મુંબઈ32 મિનિટ પેહલા
- કૉપી લિંક
યૌન ઉત્પીડનની ઘટના સામે બદલાપુર રેલવે સ્ટેશન પર લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મહારાષ્ટ્રના બદલાપુરમાં બે છોકરીઓના યૌન શોષણ બાદ હવે અકોલામાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાઝીખેડની જિલ્લા પરિષદ શાળાના શિક્ષક પ્રમોદ મનોહર પર શાળાની વિદ્યાર્થિનીઓની છેડતીનો આરોપ લાગ્યો છે.
આરોપી શિક્ષકે આઠમા ધોરણમાં ભણતી છ વિદ્યાર્થીનીઓની જાતીય સતામણી કરી હતી. શિક્ષક તેમને અશ્લીલ વીડિયો બતાવતો હતો અને અયોગ્ય રીતે સ્પર્શ કરતો હતો. વિદ્યાર્થિનીઓની ફરિયાદના આધારે પોલીસે શિક્ષકની ધરપકડ કરી લીધી છે.
બીજી તરફ, મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બદલાપુરમાં એક ખાનગી શાળામાં 3 અને 4 વર્ષની બે KG બાળકીઓના જાતીય શોષણની ઘટના સામે આવ્યા બાદ મંગળવારે વિરોધ પ્રદર્શનો થયા હતા. અહીંની લોકલ ટ્રેનના રેલવે ટ્રેક પર હજારોની ભીડ ઉતરી આવી હતી.
પોલીસે જે ટીયર ગેસના શેલ છોડ્યા હતા પ્રદર્શનકારીઓએ તેને હાથથી ઉઠાવી તેમની પર જ ફેંકી દીધા.
ટોળાએ મંગળવારે, 20 ઓગસ્ટે પહેલા શાળામાં તોડફોડ કરી અને પછી બદલાપુર સ્ટેશન પર સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી પ્રદર્શન કર્યું. લોકલ ટ્રેનોની અવરજવર 10 કલાકથી વધુ સમય સુધી ઠપ રહી હતી. સાંજે પોલીસે લાઠીચાર્જ કરીને રેલવે ટ્રેક ખાલી કરાવ્યો હતો.
કેબિનેટ મંત્રી ગિરીશ મહાજન પ્રદર્શનકારીઓ સાથે વાત કરવા બદલાપુર સ્ટેશન પહોંચ્યા, પરંતુ તેમને પાછા ફરવું પડ્યું. આ પછી નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે SITની રચનાની જાહેરાત કરી. આ સિવાય સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની વાત કરી હતી.
દરમિયાન, રાજ્ય સરકારે બદલાપુર પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા, જેમણે 12 કલાક સુધી યૌન શોષણનો કેસ નોંધવાનું ટાળ્યું હતું.
આ ઘટના 12 અને 13 ઓગસ્ટે બની હતી, પોલીસે એફઆઈઆર નોંધી ન હતી
આ ઘટના 12 અને 13 ઓગસ્ટના રોજ બની હતી. આદર્શ સ્કૂલના 23 વર્ષીય સફાઈ કામદાર અક્ષય શિંદેએ બંને છોકરીઓનું યૌન શોષણ કર્યું હતું. આ પછી બંને છોકરીઓ શાળાએ જતા ડરી ગઈ હતી. માતાપિતાને શંકા ગઈ. તેમણે યુવતીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરી તો મામલો સામે આવ્યો.
એક માતા-પિતાએ એ જ વર્ગની બીજી છોકરીના માતા-પિતાનો સંપર્ક કર્યો. ડોક્ટરે તપાસ કરી તો સાચી ઘટના સામે આવી. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક શુભદા શિતોલેએ POCSO કેસ હોવા છતાં FIR નોંધવામાં વિલંબ કર્યો.
બાળકીના માતા-પિતાએ સામાજિક કાર્યકરોની મદદથી બદલાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બે દિવસ બાદ એટલે કે શુક્રવારે 16 ઓગસ્ટે મોડી રાત્રે કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપીની 17 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. આરોપી અક્ષયને 1 ઓગસ્ટે જ સ્કૂલમાં કોન્ટ્રાક્ટ પર નિયુક્ત કરવામાં આવ્યો હતો.
બદલાપુરમાં વિરોધ પ્રદર્શનની તસવીરો…
પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે શાળામાં ઘૂસવાને લઈને ઘર્ષણ થયું હતું.
દેખાવકારોએ પોલીસને છેતરીને સ્કૂલનો મુખ્ય દરવાજો ખોલાવી અંદર પ્રવેશ કર્યો હતો.
લોકોએ બદલાપુર રેલવે સ્ટેશનના પાટા પર ઉભા રહીને પ્રદર્શન કર્યું.
રેલવે સ્ટેશન પર પ્રદર્શનકારીઓએ પોલીસનો પીછો કર્યો હતો.
રેલવે સ્ટેશન પર ભારે ભીડ એકઠી થઈ ગઈ. દેખાવકારોએ ‘આરોપીઓને ફાંસી આપો’ના નારા લગાવ્યા હતા.
બદલાપુર બંધનું એલાન, શાળામાં પણ પ્રદર્શન
મંગળવારે સવારે 8 વાગે ગુસ્સે ભરાયેલા લોકોએ બદલાપુર રેલવે સ્ટેશનના પાટા પર ઉભા રહીને પ્રદર્શન શરૂ કર્યું હતું. ઘણી ટ્રેનો રોકી દેવામાં આવી હતી. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
બીજી તરફ લોકોએ શાળાની અંદર ઘૂસીને પ્રદર્શન કર્યું હતું અને તોડફોડ કરી હતી. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માગ કરી હતી. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલા લોકોના વિરોધને કારણે કલ્યાણ-બદલાપુર લોકલ ટ્રેન સેવા ઠપ થઈ ગઈ છે. તેના વિરોધમાં અનેક સંગઠનોએ બદલાપુર બંધનું એલાન આપ્યું હતું.
આ ઘટના સાથે સંબંધિત 4 મોટા અપડેટ્સ
1. પોલીસે આરોપી અક્ષયને 21 ઓગસ્ટ સુધીના રિમાન્ડ પર લીધો હતો.
2. સ્કૂલ મેનેજમેન્ટે પ્રિન્સિપાલ, એક ક્લાસ ટીચર અને એક લેડી એટેન્ડન્ટને સસ્પેન્ડ કરી દીધા છે.
3. બદલાપુરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. રાત્રે 8 વાગ્યે બદલાપુર સ્ટેશનથી લોકલ ટ્રેનોની અવરજવર શરૂ થઈ.
4. સરકારે ઉજ્જવલ નિકમની વિશેષ સરકારી વકીલ તરીકે નિમણૂક કરી છે. પીડિત યુવતીઓ વતી કેસ લડશે.
બદલાપુરમાં પોલીસે દેખાવકારોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.
વિપક્ષે કહ્યું- મહારાષ્ટ્રને શરમાવે તેવી ઘટના
- પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુનેગારોને વહેલી તકે સજા કરવાની માગ કરી છે. તેમણે કહ્યું- 10 વર્ષ પહેલા દિલ્હીમાં નિર્ભયાની ઘટના બની હતી અને દોષિતોને સજા મળી હતી, પરંતુ કેટલા સમય પછી? ન્યાયમાં વિલંબ કરનારાઓને પણ દોષિત ઠેરવવા જોઈએ. તેનું રાજનીતિકરણ ન કરવું જોઈએ.
- મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે આરોપ લગાવ્યો છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું- આ ઘટના મહારાષ્ટ્ર માટે શરમજનક છે. દરેકની માગ છે કે કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક પર થાય અને આરોપીઓને ત્રણ મહિનામાં ફાંસી આપવામાં આવે.
- મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ સોશિયલ મીડિયા પર લખ્યું – બદલાપુરની શાળામાં નાની છોકરીઓ સાથે જે ઘટના બની તે ચોંકાવનારી છે. પોલીસને કેસ નોંધવામાં 12 કલાક કેમ લાગ્યા? એક તરફ તેઓ કહે છે કાયદાનું શાસન અને બીજી તરફ પોલીસની આ કેવી ઢીલાશ છે? મહારાષ્ટ્રના મારા સૈનિકોએ આ મુદ્દો ઉઠાવ્યો છે. હું મહારાષ્ટ્રના સૈનિકોને કહેવા માંગુ છું કે જ્યાં સુધી આ કેસના આરોપીઓને કડક સજા ન મળે ત્યાં સુધી તમે આ બાબતો પર તમારું ધ્યાન રાખો.
- સપા નેતા અબુ આઝમીએ કહ્યું કે દેશમાં દરરોજ બળાત્કાર અને હત્યાની ઘટનાઓ સાંભળવા મળી રહી છે. બદલાપુરમાં બે 4 વર્ષની બાળકીઓ પર યૌન શોષણના સમાચાર સામે આવ્યા છે. જો આને રોકવું હોય તો ગુનેગારોને જાહેરમાં ફાંસી આપવી જોઈએ.