7 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ એક્ટર ગુરુચરણ સિંહ ગુમ થયાને બે અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. પોલીસ હજુ સુધી તેઓને શોધી શકી નથી. હવે પિતા હરગીત સિંહ, જેમણે અભિનેતાના ગુમ થવાનો રિપોર્ટ નોંધાવ્યો હતો, તેમણે આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. તેઓ ચિંતિત છે કારણ કે તેમને તેમના પુત્ર વિશે કોઈ નક્કર માહિતી નથી મળી રહી.
પિતા સાથે ગુરુચરણ.
‘અમે તેના પાછા આવવાની રાહ જોઈ રહ્યા છીએ’
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા હરગીતે કહ્યું, ‘જે કંઈ થયું તે ખૂબ જ આઘાતજનક છે. અમે બધા ખૂબ જ ચિંતિત છીએ. અમે પોલીસ તરફથી તેના વિશેના કોઈપણ અપડેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. તેના પાછા આવવાની પણ રાહ જોવાઈ રહી છે.
ગુરુચરણ શો ‘તારક મહેતા’માં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવવા માટે જાણીતા છે.
પોલીસે અપહરણનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
ગુરુચરણ છેલ્લા બે અઠવાડિયાથી ગુમ છે. તેના પિતાની ફરિયાદ બાદ દિલ્હી પોલીસે અપહરણનો કેસ નોંધ્યો છે અને 50 વર્ષીય અભિનેતાને શોધી રહી છે. અભિનેતાનું છેલ્લું લોકેશન દિલ્હીના પાલમમાં તેના ઘરથી થોડા કિલોમીટર દૂર મળી આવ્યું હતું. તેણે એટીએમમાંથી 7000 રૂપિયા ઉપાડી લીધા અને પછી તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો.
પોલીસને પાલમ વિસ્તારમાંથી એક સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે જેમાં અભિનેતા બેગ લઈને રસ્તો ક્રોસ કરતો જોવા મળે છે.
22મી એપ્રિલથી કોઈ માહિતી નથી
અભિનેતા ગુરચરણ સિંહ 22 એપ્રિલના રોજ દિલ્હીથી મુંબઈ માટે રવાના થયા હતા, ત્યારબાદ તેમના તરફથી કોઈ સમાચાર નથી. અભિનેતાએ 2020 માં લોકડાઉન દરમિયાન તેના પિતાની સંભાળ રાખવા માટે ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડી દીધો હતો. એક્ટિંગથી દૂર રહ્યા બાદ ગુરુચરણ દિલ્હીમાં તેના માતા-પિતા સાથે રહે છે.
આવો… જાણીએ શું હતી સમગ્ર ઘટના
ગુરુચરણ સિંહ 22 એપ્રિલે દિલ્હીથી મુંબઈ આવવા નીકળ્યા હતા. દીકરો મુંબઈ ના પહોંચતાં અંતે ગુરુચરણના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી. આ કેસમાં ગુરુચરણના પિતા હરગીત સિંહે 25 એપ્રિલે બપોરે 3 વાગ્યે દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ પ્રમાણે, ‘મારો દીકરો ગુરુચરણ સિંહ 50 વર્ષનો છે અને તે 22 એપ્રિલ, સવારે સાડાઆઠ વાગ્યે મુંબઈ જવા રવાના થયો. તે મુંબઈ પહોંચ્યો નથી કે ઘરે પણ આવ્યો નથી. તેનો ફોન પણ લાગતો નથી. તેની માનસિક સ્થિતિ સારી છે. અમે તેની શોધખોળ કરી, પરંતુ હવે તે મિસિંગ છે.’
ATMમાંથી 7 હજાર ઉપાડી લીધા અને પછી ફોન સ્વિચ ઓફ કરી દીધો
પોલીસે જણાવ્યું હતું કે ગુરુચરણે 22 એપ્રિલના રોજ એટીએમમાંથી 7,000 રૂપિયા ઉપાડી લીધા હતા, ત્યાર પછી તેનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. તેનું છેલ્લું લોકેશન દિલ્હીના પાલમમાં તેના ઘરથી થોડા કિલોમીટર દૂર મળી આવ્યું હતું.
પોલીસ ઘરની આસપાસના સીસીટીવી સ્કેન કરી રહી છે
આ સિવાય પોલીસને પાલમ વિસ્તારમાંથી કેટલાક સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે, જેમાં એક્ટર બેગ લઈને રોડ ક્રોસ કરતો જોવા મળે છે. હવે પોલીસ તેના ઘરની આસપાસના બાકીના સીસીટીવી કેમેરાને પણ સ્કેન કરી રહી છે, એ જાણવા માટે કે તેણે દિલ્હી એરપોર્ટ પહોંચવા માટે કયો રસ્તો અપનાવ્યો હતો.
AICWAએ અપીલ કરી હતી
દરમિયાન ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિયેશન (AICWA)ના પ્રમુખ અને સ્થાપક સુરેશ શ્યામલાલ ગુપ્તાએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને આ મામલાને વહેલી તકે ઉકેલવા અપીલ કરી છે. ગુપ્તાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ અપીલ કરી હતી અને કહ્યું હતું કે સમગ્ર બોલિવૂડ અને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી ગુરુચરણના પરિવારની સાથે છે.
બે-વાર શો છોડ્યો
ગુરુચરણ 2008થી આ શો સાથે જોડાયા હતા. 2013માં તેમણે આ શો છોડી દીધો હતો. 2014માં પબ્લિક ડિમાન્ડને કારણે ગુરુચરણ ફરી શોમાં જોડાયા હતા. છ વર્ષ સુધી કામ કર્યા બાદ 2020માં ગુરુચરણે ફરી આ શો છોડી દીધો હતો. હવે તેના સ્થાને બલવિંદર સિંહ સૂરી, રોશન સિંહનું પાત્ર ભજવે છે. શો છોડ્યા બાદ ગુરુચરણ અન્ય કોઈ સિરિયલમાં જોવા મળ્યા નથી. તેમણે કહ્યું હતું, ‘જુઓ, મારા પિતાની એ સમયે સર્જરી થવાની હતી અને એ કારણે મેં શો છોડ્યો હતો, અન્ય કેટલીક બાબતો પણ હતી અને મારે એના પર ધ્યાન આપવાનું હતું. જીવનમાં આગળ વધવાનું હતું અને બીજાં કારણો પણ હતાં. જોકે એ આ અંગે વાત કરવા માગતો નથી.’
લોકડાઉન બાદ દિલ્હીમાં માતા-પિતા સાથે હતા
પછી 2020માં લોકડાઉન દરમિયાન પિતાની સંભાળ લેવા માટે ફરીથી શો છોડી દીધો. એક્ટિંગથી દૂર રહ્યા બાદ ગુરુચરણ દિલ્હીમાં તેમનાં માતા-પિતા સાથે રહે છે.
જેનિફરના સમર્થનમાં કોર્ટમાં જુબાની આપવાનો હતો
જેનિફરે સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ કર્યો હતો. જેનિફરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘ગુરુચરણે જ સિંગાપોરમાં અસિત મોદીના ખરાબ વર્તનથી મને બચાવી હતી. અસિત મોદીએ જ્યારે મારી સાથે ફ્લર્ટ ને ટચ કરવાની ટ્રાય કરી ત્યારે ગુરુચરણ જ વચ્ચે આવ્યો હતો અને અસિત મોદીને દૂર રહેવાની ચીમકી આપી હતી. તેને અસિત મોદીની હરકતોની જાણ હતી. મે, 2023માં ગુરુચરણે મને આશ્વાસન આપ્યું હતું કે તે મીડિયામાં કંઈ નહીં બોલે, પરંતુ કોર્ટમાં જરૂરથી જુબાની આપશે.’
‘અચાનક પોતાની વાતથી ફરી ગયો’
જેનિફરે વધુમાં કહ્યું હતું, ‘અચાનક 9 જૂન, 2023માં ગુરુચરણે મને ફોન કરીને મળવા બોલાવી. તેણે મને કહ્યું કે અસિત મોદીએ તેનાં સાડાત્રણ વર્ષના બાકી પૈસા આપી દીધા છે. મને તેની વાત પરથી જ ખ્યાલ આવી ગયો કે હવે તે મારા માટે જુબાની આપશે નહીં. તેણે મને એવું પણ કહ્યું કે તે મારી ને અસિત વચ્ચે સમાધાન કરાવી શકે છે. મને ગુરુચરણની વાતો સાંભળીને આંચકો લાગ્યો, કારણ કે પોલીસે પણ કોઈ એક વ્યક્તિને વચ્ચે રાખીને સમાધાન કરવાની સલાહ આપી હતી.