ભોપાલ/લખનૌ2 કલાક પેહલા
- કૉપી લિંક
નવા વર્ષના પહેલા દિવસે ધાર્મિક સ્થળો પર ભક્તોની ભીડ ઊમટી રહી છે. 2024ની પ્રથમ ભસ્મ આરતી ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં કરવામાં આવી હતી. તેમજ વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર પ્રથમ ગંગા આરતી અને સૂર્યપૂજા કરવામાં આવી હતી. બંને ધાર્મિક સ્થળોએ આજે 8-8 લાખ શ્રદ્ધાળુઓ પહોંચે તેવી શક્યતા છે. ભીડને જોતા બંને મંદિરોમાં VIP દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે.
આજે ઉજ્જૈનમાં એક દિવસમાં આવનારા ભક્તોની સંખ્યામાં નવો રેકોર્ડ બની શકે છે. અગાઉ 2016માં સિંહસ્થના શાહી સ્નાનના પહેલા દિવસે 6 લાખ શ્રદ્ધાળુઓ અહીં આવ્યા હતા. સોમવારે સવારે 4 વાગ્યે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા. સવારે 4 થી 6 દરમિયાન ચલિત ભસ્મ આરતીમાં 45 હજાર જેટલા ભક્તોએ બાબાનાં દર્શન કર્યાં હતાં. મહાકાલને ગરમ જળથી અભિષેક કરવામાં આવ્યો હતો.
નવા વર્ષની પ્રથમ ભસ્મ આરતી માટે બુકિંગ ફુલ થઈ ગયું હતું
1 જાન્યુઆરી, 2024ના રોજ યોજાનારી ભસ્મ આરતી માટે ઓનલાઈન બુકિંગ એક મહિના પહેલાં જ ફુલ થઈ ગયું હતું. 31મી ડિસેમ્બરે સવારે 6 વાગ્યાથી ઑફલાઇન બુકિંગ માટે કતાર લાગી હતી, જે એક કલાકમાં પૂર્ણ થઈ ગઈ હતી. જો કે, દર્શનની વ્યવસ્થાને કારણે વધુ લોકો ઝડપથી દર્શન કરી શક્યા હતા.
અગાઉ, ક્રિસમસની રજાઓ દરમિયાન, શનિવાર, રવિવાર અને સોમવારે ત્રણ દિવસમાં રેકોર્ડ બ્રેક 11 લાખ ભક્તોએ મહાકાલનાં દર્શન કર્યાં હતાં. મંદિર સમિતિનો દાવો છે કે નવા વર્ષના પ્રથમ બે દિવસમાં 12 લાખ લોકો મહાકાલ લોકમાં પહોંચવાની આશા છે.
નવા વર્ષના પ્રથમ દિવસે મહાકાલનાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા હતા. ભસ્મ આરતી દરમિયાન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સોમવારે વહેલી સવારથી જ મહાકાલ મંદિરમાં ભક્તોની લાંબી કતારો લાગી ગઈ હતી. મંદિર સમિતિનું કહેવું છે કે લગભગ 45 હજાર લોકોએ ભસ્મારતીનાં દર્શન કર્યા હતા.
ઉજ્જૈન પહોંચતા મોટાભાગના ભક્તો જ્યોતિર્લિંગનાં દર્શન કર્યા બાદ મહાકાલ લોકના દર્શન કરવા પણ આવે છે. અહીં બે દિવસમાં 12 લાખ લોકો આવવાની આશા છે.
નવા વર્ષમાં, મહાકાલ મંદિર સમિતિનો દાવો છે કે 40 મિનિટમાં દર્શન થઈ જશે.
કાશી વિશ્વનાથ મંદિરની આસપાસ 2 કિલોમીટર લાંબી કતાર લાગી
શ્રીકાશી વિશ્વનાથ મંદિરની આસપાસ ભક્તોની 2 કિલોમીટર લાંબી કતારો હતી. 30 ડિસેમ્બરની સાંજથી આ સ્થિતિ યથાવત્ હતી. લોકોની ભીડને જોતા મંદિરના કોરિડોરમાં ચારે બાજુથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તેમજ લલિતા ઘાટ અને દશાશ્વમેધ ઘાટથી સ્નાન કરતી વખતે ભક્તો લાઈનમાં ઊભા હતા.
કાશીમાં આજે તમામ પ્રકારની ટિકિટ અને પ્રોટોકોલ બંધ છે
વિશ્વનાથ મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર નવા વર્ષ નિમિત્તે આજે સાવન વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. મંદિરમાં પ્રોટોકોલ, ટિકિટ અને બાબા વિશ્વનાથનાં VIP દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે. પ્રોટોકોલ અને રુદ્રાભિષેક પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સામાન્ય ભક્તોને જ દર્શન કરાવવામાં આવી રહ્યા છે.
નવા વર્ષ 2024ની પ્રથમ સવારે, ભક્તો કતારમાં ઊભા છે અને બાબા વિશ્વનાથના દર્શન અને પૂજા કરવા માટે તેમના વારાની રાહ જોઈ રહ્યા છે.
નવા વર્ષ 2024ના પ્રથમ દિવસની સવારે દશાશ્વમેધ ઘાટ પર ધાર્મિક વિધિ મુજબ માતા ગંગાની આરતી કરીને પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
દશાશ્વમેધ ઘાટ પર વિધિ મુજબ માતા ગંગાની આરતી.
વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર ચાલી રહેલી ગંગા આરતી દરમિયાન સતત 3 દિવસથી આટલી મોટી ભીડ જોવા મળી રહી છે. નવા વર્ષ પર ઘણા લોકો વારાણસીમાં છે.
કોરિડોર બન્યા બાદ 13 કરોડથી વધુ શિવભક્તો આવ્યા હતા
કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન બાદ કુલ 13 કરોડ શિવભક્તોએ દર્શન કરીને પૂજા-અર્ચના કરી છે. અગાઉ 2 વર્ષમાં 2 કરોડથી વધુ ભક્તો નહોતા. 13 ડિસેમ્બર, 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરિડોરનું ઉદ્ઘાટન કર્યા પછી, ભક્તોની ભીડ 10 ગણી વધી ગઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ડિસેમ્બર, 2021ના રોજ કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારથી ભક્તોની સંખ્યા સતત વધી રહી છે.
છત્તીસગઢમાં મા દંતેશ્વરીનાં VIP દર્શનની વ્યવસ્થા
છત્તીસગઢના કોરબા જિલ્લાના રતનપુરમાં મા મહામાયા મંદિર અને દંતેવાડામાં મા દંતેશ્વરી મંદિરમાં આજે એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચે તેવી સંભાવના છે. આ ઉપરાંત ડોંગરગઢ સ્થિત મા બમલેશ્વરી મંદિર, રાયપુરનું રામમંદિર, બાગબહરાના ચંડી મંદિર, અંબિકાપુરના મહામાયા મંદિર અને ઘુંચાપલી ચંડી માતા મંદિરમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.
નવા વર્ષ નિમિત્તે દરરોજ લગભગ 4 હજાર ભક્તો બસ્તરની આરાધ્ય દેવી મા દંતેશ્વરીના મંદિરે આવે છે. જેમાં બિહારથી લઈને પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢ સુધીના લોકો સામેલ છે. આ વખતે 1 જાન્યુઆરીથી ભક્તોને VIP દર્શનની સુવિધા મળશે. આ માટે 2100 રૂપિયાની સ્લિપ ભરવાની રહેશે. અગાઉ આ સુવિધા નવરાત્રિ દરમિયાન જ આપવામાં આવતી હતી.
દંતેવાડા સ્થિત મા દંતેશ્વરી મંદિરમાં ભક્તોની ભીડ ઊમટી રહી છે. શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે તે માટે ટોકનની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો…
નવા વર્ષના પ્રથમ દિવસે લાખો ભક્તો ખાટુશ્યામ પહોંચ્યા, સવારથી જ ભક્તોની કતારો લાગી હતી
નવું વર્ષ શરૂ થઈ ગયું છે. રાજસ્થાનના સીકરમાં વર્ષના અંતિમ દિવસે ખાટુશ્યામ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળે છે. નવા વર્ષના પહેલા દિવસે જ અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે.