શ્રીનગર53 મિનિટ પેહલા
- કૉપી લિંક
બ્રેક ફેલ થવાને કારણે શ્રદ્ધાળુઓ ચાલુ બસમાંથી કૂદી પડ્યા હતા.
જમ્મુ અને કાશ્મીરના બનિહાલ નજીક જમ્મુ-શ્રીનગર હાઈવે પર અમરનાથ યાત્રાથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈને જતી બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. મંગળવારે સવારે બનેલી આ ઘટનાને કારણે બસ ચાલકે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બસમાં મુસાફરી કરી રહેલા 40 શ્રદ્ધાળુઓમાંથી કેટલાકે ચાલતી બસમાંથી છલાંગ લગાવી હતી.
બસને કાબૂ બહાર જતી જોઈને સ્થાનિક પોલીસ અને ભારતીય સૈન્યના જવાનોએ ચાલુ બસના ટાયરની આગળ મોટા પથ્થરો મૂકી દીધા, જેના કારણે બસ થંભી ગઈ. પોલીસે જણાવ્યું કે શ્રદ્ધાળુઓ દર્શન કરીને પંજાબના હોશિયારપુર જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પોલીસે જણાવ્યું કે નેશનલ હાઈવે પાસે એક નાળું હતું. જો સૈનિકો સમયસર બસને રોકવામાં સફળ ન થયા હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. ઘાયલોમાં 6 પુરૂષો, 3 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. જેમાં કેટલાકને ગંભીર ઈજાઓ પણ થઈ હતી.
![હાઈવેની બાજુમાં એક નાળું હતું. બ્રેક ફેઈલ થવાના કારણે ડ્રાઈવરને બસ વાળવી પડી હતી.](https://images.bhaskarassets.com/web2images/521/2024/07/03/comp-3-4_1719972362.gif)
હાઈવેની બાજુમાં એક નાળું હતું. બ્રેક ફેઈલ થવાના કારણે ડ્રાઈવરને બસ વાળવી પડી હતી.
માત્ર 3 દિવસ પહેલા જ ભક્તોથી ભરેલી વાનને અકસ્માત નડ્યો હતો
અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓથી ભરેલી બસ સાથે અકસ્માતની 3 દિવસમાં આ બીજી ઘટના છે. આ પહેલા 30 જૂને કાશ્મીરના પહેલગામના ચંદનવારી વિસ્તારમાં અમરનાથ યાત્રાના યાત્રિકોને લઈ જતી વાનનો માર્ગ અકસ્માત થયો હતો.
આ અકસ્માતમાં અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટનાની માહિતી મળતાં જ એસ. બીએસએફની ક્વિક રિસ્પોન્સ ટીમ ઘાયલોની સારવાર માટે પહોંચી હતી. આ દુર્ઘટના વખતે પણ બીએસએફના જવાનોના સમયસર પહોંચી જવાના કારણે ઘાયલ યાત્રીઓના જીવ બચાવી શકાયા હતા.
જમ્મુ-કાશ્મીરમાં બસ ખીણમાં પડી જવાની 3 ઘટનાઓ…
9 જૂન 2024: આતંકવાદી હુમલા બાદ શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખીણમાં ખાબકી, 9ના મોત, 41 ઘાયલ
![](https://images.bhaskarassets.com/web2images/521/2024/07/03/_1719971135.gif)
9 જૂન, 2024 ના રોજ, આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર હુમલો કર્યો. જેમાં 9 લોકોના મોત થયા હતા, જ્યારે 41 લોકો ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ શિવ ઘોડીથી કટરા જઈ રહેલી બસ પર ગોળીબાર કર્યો, જેમાં ડ્રાઈવર ઘાયલ થયો અને તેણે બસ પરનો કાબૂ ગુમાવ્યો. જેના કારણે બસ ખીણમાં ખાબકી હતી.
30 મે 2024: જમ્મુમાં બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 22ના મોત, 69 ઘાયલ
![](https://images.bhaskarassets.com/web2images/521/2024/07/03/_1719970576.gif)
30 મેની બપોરે જમ્મુના અખનૂરમાં તીર્થયાત્રીઓને લઈ જતી બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 22 લોકોના મોત થયા હતા. જ્યારે 69 લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધી શકે છે. ઘાયલોને જમ્મુની અખનૂર હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
15 નવેમ્બર 2023: કિશ્તવાડથી જમ્મુ જઈ રહેલી બસ ખીણમાં ખાબકી, 38નાં મોત, 18 ઘાયલ
![](https://images.bhaskarassets.com/web2images/521/2024/07/03/2_1719970755.gif)
15 નવેમ્બર 2023ના રોજ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના અસાર વિસ્તારમાં એક બસ 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 9 મહિલાઓ સહિત 38 લોકોના મોત થયા હતા. જ્યારે 18 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી છની હાલત ગંભીર હતી. બસ કિશ્તવાડથી જમ્મુ જઈ રહી હતી. પોલીસ અને એસડીઆરએફની ટીમો સાથે સ્થાનિક લોકોએ પણ રાહત અને બચાવ કાર્ય કર્યું.