1 કલાક પેહલા
- કૉપી લિંક
- ભોલેનાથને પ્રસન્ન કરવા માટે આ વખતની મહાશિવરાત્રી ખૂબ જ ખાસ છે
- અનેક દુર્લભ સંયોગોમાં મહાશિવરાત્રિ અને પ્રદોષ વ્રત, ઉપવાસ અને પૂજાનો સંયોગ બેવડો લાભ આપશે
મહાશિવરાત્રીનો તહેવાર શિવભક્તો માટે સૌથી મોટો અને વિશેષ તહેવાર માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા સૌથી સરળ છે, કારણ કે, કહેવાય છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથ પૃથ્વી પર રહેલા તમામ શિવલિંગોમાં બિરાજમાન હોય છે. એવું પણ કહેવાય છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રીના દિવસે થયા હતા. આ પવિત્ર દિવસે ભક્તો ઉપવાસ કરે છે અને શિવ શંભુ સાથે દેવી પાર્વતીની પૂજા કરે છે.
આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચે છે. આ વખતે મહાશિવરાત્રી ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કારણ કે, આ વખતે મહાશિવરાત્રીના દિવસે અનેક શુભ યોગો બની રહ્યા છે. સાથે જ આ દિવસે શુક્રપ્રદોષ તિથિ પણ છે. આવી સ્થિતિમાં આ સમયે ભગવાન શિવની પૂજા કરવી વધુ ફળદાયી માનવામાં આવે છે.
આવો જાણીએ મહાશિવરાત્રીના દિવસે બનેલા શુભ યોગો વિશે…

મહાશિવરાત્રી પર દુર્લભ યોગ બની રહ્યો છે
પંચાંગ અનુસાર મહા મહિનાના વદ પક્ષની ચતુર્દશી તિથિ 8 માર્ચે, રાત્રે 09:57 વાગ્યાથી શરૂ થશે. આ તિથિ બીજા દિવસે 09 માર્ચે સાંજે 06:17 વાગ્યે સમાપ્ત થશે. પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે, તેથી ઉદયા તિથિનું પાલન કરવું જરૂરી નથી. આવી સ્થિતિમાં આ વર્ષે મહાશિવરાત્રીનું વ્રત 8 માર્ચ 2024ના રોજ રાખવામાં આવશે.

મહાશિવરાત્રી 2024 પૂજા મુહૂર્ત
8 માર્ચે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજાનો સમય સાંજે 06:25 થી 09:28 સુધીનો છે. આ સિવાય ચાર પ્રહરનો શુભ સમય નીચે મુજબ છે-
મહાશિવરાત્રી પૂજાના ચાર પ્રહર મુહૂર્ત-
- રાત્રિના પ્રથમ પ્રહર પૂજાનો સમય – સાંજે 06:25 થી 09:28 સુધી
- રાત્રિના બીજા પ્રહર પૂજાનો સમય – રાત્રે 09:28 થી મધરાત 12:31 સુધી
- રાત્રિ તૃતીયા પ્રહર પૂજા સમય – મધરાત 12:31 થી 3:34 સુધી
- રાત્રિ ચતુર્થ પ્રહર પૂજા સમય – મધરાત 03.34 થી સવારે 06:37 સુધી
- નિશિતા કાલ મુહૂર્ત – રાત્રે 12:07 થી મધરાત 12:55 સુધી (9 માર્ચ 2024)
- વ્રત પારણાનો સમય – સવારે 06:37 થી બપોરે 03:28 (9 માર્ચ 2024)

મહાશિવરાત્રી 4 શુભ યોગ-
- મહાશિવરાત્રી પર પૂજાનું મુહૂર્ત રાત્રે 12:07 થી 12:56 સુધી
- સર્વાર્થ સિદ્ધિ યોગ – સવારે 06:38 થી 10:41 સુધી
- શિવ યોગ – 9 માર્ચે, સૂર્યોદયથી સવારે 12:46 સુધી
- સિદ્ધ યોગ – 9 માર્ચ બપોરે 12:46 થી 08:32 સુધી
- શ્રવણ નક્ષત્ર -9 માર્ચ સવારે 10.41 કલાક સુધી.

સર્વાર્થ સિદ્ધિ યોગ-
સર્વાર્થ સિદ્ધિ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગમાં કરેલાં તમામ કાર્ય સફળ થાય છે.
શિવ યોગ-
મહાશિવરાત્રીના અવસર પર શિવયોગ રચાવો શુભ માનવામાં આવે છે. આ યોગમાં ધ્યાન અને મંત્રોનો જાપ સારો માનવામાં આવે છે. આ શુભ સમયે ભોલેનાથની પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
સિદ્ધ યોગ-
માન્યતાઓ અનુસાર, સિદ્ધયોગ ભગવાન ગણેશ સાથે જોડાયેલો છે. આ યોગ તમારાં દરેક કાર્યમાં સફળતા અપાવે છે.

શ્રવણ નક્ષત્ર-
શનિદેવને શ્રવણ નક્ષત્રના સ્વામી માનવામાં આવે છે. તેમજ આ નક્ષત્ર તેના શુભ માટે જાણીતું છે. શ્રવણ નક્ષત્રમાં કરેલાં કાર્યનું ફળ શુભ રહે છે. આ નક્ષત્રમાં જન્મેલા લોકો ધનવાન, પ્રખ્યાત અને સુખી હોય છે.
મહાશિવરાત્રિ અને પ્રદોષ વ્રત, ઉપવાસ અને પૂજાનો સંયોગ બેવડો લાભ આપશે-
આ વર્ષે 8 માર્ચે મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ ખાસ બની રહ્યો છે, કારણ કે આ દિવસે શુક્ર પ્રદોષ વ્રતનો સંયોગ છે. આ દિવસે પ્રદોષ વ્રત સિવાય અન્ય ઘણા દુર્લભ યોગો રચાઈ રહ્યા છે. આ દિવસે શનિ કુંભ રાશિ પર મૂળ ત્રિકોણમાં બેઠો છે. તેની સાથે સૂર્ય, ચંદ્ર અને શુક્ર પણ હાજર છે. આ ઉપરાંત મહાશિવરાત્રીના દિવસે શુક્ર પ્રદોષ વ્રત પણ છે. આવી સ્થિતિમાં આ અદ્ભુત સંયોગ વિશેષ ફળદાયી છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી અનેકગણું ફળ મળે છે. આ વખતે મહાશિવરાત્રિ પર ઉપવાસ કરીને ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી બધી મનોકામનાઓ જલદી પૂર્ણ થશે.

મહાશિવરાત્રિ પર શુક્ર પ્રદોષ વ્રતનો સંયોગ-
આ વખતે મહાશિવરાત્રી અને શુક્ર પ્રદોષ વ્રતનો સંયોગ છે, તેથી આ વ્રત સૌભાગ્ય અને સુખ-સમૃદ્ધિ પ્રદાન કરશે. આ વ્રત કરવાથી જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી રહેતી. આ દિવસે વ્રત કરવાથી તમને મહાશિવરાત્રી અને શુક્ર પ્રદોષ વ્રતનો લાભ એક સાથે મળશે.
પ્રદોષ વ્રતનું મહત્ત્વ –
એવું માનવામાં આવે છે કે, પ્રદોષ કાળમાં, ભગવાન શિવ વ્યક્તિગત રીતે શિવલિંગમાં દેખાય છે, તેથી આ સમયે શિવની પૂજા કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે. શુક્ર પ્રદોષ વ્રત રાખવાથી શત્રુઓનો નાશ થાય છે અને મહાદેવની કૃપા હંમેશા રહે છે.
આખરે ભગવાન શંકરને રાત કેમ ગમે છે? મહાશિવરાત્રીના ઉપવાસનું મહત્ત્વ-
ભગવાન ભોલેનાથ આ જગતના રક્ષક છે. તે પોતાના ભક્તોની સેવા-પૂજાથી ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. તેમના આશીર્વાદ મેળવવાનું સરળ છે. વાસ્તવમાં, બધા દેવતાઓની પૂજા, ઉપવાસ વગેરે સામાન્ય રીતે દિવસ દરમિયાન થાય છે. પરંતુ સવાલ એ થાય છે કે, ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે રાતનો આશરો કેમ લેવો પડે છે. આખરે ભગવાન શંકરને રાત કેમ ગમે છે? ભગવાન શિવ વિનાશક શક્તિ અને તમોગુણના અધિષ્ઠાતા દેવતા છે, તેથી તમોમયી રાત્રિમાં તેમના માટે આસક્ત થવું સ્વાભાવિક માનવામાં આવે છે. રાત્રિ વિનાશનો સમય દર્શાવે છે, તેના આગમન સાથે પ્રકાશ નાશ પામે છે. જીવ આખો દિવસ પોતાનું કામ કરે છે, જે રાત્રે સમાપ્ત થાય છે અને અંતે ઊંઘ દ્વારા, ચેતનાનો નાશ થાય છે અને થોડા સમય માટે બેભાન થઈ જાય છે.

શિવ વિનાશના દેવ છે. આવી સ્થિતિમાં રાત તેમને પ્રિય છે. આ જ કારણ છે કે, ભગવાન શંકરની પૂજા માત્ર આ રાત્રે જ નહીં પરંતુ હંમેશા રાત્રિના પ્રારંભ પહેલા એટલે કે પ્રદોષકાળ દરમિયાન કરવામાં આવે છે. શિવરાત્રીનું કૃષ્ણ પક્ષમાં હોવું પણ એક કારણ છે. શુક્લ પક્ષમાં ચંદ્ર પૂર્ણ અને બળવાન હોય છે અને કૃષ્ણ પક્ષમાં તે ક્ષીણ અને નિર્બળ બને છે. ચંદ્રને જીવનમાં રસ આપનાર માનવામાં આવે છે. તેથી જ જ્યોતિષમાં તેને મન સાથે જોડવામાં આવ્યો છે. તેના વધારાથી વિશ્વના તમામ સારથી ભરેલા પદાર્થોમાં વધારો થાય છે અને જ્યારે કૃષ્ણ પક્ષમાં ચંદ્ર નબળો પડવા લાગે છે, ત્યારે જીવનનો સાંસારિક સાર ઘટવા લાગે છે અને અમાસના દિવસે સંપૂર્ણ ક્ષય થાય છે.
મહાશિવરાત્રીના ઉપવાસ અને જાગરણ શા માટે?
ઋષિઓ અને મહર્ષિઓએ ઉપવાસને તમામ આધ્યાત્મિક વિધિઓમાં મહત્ત્વપૂર્ણ ગણાવ્યા છે. ગીતા અનુસાર, ઉપવાસ એ મોક્ષ મેળવવાનો નિશ્ચિત માર્ગ છે. આધ્યાત્મિક અભ્યાસ માટે ઉપવાસ જરૂરી છે. ઉપવાસની સાથે રાત્રી જાગરણનું પણ મહત્ત્વ છે. ઉપવાસ દ્વારા પોતાની ઇન્દ્રિયો અને મનને કાબૂમાં રાખનાર સંયમિત વ્યક્તિ જ રાત્રે જાગી શકે છે અને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા આગળ વધી શકે છે. આ તમામ કારણોને લીધે લોકો મહારાત્રિ દરમિયાન ઉપવાસની સાથે રાત્રે જાગરણ કરીને શિવની પૂજા કરે છે.