કોમેડિયન સમય રૈનાના શોમાં અભદ્ર ટિપ્પણી કરવા બદલ રણવીર અલાહાબાદિયા, આશિષ ચંચલાની, અપૂર્વ મખીજા જેવા યુટ્યુબર્સને મર્યાદાનો પાઠ મળી ગયો. આ બધું થાળે પડી રહ્યું હતું ત્યાં કોમેડિયન કુણાલ કામરાએ યુટ્યુબ કલ્ચર સામે સવાલો ઊભા કરી દીધા છે.
.
મહારાષ્ટ્રના રાજકારણમાં હસવામાંથી ખસવું થઈ ગયું છે, આજે તેની વાત…
નમસ્કાર,
મહારાષ્ટ્રનું રાજકારણ દિવાસળી જેવું રહ્યું છે. હમણાં જ શિંદે-ફડણવીસ વચ્ચે તિરાડની વાતો વહેતી થઈ. એ મામલો માંડ શાંત થયો ત્યાં કુણાલ કામરાએ નવી દિવાસળી ચાંપી. કોમેડિયન કુણાલ કામરાએ એકનાથ શિંદેનું નામ લીધા વગર તેના પર વ્યંગ ગીત બનાવ્યું ને વિવાદનો વંટોળ ઊભો થયો.
આખો વિવાદ શું છે? 23 માર્ચની રાત્રે 8 વાગ્યે ને 12 મિનિટે કુણાલ કામરાએ ટ્વિટર પર એક વીડિયો અપલોડ કર્યો. 2 મિનિટનો આ વીડિયો હતો. પહેલાં તો મહારાષ્ટ્રની રાજનીતિ પર જોક કર્યા ને પછી ‘દિલ તો પાગલ હૈ’ ફિલ્મનું ગીત ‘ભોલી સી સુરત..’ પર પેરોડી ગીત બનાવ્યું. તેણે એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો ને તેને ગદ્દાર ગણાવ્યા. આ ગીતમાં થાને કી રિક્ષા, ચહેરે પર દાઢી, ગોવાહાટી, ગદ્દાર… જેવા શબ્દો હતા. એ પછી 23 માર્ચની રાત્રે જ 9-50 વાગ્યે 45 મિનિટનો વીડિયો અપલોડ કર્યો અને ટાઈટલ હતું – નયા ભારત – અ કોમેડી સ્પેશિયલ.
વીડિયો વાયરલ થતાં જ શિંદેની શિવસેનાના કાર્યકરો નારાજ થઈ ગયા અને મુંબઈની ખાર વિસ્તારમાં આવેલી કામરાની હેબિટાટ કોમેડી ક્લબ અને આ ક્લબ જે હોટેલમાં બનાવાઈ છે તે યુનિકોન્ટિનેન્ટલ હોટેલમાં તોડફોડ કરી. શિવસેનાનો આરોપ છે કે આ જ જગ્યાએ વીડિયો શૂટ થયો હતો. શિંદેની શિવસેનાના ધારાસભ્ય મૂરજી પટેલે MIDC પોલીસ સ્ટેશનમાં કુણાલ કામરા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી. MIDC પોલીસે BNSની કલમ 353 (1)(b), 353(2) અને 356 (2) હેઠળ ફરિયાદ દાખલ કરી છે.
કુણાલ કામરાએ એવું તે શું કહ્યું કે, બબાલ થઈ ગઈ? પહેલાં કુણાલે મહારાષ્ટ્રના પોલિટિક્સ પર કેટલાક જોક્સ કર્યા ને પછી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નામ લીધા વગર કટાક્ષ કર્યો. તેણે બે મિનિટના રિલિઝ કરેલા વીડિયોમાં આવું કહ્યું છે…
જો ઈન્હો ને મહારાષ્ટ્ર ઈલેક્શન મેં કિયા ભાઈસા’બ… બોલના પડેગા…યહાં પે ઈન્હો ને પહલે ક્યા કિયા…શિવસેના બીજેપી સે બહાર આ ગઈ…ફીર શિવસેના, શિવસેના સે બહાર આ ગઈ…એનસીપી, એનસીપી સે બહાર આ ગઈ… એક વોટર કો નૌ બટન દે દીયે… સબ કન્ફ્યુઝ હો ગયે… ચાલુ એક જન ને કિયા થા, વો મુંબઈ મે બહોત બડા ડિસ્ટ્રીક્ટ હૈ થાને, વહાં સે આતે હૈ… (પછી કુણાલ કામરા ‘ભોલી સી સુરત’ પેરોડી પર ગીત ગાય છે) થાને કી રિક્ષા, ચહેરે પે દાઢી આંખો પે ચશ્મા, હાયે… એક ઝલક દીખલાયે કભી ગૌહાટી મેં છુપ જાયે, મેરી નઝર સે તુમ દેખો તો ગદ્દાર નઝર વો આયે.. મંત્રી નહીં વો દલ બદલુ હૈ ઔર કહા ક્યા જાયે..? જિસ થાલી મેં ખાયે ઉસમેં હી વો છેદ કર જાયે… મંત્રાલય સે જ્યાદા ફડણવીસ કી ગોદી મેં મિલ જાયે.. તીર કમાન મિલા હૈ ઈસકો બાપ મેરા યે ચાહે… (ગીત પૂરું કરીને આગળ કહે છે…) સોચો, યે પોલિટિક્સ હૈ ઈસકી. પરિવારવાદ ખતમ કરના થા, કિસી કા બાપ ચુરા લીયા.. ક્યા રિપ્લાય હોગા ભઈ? મૈં તેંડુલકર કે બેટે બો બોલું, આજા ભઈ લંચ પે મિલતે હૈ. આધા ઘંટા તેંડુલકર કી તારિફ કરું ઔર બોલું કિ આજ સે વો મેરા બાપ હૈ.. તું ઢૂંઢ લે કોઈ ઓન ધ વે…
કુણાલનો વીડિયો વાયરલ થતાં જ શિવસેનાના કાર્યકરો બગડ્યા કુણાલ કામરાનો વીડિયો વાયરલ થતાં જ શિવેસનાના કાર્યકરો વિફર્યા હતા અને કામરાનો હેબિટાટ નામનો સ્ટુડિયો છે ત્યાં જઈને તોડફોડ કરી હતી. બાજુમાં જ યુનિકોન્ટિનેન્ટલ નામની હોટલ છે તેમાં આ વીડિયોનું શૂટિંગ થયું હોવાનો આરોપ લગાવી શિવસૈનિકોએ બબાલ કરી હતી. પહેલાં હોટેલના મેનેજરને ગાળાગાળી કરી એકાએક તોડફોડ શરૂ કરી હતી. ખુરશીઓ ઊલાળીને લાઈટિંગ, સ્પીકર, ફર્નિચર તોડી નાખ્યું હતું. યુનિકોન્ટિનેન્ટલ હોટેલમાં તોડફોડના આરોપસર શિવસેના નેતા રાહુલ કનાલ સહિત 11 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં 40 શિવસેનાના કાર્યકરો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. હોટેલમાં આટલી તોડફોડ ઓછી હતી કે, સોમવારે સવારે મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓ હથોડા લઈને યુનિકોન્ટિનેન્ટલ હોટેલ પહોંચ્યા હતા ને તોડવાનો પ્રયાસ કર્યો હતો.
મહારાષ્ટ્રના ગરમાયેલા રાજકારણ વચ્ચે કોણે, શું કહ્યું? શિંદેની શિવસેનામાં જોડાયેલા સંજય નિરુપમે રવિવારે રાત્રે 11-40 વાગ્યે એક વિવાદિત પોસ્ટ કરીને લખ્યું કે, કાલે કરીશું કુણાલની ધોલાઈ. 11 વાગ્યે. શિંદે જૂથના પ્રવક્તા ક્રિષ્ના હિંગડેએ કહ્યું કે, મુંબઈ પોલીસ તરત કુણાલ કામરાની ધરપકડ કરે. ઉપમુખ્યમંત્રીને લઈને આવા વિવાદાસ્પદ શબ્દોનો ઉપયોગ ક્યારેય સહન નહીં કરાય. અમે શિવસેના સ્ટાઈલમાં ટ્રીટમેન્ટ કરીશું.
શિંદે જૂથના જ સાંસદ નરેશ મ્હાસ્કેએ આ વીડિયો પર નારાજગી વ્યક્ત કરી ને આનો આરોપ સંજય રાઉત પર ઢોળી દીધો. તેમણે કહ્યું કે, અમારા પર ટિપ્પણી કરવી હોય તો સીધી જ કરો. બીજાને પૈસા આપીને શું કામ ટિપ્પણી કરાવો છો? સાંસદે તો કુણાલ કામરાને એવી ધમકી આપી દીધી કે તું હવે મહારાષ્ટ્રમાં જ નહીં, હિન્દુસ્તાનમાં ક્યાંય ફરી નહીં શકે. અમારા શિવ સૈનિકો તને તારી જગ્યા બતાવી દેશે. અમારા નેતા પર ટીકા ટિપ્પણી કરવા માટે સંજય રાઉત આવું કરાવે છે? તેની પાસે કાર્યકરો પણ બચ્યા નથી. સંજય રાઉતે ટીકા કરવી હોય તો સીધી કરો, ભાડૂતી લોકોને પૈસા આપીને કેમ કરાવો છો? આ નિવેદન પછી સંજય રાઉતનું પણ નિવેદન આવ્યું. તેમણે સોશિયલ મીડિયો એક્સ પર લખ્યું કે, કુણાલ કામરા એક જાણીતા લેખક અને સ્ટેન્ડઅપ કોમેડિયન છે. કુણાલે મહારાષ્ટ્રની રાજનીતિ પર એક વ્યંગાત્મક ગીત લખ્યું તો શિંદે ગેંગને મરચાં લાગ્યાં. તેના લોકોએ કામરાના સ્ટુડિયોમાં તોડફોડ કરી. દેવેન્દ્રજી, તમે નબળા ગૃહમંત્રી છો. રાજ્યસભાનાં સાંસદ જયાબચ્ચને ANI સાથે વાત કરતાં કહ્યું કે, તમે તમને જ પૂછો. આવું ચાલશે તો મીડિયાનું શું થશે? તમે કેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો? તમારા ઉપર તો સદંતર પ્રતિબંધ છે. કાલે તમને કહેવામાં આવશે કે આ જ ન્યૂઝ બતાવો. બીજા નથી બતાવવાના. જયા બચ્ચનનો ઈન્ટરવ્યૂ નથી લેવાનો. ફ્રિડમ ઓફ સ્પીચ ક્યાં છે? ફ્રિડમ ઓફ એક્શન ત્યારે જ થાય છે જ્યારે મારામારી થાય છે. વિપક્ષને મારો, મહિલાઓ પર બળાત્કાર કરો, ખૂન કરી નાખો… હવે બાકી શું રહ્યું છે? એકનાથ શિંદે વિશે જયા બચ્ચને કહ્યું કે, સત્તા માટે રિયલ પાર્ટી છોડીને બીજી પાર્ટી બનાવી લીધી. તો શું એ બાલાસાહેબ ઠાકરેનું અપમાન નહોતું?
વિવાદ પછી કુણાલ કામરાએ શું કહ્યું? ફડણવીસ શું બોલ્યા? શિંદે પર ટિપ્પણી બાદ વિરોધ થયો તે પછી કોમેડિયન કુણાલ કામરાએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રાત્રે 12 વાગ્યે ને 13 મિનિટે તેણે એક્સ પર ચાર શબ્દોની નાનકડી પોસ્ટ મૂકી. તેણે લખ્યું – ધ ઓનલી વે ફોરવર્ડ… એટલે કે ‘આ જ એકમાત્ર રસ્તો છે.’ કુણાલ કામરાએ આ પોસ્ટ સાથે એક તસવીર મૂકી છે. જેમાં તેના હાથમાં સંવિધાનની એક કોપી છે. એ સંવિધાનની લાલ કલરની નાની એ જ કોપી છે જે છેલ્લા થોડા સમયથી રાહુલ ગાંધી બતાવી રહ્યા છે.
આ વિવાદ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન બહાર આવ્યું છે. તેમણે કહ્યું કે સ્ટેન્ડ-અપ કોમેડી કરવાની સ્વતંત્રતા છે, પરંતુ મન ફાવે તેમ બોલી શકાય નહીં. કુણાલ કામરાએ માફી માંગવી જોઈએ, આવું સહન કરવામાં આવશે નહીં. કોમેડી કરવાનો અધિકાર છે, પરંતુ જો તે આપણા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને બદનામ કરવા માટે આ કરવામાં આવી રહ્યું હોય, તો તે બરાબર નથી.
ફડણવીસે કહ્યું, કુણાલ અને રાહુલ ગાંધીએ સંવિધાન વાંચ્યું નથી આ મામલે જ્યારે મીડિયાએ દેવેન્દ્ર ફડણવીસ સાથે વાતચીત કરી ત્યારે ફડણવીસે કહ્યું કે, કુણાલ કામરાએ એ જ બંધારણનું લાલ પુસ્તક હાથમાં પકડ્યું છે જે રાહુલ ગાંધી વારેવારે બતાવે છે. બંનેએ બંધારણ બરાબર વાંચ્યું નથી. બંધારણ આપણને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે, પરંતુ તેની મર્યાદાઓ પણ છે. શિંદેને ગદ્દાર કહેવા પર તેમણે કહ્યું- 2024ની વિધાનસભા ચૂંટણીમાં લોકોએ મતદાન કરીને અમારું સમર્થન કર્યું. જે લોકોએ દગો આપ્યો હતો તેમને લોકોએ ઘરે મોકલી દીધા. બાળાસાહેબ ઠાકરેની વિચારધારા અને આદેશનું અપમાન કરનારાઓને લોકોએ તેમનું સ્થાન બતાવી દીધું.
ઉદ્ધવ ઠાકરે અને અજિત પવારે શું કહ્યું તે જાણવા જેવું છે ઠાકરેની શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, મને નથી લાગતું કે કુણાલ કામરાએ કંઈ ખોટું કહ્યું છે. ‘ગદ્દાર’ ને ‘ગદ્દાર’ કહેવો એ કોઈ પર હુમલો નથી. આખું ગીત સાંભળો અને બીજાને પણ સંભળાવો… શિવસેનાનો તોડફોડ સાથે કોઈ સંબંધ નથી, આ તો ગદ્દારી સેનાનું કારસ્તાન છે. જેમના લોહીમાં ગદ્દારી છે, તેઓ ક્યારેય શિવસૈનિક ન હોઈ શકે. અજિતની એનસીપીના વડા અજિત પવારે કહ્યું કે, કોઈએ પણ કાયદા અને બંધારણની બહાર ન જવું જોઈએ. દરેક વ્યક્તિએ પોતાની વાત મર્યાદામાં રહીને કહેવી જોઈએ. મંતવ્યોમાં મતભેદ હોઈ શકે છે, પરંતુ એટલું તો વિચારીને બોલવું જોઈએ કે, આવા કલાકારોના કારણે પોલીસે દખલ કરવી પડી શકે છે.
કુણાલ કામરા અગાઉ પણ વિવાદોમાં આવી ચૂક્યો છે છ મહિના પહેલાં કોમેડિયન કુણાલ કામરા અને ઓલા કેબ્સના સીઈઓ ભાવિશ અગ્રવાલ વચ્ચે સોશિયલ મીડિયા પર જોરદાર બબાલ થઈ હતી. કુણાલ કામરાએ OLA ઈ-બાઈક સર્વિસ સેન્ટરનો એક ફોટો શેર કર્યો હતો, જ્યાં ઘણી બાઇક ઊભી હતી અને રિપેરિંગની રાહમાં ધૂળ ખાતી હતી. જ્યારે કુણાલ કામરાએ કંપનીની સર્વિસ પર સવાલ ઉઠાવ્યા ત્યારે OLAના CEO ભાવિશ અગ્રવાલે ટ્વિટમાં જવાબ આપ્યો કે, તું અમારા માટે કામ કરીશ તો અમે તને તારી ફ્લોપ કોમેડી કરિયર કરતાં વધુ પૈસા આપીશું.
એ પછી કામરાનો એક શો હતો અને ત્યાં કિડિયારાંની જેમ માણસો ભેગા થયા હતા. બધાએ કુણાલનું ચિચિયારી સાથે સ્વાગત કર્યું. ભારે ભીડ અને ઉત્સાહનો વીડિયો તેણે ફરી ભાવિશ અગ્રવાલને ટેગ કરીને મૂક્યો. તેણે લખ્યું કે, મારી ફ્લોપ કોમેડી કરિયરમાં મેં ફેન્સને સરપ્રાઈઝ આપી તો આ રીતે સ્વાગત થયું હતું, અહંકારી ભાવિશ!! આ રીતે બંને વચ્ચે દલીલબાજી ચાલતી રહી. ઘટના 2023ની છે. સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ અને ફેક માહિતી ફેલાતી અટકાવવા માટે કેન્દ્ર સરકારે ફેક્ટ ચેક યુનિટ બનાવવાની જાહેરાત કરી. કુણાલ કામરાએ સરકારના આ નિર્ણયને પડકારતી પિટિશન બોમ્બે હાઈકોર્ટમાં ફાઈલ કરી. તેણે કહ્યું કે, સરકારની આ દબાવવાની વાત છે. સરકાર કોઈપણને ફેક ન્યૂઝ કે ફેક જાણકારીના નામે દાબી શકશે. માટે ફેક્ટ ચેક યુનિટ બનાવતું અટકાવવામાં આવે. બોમ્બે હાઈકોર્ટે દલીલ સાંભળીને કુણાલ કામરાની તરફેણમાં ચૂકાદો આપ્યો. પછી કેન્દ્ર સરકાર સુપ્રીમમાં ગઈ તો સુપ્રીમે પણ બોમ્બે હાઈકોર્ટનો ચૂકાદો માન્ય રાખ્યો અને કેન્દ્ર સરકાર આ યુનિટ ન બનાવી શકી. જાન્યુઆરી 2020માં કામરાએ ઇન્ડિગો ફ્લાઇટમાં પત્રકાર અર્નબ ગોસ્વામીનો ભેટો થઈ ગયો. તેણે ફ્લાઈટમાં જ અર્નબની પત્રકારત્વની સેન્સ અને સ્ટાઈલ પર સવાલ ઉઠાવ્યા હતા. કુણાલે અર્નબ સાથેની માથાકૂટનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. અર્નબે પણ તેમની ટીવી ચેનલમાં કુણાલને બરાબર આડેહાથ લીધો હતો. એ પછી ઇન્ડિગોએ તેમના પર છ મહિનાનો પ્રતિબંધ મૂક્યો હતો. તો એર ઇન્ડિયા અને સ્પાઇસજેટ સહિત અન્ય એરલાઇન્સે પણ કુણાલ પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂક્યો હતો.
કોણ છે કુણાલ કામરા? કુણાલ કામરા મુંબઈમાં રહેતો સ્ટેન્ડઅપ કોમેડિયન છે. 17 વર્ષની ઉંમરે તેમણે MTV ની ઇન-હાઉસ પ્રોડક્શન ટીમ સાથે ઇન્ટર્નશિપ કરી. એક વર્ષ પછી તે પ્રસૂન પાંડેની કોર્કોઇસ ફિલ્મ્સમાં પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે જોડાયા, જ્યાં તેમણે છ વર્ષ સુધી કામ કર્યું. તેમણે એડ ઈન્ડસ્ટ્રીમાં 8 વર્ષ કામ કર્યું. 2013માં સ્ટેન્ડઅપ કોમેડી કરવાનું શરૂ કર્યું. 2017માં યુટ્યુબમાં સેલિબ્રિટીઓના ઈન્ટરવ્યૂ લેવાનું શરૂ કર્યું. શોનું નામ રાખ્યું હતું ‘શટ અપ યા કુણાલ’. આ શોના કારણે તે લોકોની નજરમાં આવ્યો. તે સમયે કુણાલે અરવિંદ કેજરીવાલ, રવિશ કુમાર, અસદુદ્દીન ઓવૈસી, કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ, શેહલા રશીદ, જિગ્નેશ મેવાણી વગેરે જેવા લોકોના ઈન્ટરવ્યુ લીધા હતા. પોપ્યુલર બન્યા પછી તે એક શો માટે 12થી 15 લાખ રૂપિયા ફી લે છે. છેલ્લા છ મહિનાથી કુણાલ મુંબઈ છોડીને પુડ્ડુચેરીમાં વસી ગયો છે. તેની ઈચ્છા છે તે પુડ્ડુચેરીમાં રહીને સાદું જીવન જીવે અને ખેતી કરે. જોકે વચ્ચે વચ્ચે આ રીતે શો કરતો રહે છે. બીબીસી હિન્દીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કુણાલ કામરાને પૂછવામાં આવ્યું હતું કે, આજના ભારતમાં કોમેડી કે પોલિટિકલ સેટાયર કરવું બહુ મુશ્કેલ થઈ ગયું છે? તેના જવાબમાં કુણાલે કહ્યું હતું કે, આ કરવાની મજા ત્યારે જ છે, આવું કરવાનો ખરો સમય ત્યારે જ છે જ્યારે તમને આવું કરતાં રોકવામાં આવે.
શોના અંતમાં સંવિધાન બતાવીને કુણાલે શું કહ્યું? પોલિટિકલ કટાક્ષથી ભરેલા 45 મિનિટના શોના અંતે કુણાલ કામરાએ એવું કહ્યું કે, આ શો હું યુટ્યુબ પર અપલોડ કરીશ તો કેટલાક લોકોને આ નહીં ગમે. એટલા એવા લોકોને હું આ બતાવવા માગું છું. એવું કહીને કુણાલે સંવિધાનની લાલ કલરની બુક બતાવી. સંવિધાન બતાવીને તેણે કહ્યું કે, મારે જે કરવું છે તે હું કરીશ અને આ બુક મને તેની મંજૂરી આપે છે. આ પુસ્તક (સંવિધાન)ની માળખાંમાં રહીને તમે મુક્ત મને કરી શકો છો.
છેલ્લે, એકનાથ શિંદે પોતાને બાળાસાહેબ ઠાકરેના અસલી રાજકીય વારસદાર માને છે. તેમણે બનાવેલી શિવસેના અને તેનું ચિન્હ પણ એકનાથ પાસે જ છે. કરુણતા એ છે કે ઉચ્ચ કક્ષાના કાર્ટૂનિસ્ટ એવા બાળાસાહેબ પાસેથી હ્યુમર તેમણે વારસામાં ન લીધી. માત્ર શિવસેનાની તોડફોડનો સ્વભાવ અંગિકાર કરી લીધો.
સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર વ્યૂ….
(રિસર્ચ – યશપાલ બક્ષી)