વિશાખાપટ્ટનમ17 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતે ઇંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચમાં 106 રને વિજય નોંધાવ્યો છે. આ જીત સાથે શ્રેણી 1-1ની બરાબરી પર છે. વિશાખાપટ્ટનમમાં ઇંગ્લિશ ટીમને તેના પોતાના બેઝબોલ અભિગમને કારણે હારનો સામનો કરવો પડ્યો હતો. ‘બેઝબોલ’ એ આક્રમક બેટિંગ વ્યૂહરચના છે, જે ઇંગ્લિશ ટીમના હેડ કોચ બ્રેન્ડન મેક્કુલમ ‘બેઝ’ના ઉપનામ પર આધારિત છે.
ત્રીજા દિવસની રમત બાદ એન્ડરસને કહ્યું હતું- અમે છેલ્લા બે વર્ષથી જે રીતે રમી રહ્યા છીએ તે જ રીતે રમીશું. અમે જીતીએ કે હારીએ તેનાથી કોઈ ફરક પડતો નથી, કારણ કે અમે દરેક મેચ જીતવા માંગીએ છીએ. પછી ભલે ટાર્ગેટ 600 રનનો હોય.
4 પોઇન્ટમાં સમજો કે કેવી રીતે ઇંગ્લેન્ડ પોતાના જ બેઝબોલમાં ફસાઈ ગયું…
1. 399 રનના ટાર્ગેટને ચેઝ કરતી વખતે ઓવર એગ્રેસિવ અપ્રોચ
ઇંગ્લિશ ટીમે ચોથા દિવસે સ્કોર 67/1 સુધી પહોંચાડ્યો હતો, પરંતુ ટીમના બેટર્સ પહેલા સેશનમાં વધુ પડતા આક્રમક દેખાતા હતા. ટોપ અને મિડલ ઓર્ડરના બેટર્સ ક્રિઝ પર આવતાની સાથે જ મોટા શોટ રમવા લાગ્યા હતા. જેના કારણે ટીમે સતત વિકેટ ગુમાવી હતી. ચોથા દિવસે લંચ સુધી ઇંગ્લિશ ટીમનો સ્કોર 194/6 હતો.
ઓલી પોપે 21 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 23 રન બનાવ્યા હતા જ્યારે જો રૂટે 10 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 16 રન બનાવ્યા હતા. આ બંને બેટર્સની સ્ટ્રાઈક રેટ 100થી વધુ હતી.
2. સતત વિકેટો ગુમાવી, પરંતુ બેટિંગનો અભિગમ બદલ્યો નહીં
ઇંગ્લેન્ડની ટીમે મેચમાં સતત વિકેટો ગુમાવી હતી, પરંતુ તેની બેટિંગનો અભિગમ બદલ્યો નહોતો. ચોથા દિવસના પ્રથમ સેશનમાં પણ સ્થિતિ એવી જ રહી હતી. ટીમે આ સેશનમાં 28.4 ઓવરમાં 127 રન બનાવીને 5 વિકેટ ગુમાવી દીધી હતી.
ટીમે પહેલી ઇનિંગમાં 4.53ના રન રેટથી 253 રન અને બીજી ઇનિંગમાં 4.21ના રન રેટથી 292 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય ટીમે પ્રથમ દાવમાં 3.53ના રન રેટથી 396 રન અને બીજા દાવમાં 3.24ના રન રેટથી 255 રન બનાવ્યા હતા. એટલે કે ટીમ ઈન્ડિયાએ સાવધાનીપૂર્વક બેટિંગ કરી.
3. કોચ મેક્કુલમનો ઓવર કોન્ફિડન્સ
મેચ પહેલાની કોન્ફરન્સમાં એન્ડરસને કહ્યું કે ગઈકાલે રાત્રે કોચ મેક્કુલમ સાથે ચર્ચા થઈ હતી કે જો તેઓ (ભારત) 600 રન બનાવી લે તો પણ અમે તેને ચેઝ કરવાનો પ્રયાસ કરીશું. તે દરેક માટે ખૂબ જ સ્પષ્ટ છે કે અમે આવતીકાલે તેનો ચેઝ કરવાનો પ્રયાસ કરીશું.
ઇંગ્લેન્ડે તાજેતરના સમયમાં બેન સ્ટોક્સની કેપ્ટનશિપ અને બ્રેન્ડન મેક્કુલમના કોચિંગ હેઠળ રનને ચેઝ કરવા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે છેલ્લી 11માંથી 8 મેચમાં રન ચેઝ કરીને જીત મેળવી છે. આ સમયગાળા દરમિયાન ટીમે 7 વખત 250+ના સ્કોરને ચેઝ કર્યો હતો. જો કે, મોટાભાગની મેચ ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનમાં રમાઈ હતી, જ્યાંની પિચ બેટિંગ માટે વધુ અનુકૂળ હતી.
4. બુમરાહ અને અક્ષર બાદ કેપ્ટને અશ્વિનને લાવ્યો
ભારતીય કેપ્ટને સોમવારે બુમરાહ અને અક્ષર પટેલ સાથે આક્રમક બોલિંગ કરી અને 10મી ઓવર પછી રવિચંદ્રન અશ્વિનને લાવ્યો. અશ્વિને ઓલી પોપ અને જો રૂટને આઉટ કરીને ઇંગ્લેન્ડને બેકફૂટ પર લાવી દીધું હતું. ઇંગ્લિશ ટીમ આ આંચકામાંથી બહાર નીકળી શકી ન હતી અને લંચ સેશન સુધી ટીમે 194 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી.
રવિચંદ્રન અશ્વિને ચોથા દિવસના પ્રથમ સેશનમાં 2 વિકેટ લઈને ઇંગ્લેન્ડને બેકફૂટ પર લાવી દીધું હતું.