- Gujarati News
- Dharm darshan
- Dharm
- With One Stroke Of Shiva’s Bow, Sita Lifted The Bow With One Hand, Which Used To Tear The Clouds Apart And Make The Earth Tremble.
4 કલાક પેહલા
- કૉપી લિંક
17 ડિસેમ્બર, રવિવારના રોજ વિવાહપંચમી અર્થાત્ રામ-સીતાના લગ્નની તિથિ છે. સામાન્ય રીતે આપણે ત્યાં ધનારક કમુરતાંમાં લગ્ન થતાં નથી એટલે આ ઉત્સવને વધુ મહત્ત્વ નથી આપવમાં આવતું, પરંતુ ઉત્તર ભારતનાં કેટલાંક રાજ્યોમાં વિવાહ-પંચમીનો પાંચ દિવસનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આજે અમે વિવાહ-પંચમી નિમિત્તે રામ-સીતાનાં લગ્ન એટલે સીતાના સ્વયંવર સાથે જોડાયેલી સૌથી મહત્ત્વની કડી એટલે શિવધનુષ વિશે વાત કરીશું. રામ-સીતાની સૌથી મોટી કારણભૂત કડી બની ગયેલાં ભગવાન શિવના ધનુષનું રામ-સીતાના જન્મોના અનેક યુગો પહેલાં તેનું સર્જન થયું હતું અને આ શિવધનુષનો અનેક હેતુ માટે ઉપયોગ થયો હતો પરંતુ ભગવાન વિષ્ણુના રામ અવતાર દરમિયાન દેવી સીતા સાથે તેનું જોડાણ એ સૌથી મોટો ઉદ્દેશ્ય હતો. આજે જાણો આ ધનુષ વિશેના તમામ પૌરાણિક તથ્યો અને તેની ઉત્પત્તિથી અંત સુધીનાં તમામ રહસ્યમય તથ્યો….
શિવધનુષ (સંસ્કૃત- शिवधनुष: કે પિનાક (સંસ્કૃત- पिनाक:) ભગવાન શિવનું ધનુષ છે. હિન્દુ મહાકાવ્ય ‘રામાયણ’માં આ ધનુષનો ઉલ્લેખ છે, જ્યારે શ્રીરામ તેને જનકની પુત્રી સીતાને પોતાની પત્નીના રૂપમાં જીતવા માટે આ ધનુષ્યનો ભંગ કરે છે.
શિવજીના પિનાક ધનુષ્યની ઉત્પત્તિની કથાઃ
ભગવાન શ્રીરામે, ગુરુ વિશ્વામિત્રજીના આદેશ પર, ભગવાન શિવનું કઠણ ધનુષ તોડી નાખ્યું અને સીતાજીના સ્વયંવર દરમિયાન સીતાજી સાથે લગ્ન કર્યાં. પરંતુ ભગવાન શિવનું ધનુષ્ય કોણે બનાવ્યું અને કોનાથી અને કેવી રીતે તે ધનુષ્ય મહારાજ જનકજી સુધી પહોંચ્યું તેનું રહસ્ય બહુ ઓછા લોકો જાણે છે. ચાલો જાણીએ, ભગવાન શિવના તે દિવ્ય ધનુષ્યની કથા…
તપસ્યામાં લીન કણ્વઋષિ પર રાફડો બંધાતાં માથા પર વાંસ ઊગી ગયાં-
પિનાક ધનુષની એક ખૂબ જ અજાણી કથા છે. એવું કહેવાય છે કે, એક વખત કણ્વ ઋષિ ગોર કાનનની અંદર ઘોર તપસ્યા કરી રહ્યા હતા. તપસ્યા કરતી વખતે સમાધિમાં હોવાને કારણે, તેમને ખ્યાલ ન આવ્યો કે તેમનું શરીર ઉધઈના રાફડામાં ફેરવાઈ ગયું છે. એ માટીના ઢગલા પર સુંદર વાંસ ઊગ્યો. જ્યારે કણ્વજીની તપસ્યા પૂર્ણ થઈ ત્યારે બ્રહ્માજી પ્રગટ થયા અને પોતાના અચૂક જળથી કણ્વજીના શરીરને સુંદર બનાવ્યું. બ્રહ્માજીએ તેમને ઘણાં વરદાન આપ્યાં અને જ્યારે બ્રહ્માજી વિદાય થવા લાગ્યા ત્યારે તેમને સમજાયું કે, કણ્વની મૂર્તિ પર ઊગતાં વાંસ કોઈ સામાન્ય હોઈ શકે નહીં. તેથી તેનો સારી રીતે ઉપયોગ કરવો જોઈએ. એમ વિચારીને બ્રહ્માજીએ તે વાંસ કાપીને વિશ્વકર્માજીને આપ્યો. વિશ્વકર્માએ તેમાંથી બે દિવ્ય ધનુષ્ય બનાવ્યાં, જેમાંથી એક તેમણે ભગવાન વિષ્ણુને અને એક ભગવાન શિવને અર્પણ કર્યું, જેનું નામ ‘પિનાક’ હતું.
પિનાકના એક જ પ્રહારથી વાદળો ફાટી જતાં હતાં, પૃથ્વી ધ્રૂજી જતી હતીઃ
ભગવાન શિવને ‘પિનાકીન’ કહેવામાં આવે છે, કારણ કે તેઓ પિનાક ધનુષ ધરાવે છે. પિનાક ધનુષ્ય જે ભગવાન શિવે ધારણ કર્યું હતું તેના એક જ પ્રહારથી વાદળો ફાટી જતાં હતાં અને પૃથ્વી ધ્રૂજી જતી હતી. જાણે ભયંકર ભૂકંપ આવ્યો હોય. આ અસાધારણ ધનુષ્ય અત્યંત શક્તિશાળી હતું. ભગવાન શંકરે માત્ર એક બાણથી ત્રિપુરાસુરનાં ત્રણેય નગરોનો નાશ કર્યો હતો.
દેવતાઓએ આ ધનુષને જનકજીના 16મા પૂર્વજ દેવરથને સોંપેલું
દેવી-દેવતાઓના સમયગાળાના અંત પછી આ ધનુષ્ય દેવતાઓને સોંપવામાં આવ્યું હતું. દેવતાઓએ આ ધનુષ્ય મહારાજા જનકજીના પૂર્વજ દેવરથને આપ્યું હતું. મહારાજા જનકજીના પૂર્વજોમાં નિમીના સૌથી મોટા પુત્ર દેવરથ હતા. ભગવાન શિવનું તે ધનુષ્ય જનકજી પાસે તેમના વારસા તરીકે સુરક્ષિત હતું. આ શિવ ધનુષ્યને ઉપાડવાની ક્ષમતા કોઈમાં ન હતી.
રાજા જનકે સીતાનાં લગ્નનું કારણ બનાવ્યું શિવધનુષઃ
એકવાર દેવી સીતાજીએ આ ધનુષ્ય ઉપાડ્યું હતું, જેનાથી જનકજી પ્રભાવિત થયા અને વિચાર્યું કે આ કોઈ સામાન્ય છોકરી નથી. તેથી જે તેની સાથે લગ્ન કરે છે તે સામાન્ય માણસ ન હોવો જોઈએ. તેથી જ જનકજીએ સીતાજીના સ્વયંવરનું આયોજન કર્યું હતું અને શરત રાખી હતી કે જે કોઈ આ શિવધનુષ્યને ઉપાડશે અને તોડશે, સીતાજી તેની સાથે લગ્ન કરશે. તે સભામાં ભગવાન શ્રીરામે શિવનું ધનુષ તોડી સીતાજી સાથે લગ્ન કર્યાં. જ્યારે ભગવાન શિવનું તે કઠણ ધનુષ્ય તૂટી ગયું, તેનો અવાજ સાંભળીને પરશુરામજી ગુસ્સે થયા અને જનકજીની સભામાં આવ્યા કારણ કે, ભગવાન શંકર પરશુરામજીના પૂજનીય દેવ છે.
***
શિવજી પ્રલય માટે પિનાક ધનુષ વાપરે છેઃ-
શિવધનુષની કથાઃ
વાલ્મીકિ રામાયણ પ્રમાણે પિનાક ભગવાન શિવનું મૂળ ધનુષ છે, જે વિનાશ કે “પ્રલય” માટે ઉપયોગ કરવામાં આવે છે. ભગવાન દેવેન્દ્ર દ્વારા સમાન ક્ષમતાનાં બે ધનુષ બનાવવામાં આવ્યાં હતાં, જે તેમને રુદ્ર (ભગવાન શિવ) અને ભગવાન વિષ્ણુને આપ્યાં અને તેમને અનુરોધ કર્યો કે બંને એક-બીજા સાથે યુદ્ધ કરો જેનાથી જાણી શકાય કે તેમાંથી શક્તિશાળી કોણ છે. પરંતુ યુદ્ધની શરૂઆત પહેલાં જ આકાશવાણી થઈ કે આ યુદ્ધ વિનાશનું કારણ બની જશે અને એટલા માટે આ યુદ્ધ રોકી દેવામાં આવ્યું હતું.
આકાશવાણી થઈ ત્યારે રુદ્રએ ધનુષ ફેંકી દીધું, જે પૃથ્વી પર પડ્યું જેને પાછળથી “શિવધનુષ” કહેવામાં આવ્યું. પૃથ્વી પર આ ધનુષ રાજા જનકના પૂર્વજ રાજા દેવરથને મળ્યું. હિંદુ મહાકાવ્ય રામાયણમાં તેનો ઉલ્લેખ છે, જ્યારે શ્રીરામે તેને જનકની પુત્રી સીતાને પોતાની પત્નીના રૂપમાં જીતવા માટે ભંગ કર્યું હતું.
***
ભગવાન વિશ્વકર્માએ 2 ધનુષ તૈયાર કર્યાં હતાં-
પુરાણોની અન્ય કથા પ્રમાણે, ભગવાન વિશ્વકર્માએ બે દૈવીય ધનુષ તૈયાર કર્યાં. જેમાં એકનું નામ ‘સારંગ’ અને બીજાનું નામ ‘પિનાક’ હતું. તેમણે સારંગ ભગવાન વિષ્ણુને તથા પિનાક ભગવાન શિવને આપ્યું હતું.
કોઈ ઉઠાવી શકતું ન હતું તે ધનુષને બાળસીતાએ ઉઠાવી લીધેલું-
મિથિલાના રાજા જનકની સીતા નામની પુત્રી હતી. પોતાના બાળપણમાં, સીતા પોતાની બહેનોની સાથે રમત રમતી વખતે અજાણતાં જ તેણે તે મેજને ઉઠાવી લીધેલું જ્યાં શિવધનુષ રાખવામાં આવ્યું હતું. જેને રાજ્યમાં કોઈપણ વ્યક્તિ ઉઠાવી શકતું ન હતું. આ આશ્ચર્યજનક ઘટનાને રાજા જનકે જોઈ અને તેમને સીતાને સ્વયંવર માટે આ ઘટનાને પૃષ્ઠભૂમિના રૂપમાં બનાવાનો નિર્ણય કર્યો.
જનકે સીતાનાં લગ્ન માટે શિવધનુષની શરત રાખેલીઃ-
પાછળથી જનક રાજાએ ઘોષણા કરી કે, જે પણ પુરુષ સીતા સાથે લગ્ન કરવા માગે છે, તેને આ દિવ્ય ધનુષ ઉઠાવવું પડશે અને તેની પ્રત્યંચા (પણછ) ચઢાવવી પડશે. અયોધ્યાના રાજકુમાર શ્રીરામે જ આ ધનુષ પ્રત્યાંચિત કર્યું અને સીતાની સાથે લગ્ન કર્યાં. લગ્ન પછી જ્યારે તેમના પિતા દશરથ રામની સાથે અયોધ્યા પાછા ફરી રહ્યા હતા, પરશુરામે તેમને માર્ગમાં રોક્યા અને પોતાના ગુરુ શિવના ધનુષને તોડવા માટે રામ સામે ક્રોધિત થયા. કારણ કે, રામે ધનુષનો ભંગ કર્યો હતો. તે માટે દશરથે ઋષિ પરશુરામ આગળ રામને ક્ષમા કરવા માટે વિનંતી કરી, પરંતુ પરશુરામ વધુ ક્રોધિત થઈ ગયા અને પરશુરામે તેમને વિષ્ણુના ધનુષ સારંગને હાથમાં લીધું અને રામને તે ધનુષ હાથમાં લઈ તેમની સાથે એક દ્વંદ્વયુદ્ધ લડવાનું કહ્યું. રામે વિષ્ણુના ધનુષ સારંગને હાથમાં લીધું, જેમાં એક બાણ લગાવ્યું અને તે બાણને પરશુરામની તરફ નિશાન તાક્યું. ત્યારે રામે પરશુરામને પૂછ્યું કે તે તીરનું લક્ષ્ય શું રાખે? ત્યારે પરશુરામે અહેસાસ થવા લાગે છે કે પોતે પોતાની અદ્વિતીય શક્તિઓ વિહોણા બની રહ્યા છે. જેમ-જેમ સમય આગળ વધતો ગયો તેમ-તેમ તેમની બધી શક્તિઓ રામમાં સમાતી જતી હતી. ત્યારે પરશુરામને અહેસાસ થયો કે રામ વિષ્ણુના જ અવતાર છે.
***
જ્યારે ભગવાન શિવનું ધનુષ નકામું થઈ ગયું…
પિનાક વિશે એક બીજી કથા પ્રમાણે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની વચ્ચે થયેલાં યુદ્ધ સાથે જોડાયેલી છે. જે રામાયણના બાલકાંડના પાંચમા સર્ગમાં વર્ણિત છે. પરશુરામે સારંગને પ્રત્યંચિત કરવા માટે પડકાર ફેંકતાં પહેલાં ભગવાન રામે આ કથા જણાવી. કથા આ પ્રમાણે છેઃ
દેવતા ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની શ્રેષ્ઠતાનું પરીક્ષણ કરવા માગતા હતા કે આ બંને દેવોમાં સૌથી શ્રેષ્ઠ કોણ છે. જ્યારે તેમને ભગવાન બ્રહ્માને તેમની વચ્ચે મતભેદ પેદા કરવાનું કહ્યું. યુદ્ધમાં, ભગવાન વિષ્ણુએ ભગવાન શિવ અને દેવતાઓને પરાજિત કર્યા. ભગવાન શિવનું ધનુષ પિનાક નકામું થઈ ગયું અને ભગવાન વિષ્ણુનું ધનુષ સારંગ પ્રબળ થઈ ગયું. આ ધનુષ પિનાક પાછળથી ભગવાન શ્રીરામ દ્વારા તોડવામાં આવ્યું હતું. ભગવાન શ્રીરામે પરશુરામ પાસેથી સારંગને પણ લઈ લીધું અને તેને સુરક્ષિત રાખવા માટે મહાસાગરના દેવતા વરુણને આપી દીધું હતું.
પરંતુ પિનાકનો સંબંધ મહર્ષિ દધીચિના જીવન સાથે પણ જોડાયેલો છે, તેમને વૃત્રાસુર પરાજિત કરવા માટે દેવતાઓની મદદ કરી અને પાછળથી વિનંતી કરી ત્યારે તેમને પોતાના જીવનનો અંત કરી પોતાના હાડકાંથી વજ્રનું નિર્માણ કર્યું, જેને ઈન્દ્રએ દાનવ વૃત્રાસુરને મારવા માટે ઉપયોગ કર્યો હતો.
સારંગ ધનુષઃ
આ ધનુષ ભગવાન શિવના ધનુષ પિનાકની સાથે, વિશ્વવ્યાપી વાસ્તુકલાકાર અને અસ્ત્ર-શસ્ત્રોના સર્જક વિશ્વકર્મા દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. એકવાર, ભગવાન બ્રહ્મા જાણવા માગતા હતા કે તીરંદાજમાં ભગવાન વિષ્ણુ શ્રેષ્ઠ છે કે, ભગવાન શિવ? ત્યારે બ્રહ્માણે બંનેની વચ્ચે ઝઘડો પેદા કર્યો, જેને કારણે ભયંકર દ્વંદ્વયુદ્ધ થયું. તેમના આ યુદ્ધને કારણે આ બ્રહ્માંડનું સંતુલન બગડી ગયું. પરંતુ ખૂબ જ ઓછા સમયમાં વિષ્ણુએ પોતાના બાણથી શિવને પરાજિત કરી દીધા. બ્રહ્માની સાથે બીજા બધા દેવતાઓએ આ બંને દેવોને યુદ્ધને રોકી દેવાનો આગ્રહ કર્યો અને વિષ્ણુને વિજેતા ઘોષિત કર્યા કારણ કે તેઓ શિવને પરાજિત કરવામાં સક્ષમ હતા. ત્યારે ક્રોધિત ભગવાન શિવે પોતાનું ધનુષ એક રાજાને આપી દીધું જે સીતાના પિતા રાજા જનકના પૂર્વજ હતા. ભગવાન વિષ્ણુએ પણ એમ કરવાનો નિર્ણય કર્યો અને ઋષિ ઋચિકને પોતાનું ધનુષ સારંગ સોંપી દીધું.
સમયની સાથે સારંગ, ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને ઋષિ ઋચિકના પૌત્ર પરશુરામને પ્રાપ્ત થયું. પરશુરામે પોતાના જીવનનાં ઉદ્દેશ્યોને પૂરાં કર્યાં પછી, વિષ્ણુના આગામી અવતાર ભગવાન રામને સારંગ આપ્યું. રામે તેનો ઉપયોગ કર્યો અને જળમંડળના દેવતા વરુણને આપ્યું. મહાભારતમાં વરુણે સારંગને ખાંડવ-દહન દરમિયાન ભગવાન કૃષ્ણ (વિષ્ણુના આઠમા અવતાર)ને આપી દીધું. મૃત્યુ પહેલાં જ કૃષ્ણએ આ ધનુષને મહાસાગરમાં ફેંકીને વરુણને પાછું આપી દીધું હતું.
વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણ અને રહસ્યમય શક્તિઓ ધરાવતા રાક્ષસની વચ્ચે દ્વંદ્ધયુદ્ધ થયું ત્યારે સારંગ પ્રગટ થાય છે. શલ્વએ કૃષ્ણના ડાબા હાથ પર હુમલો કર્યો જેનાથી કૃષ્ણના હાથમાંથી સારંગ છટકી જાય છે. પાછળથી, ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્રથી શલ્વનું માથું ધડથી અલગ કરી દીધેલું.
***
ભગવાન શિવે ત્રિપુરા નગરીને નાશ કરવા પિનાકનો ઉપયોગ કરેલોઃ-
તારકાસુરના પુત્ર તારકક્ષ વિદ્યુતમાલી અને કમલાક્ષે કઠોર તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને પછી ભગવાન શિવ પાસેથી ત્રિપુરા માંગ્યું. ભગવાન શિવે તેને આ વરદાન આપ્યું હતું. ત્રિપુરા એક એવી દુનિયા હતી જ્યાં કોઈ એ ત્રણને મારી ન શકે.
કોઈ માણસ કે ભગવાન કે કોઈ નપુંસક તેને હરાવી શક્યા નહિ. ત્રણેય અપરાજિત થઈ ગયા હતા અને તેમને મારવાનું અશક્ય બની ગયું હતું, તેથી જ તારકક્ષ, વિદ્યુતમાલી અને કમલાક્ષ ત્રણેય લોકને ત્રાસ આપવા લાગ્યા.
તેમના અત્યાચારોને સમાપ્ત કરવા માટે, મહાદેવ ભગવાન શિવ શંકરે તેમની ત્રીજી આંખોમાંથી પિનાક ધનુષ્યનું આહ્વાન કર્યું. ત્યારપછી તે ધનુષ વડે ત્રિપુરાનો નાશ કરીને ભગવાન શિવે તારકક્ષ વિદ્યુતમાલી અને કમલાક્ષનો વધ કર્યો.
પછી તેમણે તે ધનુષ્ય પરશુરામને આપ્યું
જ્યારે સહસ્ત્ર અર્જુને ઋષિ પરશુરામના પિતા મહર્ષિ જમદગ્નિનો વધ કર્યો, જેના કારણે પરશુરામે ક્રોધિત થઈને સમગ્ર પૃથ્વીને ક્ષત્રિયોથી રહિત કરવાની પ્રતિજ્ઞા લીધી અને આ બદલાની આગમાં સળગીને પરશુરામે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. પરશુરામની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ તેમની સમક્ષ પ્રગટ થયા.
પરશુરામને વરદાન
પરશુરામને વરદાન માગવાનું કહેવામાં આવ્યું. ભગવાન પરશુરામ ધર્મની રક્ષા માટે અહંકારી રાજાઓનો નાશ કરવા માગતા હતા, તેથી તેમણે એક એવું શસ્ત્ર માગ્યું જે તમામ અધર્મી રાક્ષસોનો નાશ કરી શકે.
ભગવાન શિવે ધર્મની રક્ષા માટે પરશુરામને સૌથી ભારે પિનાક ધનુષ્ય આપ્યું હતું અને તેને ઉપાડવાની શક્તિ પણ આપી હતી. ત્યારથી પિનાક ધનુષ ભગવાન પરશુરામ પાસે હતું. પરશુરામ એ ધનુષ્યની રોજ પૂજા કરતા હતા.