1 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ મેન ઓફ ધ મેચનો અવોર્ડ તેની પત્ની રીવાબાને સમર્પિત કર્યો છે.
મેચ બાદ જાડેજાએ કહ્યું કે આ એક ખાસ મેન ઓફ ધ મેચ છે, જે મને હોમ ગ્રાઉન્ડ પર મળ્યો છે અને હું તેને મારી પત્ની રીવાબાને સમર્પિત કરવા માગુ છું, કારણ કે રીવાબાએ મારી પાછળ માનસિક રીતે ખૂબ મહેનત કરી છે. આ ઉપરાંત તેણે મને હંમેશા આત્મવિશ્વાસ આપ્યો છે.
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જાડેજાના પિતાએ ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જાડેજા લગ્ન બાદ બદલાઈ ગયો છે અને રીવાબાના આવ્યા બાદ અમારા સંબંધો બગડી ગયા છે.
પિતાના નિવેદન બાદ રવીન્દ્ર જાડેજા પત્ની રીવાબાના બચાવમાં આવ્યાોહતો. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કહ્યું હતું કે રીવાબાને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
રાજકોટના ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે પ્લેયર ઑફ ધ મેચ બન્યો
જાડેજાએ રાજકોટ ટેસ્ટમાં ભારતની પ્રથમ ઇનિંગમાં સદી (112 રન) ફટકારી હતી, જ્યારે ચોથી ઇનિંગમાં તેણે ઇંગ્લેન્ડ માટે 5 વિકેટ ઝડપી હતી. આ ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
ભારતે રેકોર્ડ 434 રનથી મેચ જીતી
જાડેજાના ઓલરાઉન્ડ પ્રદર્શન અને યશસ્વી જયસ્વાલની બેવડી સદીના આધારે ભારતે રાજકોટ ટેસ્ટમાં 434 રનના રેકોર્ડ માર્જિનથી જીત મેળવી હતી. આ જીત સાથે ભારતીય ટીમે 5 મેચની શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે.