રાંચી2 કલાક પેહલા
- કૉપી લિંક
ઝારખંડના પૂર્વ સીએમ ચંપાઈ સોરેન આજે ફરી એકવાર દિલ્હી પહોંચ્યા છે. ભાજપના નેતાઓને મળવા અને ભાજપમાં જોડાવાના સવાલ પર તેમણે કહ્યું કે, ‘હું મારા કામ માટે 2 દિવસ માટે દિલ્હી આવ્યો છું. હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. આગળ શું કરીશ તે પછી કહીશ જણાવીશ.
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તેઓ દિલ્હીમાં બીજેપીના મોટા નેતાઓને મળી શકે છે. જો બીજેપી નેતાઓ સાથેની મીટિંગ દરમિયાન વાત બની જાય તો તે ઝારખંડ મુક્તિ મોરચા (JMM) પાર્ટી અને મંત્રી પદથી પણ રાજીનામું આપી શકે છે.
અહીં આસામના મુખ્યમંત્રી અને ભાજપના ઝારખંડ પ્રભારી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, ‘હું ઈચ્છું છું કે ચંપાઈ સોરેન ભાજપમાં આવે અને અમને તાકાત આપે. ચંપાઈ સોરેનની સામે 3 રસ્તા છે, તેઓ હાલમાં દિલ્હીમાં છે, તેમની સાથે વાતચીતનો રસ્તો ખુલ્લો છે, જોઈએ ભવિષ્યમાં શું થાય છે. હું ઈચ્છું છું કે હેમંત સોરેન પણ ભાજપમાં જોડાય.
ચંપાઈ સોરેન 25 ઓગસ્ટની સાંજે ખડગપુર થઈને કોલકાતા ગયા હતા. તેમની સાથે તેમના બે પુત્ર બાબુલાલ સોરેન અને વકીલ સોરેન પણ છે. તેમના પ્રેસ સલાહકાર ચંચલ ગોસ્વામી પણ તેમની સાથે છે. આવી સ્થિતિમાં ફરી એકવાર અટકળોનું બજાર તેજ બન્યું છે.
દિલ્હીમાં શિવરાજ, આસામના સીએમ હેમંત બિસ્વા સાથે મુલાકાત કરી શકે છે
ચંપાઈ સોરેન ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રભારી બનાવવામાં આવેલ કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા અને અન્ય નેતાઓને મળી શકે છે. આ સિવાય ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત થવાની પણ ચર્ચા છે.
જો કે, ચંપાઈ સોરેને કહ્યું કે તેઓ તેમનો નવો અધ્યાય શરૂ કરશે. તે ન તો ભાજપમાં જોડાશે કે ન તો જેએમએમમાં પરત ફરશે. આવી સ્થિતિમાં એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેઓ દિલ્હીમાં આગળની રણનીતિ તૈયાર કરશે.
અઠવાડિયા પહેલા દિલ્હી પણ ગયા હતા
ચંપાઈ સોરેન અઠવાડિયા પહેલા પણ દિલ્હી ગયા હતા. ત્રણ દિવસ દિલ્હીમાં રહ્યા બાદ તેઓ જમશેદપુર પરત ફર્યા. ત્યારે પણ તેઓ ભાજપમાં જોડાયા હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી. તેમણે પોતાના સોશિયલ મીડિયા પર જેએમએમ છોડવાનો સંકેત પણ આપ્યો હતો.
ચંપાઈ સોરેન હાલમાં માત્ર જેએમએમના નેતા નથી, પણ હેમંત સોરેન સરકારમાં જળ સંસાધન અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી પણ છે. તેમણે ચોક્કસપણે જેએમએમ છોડવાનો સંકેત આપ્યો છે, પરંતુ ન તો જેએમએમ છોડ્યું છે કે ન તો મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. જેએમએમનું કેન્દ્રીય નેતૃત્વ પણ તેમના આગામી પગલાંની રાહ જોઈ રહ્યું છે.
જાણો 16થી 20 ઓગસ્ટ વચ્ચે શું થયું
- ઓગસ્ટ 16: ચંપાઈ સોરેન અને જેએમએમના ધારાસભ્યો સમીર મોહંતી, દશરથ ગગરાઈ, નીરલ પૂર્તિ, ચમરા લિન્ડા, રામદાસ સોરેન, સંજીવ સરદાર અને મંગલ કાલિંદીના ભાજપમાં જોડાવા અંગે ચર્ચાઓ શરૂ થઈ. જ્યારે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે તેને અફવા ગણાવીને ફગાવી દીધો.
- ઓગસ્ટ 18: અચાનક ચંપાઈ સોરેનની કોલકાતાના દમદમ એરપોર્ટથી દિલ્હી જવાની માહિતી સામે આવી. તેઓ 1 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર ઉતરે છે. અહીં ભાજપના ટોચના નેતાઓ સાથેની તેમની મુલાકાત અંગે ચર્ચા શરૂ થઈ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે, ત્યારે ચંપાઈએ સ્પષ્ટ કર્યું કે “હું જ્યાં છું ત્યાં જ રહીશ.” થોડા સમય પછી, તેમણે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી અને કહ્યું કે ‘જેએમએમમાં તેમને ખુરશી પરથી હટાવીને તેમનું અપમાન કરવામાં આવ્યું છે. હવે તેમની પાસે માત્ર ત્રણ જ વિકલ્પ બચ્યા છે: નિવૃત્તિ લઈ લે, નવી સંસ્થા બનાવે અથવા કોઈ બીજા સાથે જાય…’
- 20 ઓગસ્ટ: રાંચીના સીએમ હાઉસમાં અચાનક હંગામો થયો. જે ધારાસભ્યો ચંપાઈ સોરેનની સાથે હોવાનું કહેવાય છે તેઓ અચાનક એક પછી એક સીએમ હાઉસ પહોંચ્યા. અહીં તેમણે લગભગ 3 કલાક સુધી સીએમ હેમંત સોરેન સાથે મુલાકાત કરી. આ પછી ધારાસભ્યોએ કહ્યું કે ‘અમે સીએમ હેમંત સોરેનની સાથે મજબૂત રીતે હતા, છીએ અને રહીશું. જેએમએમ છોડીને ક્યાંય જવાનું નથી. બીજી તરફ ચંપાઈ સોરેન પણ દિલ્હીથી કોલકાતા થઈને સરાઈકેલા પહોંચ્યા. ભાજપમાં જોડાવાના પ્રશ્ન પર કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો. તેમણે કહ્યું કે ‘તેમનો પક્ષને નુકસાન પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી.’