12 મિનિટ પેહલા
- કૉપી લિંક
સ્કંદ પુરાણ પ્રમાણે જેઠ મહિનાના વદ પક્ષની એકાદશીના દિવસે યોગિની એકાદશીનું વ્રત કરવાનું વિધાન છે. આ વર્ષે 2 જુલાઇ મંગળવારે આ વ્રત કરવામાં આવશે. આ દિવસે વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે. યોગિની એકાદશી વ્રતના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે.
જરૂરિયાતમંદ લોકોને દાન કરો
આ દિવસે સ્નાન કરીને સાફ કપડાં પહેરો. ત્યાર બાદ ભગવાન વિષ્ણુની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો, ચંદન, નાડાછડી, ધૂપ, દીપ, ફૂલથી પૂજા અને આરતી કરો. પૂજા બાદ જરૂરિયાતમંદ લોકો અને બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપો. બીજા દિવસે સૂર્યોદય સમયે આરાધ્યદેવને ભોગ ધરાવો, દીપ પ્રગટાવો અને પ્રસાદનું વિતરણ કરી વ્રત ખોલો. માન્યતા છે કે, આ વ્રત કરવાથી 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે
મન સ્થિર અને શાંત રાખો
એકાદશીનું વ્રત રાખનાર ઉપાસકે પોતાનું મન સ્થિર તથા શાંત રાખવું જોઇએ. કોઇપણ પ્રકારની દોષ ભાવના કે ગુસ્સો મનમાં રાખશો નહીં. અન્ય લોકોની નિંદા કરશો નહીં. આ એકાદશીએ શ્રી લક્ષ્મી નારાયણનું પવિત્ર ભાવથી પૂજન કરો. ભૂખ્યા લોકોને અનાજ અને તરસ્યા લોકોને જળ પીવડાવો. એકાદશીએ રાત્રિ જાગરણનું મહત્ત્વ છે.
આ વ્રત સાથે જોડાયેલી કથા અને પૂજાના જરૂરી વિધાનઃ-
પૌરાણિક કથાઃ-
વ્રતને લઈને પૌરાણિક કથા છે કે અલકાપુરીના રાજા કુબેર શિવભક્ત હતાં. હેમમાલી નામના એક યક્ષ તેમનો સેવક હતો, જે કુબેરની શિવપૂજા માટે ફૂલ લાવતો હતો. હેમમાલી એકવાર પત્ની પ્રેમમાં પૂજા માટે ફૂલ લાવવાનું ભૂલી ગયો. તેનાથી નિરાશ થઈને કુબેરે માલીને શ્રાપ આપ્યો કે તે સ્ત્રીના વિયોગમાં તડપે અને મૃત્યુલોકમા જઇને કોઢ રોગનો રોગી બને. કુબેરના શ્રાપથી તે કોઢ નામની ત્વચાનો રોગી બન્યો અને પત્ની પણ તેનાથી દૂર જતી રહી. એકવાર માર્કણ્ડેય ઋષિ સાથે તેની મુલાકાત થઈ. ઋષિએ તેને જેઠ મહિનાના વદ પક્ષની એકાદશીનું વ્રત કરવાથી બધા જ કષ્ટ દૂર થઈ જશે તેવી વાત જણાવી. મહર્ષિના વચન સાંભળીને હેમમાલીએ એકાદશીનું વિધાનપૂર્વક વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તે પોતાના જૂના સ્વરૂપમાં આવી ગયો અને તેનો રોગ પણ દૂર થઈ ગયો અને તે પોતાની પત્ની સાથે ફરી સુખપૂર્વક રહેવા લાગ્યો
એકાદશીએ પૂજાનું વિધાનઃ-
- સવારે જલ્દી જાગીને સ્નાન વગેરેથી નિવૃત્ત થઈ જવું. ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવો.
- પૂજા ઘરને સાફ સ્વચ્છ કરી ભગવાન વિષ્ણુનો ગંગાજળથી અભિષેક કરો. ભગવાન વિષ્ણુને ફૂલ અને તુલસી દળ અર્પણ કરો.
- આ દિવસ વ્રત રાખીને માત્ર ફળાહાર જ કરો. ભગવાન વિષ્ણુના ભોગમાં તુલસીને જરૂર સામેલ કરો.
- આ પાવન દિવસે ભગવાન વિષ્ણુ સાથે જ માતા લક્ષ્મીની પૂજા પણ કરો.
- ભગવાનની આરતી કરો. આ દિવસે ભગવાનનું વધારેમાં વધારે દાન-ધ્યાન કરો.