Updated: Apr 30th, 2024
Road Accident In Ahmedabad: ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે (30મી એપ્રિલ) અમદાવાદ શહેરના નારોલ-જુહાપુરા વચ્ચે ડમ્પર ચાલકે કારને જોરદાર ટક્કર મારી હતી. મળતી માહિતી અનુસાર, આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા અને રોડ પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. હાલ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
પીરાણામાં કચરાના ડમ્પર ચાલકો બેફામ બન્યા
અમદાવાદ શહેરમાં પીરાણા વિસ્તારમાં કચરાના ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. આ ડમ્પરો દ્વારા અવાર-નવાર લોકોને કચડી નાખવાની ઘટનાઓ બનતી રહે છે. અગાઉ પણ પીરાણા સર્કલ નજીક ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ગઈકાલે રાજ્યમાં માર્ગ અકસ્માતની ત્રણ ઘટના બની હતી
રાજ્યમાં છેલ્લા ઘણાં દિવસોથી અકસ્માતની ઘટના વધુ બની રહી છે. ગઈકાલે (29મી એપ્રિલ) રાજ્યમાં ત્રણ ગોઝારા માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના જીવ ગયા છે. બગસરા-જેતપુર હાઈવે પર ખાનગી બસ પલટી મારી જતા બે લોકોના મોત થયા હતા. બીજો અકસ્માત જામનગરના નારણપર ગામના પાટીયા નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. જેમાં બાઈકમાં સવાર પતિ-પત્ની મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ત્રીજી ઘટનામાં કલોલ-અડાલજ હાઈવે પર શેરથા નજીક પસાર થઈ રહેલ મોપેડને ટ્રકે ટક્કર મારી હતી. જેમાં મોપેડ ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.