એક કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડની દિગ્ગજ એક્ટ્રેસ તનુજાને રવિવારે સાંજે તબિયત બગડવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક્ટ્રેસને મુંબઈની જુહુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તનુજાને ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે દાખલ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિગ્ગજ એક્ટ્રેસ તનુજાની ઉંમર 80 વર્ષની થઈ છે. હાલમાં તે ICUમાં નિરીક્ષણ હેઠળ છે. પીટીઆઈ અનુસાર, તનુજા સતત ડોક્ટરની દેખરેખમાં છે અને તેમના સ્વાસ્થ્ય ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
તનુજાએ બાળ કલાકાર તરીકે ફિલ્મ ‘હમારી બેટી’થી કરિયરની શરૂઆત કરી
તનુજાનો જન્મ 23 સપ્ટેમ્બર 1943ના રોજ થયો હતો. તેમના પિતા કુમારસેન સમર્થ ફિલ્મ નિર્દેશક હતા અને માતા શોભના સમર્થ ફિલ્મ એક્ટ્રેસ હતા. તેમના સમયના પ્રખ્યાત અભિનેત્રી નૂતન તેમની મોટા બહેન હતા. તનુજાએ 1950માં આવેલી ફિલ્મ ‘હમારી બેટી’ દ્વારા બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. લીડ એક્ટ્રેસ તરીકે તેમની પ્રથમ ફિલ્મ ‘છબિલી’ હતી. 1961માં રિલીઝ થયેલી ફિલ્મ ‘હમારી યાદ આયેગી’ તનુજાની કરિયરમાં એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ હતી.
તનુજાએ ‘આજ ઔર કલ’, ‘બહારેં ફિર ભી આયેંગી’, ‘દો ચોર’, ‘દો દૂની ચાર’, ‘ઘરાના’, ‘હાથી મેરે સાથી’, ‘જ્વેલ થીફ’, ‘જીયો ઔર જીને દો’માં કામ કર્યું છે. અને ‘પ્રેમરોગ’ જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ કરી હતી. તેમને બે વખત બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. વર્ષ 214માં ફિલ્મફેરનો લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ મળ્યો હતો. તનુજાએ વર્ષ 1973માં શોમુ મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે દીકરીઓ કાજોલ અને તનિષા છે.
પરિવારના સભ્યએ કોઈ અપડેટ આપી નથી
તનુજાની દીકરીઓ- કાજોલ અને તનિષાએ હાલમાં કોઈ અપડેટ આપ્યું નથી. તનુજાના જમાઈ અજય દેવગને પણ તેના સ્વાસ્થ્ય અંગે કોઈ નિવેદન આપ્યું નથી. તેની સ્થિર સ્થિતિ જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરશે.