નવી દિલ્હી13 મિનિટ પેહલા
- કૉપી લિંક
UPSCએ 17 ઓગસ્ટે લેટરલ એન્ટ્રી ભરતી માટે 45 જગ્યાઓ પર વેકન્સી બહાર પાડી હતી. હવે તેને રદ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે UPSC અધ્યક્ષને સૂચના રદ કરવા કહ્યું. પીએમ મોદીના કહેવા પર આ નિર્ણય બદલવામાં આવ્યો છે.
રાહુલ ગાંધીએ પણ આ વેકન્સીનો વિરોધ કર્યો હતો. રાહુલે કહ્યું હતું- લેટરલ એન્ટ્રી દ્વારા SC-ST અને OBC વર્ગોના અધિકારો ખુલ્લેઆમ છીનવાઈ રહ્યા છે. મોદી સરકાર RSSના લોકોની જાહેર સેવક તરીકે ભરતી કરી રહી છે.
રાહુલ ગાંધીને જવાબ આપતા કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે લેટરલ એન્ટ્રી દ્વારા જ પૂર્વ પીએમ મનમોહન સિંહને 1976માં નાણા સચિવ, મોન્ટેક સિંહ આહલુવાલિયાને પ્લાનિંગ કમિશનના ડેપ્યુટી ચેરમેન અને સોનિયા ગાંધીને નેશનલ એડવાઈઝરી કાઉન્સિલ (NAC)ના ચીફ બનાવવામાં આવ્યા હતા.
કોંગ્રેસે લેટરલ એન્ટ્રીની શરૂઆત કરી હતી. હવે પીએમ મોદીએ UPSCને નિયમો બનાવવાની સત્તા આપીને લેટરલ એન્ટ્રી સિસ્ટમને સુવ્યવસ્થિત કરી છે. અગાઉની સરકારોમાં લેટરલ એન્ટ્રીની ફોર્મલ સિસ્ટમ નહોતી.
ખડગેએ કહ્યું- કોંગ્રેસે ભાજપની અનામત છીનવી લેવાની યોજનાને નિષ્ફળ બનાવી
લેટરલ એન્ટ્રી નોટિફિકેશનને રદ્દ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા X પર લખ્યું- અમારા દલિત, આદિવાસી, પછાત અને નબળા વર્ગના સામાજિત ન્યાય માટે કોંગ્રેસ પાર્ટીની લડાઈએ ભાજપની અનામત છીનવી લેવાની યાજનાને નિષ્ફળ બનાવી દીધી છે. લેટરલ એન્ટ્રી પર મોદી સરકારનો પત્ર દર્શાવે છે કે બંધારણની શક્તિ જ સરમુખત્યારશાહી સત્તાના ઘમંડને હરાવી શકે છે.
હવે વાંચો લેટરલ એન્ટ્રી રદ થયા પહેલાંના વિવાદ…
મેઘવાલે કહ્યું- નેહરુએ અનામતનો વિરોધ કર્યો હતો
અર્જુન રામ મેઘવાલે આરોપ લગાવ્યો હતો કે જવાહરલાલ નહેરુ, જ્યારે વડાપ્રધાન હતા ત્યારે 1961માં અને રાજીવ ગાંધી જ્યારે વિરોધ પક્ષના નેતા હતા ત્યારે તેમણે લોકસભામાં OBC અનામતનો વિરોધ કર્યો હતો. લેટરલ એન્ટ્રી બધા માટે ખુલ્લી છે. તમામ કેટેગરીના લોકો અરજી કરે છે. તેઓ દાવો કરે છે કે અમે આરક્ષણ ખતમ કરી રહ્યા છીએ. જ્યારે તમે ભરતી કરતા હતા ત્યારે તમે શું કરતા હતા?
કાયદા મંત્રી મેઘવાલે કહ્યું કે અચાનક જ રાહુલ ગાંધીનો ઓબીસી પ્રત્યેનો પ્રેમ સામે આવ્યો છે. તેઓ એસસી, એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાહુલ ગાંધી જુઠ્ઠાણા ફેલાવીને લોકોને ગુમરાહ કરી રહ્યા છે. તેઓ યુપીએસસી જેવી સંસ્થાઓની છબીને પણ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ચિરાગ પાસવાને કહ્યું- સરકારી નિમણૂકોમાં અનામત હોવી જોઈએ
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ લેટરલ એન્ટ્રી રિક્રુટમેન્ટ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું- સરકારી નિમણૂકોમાં આરક્ષણ હોવું જોઈએ. ખાનગી ક્ષેત્રમાં કોઈ અનામત નથી. સરકારી પોસ્ટમાં તેનો અમલ થતો નથી તો ચિંતાનો વિષય છે.
તેમણે એમ પણ કહ્યું કે, ‘સરકાર અને વડાપ્રધાન અનામતના સમર્થનમાં છે. કેટલીક જગ્યાઓ પર લેટરલ એન્ટ્રી દ્વારા સીધી ભરતી કરવામાં આવી રહી છે, જેમાં અનામતને ધ્યાનમાં લેવામાં આવી નથી. હું અને મારો પક્ષ તેની સાથે સહમત નથી. અમે તેના સંપૂર્ણ વિરોધમાં છીએ. સરકારનો એક ભાગ હોવાને કારણે અમે અમારી ચિંતાઓ પણ સરકાર સમક્ષ વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં પણ અમે આ અંગે જોરદાર અવાજ ઉઠાવીશું.
રાહુલે કહ્યું- એસસી-એસટી અને ઓબીસીના અધિકારો છીનવી લીધા
UPSCમાં ભરતીની સૂચના બાદ 18 ઓગસ્ટે રાહુલ ગાંધીએ લખ્યું હતું લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરીને SC, ST અને OBC વર્ગોના અધિકારો ખુલ્લેઆમ છીનવાઈ રહ્યા છે.
લેટરલ એન્ટ્રી શું છે
લેટરલ એન્ટ્રી એટલે પરીક્ષા વિના સીધી ભરતી. લેટરલ એન્ટ્રી દ્વારા કેન્દ્ર સરકાર UPSCની મોટી જગ્યાઓ પર ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોની સીધી ભરતી કરે છે. તેમાં મહેસૂલ, નાણાં, આર્થિક, કૃષિ, શિક્ષણ જેવા ક્ષેત્રોમાં લાંબા સમયથી કામ કરતા લોકોનો સમાવેશ થાય છે.
સરકારી મંત્રાલયોમાં જોઈન્ટ સેક્રેટરી, ડિરેક્ટર્સ અને ડેપ્યુટી સેક્રેટરીની જગ્યાઓ પર ભરતી લેટરલ એન્ટ્રી દ્વારા કરવામાં આવે છે. યુપીએસસીમાં લેટરલ એન્ટ્રી વર્ષ 2018માં શરૂ કરવામાં આવી હતી. જેમાં સંયુક્ત સચિવ કક્ષાના પદ માટે 6077 અરજીઓ મળી હતી. UPSC ની પસંદગી પ્રક્રિયા પછી, 2019માં વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં 9 નિમણૂંકો કરવામાં આવી હતી.