16 મિનિટ પેહલાલેખક: ઇલેક્શન ડેસ્ક
- કૉપી લિંક
આ વખતે લોકસભાની ચૂંટણી ત્રણ પ્રકારના નેતાઓ લડ્યા.
1- જેઓ સાંસદ હતા અને પક્ષે રિપીટ કર્યા. 2- જેઓ હાલ ધારાસભ્ય છે અને લોકસભાના સાંસદ બન્યું છે. 3- જેમણે પહેલીવાર ટિકિટ મળી અને ચૂંટણી લડ્યા.
ઉપરના ત્રણ પ્રકારના ઉમેદવારોમાંથી ચૂંટણીરૂપી કસોટી કોઈ પણ માટે સરળ નથી. ચિંતા અલગ-અલગ પ્રકારની છે. જેમ કે કોઈને હારી જવાનો ડર છે, કોઈને ડિપોઝીટ જપ્ત થઈ જાય તેની પણ ચિંતા હશે તો કોઈ દિગ્ગજ નેતાને જીત ભલે નિશ્ચિત લાગતી હોય પણ ઓછી લીડ મળવાનો ડર હશે. લોકસભાની ચૂંટણીનું પરિણામ તો 4 જૂનના રોજ પછી આવશે. પરંતુ મતદાનના આંકડાની જે પેટર્ન જોવા મળી તે ઘણું કહી જાય છે.
દિવ્ય ભાસ્કરના આ ખાસ રિપોર્ટમાં વાંચો ગુજરાતની એ બેઠકોનું ઍનાલિસિસ જ્યાંથી સિટિંગ ધારાસભ્ય ચૂંટણી લડીને સાંસદ બનવા માટે મેદાને ઉતર્યા છે.
2022ની વિધાનસભા ચૂંટણીમાં જીત મળી હોય એવા 7 ધારાસભ્યોને તેમના પક્ષે લોકસભાની ચૂંટણી લડવા માટે ટિકિટ આપી છે. જેમાં 5 ધારાસભ્ય કોંગ્રેસના છે જ્યારે 2 ધારાસભ્ય આમ આદમી પાર્ટીના છે. ભાજપે એક પણ ધારાસભ્યને આ વખતે લોકસભાની ટિકિટ આપી નથી.
ગુજરાત જ નહીં દેશભરમાં કોંગ્રેસ નબળી પડી હોવા પાછળ સૌથી મજબૂત કારણ ગણાતું હોય તો એ છે ગ્રાઉન્ડ લેવલની નિષ્ક્રિયતા. પરંતુ વલસાડ, સાબરકાંઠા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ આ પાંચ સીટ પર ધારાસભ્યોને લડાવ્યા. ત્યારે કોંગ્રેસના કાર્યકરો ચાર્જ થઈ ગયા હોય એમ લાગી રહ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીના બે ધારાસભ્ય ભરૂચ વસાવા અને ઉમેશ મકવાણા અનુક્રમે ભરૂચ અને ભાવનગરની ચૂંટણી લડ્યા. 16 મહિનામાં ફરી પ્રચાર માટે ઉતરેલા આ નેતાઓએ લોકસભાની ચૂંટણીમાં પણ દમખમથી શહેર અને ગ્રામ્ય વિસ્તાર ખુંદ્યા. બીજી તરફ ભાજપની વ્યૂહરચના, બૂથ પ્રમાણે મેનેજમેન્ટ, 5 લાખની લીડનો ટાર્ગેટ પણ અસરકારક રહ્યું હોઈ શકે.
બનાસકાંઠાએ મતદાનના પહેલા રાઉન્ડમાં બધાને પાછળ રાખ્યા
ગુજરાતની કુલ 26 બેઠકોમાં સુરતના હાઇપ્રોફાઇલ પોલિટિકલ ડ્રામાને બાદ કરતા સૌથી રોચક રાજકીય મુકાબલો બનાસકાંઠામાં રહ્યો છે. છેલ્લી ઘડી સુધી બનાસકાંઠાના અલગ-અલગ ઘટનાક્રમે આખા રાજ્યની પ્રજાનું ધ્યાન ખેંચ્યું છે.
બનાસકાંઠામાં સવારે 9 વાગ્યા સુધીમાં 12.28 ટકા મતદાન થયું હતું. જે ગુજરાતની બાકીની 24 સીટો કરતા વધુ હતું. દર બે કલાકે જાહેર થતાં મતદાનના આંકડામાં વધારો થતો ગયો. સાંજે 6 વાગ્યા બાદ મળેલા મતદાનના આંકડા મુજબ બનાસકાંઠામાં કુલ મતદાન 64.5 ટકાની આસપાસ રહ્યું. બનાસકાંઠા લોકસભામાં કુલ સાત વિધાનસભા વિસ્તાર આવે છે. જેમાં સૌથી વધુ મતદાન દાંતામાં 68 ટકા જેટલું થયું. જ્યારે બીજા ક્રમે વાવમાં 65 ટકા કરતા વધુ મતદાન થયું છે. ગેનીબેન ઠાકોર વાવથી જ ધારાસભ્ય છે.
ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું એ સમયની તસવીર.
બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મુકાબલો ભાજપના રેખાબેન ચૌધરી સાથે છે. આમ તો બન્ને ઉમેદવાર પહેલીવાર લોકસભાની ચૂંટણી લડ્યા પરંતુ ગેનીબેન ઠાકોરે પોતાને “બનાસની બેન ગેનીબેન” તરીકે પ્રસ્તુત કર્યા. બનાસકાંઠાની ચૂંટણીમાં જ્ઞાતિ સમીકરણ પણ ખૂબ મોટો ભાગ ભજવે છે. પરંતુ આ ઉપરાંત ડેરી ફેક્ટર પર અસરકારક ગણી શકાય. આ જ કારણે ભાજપે રેખાબેન ચૌધરીને બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ પટેલના પૌત્રી તરીકે રજૂ કર્યા.
ગેનીબેન ઠાકોરના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ લાખણીમાં સભા સંબોધી હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસામાં ચૂંટણી સભા કરીને રેખાબેન ચૌધરી માટે મત માગ્યા હતા.
ભરૂચમાં ચૈતર વસાવાના ગઢમાં રેકોર્ડબ્રેક મતદાન
બનાસકાંઠા બાદ આ ચૂંટણીમાં ભરૂચ લોકસભા સીટ ઘણી ચર્ચામાં રહી. કારણ કે ભરૂચમાં ભાજપે સાતમી વખત સાંસદ મનસુખ વસાવાને ટિકિટ આપી તો સામે I.N.D.I.A ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના નેતા અને દેડિયાપાડાથી ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડ્યા.
લોકસભાના ઉમેદવાર જાહેર થયા એ પહેલાથી જ ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ હેડલાઇન્સ બનતા જ રહ્યા હતા. એમાં પણ પછી જ્યારે કેજરીવાલે ગઠબંધનની સત્તાવાર જાહેરાત પહેલા જ ચૈતર વસાવાને ભરૂચના ઉમેદવાર જાહેર કરી દીધા ત્યારથી ચૂંટણી રસપ્રદ બની ગઈ.
એક તરફ મનસુખ વસાવાનો રાજકારણમાં લગભગ ચાર દસકાનો અનુભવ, બીજી તરફ યુવા નેતા ચૈતર વસાવાનો જોશ. મતદાનની છેલ્લી મિનિટો સુધી આ રાજકીય ટક્કર ચર્ચાના કેન્દ્રમાં રહી છે.
ભરૂચ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા.
ભરૂચમાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.78 ટકા મતદાન થયું હતું. એટલે કે બાકીની બેઠકોની સાપેક્ષમાં સામાન્ય હતું. પણ સૂર્ય જેમ મધ્યાહને પહોંચ્યો એમ મતદાનની ટકાવારી પણ વધવા લાગી. 6 વાગ્યા સુધીમાં મળેલા આંકડા પ્રમાણે ભરૂચ લોકસભા મતવિસ્તારમાં 64 ટકાથી વધુ મતદાન થયું. જેમાં વિધાનસભાની દૃષ્ટિએ જોઈએ તો સૌથી વધુ મતદાન દેડિયાપાડામાં 83 ટકાથી પણ વધુ થયું. આ જ બેઠકથી ચૈતર વસાવા ધારાસભ્ય છે.
ભરૂચમાં પણ બે દિગ્ગજ નેતાઓએ ચૂંટણી પ્રચાર કર્યો. કેજરીવાલ તો લીકર કેસમાં જેલમાં કેદ છે. એટલે ચૈતર વસાવા માટે પ્રચાર કરવા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવ્યા હતા. ભાજપ તરફથી અમિત શાહે ઝઘડિયા પહોંચીને મનસુખ વસાવા માટે પ્રચાર કર્યો હતો.
આણંદમાં મતદારોને મનાવવામાં કોણ રહ્યું સફળ?
આણંદ લોકસભા બેઠક પર 2014 અને 2019માં ભાજપની જીત થઈ હતી. ભાજપે 2019માં ચૂંટાયેલા સાંસદ મિતેશ પટેલને ફરીથી ટિકિટ આપી હતી. સામા પક્ષે છેલ્લી બે ચૂંટણીમાં ભરતસિંહ સોલંકીની હાર થઈ હતી. વળી તેમણે ઉમેદવાર જાહેર થાય એ અગાઉ જ ચૂંટણી લડવાની ના પાડી દીધી એટલે કોંગ્રેસે ઘણા મંથન બાદ અમિત ચાવડાને ઉમેદવાર બનાવ્યા. આ જ અરસામાં મિતેશ પટેલ પક્ષના જ આંતરિક વિખવાદના કારણે ચર્ચામાં આવ્યા અને મામલો છેદ દિલ્હી સુધી પહોંચ્યો, ઉમેદવાર બદલવાની માગ પણ થઈ. છતાં મિતેશ પટેલની ટિકિટ અકબંધ રહી પરંતુ આણંદ લોકસભા બેઠક ખૂબ ચર્ચામાં આવી ગઈ.
વળી, આણંદમાં ક્ષત્રિયોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે. રૂપાલાના નિવેદનના વિરોધમાં આણંદમાં ક્ષત્રિયોનું વિશાળ સંમેલન થયું હતું. 2 મેના રોજ વડાપ્રધાન મોદીએ વિદ્યાનગરમાં સભા કરી અને તેમાં ઓબીસી અનામત, બંધારણ વગેરેનો ઉલ્લેખ કર્યો અને વોટ જેહાદ પર કોંગ્રેસી નેતાએ કરેલી ટિપ્પણી પર પણ વળતો જવાબ આપ્યો એટલે આણંદમાં થયેલો પ્રચાર પણ ચર્ચામાં રહ્યો.
આણંદમાં 9 વાગ્યા સુધીમાં થયેલા મતદાનનો આંકડો ખૂબ સામાન્ય હતો. શરૂઆતના બે કલાકમાં 10.35 ટકા મતદાન થયું હતું. 1 વાગતા સુધીમાં આણંદમાં 41.78 ટકા મતદાન નોંધાયું. સાંજે 6 વાગ્યા સુધીમાં મળેલા આંકડા પ્રમાણે આણંદમાં 62 ટકાથી વધુ મતદાન નોંધાયું. આણંદ લોકસભામાં આવતી આંકલાવ વિધાનસભા બેઠકથી અમિત ચાવડા ધારાસભ્ય છે. આંકલાવમાં બાકીના વિસ્તારની સાપેક્ષમાં સૌથી વધુ 70 ટકાને પાર મતદાન થયું છે.
આણંદથી ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ.
જો કે એક રસપ્રદ આંકડો એ પણ છે કે મિતેશ પટેલને 2019માં ભરતસિંહ સોલંકી સામે 1,97,718 મતની લીડ મળી હતી. 70 ટકા મતદાન બાદ લગભગ બે લાખ જેટલી લીડ કાપવી સરળ તો નથી.
વલસાડે ઉચ્ચ મતદાનનો સિલસિલો યથાવત્ રાખ્યો
વલસાડ લોકસભા બેઠક માત્ર ગુજરાત નહીં પરંતુ રાષ્ટ્રીય રાજકારણમાં પણ પોતાની આગવી છાપ ધરાવે છે. એક માન્યતા છે અને ટ્રેન્ડ પણ એવો જ રહ્યો છે કે જે પક્ષ વલસાડની બેઠક પર જીત મેળવે કેન્દ્રમાં તેની સરકાર બને છે. પછી તો આ બેઠક પર મોટા નેતાઓની નજર કેમ ન હોય!!!
દક્ષિણ ગુજરાતના સૌથી છેવાડે આવેલી આ લોકસભા સીટ અનુસૂચિતજનજાતિ એટલે કે ST વર્ગ માટે અનામત રાખવામાં આવી છે. આ વિસ્તાર પર આદિવાસી મતદારોનો દબદબો ખૂબ વધારે છે. અહીંયાંથી ભાજપના કે.સી.પટેલ 2014 અને 2019માં લોકસભાની ચૂંટણી જીત્યા હતા. પણ આ વખતે ભાજપે ઉમેદવાર બદલીને તદ્દન નવા ચહેરા તરીકે 38 વર્ષના ધવલ પટેલને ટિકિટ આપી છે. તો સામે કોંગ્રેસે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને ટિકિટ આપી છે. અનંત પટેલ 2017 અને 2022માં વાંસદા વિધાનસભા બેઠક જીતીને ધારાસભ્ય બન્યા છે.
અનંત પટેલ તાપી-પાર લિંક યોજનાના વિરોધ કરીને ખૂબ ચર્ચામાં આવ્યા હતા. દિવ્ય ભાસ્કરે જ્યારે મતદારોનો મિજાજ જાણ્યો હતો ત્યારે પણ અનંત પટેલનું નામ વધારે સાંભળવા મળ્યું હતું. ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સ્થાનિક ન હોવાના પણ દાવા લોકોએ કર્યા હતા. પરંતુ આ મ્હેણું ભાંગવા માટે ધવલ પટેલે આદિવાસી વિસ્તારમાં ખૂબ ભ્રમણ કર્યું હોવાની જાણકારી મળી છે.
16 મહિનામાં જ આવેલી બીજી ચૂંટણીમાં બન્ને ઉમેદવારો મતદારોને બૂથ સુધી લાવવાની પ્રક્રિયામાં સફળ નિવડ્યા હોય એમ લાગી રહ્યું છે.
વલસાડ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ.
આ વખતના મતદાનમાં વલસાડના મતદારો પણ ખૂબ ઉત્સાહિત જોવા મળ્યા. વલસાડમાં સવારે 9 વાગ્યા સુધીમાં 11.65 ટકા મતદારો મતદાન કરી ચૂક્યા હતા. બપોરે 1 વાગ્યાથી સાંજના 5 વાગતા સુધીમાં વલસાડમાં બમ્પર વોટિંગ થયું અને છેલ્લે આવેલા આંકડા મુજબ મતદાનનો આંકડો 68 ટકાને પાર પહોંચી ગયો. વલસાડ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ વાંસદાથી ધારાસભ્ય છે. ત્યાં 69 ટકાથી વધુ મતદાન થયું. પરંતુ આ લોકસભા વિસ્તારમાં ડાંગના મતદારોનો વટ પડ્યો. ત્યાં 74 ટકાથી પણ વધુ મતદાન થયું.
એક મુદ્દો એ પણ ધ્યાને લેવા જેવો છે કે પ્રિયંકા ગાંધી ગુજરાતમાં પહેલીવાર લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે આવ્યા હતા. જેમાં તેમણે પ્રચાર માટે વલસાડ સીટ પસંદ કરી હતી.
સાબરકાંઠામાં વિવાદ વચ્ચે નોંધનિય મતદાન
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી હોય તો સાબરકાંઠા બેઠક કોઈ ખાસ વિવાદના કારણે ચર્ચામાં આવી હોય એમ નહોતું. પરંતુ આ ચૂંટણીમાં તો સાબરકાંઠામાં ઉકળેલા ચરૂ જેવી સ્થિતિએ દિલ્હી સુધી નેતાઓને દોડતા કર્યા. હાલ એવી થઈ કે ભાજપે ઉમેદવાર બદલી કાઢવા પડ્યા.
અગાઉ ભાજપે ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા હતા, પરંતુ તેમની અટક અંગે વિવાદ થતાં ભાજપે ઉમેદવાર બદલવા પડ્યા. ભાજપે શિક્ષિકા રહેલા અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાનાં પત્ની શોભનાબેનને ટિકિટ આપી. ભીખાજી ઠાકોરના સમર્થકો નારાજ થયા. સાબરકાંઠાના વિવિધ વિસ્તારોમાં ભીખાજીના સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખુદ પાટીલે બેઠકો કરીને વિવાદ થાળે પાડવો પડ્યો હતો.
કોંગ્રેસે ખેડબ્રહ્માના ધારાસભ્ય, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના દીકરા તુષાર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર છેલ્લી 13 ચૂંટણીમાંથી 10 ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો, પણ છેલ્લી ત્રણ ટર્મથી અહીં ભાજપ જીતતો આવ્યો છે. ગઈ ચૂંટણીમાં ભાજપના દીપસિંહ રાઠોડે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોરને 2.68 લાખ મતથી હરાવ્યા હતા.
ખેડબ્રહ્માથી વિધાનસભાની ચૂંટણી લડેલા તુષાર ચૌધરીએ સાબરકાંઠા લોકસભા બેઠક જીતવા માટે પણ આ વખતે પ્રચારમાં કોઈ કસર બાકી રાખી ન હતી. કાર્યકર્તાઓની બ્રિગેડ તૈયાર હતી એટલે પ્રચારમાં વાંધો ન આવ્યો. સામે ભાજપની મશીનરી પણ આગવી વ્યૂહરચના સાથે પ્રચારમાં લાગી ગઈ. ખુદ વડાપ્રધાન મોદીએ હિંમતનગરમાં સભા કરી હતી. જેમાં શોભનાબેન બારૈયાને પોતાની બહેન ગણાવ્યા હતા.
સાબરકાંઠામાં શરૂઆતના બે કલાકમાં જ 11.43 ટકા મતદાન થયું હતું. રાજ્યની બીજી લોકસભા બેઠકની સરખામણીમાં મતદાનની આ ટકાવારી બનાસકાંઠા, વલસાડ અને બારડોલી બાદ ચોથા ક્રમે હતી. સાબરકાંઠામાં કુલ મતદાનનો આંકડો 61 ટકાને પાર પહોંચી ચૂક્યો છે. એમાં પણ કદાચ તુષાર ચૌધરીનું ધારાસભ્ય ફેક્ટર અસર કર્યું હોઈ શકે. એટલે જ તેઓ ધારાસભ્ય છે એ ખેડબ્રહ્મા બેઠક પર સૌથી વધુ 70.73 ટકા જેટલું મતદાન થયું.
બનાસકાંઠા, ભરૂચ, આણંદ, વલસાડ અને સાબરકાંઠા સિવાય બીજી બે બેઠક એવી છે જ્યાંથી ધારાસભ્યો ચૂંટણી લડ્યાં. પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ તથા ભાવનગરથી ઉમેશ મકવાણા ઉમેદવાર છે. પરંતુ આ બન્ને બેઠકો પર મતદાન અન્ય ધારાસભ્યોવાળી બેઠકની સાપેક્ષમાં ઓછું રહ્યું.
જો કે મતદાન બનાસકાંઠા, ભરૂચ, આણંદ, વલસાડ અને સાબરકાંઠા પર થયેલું મતદાન કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં છે કે વિરોધમાં એ કહી ન શકાય. ત્યાંના મતદારો સામે એક તરફ 16 મહિનામાં ધારાસભ્યોએ કરેલા કામ હતા. બીજી તરફ ભાજપે કરેલા વાયદા અને વડાપ્રધાન મોદીનો ચહેરો હતો.
(નોંધ- મતદાનના આંકડા ચૂંટણીપંચની મોબાઇલ એપ્લિકેશન “ટર્નઆઉટ એપ” પર 6 વાગ્યા સુધીમાં અપલોડ થયેલા છે.)