11 મિનિટ પેહલા
- કૉપી લિંક
રશિયાના વિદેશ મંત્રાલયે પન્નુની હત્યાના કાવતરાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં રશિયાએ ભારતનું સમર્થન કર્યું છે. રશિયાના વિદેશ મંત્રાલયે ભારત વિરુદ્ધ અમેરિકાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
રશિયાએ કહ્યું છે કે અમેરિકા ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી કરી રહ્યું છે અને સામાન્ય ચૂંટણીમાં અડચણ ઉભી કરવાના પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકા પાયાવિહોણા આરોપો લગાવીને ભારતનું અપમાન કરી રહ્યું છે.
ગુરપતવંત સિંહ પન્નુ ખાલિસ્તાની આતંકવાદી છે. અમેરિકાએ ભારત પર તેમની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે.
અમેરિકાએ કોઈ પુરાવા રજૂ કર્યા નથી
રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાને પન્નુની હત્યાના કાવતરાના આરોપો અંગે પ્રેસ બ્રીફિંગ દરમિયાન પૂછપરછ કરવામાં આવી હતી. આના જવાબમાં ઝખારોવાએ કહ્યું, “અમારી જાણકારી મુજબ, અમેરિકાએ હજુ સુધી એવો કોઈ પુરાવો રજૂ કર્યા નથી, જે સાબિત કરી શકે કે પન્નુની હત્યામાં ભારતનો હાથ હતો. અમેરિકાની ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનની વાત ભારત મામલે તેની ગેરસમજણ દર્શાવે છે. અમેરિકા આવું કરીને એક સાર્વભૌમ દેશ તરીકે ભારતનું અપમાન કરી રહ્યું છે.
રશિયાના વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે અમેરિકા માત્ર ભારત જ નહીં પરંતુ અન્ય ઘણા દેશો પર ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનના પાયાવિહોણા આરોપો લગાવી રહ્યું છે. તેમની કાર્યવાહી સ્પષ્ટપણે ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી દર્શાવે છે.
અમેરિકાએ ભારત પર આરોપ લગાવ્યા હતા
અમેરિકાની સરકારે આરોપ લગાવ્યા હતા કે ન્યૂયોર્કમાં પન્નુ પર ઘાતક હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આમાં ભારતનો હાથ હતો. જો કે આ ષડયંત્રને અમેરિકાએ નિષ્ફળ બનાવ્યું હતું. આ પછી 29 નવેમ્બરે હત્યાના કાવતરાના કેસમાં ન્યૂયોર્ક પોલીસની ચાર્જશીટ સામે આવી હતી.
જેમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ હતો. તેમાં લખ્યું છે – ભારતના એક પૂર્વ CRPF ઓફિસરે તેને પન્નુની હત્યાનો પ્લાન ઘડવા કહ્યું હતું. અમેરિકાના ઈશારે પન્નુની હત્યાનું કાવતરું ઘડનાર નિખિલ ગુપ્તાની ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી.
અમેરિકા છેલ્લા કેટલાક સમયથી નિખિલના પ્રત્યાર્પણમાં વ્યસ્ત હતું, પરંતુ ચેક રિપબ્લિકની સુપ્રીમ કોર્ટે નિખિલ ગુપ્તાના પ્રત્યાર્પણના નિર્ણય પર રોક લગાવી દીધી છે.
ન્યૂયોર્ક પોલીસે કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં આ તસવીર સામેલ હતી. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે આ રકમ હત્યા માટે એડવાન્સ તરીકે આપવામાં આવી હતી.
રિપોર્ટ- પન્નુની હત્યામાં RAWનો હાથ હતો હાલમાં અમેરિકન મીડિયા હાઉસ વોશિંગ્ટન પોસ્ટે એવો દાવો કર્યો હતો ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં ભારતીય તપાસ એજન્સી RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)નો હાથ હતો. રિપોર્ટ અનુસાર પન્નુની હત્યાનું સમગ્ર પ્લાનિંગ RAWના વરિષ્ઠ અધિકારી વિક્રમ યાદવે કર્યું હતું.
વિક્રમે પન્નુને મારવા માટે એક હિટ ટીમ હાયર કરી. યાદવે પન્નુ વિશેની માહિતી ભારતીય એજન્ટ નિખિલ ગુપ્તાને મોકલી હતી, જેમાં તે ન્યૂયોર્કમાં હોવાનો ખુલાસો થયો હતો. આ પછી નિખિલ ગુપ્તાએ પન્નુને મારવા માટે એક એજન્ટનો સંપર્ક કર્યો. જો કે, પ્લાનિંગ સફળ થાય તે પહેલા જ નિખિલ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી.
વોશિંગ્ટન પોસ્ટના આ અહેવાલ પર ભારતની પ્રતિક્રિયા પણ સામે આવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “રિપોર્ટમાં એક ગંભીર બાબતને લઈને ભારત પર ખોટા અને વાહિયાત આરોપો લગાવવામાં આવ્યા છે.”
પન્નુ કેસમાં ક્યારે અને શું થયું, ચાર્જશીટ મુજબ પૂર્ણ ટાઈમલાઈન
- મે 2023: યુએસ પ્રોસિક્યુટરના જણાવ્યા અનુસાર, આ સમયે એક ભારતીય અધિકારીએ નિખિલ ગુપ્તાને નોકરી પર રાખ્યો હતો.
- 29 મે: નિખિલ ગુપ્તાએ પન્નુને મારી શકે તેવી વ્યક્તિની શોધ શરૂ કરી. જો કે, પન્નુની હત્યા કરવા માટે રાખવામાં આવેલ વ્યક્તિ અમેરિકાનો અંડરકવર એજન્ટ હોવાનું બહાર આવ્યું છે. થોડા અઠવાડિયા સુધી, નિખિલ ગુપ્તાએ આ અન્ડર કવર એજન્ટ સાથે પન્નુની હત્યાની પદ્ધતિ અને કિંમત વિશે ચર્ચા કરી.
- જૂન 9: ગુપ્તાએ પન્નુની હત્યા કરવા માટે રાખવામાં આવેલા હિટમેનને એક વ્યક્તિ દ્વારા 15 હજાર ડોલર એટલે કે 12 લાખ 49 હજાર રૂપિયા રોકડા મોકલ્યા. આ હત્યા માટે એડવાન્સ પેમેન્ટ હતું.
- જૂન 11: ભારતીય અધિકારીઓએ ગુપ્તાને કહ્યું કે પન્નુને હજુ મારી શકાયો નથી. ખરેખરમાં જૂન મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા. તે દરમિયાન બંને દેશો વચ્ચે રાજદ્વારી બેઠકો થઈ રહી હતી. ગુપ્તાએ ફોન પર એમ પણ કહ્યું હતું કે 10 દિવસ સુધી કશું કરી શકાશે નહીં તો દેખાવો શરૂ થશે.
- 12 થી 14 જૂન: ગુપ્તાએ તેના પાર્ટનરને કેનેડામાં એક મોટા લક્ષ્ય વિશે ફોન પર કહ્યું. તેણે કહ્યું કે તે તેની વિગતો પછીથી શેર કરશે.
- 18 જૂન: કેનેડામાં કેટલાક લોકોએ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરી. થોડા મહિનાઓ પછી કેનેડાએ આ હત્યા માટે ભારત પર આરોપ લગાવ્યા.
- 19 જૂન: ગુપ્તાએ નિજ્જરની હત્યાનો વીડિયો અમેરિકામાં પન્નુની હત્યા કરવા માટે રાખવામાં આવેલા હિટમેનને મોકલ્યો. તેમણે લખ્યું- આ સારા સમાચાર છે, હવે રાહ જોવાની જરૂર નથી. ગુપ્તાએ હિટમેનને પણ કહ્યું હતું કે હવે ટાર્ગેટ વધુ સતર્ક રહેશે.
- 22 જૂન: અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારત સાથેના સંબંધો સુધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્ટેટ ડિનર માટે આમંત્રણ આપ્યું.
- 24 જૂનથી 29 જૂન: ગુપ્તાએ પન્નુને મારવાનો પ્લાન આગળ ધપાવ્યો. તેની દેખરેખ શરૂ થઈ.
- જૂન 30: ગુપ્તા ભારતથી ચેક રિપબ્લિક ગયા, જ્યાં યુએસના કહેવા પર તેમની અટકાયત કરવામાં આવી.