3 કલાક પેહલા
- કૉપી લિંક
ત્રેતાયુગમાં ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ ભગવાન વિષ્ણુએ શ્રીરામ સ્વરૂપમાં કૌશલ્યા અને રાજા દશરથને ત્યાં અવતાર લીધો હતો. જ્યારે શ્રીરામ યુવાન થયા ત્યારે રાજા દશરથે તેમના રાજ્યાભિષેકની ઘોષણા કરી દીધી. દરબારના બધા લોકો અને અયોધ્યાવાસી બધા જ લોકો આ વાતથી ખુશ હતાં, કેમ કે શ્રીરામ બધાના પ્રિય હતાં. અયોધ્યામાં શ્રીરામના રાજ્યાભિષેકની તૈયારીઓ શરૂ થઇ ગઈ હતી, પરંતુ કૈકયીની દાસી મંથરા આ વાતથી દુઃખી હતી.
મંથરાનો સ્વભાવ એવો જ હતો કે તે સારા કામને ખરાબ કરી દેતી હતી. તેણે કૈકયીને જણાવ્યું કે રાજા તો તારો દીકરો ભરત જ બનવો જોઈએ. શરૂઆતમાં કૈકયી મંથરાની વાતોથી ગુસ્સે થઇ ગઈ હતી, પરંતુ મંથરાએ સમજાવવાનું બંધ કર્યું નહીં. ધીમે-ધીમે મંથરાની વાતો કૈકયીની સમજણમાં આવવા લાગી અને તેણે રાજા દશરથને પોતાના બે વરદાન માંગવા માટે કહ્યું.
પહેલા વરદાનમાં ભરતને રાજપાઠ અને બીજા વરદાનમાં રામને ચૌદ વર્ષનો વનવાસ માંગ્યું. રાજા દશરથ ઇચ્છા ન હોવા છતાં પણ પોતાના બે વરદાન પૂર્ણ કરવા માટે મજબૂર હતાં. તેમણે રામને આ વાત જણાવી ત્યારે તેઓ વનવાસ જવા માટે તૈયાર થઇ ગયાં. જે સમયે રામનો રાજ્યાભિષેક થવાનો હતો, તે સમયે રામ રાજપાઠ છોડીને વનવાસ માટે જતાં રહ્યાં. લક્ષ્મણ આ વાતથી ખૂબ જ ગુસ્સે હતા. રામજીએ લક્ષ્મણને સમજાવ્યા કે માતા-પિતાની બધી જ ઇચ્છા પૂર્ણ કરવી આપણો ધર્મ છે. તે પછી રામ, લક્ષ્મણ અને સીતા વનવાસ માટે જતાં રહ્યાં.
બોધપાઠ– અહીં શ્રીરામજી તે બોધપાઠ આપી રહ્યા છે કે માતા-પિતાની આજ્ઞાનું પાલન કરવું દરેક સંતાનનું પહેલું કર્તવ્ય છે. રામ પિતાની આજ્ઞાનો વિરોધ કરી શકતા હતાં, પરંતુ રામજીએ એવું કર્યું નહીં. રામજીએ પિતાનું વચન પૂર્ણ કરવા માટે સુખ-સુવિધા અને રાજપાઠનો ત્યાગ કરી દીધો. જે લોકો માતા-પિતાની વાતો માને છે, તેમનો આદર કરે છે, તેમને ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માન જરૂર મળે છે.