતા ઉપજાવે તેવા છે. મમતા બેનરજી વિધાનસભાની ચૂંટણી આસાનીથી જીતી ગયાં હતા. વિધાનસભામાં ભાજપનો વોટશૅર 38.1 ટકા હતો, જ્યારે TMCનો 47.94 ટકા હતો. TMCને કુલ 294 બેઠકમાંથી 213, જ્યારે ભાજપને 77 બેઠકો મળી હતી. ભાજપ કરતાં TMCને લગભગ 10 ટકા મત વધારે મળ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 40.30 ટકા મત મળ્યા હતા જેની સરખામણીએ ભાજપને વિધાનસભા ચૂંટણીમાં બે ટકા ઓછા મત મળ્યા છે. બીજી તરફ TMCને 2019માં 43.30 ટકા મત મળ્યા હતા, જે વિધાનસભા ચૂંટણીમાં વધીને 48.20 ટકા થઈ ગયા હતા. પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે લોકસભા ચૂંટણીની સરખામણીમાં ભાજપનો વોટ શેર લગભગ અડધો થઈ ગયો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 40 ટકા વોટ મળ્યા હતા જે પંચાયત ચૂંટણીમાં 23 ટકાએ પહોંચી ગયા છે.
સંદેશખાલી વિવાદનું મૂળ
સંદેશખાલી વિવાદનું જે મૂળ છે તે છે TMC નેતા શાહજહાં શેખ, તો આવો જાણીએ આ કોણ છે જેના માટે મમતા બેનર્જીએ લોકસભાની ચૂંટણી દાવ પર લગાવી છે. પશ્ચિમ બંગાળનું સંદેશખાલી ગામ છેલ્લા દોઢ મહિનાથી સમાચારોમાં છે. કારણ છે એક વ્યક્તિ, નામ- શાહજહાં શેખ. ઉત્તર 24 પરગણા જિલ્લાના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ છે. શાહજહાં TMCના જિલ્લા સ્તરના નેતા છે, પરંતુ કેન્દ્રીય એજન્સી ED તેને શોધી રહી છે. પશ્ચિમ બંગાળ પોલીસ પણ તેને શોધી રહી છે, પરંતુ શાહજહાં ક્યાં છે તેની કોઈને ખબર નથી. 5 જાન્યુઆરીએ EDની ટીમ રાશન કૌભાંડમાં દરોડા પાડવા શાહજહાંના ઘરે પહોંચી હતી. ત્યારબાદ શાહજહાંના સમર્થકોએ તેમના પર હુમલો કર્યો. અધિકારીઓએ પોતાનો જીવ બચાવવા ભાગવું પડ્યું હતું. આ પછી સંદેશખાલીમાં મહિલાઓએ શાહજહાં અને તેના લોકોનો વિરોધ શરૂ કર્યો. આરોપ છે કે આ લોકો મહિલાઓને પાર્ટી ઓફિસમાં બોલાવતા હતા અને તેમની સાથે બળાત્કાર કરતા હતા. મહિલાઓની ફરિયાદ બાદ પોલીસે શાહજહાંના નજીકના સાથી શિબુ હાઝરા અને ઉત્તમ સરદાર સહિત 18 લોકોની ધરપકડ કરી છે. હાલમાં શાહજહાંનો ભાઈ આલમગીર શાહજહાંનો સમગ્ર બિઝનેસ સંભાળી રહ્યો છે. બિઝનેસ, એટલે કે આ વિસ્તારનો સૌથી મોટો ઈંટનો ભઠ્ઠો, વિસ્તારનું સૌથી મોટું બજાર અને માછલીનો વ્યવસાય જે શાહજહાંની આવકના સૌથી મોટા સ્ત્રોત છે.
શાહજહાં શેખ સામે 3 FIR, બળાત્કાર અને જમીન હડપ કરવાના આરોપો
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં બળાત્કાર અને યૌન ઉત્પીડનની 17 FIR લખાઈ છે. 100થી વધુ ફરિયાદો છે. શાહજહાં શેખ વિરુદ્ધ ત્રણ એફઆઈઆર પણ છે. જેમાં બળાત્કાર, જાતીય સતામણી અને જમીન પચાવી પાડવાના આરોપો સામેલ છે.
સંદેશખાલીમાં શાહજહાંનું ઘર. તેના ત્રણ ભાઈઓ નજીકમાં રહે છે.
કોઈ બળાત્કાર નથી થયો, શિબુ હાઝરાએ મહિલાઓને પાર્ટી ઓફિસમાં નહીં ઘરે બોલાવી હતી
શાહજહાં શેખ પર લાગેલા બળાત્કારના આરોપો પર આલમગીર કહે છે, ‘આ બધું જુઠ્ઠું છે, રાજકીય કાવતરું છે. કેટલાક ખાસ પ્રસંગોએ, મહિલાઓને શિબુ હાઝરાના ઘરે ભોજન અથવા દાળપીઠા (દાળથી ભરેલી જાડા ચોખાની રોટલી) તૈયાર કરવા બોલાવવામાં આવતી હતી. ક્યારેય ઓફિસે નથી બોલાવી. પશ્ચિમ બંગાળ મહિલા આયોગના રિપોર્ટમાં પણ આ વાત સામે આવી છે. જ્યાં આ ઘટના બની હતી ત્યાં મારા ઓળખીતા લોકો હતા. તે કહી રહ્યા હતા કે માથે ઓઢીને આરોપ લગાવી રહેલી મહિલાઓ બહારથી આવી છે.
8 લોકો શાહજહાંનો ગેરકાયદેસર ધંધો સંભાળે છે
મળતી માહિતી મુજબ શિબુ હાઝરા અને ઉત્તમ સરકાર શાહજહાંના સૌથી ખાસ છે. તેની ટીમમાં 6 વધુ લોકો છે, જેઓ છેડતીથી લઈને લોકોને ડરાવવા સુધીનું કામ કરતા હતા. આ તમામ પોલીસની કસ્ટડીમાં પણ છે. તેમની સામે FIR પણ દાખલ કરવામાં આવી છે. શિબુ અને ઉત્તમ પછી અભિષેક સિંહનું નામ આવે છે. તેનું કામ વસૂલી કરવાનું અને કટ મની લેવાનું છે. તે શાહજહાં શેખ માટે ગેરકાયદેસર રીતે પૈસા એકઠા કરવા માટે જવાબદાર છે. ચોથું નામ અભિનંદન સિંહ છે, તે અભિષેક સિંહના ભાઈ છે. તેનું કામ લોકોને ડરાવીને જમીનો કબજે કરવાનું છે. પાંચમું નામ દેવબંધુ દાસનું છે. તેનું કામ રાજકીય મેનેજમેન્ટને જોવાનું છે કે ગામનો કોઈ વ્યક્તિ અન્ય પક્ષમાં ન જોડાય. બાકીના બે મધુચંદ્ર મંડલ અને શાંતનુ બસુ છે. તેઓ ટીમને મદદ કરે છે.
શાહજહાંની આલીશાન કોઠી, 2 ભઠ્ઠા અને સૌથી મોટું બજાર
સંદેશખાલીથી શાહજહાં શેખની કોઠી માત્ર 8-10 કિમી દૂર છે. તેના બે નાના ભાઈઓની હવેલીઓ પણ વધુ વૈભવી છે. ચોથા ભાઈનું પણ નજીકમાં જ ઘર છે. લગભગ 5-6 કિમી દૂર સરબરિયા માર્કેટ છે, જે આ વિસ્તારનું સૌથી મોટું શાકભાજી અને માછલી બજાર છે.
શાહજહાંના પરિવારમાં 4 ભાઈઓ, એક બહેન અને 3 દીકરીઓ
શાહજહાંને 4 ભાઈઓ છે. ચારેયના મકાનો એકબીજાને અડીને આવેલાં છે. શાહજહાં સિવાય ત્રણ ભાઈઓ સિરાજુદ્દીન, જહાંગીર અને આલમગીર છે. આમાં આલમગીર શાહજહાંની સૌથી નજીક છે. શાહજહાંને 3 દીકરીઓ છે. સરબેરિયામાં એક દીકરીના લગ્ન થયા છે. એક બહેન છે, જે સૌથી મોટી છે. તેનો પરિવાર પશ્ચિમ બંગાળની બહાર રહે છે.
સરબેરીયામાં શાહજહાં શેખના નામ પર બનાવેલ માર્કેટ. 85 વીઘા જમીનમાં બનેલા આ માર્કેટમાં લક્ઝરી હોટલ અને કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યાં છે.
શાહજહાં શેખ, કોઈ માટે ડોન તો કોઈ માટે મસીહા
સંદેશખાલીની મહિલાઓ શાહજહાંનો વિરોધ કરી રહી છે. તે કહે છે કે તે એક ડોન અને ગુંડો છે. બીજી તરફ ધામખલી કે આસપાસના વિસ્તારોમાં રહેતા મુસ્લિમ સમાજ તેમને મસીહા માને છે.
શું સંદેશખાલી સિંગુર અને નંદીગ્રામ જેવો મોટો ચૂંટણી મુદ્દો બનવા જઇ રહ્યો છે. સિંગુર અને નંદીગ્રામ આ બે એવા મુદ્દા હતા જેને પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મોટો ઉલટફેર કરી નાખ્યો હતો અને મમતા બેનર્જીને લેફ્ટ પાર્ટીના ત્રણ દશકના શાસનમાં ખતમ કરવામાં મદદ કરી હતી.
બંગાળમાં સિંગુર વિવાદ શું છે?
સિંગુરમાં ટાટા મોટર્સના નેનો પ્લાન્ટને અગાઉની ડાબેરી સરકારે મંજૂરી આપી હતી. ટાટાને લીઝ પર આપવામાં આવેલી 997 એકર જમીન પર ‘નેનો’ના ઉત્પાદન માટે ફેક્ટરી સ્થાપવાની હતી. તે સમયે મમતા બેનર્જી વિપક્ષમાં હતા અને ડાબેરી સરકારની નીતિઓની વિરુદ્ધમાં હતા. મમતા શરૂઆતથી જ સિંગુરમાં ટાટાના પ્લાન્ટની સ્થાપનાનો વિરોધ કરી રહ્યા હતા.
મમતા સરકારે જમીન પાછી આપી
બાદમાં જ્યારે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે કાયદો બનાવ્યો અને સિંગુરની લગભગ 1000 એકર જમીન 13 હજાર ખેડૂતોને પરત કરવાનો નિર્ણય કર્યો કે જેમની પાસેથી આ જમીન લેવામાં આવી હતી.
ગુજરાતમાં નેનો પ્લાન્ટ સ્થાપ્યો
પશ્ચિમ બંગાળમાં ભૂમિ અધિગ્રહણની વિરુદ્ધ સતત વિરોધ અને હિંસક અથડામણો પછી, 2008માં ટાટાએ તેના પ્લાન્ટને સિંગુરમાંથી ખસેડવાનું નક્કી કર્યું. બાદમાં ટાટાએ ગુજરાતમાં નેનો પ્લાન્ટ સ્થાપ્યો. ટાટા મોટર્સનો દાવો છે કે તેણે સિંગુરમાં 1500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેના આધારે તે વધુ વળતર પણ માંગે છે.
નંદીગ્રામ આંદોલનની આગેવાની મમતા બેનર્જીએ લીધી હતી
જમીન અધિગ્રહણ વિરોધી ઉગ્ર આંદોલન વર્ષ 2007માં શરૂ થયું હતું. વર્તમાન મુખ્યમંત્રી મમતા બેનર્જી નંદીગ્રામ આંદોલનને હથિયાર બનાવીને ડાબેરીઓને હટાવવામાં સફળ રહ્યા હતા. 2007માં, તત્કાલિન મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યના નેતૃત્વ હેઠળની પશ્ચિમ બંગાળની ડાબેરી સરકારે ‘સ્પેશિયલ ઇકોનોમિક ઝોન’ નીતિ હેઠળ નંદીગ્રામમાં કેમિકલ હબ સ્થાપવા માટે સલીમ જૂથને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો હતો. રાજ્ય સરકારની યોજનાના વિરોધમાં વિપક્ષે જમીન સંપાદન સામે અવાજ ઉઠાવ્યો હતો. ટીએમસી, એસયુસીઆઈ, જમાત ઉલેમા-એ-હિંદ અને કોંગ્રેસના સમર્થન સાથે, જમીન ઉથલપાથલ પ્રતિકાર સમિતિ (બીયુપીસી) ની રચના કરવામાં આવી હતી અને સરકારના નિર્ણય સામે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આ આંદોલનનું નેતૃત્વ તત્કાલીન વિપક્ષી નેતા મમતા બેનર્જીએ કર્યું હતું.
નંદીગ્રામના 14 લોકોની હત્યા કરવામાં આવી હતી
નંદીગ્રામના 14 લોકોની હત્યા કરવામાં આવી હતી. શાસક પક્ષના વરિષ્ઠ નેતાઓએ તમામ વિરોધની અવગણના કરીને આ આંદોલનને ‘ઔદ્યોગિકીકરણ વિરુદ્ધ’ તરીકે જાહેર કર્યું હતું અને સ્થિતિ ત્યારે વણસી જ્યારે નજીકના હલ્દિયાના તત્કાલિન સાંસદ લક્ષ્મણ શેઠના નેતૃત્વમાં હલ્દિયા ડેવલપમેન્ટ ઓથોરિટીએ ભૂમિ અધિગ્રહણ માટે નોટિસ ઇશ્યૂ કરી દીધી. જેના કારણે CPI(M) અને BUPC બંનેના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઈ. 14 માર્ચ 2007ની રાત્રે પક્ષના કાર્યકરોએ ગુનેગારોની મદદથી રાજ્ય પોલીસ સાથે ‘સંયુક્ત ઓપરેશન’ હાથ ધર્યું અને ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા.
નંદીગ્રામ આંદોલનને કારણે ડાબેરીઓએ સત્તા ગુમાવી
મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળ, ઘણા લેખકો, કલાકારો, કવિઓ અને શિક્ષણવિદોએ પોલીસ ગોળીબાર સામે સખત વિરોધ કર્યો, જેણે કારણે આ આંદોલન અન્ય દેશોમાં પણ ચર્ચામાં આવ્યું. અને આખરે આ આંદોલન દરમિયાન સરકારે પોતાનો નિર્ણય બદલવો પડ્યો, પરંતુ આ આંદોલનની રાજનીતિ પર અસર પડી અને મમતા બેનર્જી જનતાના મનમાં પોતાની છબી બનાવવામાં સફળ રહ્યા અને પરિણામ એ આવ્યું કે 2011ની વિધાનસભાની ચૂંટણીમાં 34 વર્ષનું ડાબેરીઓનું શાસન ખતમ થઈ ગયું.
બંગાળની મહિલાઓ રાજકીય રીતે જાગૃત્ત
સુધારેલી મતદાર યાદી અનુસાર રાજ્યના 7.18 કરોડ મતદારોમાંથી 3.15 કરોડ એટલે કે લગભગ 49 ટકા મહિલાઓ છે. આ આંકડો એટલો મોટો છે કે કોઈપણ પક્ષ તેમને અવગણવાનું જોખમ લઈ શકે નહીં. દેશના અન્ય રાજ્યોની જેમ બંગાળની મહિલાઓ માત્ર તેમના પતિ કે ઘરના વડાના કહેવાથી જ મતદાન કરતી નથી. આ રાજકીય રીતે જાગૃત મહિલાઓની પણ પોતાની વિચારસરણી છે. તેથી અમુક વર્ગોને બાદ કરતાં મોટાભાગના ઘરોમાં મહિલાઓ પોતે જ પોતાનો મત નક્કી કરે છે.
મહિલાઓના મુદ્દાઓ પર સક્રિયતા
રાજ્યની મહિલાઓ વર્ષ 2006-07 સુધી ડાબેરીઓના સમર્થનમાં મજબૂતાઇથી ઉભી હતી. પરંતુ સિંગુર અને નંદીગ્રામમાં જમીન અધિગ્રહણ વિરોધી આંદોલનો પછી, તેમણે મમતા બેનર્જીને ટેકો આપવાનું શરૂ કર્યું. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપ પણ મહિલા મતદારોના ઘણા ખરા મત મેળવવામાં સફળ થયુ હતુ. ત્યારે હવે રાજ્યમાં સંદેશખાલીની ઘટના બનતા ફરી એકવાર ભાજપ મહિલા મતદારોના જોરે લોકસભામાં કોઇ ચમત્કારની આશા રાખી રહ્યું છે. ત્યારે હવે આવનારો સમય જ બતાવશે કે ભાજપ સંદેશખાલીને સિંગુર અને નંદીગ્રામ બનાવવામાં સફળ થાય છે કે નહીં?.