નવી દિલ્હી2 કલાક પેહલા
- કૉપી લિંક
શેરબજારના ઇતિહાસમાં ગભરાટ અથવા બજારની ચંચળતા માપતો નિફ્ટી વીઆઇએક્સ ઇન્ડેક્સ એક જ દિવસમાં 22 ટકા સુધી તૂટવાની ઘટના બની હતી. યુદ્ધના પડઘમ શાંત થવાની આશા વચ્ચે બજારમાં ગભરાટમાં ઝડપથી ઘટાડો થયો હતો અને તેનું રિફ્લેકશન વીઆઇએક્સ ઇન્ડેક્સ પર જોવાયું હતું.
નિફ્ટી વીઆઇએક્સમાં ઘટાડો આમ તો તેજીવાળાની તરફેણ કરે છે પણ જાણકારોનું માનવું હતું કે, નીચો વીઆઇએક્સ ડિફ્લેકશન જેવી પણ ભૂમિકા ભજવી શકે છે, જેમાં બજારમાં તેજીવાળા સુસ્તતા દાખવે અને માર્કેટ સાઇડવેવમાં સરકી પડે તેવી સ્થિતિ જોવા મળે છે. હવે ચૂંટણીના પરિણામ અને કોર્પોરેટ અર્નિંગની સિઝન પર બજારની ચાલનો મુખ્ય આધાર રહેશે. અગ્રણી કંપનીઓના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે અને હવે બેન્કિંગ સેક્ટરની કામગીરી જાહેર થશે. એચડીએફસી બેન્કના પરિણામ બજારની ધારણા અનુસાર રહ્યા હતા. બેન્કિંગ સેક્ટરની કામગીરી પર હવે માર્જીન દબાણ હેઠળ જોવાશે એવી ધારણા એનાલિસ્ટોની રહી હોવાથી છેલ્લા કેટલાક સમયથી બેન્કેક્સ રેન્જ બાઉન્ડ રહ્યો હતો.
સામાન્ય રીતે આ ઇન્ડેક્સને બજારની ચંચળતા અથવા ગભરાટ માપતા આંક તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્તમાન સ્તરે આ ઇન્ડેક્સની સ્થિતિ ચૂંટણી અંગે બજારમાં કોઈ ગભરાટ નહીં હોવાના સંકેતની સાથે ટૂંકા ગાળામાં બજારમાં મોટી ઉથલપાથલની સંભાવના નહીં હોવાનું પણ સૂચવે છે.
નિફ્ટી વીઆઇએક્સમાં ત્રીજો મોટો ઘટાડો
નિફ્ટી વીઆઇએક્સમાં 22 ટકાનો ઇન્ટ્રા ડે ઘટાડો ત્રીજો મોટો હોવાનું જાણવા મળે છે. અગાઉ 2014 અને 2019ની ચૂંટણી પૂરી થયા પછી જેવા પરિણામ જાહેર થયા ત્યારે 29 અને 31 ટકાનો કડાકો આવ્યો હતો. બજારમાં જ્યારે અસ્થિરતાનો માહોલ અથવા કોઈ મોટી વિપરીત ઘટના પૂરી થતી હોય ત્યારે નિફ્ટી વીઆઇએક્સમાં મોટી વધઘટ જોવાતી હોય છે. મંગળવારે નિફ્ટી વીઆઇએક્સ નીચામાં 9.86 સુધી ગબડી હતી, નિફ્ટી વીઆઇએક્સ છેલ્લે 19.7 ટકા ઘટીને 10.20 રહી હતી, જે ઇન્ટ્રા ડેમાં ઊંચામાં 12.70 હતી.