અમદાવાદ,ગુરુવાર,3 એપ્રિલ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૮થી ૩૦ એપ્રિલ-૨૫
સુધી એડવાન્સ ટેકસ રિબેટ યોજના અમલમાં મુકાશે. આ યોજના હેઠળ એડવાન્સ ટેકસ ભરનારા
કરદાતાઓને ૧૨થી ૧૫ ટકા સુધીનુ રિબેટ આપવામાં આવશે.ગત વર્ષે એડવાન્સ ટેકસ રિબેટ
યોજના અંતર્ગત તંત્રને રુપિયા ૭૭૬.૮૪ કરોડની આવક થઈ હતી.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તાકીદની દરખાસ્ત એડવાન્સ ટેકસ રિબેટ
યોજનાને લઈ મંજુરી અપાઈ હતી.વર્ષ-૨૦૨૫-૨૬નો એડવાન્સ ટેકસ ભરનારા કરદાતાઓને ૧૨ ટકા રિબેટ
અપાશે.ઓનલાઈન ટેકસ ભરનારા કરદાતાઓને એક ટકો વધુ રિબેટ સાથે કુલ ૧૩ ટકા રિબેટ અપાશે.વર્ષ-૨૦૨૫-૨૬
પહેલાં સળંગ ત્રણ વર્ષથી ઓનલાઈન ટેકસ ભરનારા
કરદાતાઓને ૧૨ ટકા ઉપરાંત ઓનલાઈન ટેકસ ભરનારને એક ટકો તથા સતત ત્રણ વર્ષથી એડવાન્સ ટેકસ
ચૂકવનારા કરદાતાને વધુ બે ટકા એમ કુલ મળીને ૧૫ ટકા રિબેટ અપાશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
દેવાંગ દાણીએ કહયુ,વર્ષ-૨૦૨૪-૨૫ના
વર્ષમાં એડવાન્સ ટેકસ રિબેટ યોજનાનો કુલ ૫.૮૨ લાખથી વધુ કરદાતાઓએ લાભ લીધો હતો.યોજના
દરમિયાન મ્યુનિ.તંત્રને રુપિયા ૭૭૬.૮૪ કરોડની આવક થઈ હતી.યોજના દરમિયાન એડવાન્સ ટેકસ
ભરનારા કરદાતાઓને રુપિયા ૮૦.૭૫ કરોડનું રિબેટ અપાયુ હતુ.