ભુવનેશ્વર4 કલાક પેહલા
- કૉપી લિંક
હવામાન વિભાગ (IMD) મુજબ, બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ચક્રવાત ‘દાના’ શનિવારની રાત સુધીમાં સંપૂર્ણપણે શાંત થઈ જશે. ચક્રવાત ‘દાના’ના કારણે પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધમાન, દક્ષિણ 24 પરગના, કોલકાતા અને હાવડામાં 4 લોકોના મોત થયા છે.
ચક્રવાતથી ઓડિશામાં કોઈનું મૃત્યુ થયું નથી, પરંતુ વરસાદ અને વાવાઝોડાને કારણે 1.75 લાખ હેક્ટર વિસ્તારમાં પાકને નુકશાન થયું છે. ઓડિશાના સીએમ મોહન ચરણ માંઝીએ કહ્યું કે વાવાઝોડા પહેલા 8 લાખ લોકોને રેસ્કયૂ કરવામાં આવ્યા હતા.
આંધ્રપ્રદેશ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ અને તમિલનાડુમાં પણ ચક્રવાત ‘દાના’ ની અસર થઈ હતી. બિહાર અને ઝારખંડમાં વરસાદ ચાલુ છે. ઝારખંડમાં તાપમાનમાં 6 ડિગ્રીનો ઘટાડો થયો છે. બિહાર, ઝારખંડ, છત્તીસગઢમાં આગામી 24 કલાકમાં વરસાદની શક્યતા છે.
ચક્રવાત ‘દાના’ ટકરાયા પછીની 3 તસવીરો…

કોલકાતા: ઓડિશા બાદ ચક્રવાત ‘દાના’ની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળમાં જોવા મળી હતી.

બાલાસોર: ‘દાના’ની લેન્ડફોલ પ્રક્રિયા દરમિયાન એક વ્યક્તિ ભારે પવનથી બચવાનો પ્રયાસ કરે છે.

કોલકાતા: વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાયા છે. આ દરમિયાન, ડિલિવરી બોય ફુડની ડિલિવરી કરવા જઈ રહ્યો છે.
બિહાર-ઝારખંડમાં પણ વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી, વરસાદ
ઓડિશામાં કેન્દ્રપારા, ભદ્રક અને બાલાસોર જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે. ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. વીજ થાંભલા પડી ગયા હતા. જેના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વાવાઝોડાના કારણે નજીકના રાજ્યો ઝારખંડ અને બિહારમાં પણ વરસાદ પડી રહ્યો છે.
દક્ષિણ બંગાળના 8 જિલ્લામાં શુક્રવારે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. કોલકાતામાં 24 કલાકમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. જો કે, શુક્રવારે સવારે 8 થી 9 વાગ્યાની વચ્ચે બંને રાજ્યોમાં વિમાન સેવા અને સવારે 10 વાગ્યા સુધીમાં રેલવે શરુ કરવામાં આવી હતી.
વાવાઝોડા વચ્ચે 2,211 બાળકોનો જન્મ થયો, જેમાંથી 18 જોડિયા બાળકોનો જન્મ
વાવાઝોડા દરમિયાન 4,859 સગર્ભાઓને ઓડિશામાં પ્રસૂતિ કેન્દ્રોમાં મોકલવામાં આવી હતી. જેમાંથી 2,211એ 23 અને 24 ઓક્ટોબરે બાળકોને જન્મ આપ્યો હતો. નવજાત શિશુઓમાં 18 જોડિયા બાળકો સામેલ છે.
રાજ્યોમાં હવામાનની સ્થિતિ…
છત્તીસગઢઃ આજે 12 જિલ્લામાં યલો એલર્ટ, વરસાદ સાથે વીજળીનું એલર્ટ

‘દાના’ વાવાઝોડાની અસર આજે (શનિવાર) છત્તીસગઢના જિલ્લાઓમાં જોવા મળી. ઓડિશાની સરહદે આવેલા રાજ્યના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે 12 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે ‘દાના’ની અસર ખતમ થતાની સાથે જ તાપમાનનો પારો ગગડવા લાગશે, જેના કારણે રાજ્યમાં હળવી ઠંડી પડશે.
રાજસ્થાનઃ દિવાળી સુધી ઠંડી વધશે નહીં, દિવસે તાપમાન વધશે

આ તસવીર સીકરની છે જ્યાં આજે હવામાન સ્વચ્છ રહ્યું હતું.
રાજસ્થાનમાં દિવાળી સુધી અને ત્યાર બાદ એટલે કે નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી તાપમાન સામાન્ય રહેવાની શક્યતા છે. નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી કોઈ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન હોવાને કારણે ઉત્તર ભારતમાં આવી સ્થિતિ રહેશે આગામી પાંચ દિવસ સુધી હવામાન સ્વચ્છ રહેવાની ધારણા છે. આ દરમિયાન, દિવસ દરમિયાન ભારે તડકો અને રાત્રે ઠંડી રહેવાની શક્યતા છે.
મધ્યપ્રદેશઃ જબલપુર-શહડોલ, રીવા-સાગરમાં 3 દિવસ સુધી વરસાદનું એલર્ટ, ઠંડી પણ વધશે

મધ્યપ્રદેશમાં હાલના દિવસોમાં ત્રણ પ્રકારનું હવામાન છે. રાત્રિથી સવાર સુધી ધુમ્મસ રહે છે. સવારે હળવી ઠંડી અને દિવસ દરમિયાન ભારે તડકો હોય છે. હવામાન વિભાગે 27, 28 અને 29 ઓક્ટોબરના રોજ પૂર્વી ભાગમાં એટલે કે જબલપુર, શહડોલ, રીવા અને સાગર વિભાગના જિલ્લાઓમાં ઝરમર વરસાદનું એલર્ટ આપ્યુ છે. વાવાઝોડાની અસરને કારણે રાજ્યમાં ભારે પવન ફુંકાશે