કોલંબો12 મિનિટ પેહલા
- કૉપી લિંક
શ્રીલંકાએ 21 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પૂર્વ ઇંગ્લિશ બેટર ઈયાન બેલને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. તે પ્રવાસના અંત સુધી ટીમ સાથે રહેશે. શ્રીલંકા ક્રિકેટે કહ્યું કે ઈયાન બેલ 16 ઓગસ્ટથી ટીમ સાથે જોડાશે અને ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીના અંત સુધી ટીમ સાથે રહેશે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડના CEO એશ્લે ડી સિલ્વાએ કહ્યું, ‘અમે ઈયાનની નિમણૂક કરી છે જેથી ખેલાડીઓ ત્યાંની સ્થિતિ વિશે મહત્વપૂર્ણ માહિતી મેળવી શકે. ઈયાનને ઇંગ્લેન્ડમાં રમવાનો ઘણો અનુભવ છે અને અમને વિશ્વાસ છે કે તેનું ઇનપુટ અમારી ટીમને આ મહત્વપૂર્ણ પ્રવાસમાં મદદ કરશે.’
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના દૃષ્ટિકોણથી આ શ્રેણી બંને ટીમ માટે મહત્વપૂર્ણ છે. WTC સ્ટેન્ડિંગમાં શ્રીલંકા (50 પોઈન્ટ) ચોથા સ્થાને છે, જ્યારે ઇંગ્લેન્ડ (36.54 પોઈન્ટ) છઠ્ઠા સ્થાને છે.
શ્રીલંકા ઇંગ્લેન્ડમાં 3 ટેસ્ટ શ્રેણી રમશે
શ્રીલંકાની ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ 21 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. ટીમને ત્યાંની ઇંગ્લિશ ટીમ સાથે 3 ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. પ્રથમ મેચ 21 થી 25 ઓગસ્ટ દરમિયાન માન્ચેસ્ટરમાં રમાશે.
બેલે ટેસ્ટમાં 22 સદી ફટકારી છે
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટર ઈયાન બેલે 118 ટેસ્ટ મેચ રમી છે. તેણે 42.69ની એવરેજથી 7727 રન બનાવ્યા છે. બેલના નામે 22 ટેસ્ટ સદી પણ છે.
શ્રીલંકાએ 27 વર્ષ બાદ ભારત સામે વન-ડે શ્રેણી જીતી
શ્રીલંકાની ટીમે જુલાઈ અને ઓગસ્ટમાં ભારતીય ટીમની યજમાની કરી હતી. યજમાન ટીમે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમને વન-ડે શ્રેણીમાં 2-0થી હરાવ્યું હતું. આ પહેલા યુવા ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને T20 શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું.