51 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં વધુ એક મોટી કાર્યવાહી થઈ છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનમાંથી 5માં આરોપીની ધરપકડ કરી છે, જેનું નામ મોહમ્મદ ચૌધરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જણાવ્યું હતું કે, આરોપી મોહમ્મદ ચૌધરીએ શૂટર સાગર પાલ અને વિકી ગુપ્તા બંનેને પૈસા આપવામાં અને રેકી કરવામાં મદદ કરી હતી. મોહમ્મદ ચૌધરીને આજે એટલે કે મંગળવારે મુંબઈ લાવવામાં આવશે, જ્યાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કસ્ટડીની માંગણી કરવામાં આવશે.
આ પહેલા સલમાન ખાનના ઘરે ફાયરિંગના કેસમાં એક આરોપીએ પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી લીધી હતી. ધરપકડ બાદ પોલીસ કસ્ટડીમાં જીવ ગુમાવનાર આરોપી અનુજના પરિવારે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા તેના મૃત્યુની તપાસની માંગણી કરી હતી. પોલીસનો દાવો છે કે અનુજે લોકઅપમાં આત્મહત્યા કરી હતી જ્યારે તેની માતા રીટા દેવીએ હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં આરોપ લગાવ્યો હતો કે તેના પુત્રની હત્યા કરવામાં આવી છે. અરજીમાં દેવીએ હાઈકોર્ટને તેમના પુત્રના મૃત્યુની તપાસ સીબીઆઈને સોંપવાની વિનંતી કરી છે.
ગુરુવારે જલંધરમાંથી વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી
જલંધરથી ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ સોનુ સુભાષ ચંદર (37) અને અનુજ થાપન (32) તરીકે થઈ છે. બંને આરોપીઓ પંજાબના અબોહરના રહેવાસી છે. આરોપી અનુજ ટ્રકમાં હેલ્પર તરીકે કામ કરતો હતો. જ્યારે સુભાષ એક ખેડૂત છે અને કરિયાણાની દુકાન પણ ચલાવે છે.
પંજાબ અને હરિયાણામાં અનુજ વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે અને તે શરૂઆતથી જ લૉરેન્સ ગેંગ સાથે સંકળાયેલો છે. બંનેએ 15 માર્ચે પનવેલમાં બે પિસ્તોલ પહોંચાડી હતી. આ બંનેએ સાગર પાલ અને વિકી ગુપ્તાને બે પિસ્તોલ અને 38 જીવતા કારતૂસ આપ્યા હતા. સાગર પાલ અને વિકી ગુપ્તા બંનેએ સલમાનના ઘરે ફાયરિંગ કર્યું હતું. ઘટનાના બીજા દિવસે એટલે કે 15મી એપ્રિલની રાત્રે ગુજરાતના ભુજમાંથી બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
7.8 બોરની બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું
મુંબઈ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે જે બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે 7.6 બોરની બંદૂક હતી. ફોરેન્સિક એક્સપર્ટને લાઈવ બુલેટ મળી છે, આ લાઈવ બુલેટ બંદૂકને લોક કરતી વખતે પડી હોઈ શકે છે. પોલીસે બંને આરોપીઓની બાઇક કબજે કરી હતી.
આ ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગ્રુપે લીધી હતી
આ ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગ્રુપે લીધી છે. ટીમના સભ્ય અનમોલ બિશ્નોઈએ એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં લખ્યું છે કે, ભવિષ્યમાં પણ સલમાન પર આવો હુમલો થઈ શકે છે.
સલમાન ગ્રાઉન્ડ ફ્લોર પર એકલો રહે છે
સલમાન છેલ્લા 40 વર્ષથી પોતાના પરિવાર સાથે
આ ઘરમાં રહે છે. સલમાનનું ઘર એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર છે. તે અહીં 1BHK L આકારના એપાર્ટમેન્ટમાં એકલો રહે છે. તેના માતા-પિતા 8 માળના ગેલેક્સી એપાર્ટમેન્ટના પહેલા માળે રહે છે.
સલમાનને 2023માં પણ ધમકીભર્યો પત્ર મળ્યો હતો
લોરેન્સ બિશ્નોઈ તરફથી ધમકી મળ્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તેમને મહારાષ્ટ્ર સરકાર તરફથી Y+ કેટેગરીની સુરક્ષા મળી છે. જૂન 2022માં સલમાન અને તેના પિતા સલીમ ખાનને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે- ‘સિદ્ધુ મૂસેવાલાની જેમ જ સલમાન સાથે પણ થશે.’
NIAએ કહ્યું હતું કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની જાનથી મારી નાખવાની ધમકીમાં 10 લોકોની યાદીમાં સલમાન પણ છે. બિશ્નોઈ ગેંગ 1998ની કાળિયાર શિકારની ઘટનાને લઈને ગુસ્સે છે, જેને ટાંકીને લોરેન્સે ટીવી ઇન્ટરવ્યૂમાં તેમને મારી નાખવાની ધમકી આપી હતી.
ધમકી બાદ Y+ સુરક્ષા મળી, 11 સુરક્ષા જવાનો સાથે જ રહે છે
અગાઉ, મહારાષ્ટ્ર પોલીસના કર્મચારીઓ સલમાન સાથે રહેતા હતા, પરંતુ ધમકીઓ મળ્યા બાદ તેને Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. આ સુરક્ષા વર્તુળમાં 11 જવાનો આખો દિવસ સલમાન સાથે રહે છે, જેમાં એક કે બે કમાન્ડો અને 2 પીએસઓ પણ સામેલ છે. સલમાનના વાહનના એસ્કોર્ટ અને પાયલોટિંગ માટે માટે હંમેશાં બે વાહનો હોય છે. આ સાથે સલમાનની કાર પણ સંપૂર્ણપણે બુલેટપ્રૂફ છે.
શિવસેનાના પ્રવક્તા આનંદ દુબેએ જણાવ્યું હતું કે, સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે, કાયદો અને વ્યવસ્થા નબળી પડી છે, સરકારે સંજ્ઞાન લેવું જોઈએ. ગુનેગારો નિર્ભયપણે ફરી રહ્યા છે.
આ પહેલાં કેટલી વાર ધમકીઓ મળી છે?
- જૂન 2022માં જ્યારે સલમાનના પિતા સલીમ ખાન, જે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા, ઘરે પાછા ફર્યા, ત્યારે તેમને એક અજાણ્યો પત્ર મળ્યો જેમાં તેમને અને સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પત્રમાં લખ્યું હતું – ‘સલમાન ખાન તમારી હાલત મુસેવાલા જેવી કરી દેવામાં આવશે.’ આ પછી સલીમ ખાને પોતાના સુરક્ષાકર્મીઓની મદદથી પોલીસનો સંપર્ક કર્યો અને આ અંગે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો.
- ગત વર્ષે સલમાનને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની મુંબઈ પોલીસે અટકાયત કરી હતી. ધમકી આપનાર વ્યક્તિ 16 વર્ષનો સગીર હતો. તેણે કોલ દ્વારા મુંબઈ પોલીસને ધમકી આપી અને તેનું નામ રોકી ભાઈ તરીકે જાહેર કર્યું. તેણે કહ્યું કે તે રાજસ્થાનના જોધપુરનો રહેવાસી છે અને 30 એપ્રિલે સલમાનને મારી નાખશે.
- ગયા વર્ષે જ જોધપુરના રહેવાસી ધાકદ્રમે સલમાનના ઓફિશિયલ મેઈલ પર 3 ઈ-મેલ મોકલ્યા હતા. તેમાં લખ્યું હતું કે- સલમાન ખાન તમારો આગામી નંબર છે, જોધપુર આવતા જ તમને સિદ્ધુ મૂસેવાલાની જેમ મારી નાખવામાં આવશે.
- જાન્યુઆરી 2024માં બે અજાણ્યા લોકોએ ફેન્સિંગ વાયર તોડીને સલમાન ખાનના ફાર્મ હાઉસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના હાથે ઝડપાઈ જતાં બંનેએ પોતાને સલમાનના ચાહક જાહેર કર્યા હતા. તેમની પાસેથી નકલી આધાર કાર્ડ મળી આવ્યા હતા. આ કારણે બંને વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે. લોરેન્સ ગેંગના નિશાના પર સલમાન ખાન છે.
‘સિકંદર’ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થશે
સલમાન ખાને હાલમાં ઈદના અવસર પર તેની આગામી ફિલ્મ ‘સિકંદર’ની જાહેરાત કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન સાઉથના પ્રખ્યાત નિર્દેશક એ. આર. મુરુગાદોસ કરશે, જેમણે અગાઉ ‘ગજની’, ‘હોલિડે’ અને ‘અકીરા’ જેવી હિન્દી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. સાજિદ નડિયાદવાલા તેના નિર્માતા હશે. નિર્માતા સાજિદ નડિયાદવાલા સાથે સલમાને ‘જુડવા’, ‘મુઝસે શાદી કરોગી’ અને ‘કિક’ સહિત ઘણી હિટ ફિલ્મો આપી છે.