16 મિનિટ પેહલા
- કૉપી લિંક
સ્ટારકિડ અગસ્ત્ય નંદા ટૂંક સમયમાં મોટા પડદા પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. અગસ્ત્યએ તેમની અભિનય કારકિર્દીની શરૂઆત ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત ફિલ્મ ધ આર્ચીઝ’થી કરી હતી. જો કે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેમની શાનદાર એક્ટિંગને કારણે તેને હવે શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘ઈક્કીસ’ મળી છે. ફિલ્મ સાઈન કર્યા બાદ અગસ્ત્ય ટૂંક સમયમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. તો રિપોર્ટ અનુસાર, આ ફિલ્મમાં વરુણ ધવનની જગ્યાએ અગસ્ત્યને લેવામાં આવ્યો છે.
હાલમાં જ ઝૂમ પર વાતચીત દરમિયાન, ફિલ્મના નિર્દેશક શ્રીરામ રાઘવને અગસ્ત્યના કાસ્ટિંગના સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે ફિલ્મ ‘ઈક્કીસ’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. શૂટિંગનું પહેલું શેડ્યૂલ પણ શૂટ થઈ ગયું છે, જોકે અગસ્ત્યનો એ ભાગમાં કોઈ રોલ નહોતો. હવે ફિલ્મનું બીજું શેડ્યૂલ શ્રીરામની આગામી ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ની રિલીઝ બાદ શૂટ કરવામાં આવશે. ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ 12 જાન્યુઆરીએ રિલીઝ થશે, ત્યારબાદ અગસ્ત્ય નંદા પણ બીજા શેડ્યૂલમાં ટીમ સાથે જોડાશે.
અગસ્ત્યએ વરુણ ધવનની જગ્યા લીધી
આ ફિલ્મ એકવીસમાં પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતા લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલની બાયોપિક બનવા જઈ રહી છે. આ ફિલ્મની જાહેરાત 2019માં અરુણ ખેત્રપાલના 69માં જન્મદિવસ પર કરવામાં આવી હતી. જાહેરાતની સાથે જ કહેવામાં આવ્યું હતું કે વરુણ ધવન ફિલ્મમાં અરુણની ભૂમિકા ભજવશે. કોરોનાને કારણે ફિલ્મ અટકી પડી હતી અને હવે ધર્મેન્દ્રના જન્મદિવસના અવસર પર નિર્માતાઓએ ફિલ્મની સ્ટારકાસ્ટની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં વરુણ ધવનની જગ્યાએ અગસ્ત્ય નંદાનું નામ લેવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘ઈક્કીસ’માં અગસ્ત્ય નંદા સિવાય ધર્મેન્દ્ર અને જયદીપ અહલાવત પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે.