ઉત્તરાખંડ43 મિનિટ પેહલા
- કૉપી લિંક
બુધવારે ઉત્તરાખંડ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ ધ્વનિમત દ્વારા પસાર કરવામાં આવ્યું. આ સાથે જ ઉત્તરાખંડ UCC બિલ પાસ કરનારું સ્વતંત્ર ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે. મુખ્યમંત્રી પુષ્કર ધામીએ 6 ફેબ્રુઆરીએ વિધાનસભામાં આ બિલ રજૂ કર્યું હતું.
બિલ પાસ થયા બાદ હવે એને રાજ્યપાલને મોકલવામાં આવશે. રાજ્યપાલની મંજૂરી મળતાં જ આ બિલ કાયદો બની જશે અને દરેકને સમાન અધિકાર મળશે. ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણીમાં UCC લાવવાનું વચન આપ્યું હતું.
આ બિલ કાયદો બનતાંની સાથે જ ઉત્તરાખંડમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા લોકો માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી બની જશે. આમ ન કરવા પર 6 મહિના સુધીની સજા થઈ શકે છે. આ સિવાય પતિ કે પત્ની જીવિત હોય ત્યારે બીજા લગ્ન પણ ગેરકાયદે ગણવામાં આવશે.
ધામીએ કહ્યું- યુનિફોર્મ સિવિલ કોડ કાયદો બધા માટે સમાનતાનો કાયદો
UCC બિલ પાસ થયા બાદ ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું- સમાન નાગરિક સંહિતા કાયદો બધા માટે સમાનતાનો કાયદો છે. આ અંગે અલગ-અલગ લોકો અલગ-અલગ વાતો કહી રહ્યા હતા, પરંતુ વિધાનસભામાં થયેલી ચર્ચામાં બધું સ્પષ્ટ થઈ ગયું છે. અમે આ કાયદો કોઈની વિરુદ્ધ નથી લાવ્યા. આ કાયદો તે માતાઓ, બહેનો અને દીકરીઓ માટે છે, જેમને જીવનમાં અનેક અનિષ્ટોને કારણે ત્રાસનો સામનો કરવો પડતો હતો. આ કાયદો બાળકોના હિતમાં છે અને માતૃશક્તિના હિતમાં પણ છે.
સીએમ ધામીએ કહ્યું- ઉત્તરાખંડ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. દેશમાં લાંબા સમયથી માગ કરવામાં આવી રહેલા આ વિશેષ બિલની આજે દેવભૂમિ વિધાનસભામાં પહેલ કરવામાં આવી છે અને એને વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માનું છું કે તેમની પ્રેરણા અને માર્ગદર્શનથી અમને ઉત્તરાખંડ વિધાનસભામાં આ બિલ પસાર કરવાની તક મળી.
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાને કારણે અહીં શું બદલાશે?
- સમાન મિલકત અધિકારઃ પુત્ર અને પુત્રી બંનેને મિલકતમાં સમાન અધિકાર મળશે. એ કઈ કેટેગરીના છે એનાથી કોઈ ફરક પડતો નથી.
- મૃત્યુ પછીની મિલકત: જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, તો યુનિફોર્મ સિવિલ કોડ તે વ્યક્તિની મિલકતને પત્ની અને બાળકો વચ્ચે સમાનરૂપે વહેંચવાનો અધિકાર આપે છે. આ સિવાય તે વ્યક્તિનાં માતા-પિતાને પણ મિલકતમાં સમાન અધિકાર મળશે. અગાઉના કાયદામાં આ અધિકાર માત્ર મૃતકની માતાને જ મળતો હતો.
- છૂટાછેડા ફક્ત સમાન કારણ પર જ મળશે: પતિ અને પત્નીને છૂટાછેડા ત્યારે જ આપવામાં આવશે જ્યારે બંને પાસે સમાન આધારો અને કારણો હોય. જો માત્ર એક જ પક્ષ કારણ આપે તો છૂટાછેડા મળી શકશે નહીં.
- લિવ-ઇન રજિસ્ટ્રેશન જરૂરીઃ જો ઉત્તરાખંડમાં રહેતાં કપલ્સ લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતા હોય તો તેમણે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જોકે આ સ્વ-ઘોષણા જેવું હશે, પરંતુ અનુસૂચિત જનજાતિના લોકોને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે.
- બાળકની જવાબદારીઃ જો બાળક લિવ-ઈન-રિલેશનશિપમાંથી જન્મ્યું હોય તો તેની જવાબદારી લિવ-ઈન કપલની રહેશે. બંનેએ પોતાનું નામ પણ તે બાળકને આપવાનું રહેશે. આનાથી રાજ્યના દરેક બાળકને ઓળખ મળશે.
રાજ્યના આદિવાસીઓને કાયદાથી દૂર રાખવામાં આવશે
આ કાયદો રાજ્યની આદિવાસીઓને લાગુ પડશે નહીં. મતલબ કે ઉત્તરાખંડમાં રહેતી કોઈપણ જાતિ આ કાયદાથી મુક્ત રહેશે. રાજ્યમાં પાંચ પ્રકારના આદિવાસી સમુદાયો છે, જેમાં થારુ, બોક્સા, રાજી, ભોટિયા અને જૌનસારી સમુદાયનો સમાવેશ થાય છે. ચીન સાથેના 1962ના યુદ્ધ પછી તેમને 1967માં બંધારણની કલમ 342 હેઠળ આદિવાસી સમુદાયમાં સમાવેશ માટે સૂચિત કરવામાં આવ્યા હતા. હાલમાં જ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ કહ્યું હતું કે તેઓ તેમના રાજ્યમાં આદિવાસીઓને પણ આ કાયદાથી મુક્ત રાખશે.
યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો સૌપ્રથમ ક્યારે ઊઠ્યો હતો?
1835માં બ્રિટિશ સરકારે એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં ગુના પુરાવા અને કોન્ટ્રેક્ટને લઈને દેશભરમાં એકસમાન કાયદો બનાવવાની વાત કહેવામાં આવી હતી. એનો અમલ પણ 1840માં કરવામાં આવ્યો હતો, પરંતુ હિન્દુઓ અને મુસ્લિમોના પર્સનલ લોને ધર્મના આધારે એનાથી અલગ રાખવામાં આવ્યા હતા. અહીંથી જ યુનિફોર્મ સિવિલ કોડની માગ શરૂ થઈ હતી.
બીએન રાવ સમિતિની રચના 1941માં કરવામાં આવી હતી, જેમાં હિન્દુઓ માટે કોમન સિવિલ કોડ બનાવવાની વાત કરવામાં આવી હતી.
સ્વતંત્રતા પછી હિન્દુ કોડ બિલ 1948માં પ્રથમ વખત બંધારણ સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. એનો ઉદ્દેશ હિન્દુ મહિલાઓને બાળલગ્ન, સતીપ્રથા, બુરખાપ્રથા જેવા ખોટા રિવાજોમાંથી મુક્ત કરવાનો હતો.