નવી દિલ્હી7 મિનિટ પેહલા
- કૉપી લિંક
- રાજ્યની પુનઃ રચના પછી પ્રથમ સત્ર જમ્મુ શહેરમાં યોજાશે
જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે કેન્દ્ર સરકારમાં ટોચના સ્તરે સમજૂતી થઈ છે. નવેમ્બરના અંતિમ અઠવાડિયામાં શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં આને લગતો પ્રસ્તાવ લાવવામાં આવશે. હકીકતમાં, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. આ પછી સરકાર તરફથી આ દિશામાં પહેલ શરૂ થઈ ગઇ છે.
સરકારે સંસદમાં રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપી હતી. કેન્દ્રશાસિત પ્રદેશમાં તાજેતરની ચૂંટણીઓ પછી રચાયેલી પ્રથમ સરકારની કૅબિનેટે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો અને તેને લેફ્ટનન્ટ ગવર્નર (એલજી)ને મોકલ્યો હતો. એલજીએ આ પ્રસ્તાવને મંજૂરી આપી છે અને તેને ગૃહ મંત્રાલયને મોકલી દીધો છે. આ સીધો સંકેત છે કે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં કોઈ વિલંબ થશે નહીં.
અસર: રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા સંભાળશે, લોકોમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરશે
- રાજ્યની પુનઃસ્થાપના સાથે, પોલીસ, કાયદો અને વ્યવસ્થા ચૂંટાયેલી સરકારના અધિકાર હેઠળ રહેશે. પોલીસ પર રાજ્ય સરકારનું સીધુ નિયંત્રણ થશે.
- રાજ્યની ચૂંટાયેલી સરકારને જમીન, મહેસૂલ અને પોલીસને લગતી બાબતોમાં કાયદો બનાવવાનો અધિકાર મળશે.
- સરકાર ચલાવવામાં લેફ્ટનન્ટ ગવર્નરની દખલગીરી ઓછી થઇ જશે.
- નાણાકીય મદદ માટે કેન્દ્ર પર નિર્ભરતા સમાપ્ત થશે. અન્ય રાજ્યોની જેમ જમ્મુ અને કાશ્મીરને પણ નાણાં પંચ તરફથી આર્થિક સહાય મળશે.
- દેશમાં પ્રથમ વખત કોઈ રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું હતુ. આવી સ્થિતિમાં રાજ્યનો દરજ્જો પાછો મળવાથી લોકોનો વિશ્વાસ મજબૂત થશે.
મુખ્યમંત્રી ઓમરે પીએમ અને ગૃહમંત્રી પાસે માગ કરી હતી… પીએમ અને ગૃહમંત્રી સાથેની બેઠકમાં ઓમરે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની વિનંતી કરી હતી. તેમને આ વર્ષે રાજ્યની પુનઃસ્થાપનની ખાતરી મળી છે. લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ જ રહેશે. 2019 માં કલમ 370 અને 35A ના નિષ્ક્રિયકરણ પછી, 2 કેન્દ્રશાસિત પ્રદેશો, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ બનાવવામાં આવ્યા હતા.
દરબાર મૂવ પરનો પ્રતિબંધ હટાવાયો, જમ્મુ-શ્રીનગર રાજધાની કેન્દ્રએ ‘દરબાર મૂવ’ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. હવે પહેલાની જેમ શિયાળામાં રાજધાની જમ્મુ અને ઉનાળામાં શ્રીનગર હશે. એલજીએ 3 વર્ષ પહેલા નાણાકીય બોજનું કારણ આપીને દરબાર મૂવ બંધ કરી દીધી હતી. વાસ્તવમાં તેનો ખર્ચ કેન્દ્રે ઉઠાવવો પડતો હતો, પરંતુ હવે આર્થિક બોજ રાજ્ય પર પડશે.