આંબાવાડીમાં ઇન્કમટેક્ષની નિવૃત અધિકારી સાથે છેતરપિંડી
દિલ્હીથી પેન્શન ઓફિસના અધિકારીનું કહીને કોલ કરીને એટીએમમાંથી પ્રોસેસ કરવાનું કહી છેતરપિંડી આચરી
Updated: May 4th, 2024
અમદાવાદ,શનિવાર
ઇન્કમટેક્ષ વિભાગના નિવૃત પ્રિન્સીપલ કમિશ્નરને દિલ્હીથી પેન્શન
ઓફિસરના નામે કોલ કરીને એક ગઠિયાએ એટીએમની મદદથી રેફરન્સ નંબરની મદદથી રૂપિયા ૧૦.૨૦
લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધવામાં આવી છે. શહેરમાં
છેતરપિંડીની નવી જ મોડ્સ ઓપરેન્ડી સામે આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલા એમ્બેસી એપાર્ટમેન્ટમાં રહેતા
રમેશભાઇ રામરાજ ઇન્કમટેક્ષ વિભાગમાં પ્રિન્સીપલ
કમિશ્નર તરીકે ફરજ બજાવ્યા બાદ હાલ નિવૃત જીવન પસાર કરે છે. ગત ૧૫મી એપ્રિલના રોજ તેમને અજાણ્યા મોબાઇલ નંબર પરથી કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ દિલ્હીની પેન્શન ઓફિસના અધિકારી
તરીકે આપ્યો હતો. તેણે જણાવ્યું હતું કે તમારે તમારો પર્સનલ પેન્શન ઓર્ડર રીન્યુ કરવો
પડશે. જો તે રિન્યુ નહી થાય તો તમને એપ્રિલ મહિનાનું પેન્શન મળશે નહી. જે અપડેટ કરવા
માટે એસબીઆઇના એટીએમમાં જવુ પડશે. જેથી રમેશભાઇ નજીકમાં આવેલી એસબીઆઇના એટીએમમાં ગયા
હતા. જ્યાં તેમને યોનો એપ્લીકેશન ઓપન કરાવીને ત્રણ વાર રેફન્સ નંબર એન્ટર કરવા માટે
સુચના આપી હતી. ત્યારબાદ તેમને ઓર્ડર રીન્યુ થયાનો ઇમેઇલ આવી જશે. આ દરમિયાન તેણે રમેશભાઇની
પત્નીના બેંક એકાઉન્ટ અંગે પુછતા તેમને શંકા ગઇ હતી. જેથી તાત્કાલિક તેમણે બેંકમાં
તપાસ કરી ત્યારે ચોંકી ઉઠયા હતા. કારણ કે તેમના બેંક એકાઉન્ટમાંથી ૧૦.૨૦ લાખની રકમ
ઓનલાઇન ટ્રાન્સફર થઇ ગઇ હતી. આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને જરૂરી કાર્યવાહી હાથ
ધરી છે.