24 મિનિટ પેહલા
- કૉપી લિંક
દેશના 51 શક્તિપીઠોમાં જેનું સૌથી અગત્યનું સ્થાન છે તે શક્તિપીઠ અંબાજીનું મંદિર. વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળાઓમાં બિરાજમાન મા શક્તિના શક્તિપીઠમાં માનું હૃદય વસે છે. ગુજરાતની ઉત્તરમાં આવેલી અરવલ્લી પર્વતની ગીરીમાળામાં ગબ્બર આવેલો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. તેનું મુળ સ્થાનક તો ગબ્બર છે જેને આરાસુરનુ શિખર તરીકે ઓળખવામાં આવે છે. માન્યતા અનુસાર ભગવતી જગદંબાએ અહીંયા આરાસુરનો સંહાર કર્યો હતો. આરાસુર ઉપરાંત માએ મહીષાસુર, ધુમ્રલોચન અને શુંભ- નીશુંભનો નાશ પણ કર્યો હતો. અહીં અખંડ ઘી નો દીવો આજે પણ સતત પ્રગટે છે. આ મંદિરનો વિસ્તાર ચાચર ચોકના નામથી પણ ઓળખાય છે. આ મંદિરમાં પગ મુકતાં મનની મલિનતા દૂર થઈ જાય છે.
આમ તો દર વર્ષે લાખો ભક્તો મા અંબાનાં દર્શન કરવા માટે અંબાજી આવે છે. જેમાં ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાનાં દર્શન કરવાનું વિશેષ મહત્ત્વ છે. ઇ.સ 1841માં શરૂ થયેલી પગપાળા યાત્રા સંઘની પરંપરા આજે પણ યથાવત્ છે. અંબાજીમાં પૂનમના સમયે લાખોની સંખ્યામાં યાત્રિકો માતાનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે, શા માટે અહીં જય આદ્યાશક્તિ આરતીને અડધી અટકાવી 1 મિનિટનો વિરામ લેવામાં આવે છે અને શું છે ભાદરવી પૂનમના મેળાનો અને અંબાજી મંદિરનો ઇતિહાસ?
સતી પાર્વતીના હૃદયનો હિસ્સો જ્યાં પડ્યો એ સ્થાન આરાસુર કથા ભાગવત પુરાણ મુજબ, હિમાલયના રાજા દક્ષ પ્રજાપતિ એ બૃહસ્પતિષ્ક નામના યજ્ઞમાં બધા દેવોને આમંત્રણ આપ્યું, પણ જમાઈ ભગવાન શિવને આમંત્રણ ન આપ્યું. તેમ છતાં સતી પાર્વતી પિતાને ઘરે પહોંચી ગયાં. એ વખતે દક્ષે શિવજી વિશે અપમાનજનક શબ્દો ઉચ્ચારતાં પાર્વતી યજ્ઞકુંડમાં કૂદી પડ્યાં. શિવજીએ પાર્વતીના દેહને ખભા પર મૂકી તાંડવ નૃત્ય કર્યું. શિવના ક્રોધથી સમગ્ર સૃષ્ટિ ભયભીત થતાં ભગવાન વિષ્ણુએ ચક્ર વડે સતીના દેહના ટુકડા કર્યા. એ વખતે જ્યાં જ્યાં સતીના દેહના ટુકડા પડ્યા એ દરેક સ્થાનો શક્તિપીઠ તરીકે ઓળખાયાં.
સતી પાર્વતીના હૃદયનો હિસ્સો જ્યાં પડ્યો એ સ્થાન આરાસુરી અંબાજી શક્તિપીઠ તરીકે ઓળખાયું. તંત્ર ચુડામણિમાં ઉલ્લેખ મુજબ, 51 શક્તિપીઠોમાં ઉલ્લેખાતાં અંબાજીમાં દેવી સતીના હૃદયનો અને અર્બુદાચલ (માઉન્ટ આબુ) પર્વત ઉપર અધર (હોઠ) ના ભાગ પડ્યા હતા.
અંબાજી મંદિર વિશે હિન્દુ પૌરાણિક કથાઓ પ્રચલિત છે દેવી ભાગવતની કથા અનુસાર મહિષાસુરે તપ કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા. આથી પ્રસન્ન થઈને અગ્નિદેવે મહિષાસુરને વરદાન આપ્યું કે, નર જાતિના નામવાળાં શસ્ત્રોથી તેને મારી શકાશે નહીં. આ વરદાનથી મહિષાસુરે દેવોને હરાવી દીધા. તેણે ઇન્દ્રાસન જીત્યું અને ઋષિઓના આશ્રમોનો નાશ કર્યો. પછી તેણે વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું. આથી દેવોએ ભગવાન શિવની મદદ માગી. ભગવાન શિવે મદદ માટે દેવી શક્તિની આરાધના કરવા દેવોને જણાવ્યું.
દેવોએ દેવી શક્તિની આરાધના કરતાં આદ્યશક્તિ પ્રગટ થયાં અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો. આથી દેવી ‘મહિષાસુર મર્દિની’ તરીકે ઓળખાયાં. બીજી એક કથા મુજબ સીતાજીની શોધ કરતાં કરતાં રામ અને લક્ષ્મણ આબુ પર્વતનાં જંગલોની દક્ષિણે આવેલા શ્રૃંગી ઋષિના આશ્રમે આવ્યા અને શ્રૃંગી ઋષિએ ગબ્બરનાં દેવી અંબાજીની આરાધના કરવા કહ્યું. રામ અને લક્ષ્મણે આરાધના કરી અને દેવીએ પ્રસન્ન થઈને ‘અજય’ નામનું એક બાણ આપ્યું. તેનાથી રામે રાવણનો નાશ કર્યો.
મૂળ સ્થાનકમાં ઝળહળે છે માંની જ્યોત ભારતમાં એકમાત્ર આ એવું સ્થળ છે, જ્યાં શક્તિપીઠના પરિસરમાં જ વીસાયંત્રનો અભિષેક થતો હોય. યંત્રની બિલકુલ નજીકથી ગંગાજળથી અભિષેક સાથે શ્લોકાત્મક પૂજા કરવાની વિશેષ વ્યવસ્થા છે. મા અંબાના દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, અહીં મૂળ સ્થાનકમાં માતાજીની મૂર્તિ જ નથી. અહીં વીસાયંત્રની પૂજા કરાય છે. આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે, જે ઉજ્જૈન તેમજ નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું છે. યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. આ યંત્ર શુદ્ધ સોનાનું છે. માતાજીના યંત્રના સ્થાનમાં આંખથી જોવાનો નિષેધ હોઇ પૂજારી પણ આંખે પાટા બાંધીને પૂજા કરે છે. ગોખમાં એવી રીતે વસ્ત્રાલંકારો તથા આભૂષણોનો શણગાર કરાય છે કે દર્શન કરનારને સવાર, બપોર અને સાંજે માતાજી જાણે વાઘ ઉપર બેઠાં હોય.
વિશ્વની એક માત્ર આરતીમાં જ્યાં વચ્ચે એક મિનિટનો વિરામ લેવાય છે અંબાજી વિશ્વની એવી શક્તિપીઠ છે જ્યાં સવાર-સાંજની આરતીમાં વચ્ચે એક મિનિટનો વિરામ લેવાય છે. ‘જય આદ્યશક્તિ… મા જય આદ્યશક્તિ…’ આ આરતી આગળ વધે અને ‘તેરશે તુળજારૂપ તમે તારૂણી માતા…’ પંક્તિ પછી અચાનક આરતી વિરામ લે છે અને એક મિનિટ પછી ‘ચૌદશે ચૌદા રૂપ ચંડી ચામુંડા…’પંક્તિથી આરતી પુન: શરૂ થાય છે. આ વિરામ દરમિયાન પૂજારી પોતાની આંખે પાટા બાંધી પ્રજ્વલિત આરતી દ્વારા મા અંબાના વીસાયંત્રની વિશેષ પૂજા કરે છે.
શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધિ માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યાં હતાં દ્વાપર યુગના સમયગાળા દરમિયાન ભગવાન કૃષ્ણના વાળ પણ અહીં આ ગબ્બર ટેકરી પર ઉતારવામાં આવ્યા હતા, ભગવાન કૃષ્ણનાં પાલક માતાપિતા નંદ અને યશોદાએ પણ દેવી અંબાજી અને ભગવાન શિવની પૂજા કરી હતી. મેવાડના જાણીતા રાજપૂત રાજા મહારાણા પ્રતાપ આરાસુરી અંબા ભવાનીના સાચા ભક્ત હતા. તેમને એકવાર માતા અંબાજીએ બચાવ્યા હતાં તેથી તેમણે તેમની પ્રખ્યાત તલવાર માતા આરાસુરી અંબાજીના પવિત્ર ચરણોમાં ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી.
હવે જાણીએ ભાદરવી પૂનમનો મહામેળા વિશે…
કેમ યોજાય છે ભાદરવી પૂનમનો મહામેળો ભારતીય પંચાંગ મુજબ ભાદરવા બાદ આસો મહિનો આવે છે. જેમાં મા આદ્યશક્તિની આરાધના માટે નવ દિવસનું નવરાત્રી થાય છે. ભાદરવી પૂનમના મેળાનું ધાર્મિક મહત્ત્વ એ છે કે, નવરાત્રિ નિમિત્તે મા અંબાના શક્તિપીઠને ધજા ચડાવી લોકો પોતાના ગામ લઈ જાય છે. ઉપરાંત અનેક પગપાળા સંઘો ગરબો લઈ માના દ્વાર સુધી આવે છે.
મા અંબાને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ આવવા માટેનું આમંત્રણ આપે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાના કારણે ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાને નવરાત્રીનું આમંત્રણ આપવા માટે અનેક ભાવિક ભક્તો ભાદરવી પૂનમના મહામેળામાં આવી મા અંબાના આશીર્વાદ લઈ માને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ પધારવા માટેનું આમંત્રણ આપે છે.
માતાને નવરાત્રી નિમિત્તે આમંત્રણ આપવા લાખો ભક્તો અંબાજી પગપાળા આવે છે આધુનિક યુગમાં પણ લોકોની આસ્થા અકબંધ છે. દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં માઇભક્તોએ મા અંબાનાં દર્શન કરી નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ પધારવા મા અંબાને આમંત્રણ આપે છે. આજે પણ જ્યારે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે ત્યારે ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લોકો પગપાળા આવી મા અંબાનાં દર્શન કરે છે. પોતાની જે પણ મનોકામના છે તેને આગળ મૂકે છે અને તે પૂર્ણ થતાં જ લોકો કઠિન પદયાત્રા કરી મા અંબાનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.
અંબાજીમાં પદયાત્રાનો ઇતિહાસ એક માન્યતા મુજબ ભાદરવી પૂનમની આ પદયાત્રાનો ઇતિહાસ રોમાંચક છે. પાટણના શિહોરીનાં રાજમાતાના કુંવર ભીમસિંહને પંચાવન વર્ષ થયા હોવા છતાં પણ સંતાનની ખોટ હોવાથી રાજમાતાએ એક દિવસે રામસિંહ રાયકા નામના ભૂવા પાસેથી આ બાબતે સલાહ માગી ત્યારે તેમને ખબર પડી કે, તેમની કુળદેવી અંબાજી છે અને એના આશીર્વાદ થકી તેમને ત્યાં પારણું બંધાશે. ત્યાર બાદ ભીમસિંહને ત્યાં પુત્ર જન્મ્યો હતો. ભીમસિંહને ત્યાં પારણું બંધાતાં તેઓએ સવા વર્ષ અંબાજી ખાતે યજ્ઞ કરવા અને એકાવન ભૂદેવોને જમાડવા અંબાજી પધારવા કહ્યું હતું. ભુવાજી અને 51 બ્રાહ્મણો 1841ની ભાદરવા સુદ 10ના રોજ એક સંઘ રૂપે અંબાજી જવા નીકળ્યા હતા. પ્રથમવાર ભીમસિંહ બાપુના આમંત્રણથી અંબાજી પહોંચેલા આ બ્રાહ્મણોએ પાંચ વર્ષ સુધી અંબાજી જવાની માનતા લઇને પગપાળા સંઘની સ્થાપના કરી હતી. પરંપરા આજે દેશવ્યાપી બની ચૂકી છે. આજે નાના-મોટા 1600થી વધુ સંઘ ભાદરવી પૂનમે અંબાજી પહોંચે છે.
લાલ દંડા સંઘે અંબાજી પગપાળા યાત્રાની શરૂઆત કરી હોવાનું અનુમાન લાલ દંડા સંઘની પાછળ ઇતિહાસ પણ જોડાયેલો છે. કહેવાય છે કે, વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પ્લેગ રોગ ફાટી નીકળ્યો હતો. ત્યારે તત્કાલીન નગરશેઠ દ્વારા અંબાની બાધા રાખવામાં આવી હતી કે, ‘જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઇ જશે તો તેઓ મા અંબાનાં દર્શને આવશે. ભાદરવી પૂનમમાં નગરના બ્રાહ્મણો સંઘ લઈ અંબાના સાંનિધ્યમાં આવશે.’- જેને પગલે વર્ષો પહેલાં અમદાવાદથી પાંચ બ્રાહ્મણો અંબાજી પગપાળા આવ્યા હતા. દાંતા રાજવી પરિવાર વર્ષોથી અંબાજી આવતા લાલ દંડા સંઘને તમામ સુવિધાઓ કરી આપે છે. આજે પણ આ પરંપરા અવિરત ચાલુ છે. જ્યારે પણ લાલ દંડા સંઘ દાંતા પહોંચે છે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. દાંતા રાજવી પરિવારના જૂના મહેલમાં રહેલા મા અંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલ દંડા સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે. જ્યાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર આ લાલ દંડા સંઘનું સ્વાગત કરે છે.
અંબાજી મંદિરનું સ્થાપત્ય ખૂબ જ કલાત્મક અને અદભુત છે જે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓની સાક્ષી પૂરે છે. 103 ફૂટની ઊંચાઈએ મંદિરની ટોચ પર એક જાજરમાન શિખર શોભે છે. જે માતા અંબાજી અને ત્રિશૂલના પવિત્ર ધ્વજની સાથે જોડવામાં આવ્યું છે. અંબાજીના મુખ્ય મંદિરમાં એક વિશાળ મંડપ અને ગર્ભગૃહમાં માતાના પવિત્ર મંદિર કરતાં નાનું છે. તેની સામે એક વિશાળ ચાચાર ચોક છે. નિજ મંદિર મધ્યમ આકારનું છે અને તેમાં દેવીની કોઈ મૂર્તિ કે ચિત્ર નથી આરાસુર માતા અંબાજી આંતરિક ગર્ભગૃહની દીવાલોમાં ગોખમાં બેઠેલાં છે તેવું માનવામાં આવે છે.
મંદિરની ઉપરનો કળશ સંપૂર્ણ સોનામાંથી બનાવવામાં આવ્યો છે. મંદિરની આગળ મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે. માતાજીના સ્થાનકમાં માતાની મૂર્તિ નથી, પણ ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભૂષણો ગોઠવવામાં આવે છે કે, જેથી કરીને દર્શન કરનારને સવાર, બપોર ને સાંજે જાણે કે વાધ ઉપર માતાજી બેઠાં હોય એવાં દર્શન થાય છે. આ માતાજી આગળ વર્ષોથી ઘીના બે અખંડ દીવા બળે છે. મંદિરમાં અંદરના ખંડને જાળીવાળા રૂપાના પતરાં મઢેલા બારણાં છે, ધાર્મિક વિધિ તથા યજ્ઞાદિક કાર્યો માટે યજ્ઞશાળા બનાવવામાં આવી છે.
મંદિર ક્યાંથી કેટલું દૂર? આ મંદિર ગુજરાત અને રાજસ્થાનની સીમા પર, વિખ્યાત વેદિક કુમારિકા સરસ્વતી નદીની ઉત્તરે તેમ જ આરાસુર પર્વતની ટેકરીઓ પર આવેલું છે. એટલું જ નહીં, અંબાજી મંદિર 51 શક્તિપીઠોમાંથી એક છે. અંબાજી માતા મંદિર ભારતનાં મુખ્ય પીઠમાંનું એક છે, જે પાલનપુરથી આશરે 65 કિલોમીટર દૂર, માઉન્ટ આબુથી 45 કિલોમીટર અને આબુ રોડથી 20 કિલોમીટર અને અમદાવાદથી 185 કિલોમીટરના અંતરે આવેલું છે.