બુધવારે બનેલી ત્રણ ઘટના-દુર્ઘટનાની વાત કરવી છે. પહેલી ઘટનામાં ઉત્તર પ્રદેશના હાથરસમાં ભોલે બાબાના સમાગમમાં બાબાને જોવા માટે 122 શ્રદ્ધાળુઓના ધક્કામુકકીમાં મૃત્યુ થયા છે. આ એ બાબા છે જેમના પર યૌન શોષણ સહિતના છ ગુના નોંધાયેલા છે. બાબા નહિ, ભારતની જનતા
.
બીજી ઘટના છે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય પર રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરવા પહોંચેલા ભાજપના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારાની. થોડી મિનિટો સુધી જાણે અમદાવાદમાં જૂથ અથડામણ હોય એવો માહોલ સર્જાયો હતો.
ત્રીજી વાત મોદીના સંસદના ભાષણની. રાષ્ટ્રપતિના અભિભાષણ પ્રસ્તાવ પર વડાપ્રધાન મોદીએ વિસ્તારથી જવાબ આપ્યો પણ તેમના ભાષણનું કેન્દ્રબિંદુ હતું સોમવારનું રાહુલ ગાંધીનું ભાષણ. રાહુલ ગાંધી માટે તેમણે અનેક વખત બાળક બુદ્ધિ એવા શબ્દનો ઉપયોગ કર્યો.
નમસ્કાર
મોદીએ ‘ત્રણ’નું ગણિત સમજાવ્યું
નરેન્દ્ર મોદીએ ત્રણ ટર્મની વાત કરતાં કહ્યું કે, અમે ત્રીજી ટર્મમાં ત્રણ ગણી સ્પીડથી કામ કરીશું. ત્રીજી ટર્મનો અર્થ એ છે કે, ત્રણ ગણી શક્તિથી કામ કરીશું, ત્રણ ગણું પરિણામ લાવીને આપીશું. પણ એ વાત નોંધવા જેવી છે કે સતત ત્રણવાર કોંગ્રેસ 100નો આંકડો પાર નથી કરી શકી. કોંગ્રેસના ઈતિહાસમાં આ ત્રીજી સૌથી મોટી હાર છે. ત્રીજું સૌથી ખરાબ પ્રદર્શન છે. સારું થાત કે કોંગ્રેસ પોતાની હાર સ્વીકાર કરી લેત. કોંગ્રેસના લોકો આત્મમંથન કરવાના બદલે શિર્ષાસન કરવામાં પડી ગયા છે.
કોંગ્રેસ બાળકને મનાવવાનું કામ કરી રહી છે: મોદીના ચાબખાં
મોદીએ રાહુલ ગાંધીની ‘બાળક’ સાથે તુલના કરીને ચાબખાં માર્યાં કે, કોંગ્રેસ અને તેની ઈકો સિસ્ટમ દિવસ-રાત એ વાત ચલાવીને નાગરિકોના મનમાં એ પ્રસ્થાપિત કરવાની કોશિશ કરે છે કે, એમણે અમને હારવી દીધા છે. આવું કેમ થાય છે? કોઈ નાનું બાળક સાઈકલ લઈને નીકળે ને પડી જાય, રડવા માંડે તો મોટી વ્યક્તિ કહે કે, જો કીડી મરી ગઈ. તું પડ્યો નથી. તું સાઈકલ સારી ચલાવે છે. ખોટું ખોટું બોલીને બાળકનું મન બહેલાવે છે. આજકાલ બાળકનું મન બહેલાવવાનું કામ ચાલી રહ્યું છે. કોંગ્રેસના લોકો અને તેની ઈકોસિસ્ટમ આજકાલ બાળકનું મન મનાવવાનું કામ કરી રહી છે. 1984 પછી લોકસભાની દસ ચૂંટણી થઈ. તો ય કોંગ્રેસ 250ના આંકડા સુધી પહોંચી શકી નથી. આ વખતે 99ના ચક્કરમાં ફસાયા છે.
100માંથી 99 નહીં, 543માંથી 99 માર્ક !!
વડાપ્રધાને કહ્યું, મને એક કિસ્સો યાદ આવે છે. 99 માર્ક લઈને એક બાળક સર્ટીફિકેટ લઈને ફરતો હતો ને કહેતો કે જુઓ કેટલા સારા માર્ક આવ્યા છે. બધા તેની પીઠ થપથપાવતા હતા. ટીચર કહેતા કે, આ શું વાહવાહ કરો છો. આ 100માંથી નહીં પણ 543માંથી 99 લાવ્યો છે. બાળક બુદ્ધિને કોણ સમજાવે કે તેણે ફેઈલ થવાનો રેકોર્ડ બનાવ્યો છે.
મોદીએ કહ્યું, કોંગ્રેસ હવે ‘પરજીવી કોંગ્રેસ’થી ઓળખાશે
મોદીએ પ્રવચનમાં કહ્યું કે, હું કોંગ્રેસના લોકોને કહીશ કે જનાદેશને ખોટી જીતના જશ્નમાં ન દબાવો. ઈમાનદારીથી દેશવાસીઓના જનાદેશને સમજવાની કોશિશ કરો. તેનો સ્વીકાર કરો. કોંગ્રેસના સાથી દળે ચૂંટણીનું વિશ્લેષણ કર્યું છે કે નહીં તે ખબર નથી. કોંગ્રેસ પાર્ટી 2024થી પરજીવી કોંગ્રેસ પાર્ટીથી ઓળખાશે. પરજીવી એ હોય છે જે જીવ બીજાના શરીર સાથે ચોંટીને રહે છે. એ જ પરજીવી તેને જ ખાય જાય છે. કોંગ્રસ જે પાર્ટી જેની સાથે ગઠબંધન કરે છે તેના જ વોટ ખાય જાય છે. હું પરજીવી કોંગ્રેસ કહું છું તે તથ્યોના આધાર પર કહું છું.
કેટલાક આંકડા આપવા માગું છું. જ્યાં જ્યાં ભાજપ અને કોંગ્રેસનો સીધો મુકાબલો હતો અને કોંગ્રેસ મેજર પાર્ટી હતી ત્યાં કોંગ્રેસનો સ્ટ્રાઈક રેટ 26 ટકા છે. જ્યાં કોઈનો છેડો પકડીને ચાલતા હતા. કોઈ દળે તક આપી દીધી, એવા રાજ્યોમાં કોંગ્રેસ જુનિયર પાર્ટી હતી ત્યાં સ્ટ્રાઈક રેટ 50 ટકા છે. કોંગ્રેસે જે સીટ જીતી છે તે તેના સાથી પક્ષોએ જીતાડી છે એટલે એ પરજીવી કોંગ્રેસ છે.
દેશ બાળક બુદ્ધિને કહી રહ્યો છે, યે તુમસે નહીં હો પાયેગા…
મોદીએ રાહુલ ગાંધીને નિશાન બનાવીને કહ્યું કે, આજકાલ સિમ્પથી ગેઈન કરવાની નવી ડ્રામેબાજી શરૂ થઈ છે. નવી ગેઈમ રમાઈ રહી છે. એક કિસ્સો કહું છું. એક બાળક સ્કૂલથી આવ્યો ને રડવા લાગ્યો. તે કહેવા લાગ્યો, મા મને સ્કૂલમાં મારવામાં આવ્યો. આજે આણે માર્યું, કાલે તેણે માર્યું હતું. પિતાએ પૂછ્યું, વાત શું છે? બાળક એ નહોતું કહેતું કે, એ બાળકે ટીચરને ચોર કહ્યા હતા. તે ટિફિન ચોરીને ખાઈ ગયો હતો. કાલે સદનમાં બાળક જેવી હરકત જોઈ છે. કાલે અહીંયા બાળક બુદ્ધિનો વિલાપ ચાલી રહ્યો હતો. મને અહીંયા માર્યું, મને ત્યાં માર્યું, એ ચાલી રહ્યું હતું. સિમ્પથી મેળવવા માટે નવો ડ્રામા ચલાવવામાં આવ્યો છે. આ ઓબીસી વર્ગના લોકોને ચોર કહેવાના મામલે સજા મેળવી ચૂક્યા છે. દેશની સર્વેોચ્ચ અદાલત પર બેજવાબદારી ભર્યું નિવેદન આપવા બદલ માફી માગવી પડી છે. વીર સાવરકર જેવા મહાન વ્યક્તિનું અપમાન કરવા કેસ થયો છે. દેશની સૌથી મોટી પાર્ટીને હત્યારા કહેવાનો કેસ ચાલે છે. બાળક બુદ્ધિમાં ન બોલવાનું ઠેકાણું હોય છે ને બાળક બુદ્ધિમાં ન વ્યવહારનું ઠેકાણું હોય છે. જ્યારે આ બાળક બુદ્ધિ સવાર થઈ જાય છે તો સદનમાં કોઈને ગળે પડી જાય છે. તે સીમા ખોઈ દે છે. સદનમાં આંખો મારે છે. તેની સચ્ચાઈ દેશ સમજી ગયો છે. આજે દેશ કહી રહ્યો છે, તુમસે નહીં હો પાએગા…
સ્પીકરને મોદીએ ચેતવ્યા…
વડાપ્રધાન મોદીએ સ્પીકર ઓમ બીરલા તરફ આંગળી ચીંધીને કહ્યું કે, તમે હસતાં હસતાં બધું સહન કરી લો છો. પણ કાલે જે થયું તેને સહન કરીશું તો લોકતંત્રની રક્ષા નહીં કરી શકીએ. આ હરકતોને બાળક બુદ્ધિ માનીને નજર અંદાજ નહીં કરવી જોઈએ. ઈરાદા ગંભીર ખતરાના છે. દેશવાસીઓને પણ જગાડવા માગું છું. આ લોકોનું જૂઠ વિવેક બુદ્ધિ પર આશંકા વ્યક્ત કરે છે. આ હરકતો દેશની મહાન પરંપરા પર તમાચો છે. આ સદનની ગરીમા બચાવવાની જવાબદારી તમારા પર છે. તમે કઠોર કાર્યવાહી કરશો એવી દેશવાસીઓની અને સદનની અપેક્ષા છે. કોંગ્રેસે સંવિધાન અને આરક્ષણ પર પણ જૂઠ બોલ્યા છે.
રાહુલના હિંસક હિન્દુનો મોદીએ જવાબ આપ્યો
રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં ત્યાં બેઠેલા સત્તા પક્ષના લોકો તરફ હાથનો ઈશારો કરીને આ હિન્દુઓ હિંસા કરનારા છે એવું કહ્યું હતું. આનો જવાબ આપતાં મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કાલે જે થયું, કરોડો દેશવાસી આવનારી સદીઓ સુધી માફ નહીં કરે. 131 વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે શિકાગોમાં કહ્યું હતું, મને ગર્વ છે હું એ ધર્મમાંથી આવું છું. જેણે પૂરી દુનિયાને સહિષ્ણુતા અને વૈશ્વિક સ્વીકૃતિ શીખવી છે. તેણે હિન્દુ ધર્મ માટે કહ્યું હતું. હિન્દુ સહનશીલ છે. હિન્દુ પોતાનાપણાંને લઈને જીવનારો સમૂહ છે. ભારતનું લોકતંત્ર, આટલી વિવિધતા તેના કારણે ખીલેલી છે. ગંભીર વાત એ છે કે, આજે હિન્દુઓ પર જૂઠા આરોપ લગાડવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. ગંભીર ષડયંત્ર થઈ રહ્યું છે. હિન્દુ હિંસક હોય છે? આ તમારું ચરિત્ર છે? આ તમારી નફરત છે? દેશ સદીઓ સુધી આ ભુલશે નહીં. કેટલાક દિવસો પહેલાં હિન્દુઓમાં શક્તિની કલ્પના કરાઈ છે તેના વિનાશની વાત કરાઈ હતી.
આ એ લોકો છે હિન્દુ આતંકવાદ શબ્દ ઠોકી બેસાડવાની કોશિશ કરી હતી. હિન્દુ શબ્દની તુલના ડેન્ગ્યુ, મેલેરિયા સાથે કરી હતી. આ દેશ ક્યારેય માફ નહીં કરે. આની ઈકોસિસ્ટમ હિન્દુ સંસ્કૃતિ, સમાજને ગાળો આપવી, અપમાન કરવું, હિન્દુઓની મજાક ઉડાડવી એ ફેશન બની ગઈ છે.
જેના દર્શન હોય તેના પ્રદર્શન ન હોય
રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં ભગવાન શિવની તસવીર બતાવીને પ્રહાર કર્યા હતા. તેના જવાબમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે નાનપણથી શીખતા આવ્યા છીએ. બાળક એ જાણે છે. ઈશ્વરનું દરેક રૂપ દર્શન માટે હોય છે. ઈશ્વરનું કોઈરૂપ નીજી રાજનીતિક સ્વાર્થ માટે ન હોય. જેના દર્શન થાય છે, તેનાં પ્રદર્શન હોતા નથી. દેવી દેવતાઓનું અપમાન સહન નહીં થાય. આ દેશ કેવી રીતે માફ કરી શકે? સદનના કાલના દ્રશ્યો જોઈને હિન્દુ સમાજે વિચારવું પડશે કે અપમાનજનક વિધાન સંયોગ છે કે કોઈ ખતરનાક પ્રયોગની તૈયારી છે.
પહેલીવાર નીટ પર બોલ્યા વડાપ્રધાન
નીટ વિશે ચર્ચા કરવા અઠવાડિયાથી વિપક્ષ માગ કરી રહ્યો છે પણ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સિવાય કોઈ મંત્રી અને ખાસ કરીને વડાપ્રધાન કાંઈ બોલ્યા નહોતા. આજે વડાપ્રધાન મોદીએ લોકસભામાં નીટ પર સ્પષ્ટતા કરવી પડી છે. મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિએ પેપર લીક પર પણ ચિંતા વ્યક્ત કરી છે. હું યુવાનોને કહું છું કે સરકાર આવી ઘટનાઓને રોકવા ગંભીર છે અને એક પછી એક પગલાં લેવાય છે. યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનારને છોડાશે નહીં. નીટ મામલે સતત ધરપકડો થઈ રહી છે. આના માટે અગાઉ કેન્દ્ર સરકાર એક કાયદો બનાવી ચૂકી છે. પરીક્ષા કરાવનારી સિસ્ટમને જડમૂળથી સુધારવા પગલાં લેવાઈ રહ્યા છે.
વડાપ્રધાને અગ્નિવીરનો જવાબ આપતાં કહ્યું, કોંગ્રેસે ક્યારેય સેનાને તાકાતવર બનવા નથી દીધી
વિપક્ષે સોમવારે અગ્નિવીર મામલે સત્તા પક્ષને ઘેર્યો હતો. તેના જવાબમાં વડાપ્રધાને અગ્નિવીર પર સ્પષ્ટ વાત ન કરી પણ સેનાની વાત કરીને વિપક્ષને જવાબ આપી દીધો હતો.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણી સેના દેશનું અભિમાન છે. દેશ આજે જોઈ રહ્યો છે. આપણી સેના, ડિફેન્સ સેક્ટર રિફોર્મ થઈ રહ્યા છે. યુદ્ધના સામર્થ્યવાળી સેના તૈયાર કરી રહ્યા છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી વસ્તુઓ બદલાઈ છે. CDS વ્યવસ્થા ઊભી કરવામાં આવી. સેનામાં યુવાનોની તાકાત વધારવી જોઈએ. કોંગ્રેસના સમયે ડિફેન્સ સેક્ટર રિફોર્મ ન થયું એટલે સેના મજબૂત ન બની. ઘણી વાતો કેહવા જેવી છે પણ જાહેરમાં અમુક વાતો ન કહેવી જોઈએ. દેશની સુરક્ષાનો સવાલ છે. યુદ્ધનું રૂપ બદલાઈ રહ્યું છે. શસ્ત્રો બદલાઈ રહ્યા છે. ટેકનોલોજી બદલાઈ છે. આને સફળ બનાવવા અમે ગાળો ખાઈને પણ મોઢે તાળું મારીને સહન કરી રહ્યા છીએ. ડિફેન્સ રિફોર્મના પ્રયાસને આ લોકો સહન નથી કરી શકતા. કોંગ્રેસના લોકો ક્યારેય પણ ભારતીય સેનાઓને તાકતવર બનતાં નથી જોઈ શકતા. કોંગ્રેસે ફાઈટર જેટ ન લીધા, પણ અમે લીધા તો વાંધો ઉઠાવ્યો. બાળક બુદ્ધિ જુઓ, રાફેલના નાનકડા રમકડાં ઉડાડતા હતા.
યુપીના હાથરસમાં શું બન્યું?
યુપીના હાથરસમાં ભોલે બાબાના સત્સંગ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. જેમાં 122 લોકોના મોત થયા હતા. 150થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. ઘણાની હાલત નાજુક છે. મૃત્યુઆંક વધી શકે છે. સીએમ યોગીએ મંત્રી લક્ષ્મી નારાયણ, મંત્રી સંદીપ સિંહને ઘટનાસ્થળે મોકલ્યા છે. બનાવ એટલે બન્યો કારણ કે, અહીં ભોલે બાબાનો સત્સંગ પૂરો થઈ ગયો હતો. લોકો એકસાથે નીકળી રહ્યા હતા. હોલ નાનો હતો. દરવાજો પણ સાંકડો હતો. પહેલા બહાર નીકળવામાં નાસભાગ મચી ગઈ હતી. લોકો એકબીજા પર પડ્યા. જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા.ભોલે બાબાનું સાચું નામ નારાયણ સાકાર હરિ છે. તે સત્સંગ કરે છે. તે એટાના પત્યાલી તાલુકામાં બહાદુર ગામના રહેવાસી છે. તેમણે 26 વર્ષ પહેલા સરકારી નોકરી છોડીને પ્રવચન કરવાનું શરૂ કર્યું હતું. ઉપદેશમાં તેમણે દાવો કર્યો છે કે તે ઈન્ટેલિજન્સ બ્યુરોમાં કામ કરતા હતા. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તરાખંડમાં ભોલે બાબાના વધુ અનુયાયીઓ છે.
અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના હિન્દુઓ વચ્ચે હિંસા
મંગળવારે બપોરે સાડાચાર વાગ્યા આસપાસ રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપના કાર્યકરો કોંગ્રેસના કાર્યાલય પહોંચ્યા હતા. આ અગાઉ કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોંગ્રેસ કાર્યાલયમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો પહોંચ્યા હતા. બંને પક્ષ વચ્ચે ઘર્ષણ ના થાય તે માટે પોલીસ દ્વારા કાર્યાલયથી પાલડી ચાર રસ્તા સુધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જો કે, ભાજપ અને કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ એકત્ર થતા વાતાવરણ તંગ બન્યું હતું. બન્ને પક્ષે સામસામે પથ્થર અને કાચની બોટલો ફેંકવામાં આવ્યા હતા. પથ્થરમારો થતાં એક પોલીસકર્મીને ઈજા થઈ છે. ભાજપના કાર્યકરોએ જયશ્રી રામના નારા સાથે પથ્થરમારો શરૂ કર્યો હતો. વાતાવરણ તંગ બનતાં પાલડી સુધીનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો હતો.
છેલ્લે,
મોદીએ સુપ્રીમ કોર્ટનું કોટ ટાંકીને સંકેત આપી દીધો…
ઐસા લગતા હૈ, ઈસ મહાન દેશ કી પ્રગતી પર સંદેહ પ્રગટ કરને, ઉસે કમ કરને ઔર હર સંભવ મોરચે પર કમઝોર કરને કા પ્રયાસ કીયા જા રહા હૈ. ઈસ તરહ કે કિસી ભી પ્રયત્ન યા પ્રયાસ કો આરંભ મેં હી રોક દેના ચાહિએ.
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચ: યશપાલ બક્ષી)