32 મિનિટ પેહલા
- કૉપી લિંક
નેપાળથી શાલિગ્રામ શિલા અયોધ્યા લઈ જવાઈ રહી હતી.
અયોધ્યાના રામમંદિરમાં મૂર્તિ કેવી હશે, એની આતુરતા દરેકને છે. રામજન્મભૂમિ ટ્રસ્ટે ભગવાન રામની ત્રણ મૂર્તિ તૈયાર કરાવી હતી. એમાં બે શિલ્પકાર કર્ણાટકના હતા અને એક રાજસ્થાનના હતા. એમાંથી કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજે બનાવેલી મૂર્તિ પસંદ થઈ છે અને 22 તારીખે પ્રાણપ્રતિષ્ઠા થશે. હવે સવાલ એ છે કે એક વર્ષ પહેલાં નેપાળથી અયોધ્યામાં શાલિગ્રામ શિલા લાવવામાં આવી હતી, જેમાંથી રામની મૂર્તિ બનાવવામાં આવવાની હતી, આ શિલાઓનું શું થયું? એમાંથી મૂર્તિઓ કેમ ન બનાવાઈ?
નેપાળથી એક વર્ષ પહેલાં શિલાઓ લાવવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એકાદ વર્ષ પહેલાં ફેબ્રુઆરી-2023માં નેપાળની કાલીગંડકી નદીમાંથી બે મોટી શિલા કાઢીને અયોઘ્યામાં લાવવામાં આવી હતી. આ બંને શીલાનું વજન 14 અને 27 ટન હતું. કાલીગંડકી નદીના કિનારેથી લેવાયેલી આ બંને શિલાને જનકપુરના જાનકી મંદિરના માધ્યમથી અયોઘ્યા મોકલવામાં આવી હતી. પહેલા તો આ શિલામાંથી રામની મૂર્તિ બનાવવાની વાત સામે આવી, પણ પછી નિષ્ણાતોએ શિલાઓનો અભ્યાસ કરતાં આ શિલાઓ મૂર્તિ બનાવવા માટે ઉચિત નથી, એવો રિપોર્ટ સામે આવ્યો. એટલે નેપાળથી આવેલી બે મોટી શિલામાંથી રામની મૂર્તિ બનાવવાની વાત કોરાણે રહી ગઈ. એ સમયે કેટલાક સંતોએ આ શિલામાંથી મૂર્તિ બનાવવા સામે વિરોધ ઉઠાવ્યો હતો અને તેમનું કહેવું હતું કે નેપાળની કાલીગંડકી નદીમાંથી કાઢવામાં આવેલી શિલાનું મહત્ત્વ શાલિગ્રામ જેટલું છે એટલે આ શિલાઓને તોડવી યોગ્ય નથી. તો સાયન્ટિફિકલી રિપોર્ટ એવો આવ્યો હતો કે આ શિલા અંદરથી પોચી છે અને એમાં પાણીનું તત્ત્વ વધારે છે એટલે એમાંથી રામની મૂર્તિ બનાવવી યોગ્ય નથી. અત્યારે તો નેપાળથી આવેલી આ શિલાઓ અયોધ્યા રામમંદિરના પરિસરના એક ભાગમાં રાખી મૂકવામાં આવી છે. ભાવિકો આને શાલિગ્રામ માનીને પૂજી રહ્યા છે.
નેપાળની કાલીગંડકી નદીમાંથી શિલાઓ કાઢી ત્યારે પૂજાવિધિ કરાઈ હતી.
દાવો- 6 કરોડ વર્ષ જૂની છે બંને શિલા
નદીમાંથી કાઢવામાં આવેલી આ બંને શિલા લગભગ 6 કરોડ વર્ષ જૂની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. નેપાળની શાલિગ્રામ નદી ભારતમાં પ્રવેશ કરતાં જ નારાયણી બની જાય છે. સરકારી ચોપડે એનું નામ બુઢી ગંડકી નદી છે. શાલિગ્રામી નદીના કાળા પથ્થર ભગવાન શાલિગ્રામ તરીકે પૂજવામાં આવે છે. જણાવવામાં આવે છે કે શાલિગ્રામ પથ્થર માત્ર શાલિગ્રામી નદીમાં જ મળે છે. આ નદી દામોદર કુંડથી નીકળીને બિહારના સોનપુરમાં ગંગા નદીમાં ભળી જાય છે.
શિલા કાઢવા માટે પહેલા નદીની માફી માગવામાં આવી હતી
નદીમાંથી આ વિશાળ શિલાને કાઢવા માટે સૌપ્રથમ ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. નદીની માફી માગવામાં આવી હતી. વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. હવે એ શિલાઓને અયોધ્યા લાવવામાં આવી હતી.
શિલા અયોધ્યા સુધી જઈ રહી હતી ત્યારે રસ્તામાં ભક્તો શાલિગ્રામ શિલાને સ્પર્શ કરવા ઠેર-ઠેર ઊમટી પડ્યા હતા.
નેપાળના નાયબ વડાપ્રધાન, જનકપુરના મહંત પણ હાજર હતા
નેપાળથી અયોધ્યા સુધીની શિલા યાત્રાની સાથે લગભગ 100 લોકો ચાલી રહ્યા હતા. વિશ્રામ સ્થળો પર તેમના રહેવા માટેની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. વિહિપના કેન્દ્રીય ઉપાધ્યક્ષ જીવેશ્વર મિશ્ર, રાજેન્દ્ર સિંહ પંકજ, નેપાળના પૂર્વ નાયબ વડાપ્રધાન કમલેન્દ્ર નિધિ, જનકપુરના મહંત પણ આ યાત્રામાં જોડાયા હતા. તેઓ અયોધ્યા સુધી ગયા હતા. યાત્રાની સાથે રામમંદિર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચોપાલ સાથે રહ્યા હતા.
શાલિગ્રામ શિલામાંથી બન્યું રામજન્મભૂમિનું જૂનું મંદિર
પુરાતત્ત્વવિદ અને અયોધ્યા બાબતે અનેક પુસ્તકો લખાયેલાં છે. ડો. દેશરાજ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે નેપાળની શાલિગ્રામી નદીમાં કાળા રંગના એક વિશેષ પ્રકારના પથ્થર મળી આવે છે. ધાર્મિક માન્યતા મુજબ એને શાલિગ્રામ ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે. પ્રાચીનકાળની મૂર્તિકળામાં આ જ પથ્થરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
તેઓ જણાવે છે કે શાલિગ્રામ પથ્થર ખૂબ જ મજબૂત હોય છે, માટે શિલ્પકાર બારીક આકૃતિ પણ કંડારી શકે છે. આ પથ્થર તૂટતો નથી. અયોધ્યામાં ભગવાન રામની પ્રતિમા આ પ્રકારની શિલામાંથી બની છે. રામજન્મ મંદિરમાં અનેક સ્તંભ આ જ શિલાઓમાંથી બન્યા છે.