6 કલાક પેહલા
- કૉપી લિંક
NCP અજિત પવાર જૂથના નેતા અને મહારાષ્ટ્ર સરકારના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરે મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારે હવે ભાજપના નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ હરનાથ સિંહ યાદવે સલમાન ખાનને બિશ્નોઈ સમુદાયની માફી માગવાની સલાહ આપી છે. તેણે કહ્યું કે, ‘બિશ્નોઈ સમુદાયમાં અભિનેતા પ્રત્યે હજુ પણ નારાજગી છે, તેથી સલમાને તેની ભૂલ માટે તેમની માફી માંગવી જોઈએ.’
બીજેપી નેતા હરનાથ સિંહ યાદવે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું,- પ્રિય સલમાન ખાન, બિશ્નોઈ સમુદાય દ્વારા કાળિયારને ભગવાન માનવામાં આવે છે. તેઓ તેની પૂજા કરે છે. તમે તેનો શિકાર કર્યો અને તેને રાંધીને ખાધું. જેના કારણે બિશ્નોઈ સમાજની ભાવના ઠેસ પહોંચી છે અને લાંબા સમયથી બિશ્નોઈ સમાજમાં તમારા પ્રત્યે રોષ છે.
બીજેપી નેતાએ આગળ લખ્યું, વ્યક્તિ ભૂલ કરે છે. તમે એક મહાન અભિનેતા છો. દેશમાં મોટી સંખ્યામાં લોકો તમને પ્રેમ કરે છે. મારી તમને સલાહ છે કે તમે બિશ્નોઈ સમુદાયની ભાવનાઓનું સન્માન કરો અને તમારી મોટી ભૂલ માટે બિશ્નોઈ સમુદાયની માફી માગો.
સલમાનને કાળિયારનો શિકાર કરવા બદલ જેલની સજા થઈ હતી રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાને 1998માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન રાજસ્થાનના જંગલોમાં કાળિયારનો શિકાર કર્યો હતો. સલમાન ઉપરાંત સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ કોઠારી પણ આરોપી હતા. ત્યારબાદ બિશ્નોઈ સમુદાયે પણ સલમાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ માટે જોધપુર કોર્ટે સલમાનને પાંચ વર્ષની જેલની સજા પણ ફટકારી હતી. જોકે બાદમાં તેને આ કેસમાં જામીન મળી ગયા હતા.
14 એપ્રિલે અભિનેતાના એપાર્ટમેન્ટમાં ફાયરિંગ થયું હતું. 14 એપ્રિલે સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ થયું હતું. આ હુમલાની જવાબદારી લોરેન્સ ગ્રુપે લીધી હતી. ઘટનાના બે મહિના બાદ સલમાને મુંબઈ પોલીસને નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, ‘હું વારંવાર અલગ-અલગ લોકો દ્વારા નિશાન બનીને કંટાળી ગયો છું. ભૂતકાળમાં ઘણી વખત ધમકીઓ મળી ચૂકી છે અને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. હું ઘણા કેસોમાં ફસાઈ ગયો છું. હું હતાશ છું. મને કોર્ટ દ્વારા સજા થઈ ચૂકી છે.