- Gujarati News
- Dharm darshan
- How To Worship For Long Life Of Husband; Moon Sighting In Ahmedabad At Around 8.28 Am, Know Moon Sighting Time Of Other City
2 કલાક પેહલા
- કૉપી લિંક
આસો માસની ચતુર્થી તિથિના કરવા ચોથ મનાવવામાં આવે છે. હિંન્દુ ધર્મમાં પરિણીત મહિલાઓ પતિની લાંબી ઉંમર માટે આ નિર્જળા વ્રત રાખે છે અને સાંજે ચંદ્ર દર્શન કરીને પછી જ પોતાનું વ્રત ખોલે છે. આ વખતે કરવા ચોથ 20 ઓક્ટોબર રવિવારના રોજ મનાવવામાં આવશે, કરવા ચોથ માટે ધર્મ-શાસ્ત્રમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. જેનું પાલન જરૂરી છે. આ નિયમ પાળવામાં આવે તો જ કરવા ચોથનું પૂર્ણ ફળ મળશે. આવો જાણીએ કરવા ચોથ વ્રતની પૂજા મુહૂર્ત અને વિધિ…
વિવાહિત જીવન સુખમય બને છે પરિણીત મહિલાઓ માટે કરવા ચોથનું વ્રત ખૂબ જ વિશેષ છે. માન્યતાઓ અનુસાર, દેવી પાર્વતીએ ભગવાન શિવ માટે આ વ્રત રાખ્યું હતું અને દ્રૌપદીએ પાંડવો માટે આ વ્રત રાખ્યું હતું. લગ્નના 16 કે 17 વર્ષ સુધી કરવા ચોથનું વ્રત કરવું ફરજિયાત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે મહિલા કરવા ચોથનું વ્રત રાખે છે તેના પતિનું આયુષ્ય લાંબુ હોય છે. આ ઉપરાંત તેના દામ્પત્ય જીવનમાં હંમેશા ખુશીઓ રહે છે. પતિ-પત્ની વચ્ચેનો સંબંધ મજબૂત રહે છે. જ્યારે અપરિણીત છોકરીઓ સારો પતિ મેળવવા માટે કરવા ચોથનું વ્રત રાખે છે.
કરવા ચોથ મુહૂર્ત કરવા ચોથ વ્રત આસો વદ ચોથ તિથિ પર રાખવામાં આવે છે. પંચાગ મુજબ આસો વદ ચોથ તિથિ 19 ઓક્ટોબર 2024ના રોજ સાંજે 06:17 વાગ્યે શરૂ થાય છે અને 20 ઓક્ટોબરના રોજ બપોરે 03.47 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 20 ઓક્ટોબરને રવિવારે કરવા ચોથનું વ્રત કરવામાં આવશે. આવો જાણીએ આ તારીખ, શુભ સમય અને મહત્ત્વ
કરવા ચોથના દિવસે ભદ્રાનો પડછાયો કરવા ચોથના દિવસે ભદ્રા સવારે 06.24 થી 06.46 સુધી રહેશે. ભદ્રકાળનો પ્રારંભ ચોથ વ્રતની શરૂઆતમાં થશે. આવી સ્થિતિમાં વ્રત કરનારે સૂર્યોદય પહેલા સ્નાન કરવું જોઈએ, સરગી લેવી જોઈએ અને ઉપવાસનો સંકલ્પ કરવો જોઈએ. આવી સ્થિતિમાં, ઉપવાસ ભદ્રા કાળની શરૂઆત પહેલા જ શરૂ થઈ જશે
કરવા ચોથની પૂજા સામગ્રીઃ-
- ચોથ માતા અને શિવ પરિવારની પૂજા માટે થાળીમાં અબીર, ગુલાલ, કંકુ, હળદર, મહેંદી, નાળાછડી, જનોઈ, ફૂલ, ચોખા, ચંદન, અત્તર, ઘીનો દીવો, અગરબત્તી નારિયેળ અને મીઠાઈ હોવી જોઇએ.
- ચંદ્રની પૂજા માટે થાળીમાં ચાયણી, અર્ઘ્ય આપવા માટે જળ અને વ્રત ખોલવા માટે પાણી તથા મીઠાઈ હોવી જોઇએ.
- અમુક જગ્યાએ સ્થાનિક પરંપરાઓ પ્રમાણે પતાશાથી ભરેલો કળશ રાખવામાં આવે છે. સાથે જ, પરણિતાઓ સાથે જોડાયેલી સામગ્રી જેમ કે, બિંદી, સિંદૂર, બંગડી હોય છે.
- સાસુ કે ઘરમાં કોઇ વડીલ મહિલા હોય તો તેમના માટે કપડાં પણ રાખવામાં આવે છે. કરવા માતાની પૂજા અને કથા વાંચી લીધા પછી આ બધી વસ્તુઓ પોતાની સાસુ કે ઘરની વડીલ મહિલાને આપવામાં આવે છે.
કરવા ચોથ વ્રત અને પૂજા વિધિઃ-
- સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા પછી પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય સાથે જ, અખંડ સૌભાગ્ય માટે સંકલ્પ લો.
- આ દિવસે પોતાની શક્તિ પ્રમાણે સ્નાન કર્યા પછી કઇંપણ ખાધા-પીધા વિના રહો. આ શક્ય ન હોય તો થોડો ફળાહાર કરી શકાય છે.
- સાંજે જ્યાં પૂજા કરવાની છે, ત્યાં એક લાલ કપડું પાથરીને તેના ઉપર ભગવાન શિવ-પાર્વતી, સ્વામી કાર્તિકેટ અને ભગવાન શ્રીગણેશની સ્થાપના કરો.
- ચોથ માતાની તસવીર લગાવો અને પૂજા સ્થાન ઉપર માટીનો કરવો (કળશ) પણ રાખો.
- કરવામાં થોડું પાણી ભરો અને દીવાથી ઢાંકીને એક રૂપિયાનો સિક્કો રાખો. તેના ઉપર લાલ કપડું રાખો.
- પૂજા સામગ્રીથી બધા દેવતાઓની પૂજા કરો. લાડવાનો ભોગ ધરાવો અને આરતી કરો.
ચંદ્ર અને સૌભાગ્ય પૂજા વિધિઃ-
- જ્યારે ચંદ્ર ઉદય થઇ જાય ત્યારે ચંદ્રની પૂજા કરો. ચંદ્રને જળ ચઢાવો એટલે અર્ઘ્ય આપો. પછી ચંદન, ચોખા, અબીર, ગુલાલ, ફૂલ અને અન્ય સામગ્રી પણ ચઢાવો.
- ત્યાર બાદ પોતાના પતિના પગ સ્પર્શ કરો. તેમના માથે તિલક લગાવો. પતિની માતા એટલે પોતાની સાસુને પોતાનો કરવા ભેટ કરીને આશીર્વાદ લો.
- સાસુ ન હોય તો પોતાનાથી ઉંમરમાં મોટી અથવા માતા સમાન પરવારની કોઇ અન્ય પરણિતા મહિલાઓને કરવો ભેટ કરો. ત્યાર બાદ પરિવાર સાથે ભોજન કરો.
- કરવા ચોથની પૂજનની આ સામાન્ય વિધિ છે. પોત-પોતાના રીતિ-રિવાજો અને ક્ષેત્રો પ્રમાણે પણ પૂજા કરી શકાય છે.
કરવા ચોથ સરગી ખાવી કેમ જરૂરી છે? સાસુ પોતાની વહુને કરવા ચોથની સરગી આપે છે અને તેના દ્વારા તે વહુને સદા સૌભાગ્યવતી રહેવાના આશીર્વાદ આપે છે. સરગી થાળીમાં શૃંગારની તમામ 16 વસ્તુઓ ઉપરાંત મીઠાઈઓ, ફળો, સૂકા ફળો, દૂધ, દહીં વગેરે હોય છે. આ વસ્તુઓને ખાઈને કરવા ચોથનું વ્રત શરૂ કરવામાં આવે છે અને પછી રાત્રે ચંદ્રને અર્ધ્ય અર્પણ કર્યા પછી પતિના હાથનું પાણી પીને વ્રત ખોલવામાં આવે છે. માટે સરગી ખાવી જોઈએ અને સાસુના આશીર્વાદ લેવા જોઈએ. જો સાસુ ન હોય તો જેઠાણી કે બહેન પણ સરગી આપી શકે.
કરવા ચોથ કથા પ્રાચીન સમયમાં એક ગુણવાન, બુદ્ધિશાળી અને ધર્મપારાયણ બ્રાહ્મણ રહેતો હતો. તેને ચાર પુત્રો અને એક સુંદર તથા ગુણવાન પુત્રી હતી. બ્રાહ્મણે પુત્રો અને પુત્રીના લગ્ન ધામેધૂમે કર્યા હતા. પુત્રી પિતાના ઘરે આવી હતી. ભાભીઓ સાથે બહેને કરવા ચોથનું વ્રત રાખ્યું હતું.
રાત્રે ભાઈઓ જમવા બેઠા ત્યારે તેમણે બહેનને જમવાનું કહ્યું, પણ બહેને કહ્યું કે ચંદ્રના દર્શન કર્યા પછી જમશે. આખો દિવસની ભૂખના કારણે બહેન સ્થિતિ ખરાબ હતી. આથી તેના ભાઈઓને તેના પર દયા આવી. તેઓએ કપટ કરી એક કૃત્રિમ ચંદ્ર બનાવ્યો અને બહેનને તે જોઈ જમવાનું કહ્યું. ભાભીઓએ બહેનને ચંદ્રને અર્ધ્ય આપવાનું કહ્યું પરંતુ બહેને આપ્યું હતું. ભાભીઓએ એમ પણ કહ્યું કે આ કૃત્રિમ ચંદ્ર છે પણ બહેન માની નહી અને ભોજન કરી લીધું.
ભોજન પત્યા પછી તરતજ તેના પતિનું મોત થઈ ગયું. આથી તે વિલાપ કરવા લાગી. આ સમયે ઈન્દ્રાણી પૃથ્વી પર વિચરણ કરતા કરવા નીકળ્યા હતા. તેણે આ બહેનને વિલાપ કરતી જોય દુ:ખનું કારણ પૂછ્યું. બહનેની હકિકત જાણ્યા પછી ઈન્દ્રાણી બોલ્યા કે તે ચંદ્રને અર્ધ્ય આપ્યા વગર ભોજન કર્યું હતું એટલા માટે તને આ ફળ મળ્યું છે. હવે તું પૂરી શ્રદ્ધા અને ભક્તિથી વ્રત કર તો તને તારો પતિ જીવતો થશે. બહેને ફરી વિધિવત વ્રત કર્યું અને તેનો પતિ જીવીત થયો.
પતિના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામનાથી મહિલાઓ આખો દિવસ ભોજન કર્યા વિના અને પાણી પીધા વિના વ્રત રાખશે. સાંજે ચંદ્રનાં દર્શન કરીને અર્ઘ્ય આપવામાં આવશે. આ દિવસે સૌથી વધારે ચંદ્રની રાહ જોવામાં આવે છે. સામાન્ય રીતે ચંદ્રનાં દર્શન જલદી થઈ જાય છે, પરંતુ ચોથના દિવસે ચંદ્રોદયમાં વધારે સમય લાગે છે. એ પાછળ ભૌગોલિક અને જ્યોતિષીય કારણ છે.
ખગોળ વિજ્ઞાનમાં ચંદ્ર અને પૃથ્વીની ગતિ પૂનમના દિવસે સૂર્ય અને ચંદ્ર 180 ડિગ્રીએ હોય છે, એટલે સામસામે હોય છે, એટલે પૂર્ણિમાએ સૂર્યાસ્ત થતાં જ ચંદ્ર પૂર્વથી ઉદય થાય છે.
- ચંદ્ર, પૃથ્વી તરફ અને પૃથ્વી, સૂર્યની પરિક્રમા કરીને આગળ વધે છે.
- પૃથ્વીની ગતિને કારણે ચંદ્ર રોજ લગભગ 12 ડિગ્રી પૃથ્વીથી પાછળ થઇ જાય છે.
- આ પ્રકારે ચોથ તિથિએ ચંદ્ર પૃથ્વીથી લગભગ 48 ડિગ્રી પાછળ અને આકારમાં નાનો થઇ જાય છે.
- પોતાના અંતરને પૂર્ણ કરવામાં ચંદ્રને રોજ લગભગ 48 મિનિટ વધારે લાગે છે.
- આ કારણે ચોથના દિવસે સૂર્યાસ્ત પછી લગભગ 2.30 કલાક મોડો ચંદ્ર દેખાય છે.
ચંદ્રનાં દર્શન ન થાય ત્યારે પણ પૂજા થઈ શકે છે સૂર્ય અને ચંદ્ર ક્યારેય અસ્ત થતા નથી, પરંતુ પૃથ્વીને કારણે આપણે એને જોઇ શકતા નથી. એવામાં જ્યોતિષીય ગણનાની મદદથી ચંદ્રને જોવાનો સમય બતાવવામાં આવે છે, જેને સામાન્ય ભાષામાં ચંદ્રોદય કહેવામાં આવે છે, એટલે કરવાચોથના દિવસે ચંદ્રોદયના સમય પ્રમાણે પૂજા કરવામાં આવે છે. દેશના થોડા ભાગમાં ભૌગોલિક સ્થિતિ અથવા વાતાવરણમાં પ્રદૂષણને કારણે ચંદ્રદર્શન થઇ શકતાં નથી, જો ચંદ્ર દેખાય નહીં તો પંચાંગના સમય પ્રમાણે ચંદ્રોદયની દિશા તરફ પૂજા કરી લેવી જોઇએ અને ચંદ્રને અર્ઘ્ય આપવું જોઇએ. આવું કરવાથી દોષ લાગતો નથી.
મહાભારતમાં ચંદ્રપૂજા અને વ્રત મહાભારતકાળથી આ વ્રત કરવામાં આવી રહ્યું છે. કૃષ્ણના કહેવાથી દ્રૌપદીએ અર્જુન માટે આ વ્રત કર્યું હતું. અજ્ઞાતવાસમાં અર્જુન તપસ્યા કરવા નીલગિરી પર્વત ઉપર જતો રહ્યો હતો. દ્રૌપદીએ અર્જુનની રક્ષા માટે ભગવાન કૃષ્ણ પાસે મદદ માગી. તેમણે દ્રૌપદીને તેવો જ ઉપવાસ રાખવાનું કહ્યું, જેવો માતા પાર્વતીએ ભગવાન શિવ માટે રાખ્યો હતો. દ્રૌપદીએ ઉપવાસ કર્યો અને થોડા સમય પછી અર્જુન સુરક્ષિત પાછા ફર્યો. આ વ્રતમાં દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણની પૂજા ચંદ્ર સ્વરૂપમાં કરી હતી.
રામચરિતમાનસમાં ચંદ્રની પૂજા રામચરિતમાનસના લંકાકાંડ પ્રમાણે, શ્રીરામ જ્યારે સમુદ્ર પાર કરીને લંકા પહોંચ્યા ત્યારે તેમણે સાથીઓને ચંદ્રની વચ્ચે રહેલી કાળાશ અંગે પૂછ્યું. બધાએ પોતાના વિવેક પ્રમાણે જવાબ આપ્યો. શ્રીરામે સમજાવતાં કહ્યું, ચંદ્ર અને વિષ સમુદ્ર મંથન દરમિયાન બહાર આવ્યાં હતાં. વિષ ચંદ્રનો ભાઈ છે. એટલે તેમણે વિષને પોતાના હ્રદયમાં સ્થાન આપ્યું છે. પોતાનાં વિષયુક્ત કિરણોને ફેલાવીને તે વિયોગી નર-નારીને જલાવતો રહે છે.
આ સંપૂર્ણ પ્રસંગનો મનોવૈજ્ઞાનિક પક્ષ એ છે કે જે પતિ-પત્ની કોઈ કારણવશ એક-બીજાથી જુદા થઈ જાય છે, ચંદ્રની વિષયુક્ત કિરણો તેમને વધુ કષ્ટ પહોંચાડે છે, એટલે કરવાચોથ પર ચંદ્રની પૂજા કરી મહિલાઓ એવી કામના કરે છે કે કોઈપણ કારણે તેમને તેમના પ્રિયતમનો વિયોગ ન સહન કરવો પડે. આ જ કારણ છે કે કરવાચોથના દિવસે ચંદ્રની પૂજા કરવાનું વિધાન છે.