42 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યું છે કે તેઓ વિરાટ કોહલીના ખરાબ પ્રદર્શનથી ચિંતિત નથી. કોહલીને રનની એટલી જ ભૂખ છે જેટલી તેણે ડેબ્યૂ સમયે હતી. આ ભૂખ તેને વર્લ્ડ ક્લાસ ક્રિકેટર બનાવે છે.
ગંભીરે સોમવારે બેંગલુરુમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- દરેક મેચ પછી વિરાટનું મૂલ્યાંકન કરવું યોગ્ય નથી. મને ખાતરી છે કે તે ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં અને ઓસ્ટ્રેલિયામાં પણ રન બનાવશે.
કોહલીએ ટેસ્ટની છેલ્લી 8 ઇનિંગ્સમાં માત્ર એક જ વાર ફિફ્ટી ફટકારી છે. ત્યારે તેણે ડિસેમ્બર 2023માં સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકા સામે 76 રનની ઇનિંગ રમી હતી. બાંગ્લાદેશ સામે હાલમાં જ પૂરી થયેલી બે ટેસ્ટ મેચની હોમ સિરીઝમાં પણ તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું.
ચેન્નઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં તેણે 6 અને 17 રન બનાવ્યા હતા. કાનપુરમાં રમાયેલી બીજી ટેસ્ટમાં તેણે પ્રથમ ઇનિંગમાં 47 રન અને બીજી ઇનિંગમાં અણનમ 29 રન બનાવ્યા હતા.
ગંભીરને આશા- વિરાટ ન્યૂઝીલેન્ડ ટેસ્ટમાં કમબેક કરશે ગૌતમ ગંભીરે કહ્યું- આશા છે કે વિરાટ ફોર્મમાં પરત ફરશે અને ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની હોમ ટેસ્ટ સિરીઝમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ 24 ઓક્ટોબરથી રમાવાની છે. વિરાટને લઈને મારો મત એકદમ સ્પષ્ટ છે કે તે વર્લ્ડ ક્લાસ ક્રિકેટર છે. તેણે આટલા વર્ષોથી આટલું સારું પ્રદર્શન કર્યું છે.
જો અમને સાનુકૂળ પરિણામ મળી રહ્યું છે, તો ચિંતા કરવાની કોઈ વાત નથી. દરેક ખેલાડી દરરોજ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકતો નથી. અમારું કામ ખેલાડીઓને સમર્થન આપવાનું છે. મારું કામ શ્રેષ્ઠ 11 પસંદ કરવાનું છે, કોઈને બાકાત રાખવાનું નથી. અમારે સતત આઠ ટેસ્ટ રમવાની છે અને બધાની નજર સારા પ્રદર્શન પર છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર સચિન પછી વિરાટ બીજો ખેલાડી ક્રિકેટના ઈતિહાસમાં માત્ર સચિન તેંડુલકરે જ 100 સદી ફટકારી છે. વિરાટ કોહલી 80 સદી સાથે બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ સૌથી વધુ સદી ફટકારવાના મામલે ત્રીજા સ્થાને છે. તેણે 71 સદી ફટકારી છે.
સચિને ટેસ્ટમાં 51 અને વન-ડેમાં 49 સદી ફટકારી છે. વિરાટે ટેસ્ટમાં 29 સદી, વન-ડેમાં 50 અને T20માં એક સદી ફટકારી છે. રિકી પોન્ટિંગે ટેસ્ટમાં 41 અને વનડેમાં 30 સદી ફટકારી છે.
વિરાટે T-20માંથી સંન્યાસ લઈ લીધો વિરાટે T-20માંથી સંન્યાસ લઈ લીધો છે. આ વર્ષે ભારતે વર્લ્ડ કપ જીત્યા બાદ તેણે T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. સાઉથ આફ્રિકા સામેની ફાઈનલમાં તે પ્લેયર ઑફ ધ મેચ બન્યો હતો, તેણે 76 રનની મહત્વની ઇનિંગ રમી હતી. વિરાટે અત્યાર સુધી રમાયેલી 125 T-20માં 4188 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 38 અડધી સદી સામેલ છે.
T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યા બાદ વિરાટ કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી.
2013 અને 2023માં IPL મેચ દરમિયાન ગંભીર અને કોહલી વચ્ચે ટક્કર થઈ હતી IPL 2013માં રોયલ ચેલેન્જર્સ બેંગલુર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ દરમિયાન ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી મેદાન પર જ ટકરાયા હતા. તે મેચમાં આઉટ થયા બાદ કોહલી જ્યારે દુર્વ્યવહાર કરી રહ્યો હતો ત્યારે ગૌતમ ગંભીરે તેના અપશબ્દો પર સવાલ ઉઠાવ્યા હતા. આ તણાવમાં આ બંને દિગ્ગજો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો.
મામલો એટલો બગડી ગયો હતો કે ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી. મેદાન પર હાજર અન્ય ખેલાડીઓએ મામલો થાળે પાડ્યો હતો.
1 મે, 2023ના રોજ, એકાના સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ દરમિયાન ગંભીરની વિરાટ કોહલી સાથે અથડામણ થઈ હતી. રિપોર્ટ્સ અનુસાર કોહલીએ નવીલ ઉલ હક સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ત્યારે ગંભીર લખનઉ સુપર જાયન્ટ્સનો મેન્ટર હતો. બાદમાં મેચ રેફરીએ બંનેને દંડ ફટકાર્યો હતો.