નવી દિલ્હી15 મિનિટ પેહલા
- કૉપી લિંક
કોંગ્રેસ-અધ્યક્ષ મલિકાર્જુન ખડગેએ PM મોદીની લક્ષદ્વીપ મુલાકાતને લઈને સવાલો ઉઠાવ્યા છે.
કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 6 જાન્યુઆરીએ પ્રેસ-કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા વિશે વાત કરી હતી. ખડગેએ કહ્યું હતું કે મણિપુરમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની, પરંતુ વડાપ્રધાન મોદી ત્યાં ગયા નહીં. તેઓ રામમંદિરની સાઇટ અને બીચ પર જાય છે અને ફોટો સેશન કરાવે છે. તેઓ મુંબઈ કે કેરળ જાય, દરેક જગ્યાએ જાય, તમે તેમના ફોટા બધે જ જોઈ શકો છો…તેઓ એવી રીતે ફોટા પડાવે છે જાણે ભગવાન દર્શન આપી રહ્યાં હોય, પણ આ મહાપુરુષ મણિપુર કેમ નથી જતા?
રાહુલ ગાંધીની ભારત ન્યાય જોડો યાત્રા વિશે ચર્ચા કરતાં ખડગેએ કહ્યું- દેશના સામાજિક, આર્થિક, રાજકીય અને મૂળભૂત મુદ્દાઓ પર આ યાત્રા કાઢવામાં આવી રહી છે. અમને દરેકના સમર્થનની જરૂર છે. આ યાત્રા લોકજાગૃતિ માટે છે. આ યાત્રા દ્વારા અમે સમાજના ગરીબો અને અલગ-અલગ લોકો સાથે જોડાવાનો પ્રયાસ કરીશું. એને સફળ બનાવવા માટે કોંગ્રેસના તમામ નેતાઓ પૂરા પ્રયાસો કરશે. હું ઈચ્છું છું કે ભારતના નેતાઓ પણ આ યાત્રામાં જોડાય અને એને સફળ બનાવે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 જાન્યુઆરીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ઘણી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. પીએમ દરિયાકિનારે ફરતા જોવા મળ્યા હતા. પ્રોફેશનલ ડાઇવર્સ સાથે સ્નૉર્કલિંગ કર્યું અને પાણીની અંદરની દુનિયા જોઈ હતી.
ખડગેએ હાલમાં સંસદમાં થયેલી કાર્યવાહી અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું- જ્યારે અમે સંસદમાં દેશ સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવવાનો પ્રયાસ કર્યો તો સરકારે અમને બોલવા દીધા નહીં. દેશના ઈતિહાસમાં આ પહેલીવાર છે, જ્યારે 146 સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેથી દેશના મુદ્દાઓને ઉઠાવવા માટે અમે આ યાત્રા કાઢી રહ્યા છીએ.
ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીથી શરૂ થશે
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી 10 દિવસ પછી (14 જાન્યુઆરીથી) ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરશે. આ યાત્રા મણિપુરથી શરૂ થશે અને 20 માર્ચે મુંબઈમાં સમાપ્ત થશે. લોકસભા ચૂંટણીના લગભગ 4 મહિના પહેલાં યોજાનારી આ યાત્રામાં 14 રાજ્ય અને 85 જિલ્લાને આવરી લેવામાં આવશે. આ દરમિયાન રાહુલ પગપાળા અને બસ દ્વારા 6 હજાર 200 કિલોમીટરથી વધુનું અંતર કાપશે.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ અને જયરામ રમેશે 27 ડિસેમ્બરે પાર્ટીના મુખ્યાલયમાં ભારત ન્યાય યાત્રા વિશે મીડિયાને માહિતી આપી હતી. પાર્ટીના નેતાઓએ કહ્યું હતું કે કોંગ્રેસ ભારત જોડો યાત્રા પછી ભારત ન્યાય યાત્રા કરશે.
એ મણિપુરથી શરૂ થશે, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાંથી પસાર થશે અને મહારાષ્ટ્રમાં સમાપ્ત થશે.
મલ્લિકાર્જુન ખડગે યાત્રાને લીલી ઝંડી આપશે
વેણુગોપાલે કહ્યું હતું કે પાર્ટી-અધ્યક્ષ ખડગે આ મુલાકાતને લીલી ઝંડી આપશે. ભારત ન્યાય યાત્રાનો ઉદ્દેશ આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય છે.
આ યાત્રા દરમિયાન રાહુલ યુવાનો, મહિલાઓ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને મળશે. બસ પ્રવાસ દ્વારા વધુ ને વધુ લોકો સુધી પહોંચવામાં આવશે. પ્રવાસના કેટલાક નાના ભાગોને પગપાળા પણ કવર કરવામાં આવશે.