- Gujarati News
- National
- Citizenship Amendment Act; Central Government To Implement CAA Rules In January 2024
નવી દિલ્હી10 કલાક પેહલા
- કૉપી લિંક
કેન્દ્ર સરકારે 2024માં પોતાના પહેલા મોટા પગલા તરીકે નાગરિકતા સુધારા કાયદો (CAA) લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. ગૃહ મંત્રાલયનાં ટોચનાં સૂત્રો અનુસાર આ કાયદાના નિયમ-કાયદાને આ જ મહિને 26 જાન્યુઆરી પહેલાં જ જાહેર કરી દેવામાં આવશે.
કેન્દ્રનો આ નિર્ણય બાંગ્લાદેશથી આવેલા એ હિન્દુ શરણાર્થીઓ માટે આશાનું કિરણ લઈને આવશે, જેઓ ડિસેમ્બર 2019માં સીએએ બિલ પાસ થયા બાદથી એ લાગુ થવાની પ્રતીક્ષા કરી રહ્યા છે, સાથે જ પાકિસ્તાનથી હેરાન થઈને આવેલા તે હિન્દુ-શીખ શરણાર્થીઓને પણ નાગરિકતાથી જોડાયેલી મુશ્કેલીઓમાંથી છુટકારો મળશે, જેઓ નાગરિકતાના અભાવમાં પાકિસ્તાની હાઇકમિશન દ્વારા દર વર્ષે હેરાનગતિનો શિકાર બની રહ્યા છે. આંકડાઓ અનુસાર, 2014 સુધી પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાંથી 32 હજાર લોકો ભારત આવ્યા છે.
ગૃહ મંત્રાલય દ્વારા CAA લાગુ થવાના નક્કર સંકેત ગૃહમંત્રી અમિત શાહની બંગાળમાં ગત સપ્તાહે 27 ડિસેમ્બરે થયેલી જાહેરાતમાં મળે છે. તેમણે એક સભામાં ભરોસો અપાવ્યો હતો કે સીએએ દેશનો કાયદો છે અને એને કોઈ રોકી નહીં શકે. આ પક્ષની પ્રતિબદ્ધતા છે. સંસદે સીએએ પર 11 ડિસેમ્બર 2019ના રોજ મહોર લગાવી હતી. આગલા દિવસે રાષ્ટ્રપતિએ મંજૂરી આપી હતી. સરકારે કાયદો લાગુ કરવા માટે નિયમ-કાયદા બનાવવા માટે આઠ વાર સમયમર્યાદા વધારાવી હતી.
આસામ સહિત દેશનાં ઘણાં રાજ્યોમાં CAA વિરુદ્ધ લાંબા સમય સુધી વિરોધપ્રદર્શનો થયાં.
વિદેશીઓને હાંકી કાઢવા માટે કોઈ કાયદો નથી, એ 3 દેશના સતાવતા હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા આપવા માટે છે
- CAAથી કોને મળશે નાગરિકતાઃ CAA હેઠળ 31 ડિસેમ્બર 2014 પહેલાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી ધાર્મિક આધાર પર અત્યાચાર ગુજાર્યા બાદ ભારતમાં આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને નાગરિકતા આપવામાં આવશે. આ ત્રણ દેશના લોકો જ નાગરિકતા માટે અરજી કરવા પાત્ર હશે. અન્ય દેશોના લઘુમતી સમુદાયના લોકોને CAAનો લાભ નહીં મળે.
- CAA ભારતીય નાગરિકોને અસર કરશે: એને ભારતીય નાગરિકો સાથે કોઈ લેવાદેવા નથી. ભારતીયોને બંધારણ હેઠળ નાગરિકતાનો અધિકાર છે. CAA અથવા કોઈપણ કાયદો એને છીનવી શકે નહીં.
- અરજી માટેની પ્રક્રિયા શું હશેઃ અરજીની પ્રક્રિયા ઓનલાઇન હશે. અરજદારોએ ભારત ક્યારે આવ્યા એ દર્શાવવું પડશે. જો તમારી પાસે પાસપોર્ટ કે અન્ય પ્રવાસ દસ્તાવેજ ન હોય તોપણ તમે અરજી કરી શકશો. આ અંતર્ગત ભારતમાં રોકાણનો સમયગાળો પાંચ વર્ષથી વધુ રાખવામાં આવ્યો છે. અન્ય વિદેશીઓ (મુસ્લિમો) માટે આ સમયગાળો 11 વર્ષથી વધુ છે.
- આ દેશોમાંથી ગેરકાયદે મુસ્લિમ ઇમિગ્રન્ટ્સ વિશે શું: CAA વિદેશીઓને બહાર કાઢવા વિશે નથી. આને ગેરકાયદે શરણાર્થીઓને બહાર કાઢવા સાથે કોઈ લેવાદેવા નથી. આવા શરણાર્થીઓ માટે ફોરેનર્સ એક્ટ 1946 અને પાસપોર્ટ એક્ટ 1920 પહેલાંથી જ અમલમાં છે. બંને કાયદા હેઠળ કોઈપણ દેશ અથવા ધર્મના વિદેશીઓને ભારતમાં પ્રવેશવાની અથવા બહાર કાઢવાની છૂટ છે.
- સરકાર અત્યારસુધી CAAને કેમ મોકૂફ રાખી રહી છે: ભાજપશાસિત આસામ-ત્રિપુરામાં CAA અંગે આશંકા પ્રવર્તી રહી છે. પહેલો વિરોધ આસામમાં પણ થયો હતો. CAAમાં એવી જોગવાઈ છે કે જે વિદેશીઓ 24 માર્ચ 1971 પહેલાં આસામમાં આવીને સ્થાયી થયા હતા તેમને નાગરિકતા આપવામાં આવે. આ પછી બાંગ્લાદેશ અલગ દેશ બન્યો.
- CAA વિશે લોકોને શું આશંકા હતી: CAAને દેશમાં NRC એટલે કે રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર બનવા માટે એક પગથિયા તરીકે જોવામાં આવતું હતું. લોકોને ડર હતો કે મોટી સંખ્યામાં લોકોને વિદેશી ઘૂસણખોરો તરીકે ઓળખાવીને બહાર ફેંકી દેવામાં આવશે. પાડોશી દેશ બાંગ્લાદેશમાં આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે CAA પછી NRC લાગુ થયા બાદ મોટી સંખ્યામાં બાંગ્લાદેશી શરણાર્થીઓ ત્યાં પાછા ફરશે.
- સરકાર CAAને અત્યારસુધી કેમ ટાળતી હતી? ભાજપશાસિત આસામ-ત્રિપુરામાં સીએએને લઈને આશંકાઓ છે. સૌથી પહેલા વિરોધ પણ આસામમાં જ થયો હતો. સીએએમાં વ્યવસ્થા છે કે જો વિદેશી 24 માર્ચ 1971થી પહેલાં આસામ આવીને વસ્યા છે તેમને નાગરિકતા અપાય. ત્યાર બાદ બાંગ્લાદેશ અલગ દેશ બન્યો હતો.
- સીએએને લઈને લોકોને શું આશંકા હતી? સીએએને દેશમાં NRC અથવા નેશનલ સિટિઝનશિપ રજિસ્ટર બનવાની સીડી તરીકે જોવામાં આવ્યો હતો. લોકોને આશંકા હતી કે વિદેશી ઘૂસણખોરો બતાવીને મોટી સંખ્યામાં લોકોને હાંકી કાઢવામાં આવશે. પાડોશી દેશ બાંગ્લાદેશમાં આશંકા વ્યક્ત કરાઈ હતી કે સીએએ બાદ એનઆરસી લાગુ થવાથી મોટી સંખ્યામાં બાંગ્લાદેશી શરણાર્થીઓ તેમને ત્યાં પરત ફરશે.
- કયાં રાજ્યોમાં નાગરિકતા અપાઈ રહી છે? નાગરિકતા કાયદો 1955 હેઠળ 9 રાજ્યના 30થી વધુ જિલ્લા મેજિસ્ટ્રેટ અને ગૃહસચિવોને નાગરિકતા આપવા માટેનો અધિકાર અપાયો છે. આ રાજ્યોમાં ગુજરાત, રાજસ્થાન, મ.પ્ર, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ, યુપી, દિલ્હી અને મહારાષ્ટ્ર સામેલ છે.
દિલ્હીનો શાહીન બાગ વિસ્તાર CAA વિરુદ્ધ આંદોલનનું કેન્દ્ર હતો. અહીં વિરોધ દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં 50થી વધુ લોકોનાં મોત થયાં હતાં.
4 વર્ષમાં 3,117 લઘુમતીને નાગરિકતા મળી
ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે ડિસેમ્બર 2021માં રાજ્યસભામાં જણાવ્યું હતું કે વર્ષ 2018, 2019, 2020 અને 2021 દરમિયાન પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના કુલ 3117 લઘુમતીને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી.
જોકે 8244 અરજી મળી હતી. ગૃહ મંત્રાલયના 2021-22ના રિપોર્ટ અનુસાર એપ્રિલ-ડિસેમ્બર 2021માં કુલ 1,414 વિદેશીને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી.
વિરોધમાં ફાટી નીકળેલાં રમખાણોમાં 50થી વધુ લોકોના જીવ ગયા હતા
આ બિલ લોકસભામાં આવ્યા પહેલાં જ વિવાદમાં હતું, પરંતુ એ કાયદો બન્યા બાદ એનો વિરોધ તેજ થઈ ગયો હતો. દિલ્હીના અનેક વિસ્તારોમાં દેખાવો થયા હતા. 23 ફેબ્રુઆરી 2020ની રાત્રે જાફરાબાદ મેટ્રો સ્ટેશન પર ભીડ એકઠી થયા પછી ફાટી નીકળેલી હિંસા રમખાણોમાં ફેરવાઈ ગઈ.
દિલ્હીના લગભગ 15 વિસ્તારમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. ઘણા લોકોની હત્યા કરવામાં આવી હતી, ઘણા પર છરી અને તલવાર જેવાં તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો અને હત્યા કરવામાં આવી હતી. આ રમખાણોમાં 50થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને સેંકડો ઘાયલ થયા હતા.
CAA કાયદો શું છે?
ગયા વર્ષે દેશમાં CAA કાયદો બન્યો તો દેશભરમાં એનો ભારે વિરોધ થયો હતો. દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં આ કાયદાનો ભારે વિરોધ થવા સાથે આંદોલનનું કેન્દ્ર બન્યું હતું. કાયદામાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ ધર્મના પ્રવાસીઓ માટે નાગરિકતા કાયદાના નિયમોને સરળ કરવામાં આવ્યા હતા. આ અગાઉ નાગરિકા માટે 11 વર્ષ ભારતમાં રહેવું જરૂરી હતું, આ સમયગાળો ઘટાડીને 1થી 6 વર્ષ કરવામાં આવ્યો છે.
બન્ને ગૃહમાં મંજૂર થયું વિધેયક
11 ડિસેમ્બર,2019ના રોજ રાજ્યસભામાં નાગરિક સુધારા વિધેયક 2019 (CAB)ના પક્ષમાં 125 અને વિરોધમાં 99 મત પડ્યા હતા. આ અગાઉ 12 ડિસેમ્બર,2019ના રોજ એને રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી. દેશભરમાં ભારે વિરોધ વચ્ચે વિધેયક બન્ને ગૃહમાંથી મંજૂર થયા બાદ એ કાયદાકીય સ્વરૂપ મેળવી લીધું હતું. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 9 ડિસેમ્બરના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. કેટલાક દિવસો અગાઉ ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં કહ્યું હતું કે ગૃહ મંત્રાલય કાયદાને લાગુ કરવાના નિયમ તૈયાર કરવા માટે 9 જાન્યુઆરી 2022 સુધીનો સમય ઈચ્છે છે.