2 કલાક પેહલાલેખક: ઇલેક્શન ડેસ્ક
- કૉપી લિંક
ગુજરાતમાં છેલ્લા એક મહિના કરતા પણ વધુ સમયથી ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે. વિવાદના કેન્દ્રમાં તો પરશોત્તમ રૂપાલાનું નિવેદન છે પરંતુ બધા એ વાતની રાહ જોઈ રહ્યાં હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચાર કરશે તો ક્ષત્રિય આંદોલનને ઠારવા માટે શું કરશે? ઘણા દિવસોથી લાખો લોકોના મનમાં ઉઠેલા સવાલનો જવાબ અને એ ઉપરાંત પણ ઘણા સંકેત મળી ચૂક્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતમાં રહ્યાં. 1 મેના રોજ ડીસા અને હિંમતનગરમાં સભા કરી ત્યાર બાદ બીજા દિવસે મેરેથોન રેલીની શરૂઆત આણંદથી કરી. ત્યાંથી સીધા પહોંચ્યા સૌરાષ્ટ્ર જ્યાં તેમણે સુરેન્દ્રનગર, જૂનાગઢ અને સાંજે જામનગરમાં ચૂંટણી સભા કરી હતી.
ગુરુવારે ચાર અલગ-અલગ સ્થળોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ભાષણનું દિવ્ય ભાસ્કરે વિશ્લેષણ કર્યું છે. તેમણે કઈ જગ્યાએ ફ્રન્ટફૂટ પર મુદ્દો ઉઠાવીને વિરોધીઓ પર આક્ષેપ કર્યા અને ક્યાં સૂચક નિવેદન આપ્યા? તેની પાછળના કારણ અને તારણ શું હોઈ શકે છે? મત મેળવવાના દૃષ્ટિકોણથી તેમની નજર ક્યાં હતી? એ બાબતે તમને આ રિપોર્ટમાં જાણકારી મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, જામનગર એમ ચારેય જગ્યાએ એક મુદ્દાનો તો લગભગ શબ્દસ: ઉલ્લેખ કર્યો.
એક વાત નોંધવા જેવી એ છે કે ખેડામાં ક્ષત્રિય મતદારોની અંદાજિત સંખ્યા 9 લાખની આસપાસ છે, જ્યારે પાટીદાર મતદારો 4 લાખ 40 હજાર જેટલા છે. આણંદમાં ક્ષત્રિય મતદાર અંદાજે 8 લાખ 66 જ્યારે પાટીદાર મતદાર સવા ચાર લાખની આસપાસ છે. મોદીકાળમાં તો આ બન્ને સીટ પર ભાજપની જીત થતી રહી છે પરંતુ એક સમયે આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. આણંદથી અમિત ચાવડા આ વખતે ભાજપના મિતેષ પટેલને મજબૂત ટક્કર આપી રહ્યાં છે.
વડાપ્રધાન મોદીએ આણંદની રેલીમાં સલમાન ખુરશીદના એક સંબંધીએ કરેલી ટિપ્પણીનો ઉલ્લેખ કરતા કહ્યું, ઈન્ડિ. ગઠબંધનની રણનીતિની પોલ તેના જ એક બહુ મોટા નેતાએ ખોલી નાખી છે. ઈન્ડિ. ગઠબંધને મુસ્લિમોને વોટ- જેહાદ કરવાનું કહ્યું છે. આપણે લવ-જેહાદ સાંભળ્યું હતું, પણ હવે વોટ-જેહાદ. આ વાત મદરેસામાંથી નીકળેલા બાળકે નથી કરી. કોંગ્રેસના ભણેલા-ગણેલા નેતાના પરિવારમાંથી કહેવાયું છે કે મુસ્લિમોને વોટ-જેહાદ કરવા કહ્યું છે.
વડાપ્રધાન મોદીએ આ જ વાત જામનગરમાં પણ રિપિટ કરી હતી. વળી ચરોતરના ઘણા લોકો વિદેશમાં વસે છે. એટલે વિદેશમાં ભારતની છબીનો પણ ઉલ્લેખ કર્યો.
આણંદમાં પીએમ મોદીએ યુક્રેન યુદ્ધની શરૂઆત સમયે થયેલા રેસ્ક્યૂ ઓપરેશન વિશે કહ્યું, ત્યાં બોમ્બ ધડાકા વચ્ચે નીકળવું હોય તો એક જ પાસપોર્ટ ચાલતો હતો. આ પાસપોર્ટ એટલે દેશનો તિરંગો. પાકિસ્તાનવાળા પણ તિરંગો બતાવે તો સેના જવા દેતી હતી.
આણંદ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં OBC મતદારોની સંખ્યા નોંધનીય છે. સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં તો ભાજપે ટિકિટ પણ કોળી મતદારને આપી છે. એટલે SC, ST, OBCને મળતી અનામત વિશે કોંગ્રેસ પર આક્ષેપ કરવાનું તેઓ ન ભૂલ્યા.
અનામત મુદ્દે વડાપ્રધાન મોદીએ શું કહ્યું?
- કોંગ્રેસે SC, ST, OBCને અંધારામાં રાખ્યા. તેમની ચિંતા નથી કરી.
- કોંગ્રેસે OBCઅનામત માટે તમામ પ્રસ્તાવ ફગાવ્યા હતા.
- SC, ST, OBC ભાજપની મોટી શક્તિ.
- આજે ભાજપમાં સૌથી વધુ સાંસદ-ધારાસભ્યો SC, ST, OBC છે.
- 60 ટકાથી વધુ મંત્રી SC, ST, OBC છે.
- કોંગ્રેસ SC, ST, OBCના ભાગની અનામત મુસ્લિમોને આપવા માગે છે .
- કર્ણાટકમાં ફતવો આવ્યો અને મુસ્લિમોને OBC બનાવ્યા.
રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓએ ચૂંટણી પહેલાથી જ “બંધારણ ખતરામાં છે” એવા આરોપ લગાવ્યા હતા. રાહુલ ગાંધી કેટલીક સભામાં હાથમાં બંધારણ રાખીને પહોંચ્યા હતા. ગુજરાતમાં વડાપ્રધાન મોદીએ જ્યાં પણ રેલી કરી ત્યાં આ જ મુદ્દે કોંગ્રેસને ઘેરી હતી. આવું ઓછા સંજોગોમાં બને છે કે વિપક્ષે ઉઠાવેલા મુદ્દા પર વડાપ્રધાન મોદી વારંવાર બોલે.
બંધારણ મુદ્દે સરદાર, આંબેડકરથી લઈ કલમ 370 સુધીનો ઉલ્લેખ
આણંદ- કોંગ્રેસના શહઝાદા માથા પર બંધારણ મુકીને નાચી રહ્યા છે. કોંગ્રેસ જવાબ આપે કે દેશના તમામ ભાગોમાં 75 વર્ષ સુધી બંધારણ લાગુ કેમ નહોતું થતું? દેશમાં બે બંધારણ હતા. સરદાર પટેલની ભૂમિથી આવેલા દીકરાએ કલમ 370 હટાવી અને સરદાર પટેલને સૌથી મોટી શ્રદ્ધાંજલિ આપી.
સુરેન્દ્રનગર- હું મુખ્યમંત્રી હતો ત્યારે બંધારણને 60 વર્ષ થયા હતા, એ સમયે સુરેન્દ્રનગરમાં બંધારણને હાથી પર રાખીને હું પગે ચાલ્યો હતો. બંધારણ લાગુ થયાની 75મી વર્ષગાંઠ ધામધૂમથી ઉજવીશું. 4 જૂને પરિણામ આવશે એટલે હું પાછળ પડી જઈશ. બંધારણના સન્માન માટે આ લોકોના મગજ ઠેકાણે લાવવા જ પડશે.
જૂનાગઢ- કોંગ્રેસની સત્તા હતી છતાં આખા દેશમાં બંધારણ લાગુ ન કર્યું, બે સંવિધાન હતા. આ આંબેડકરનું અપમાન હતું. અમે કલમ 370ને જમીનમાં દાટી દીધી છે.
વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં તેમની તમામ સભામાં ભાષણની શરૂઆત ગુજરાતીમાં કરી હતી. 5 મિનિટની આસપાસ ગુજરાતીમાં બોલ્યા બાદ હિન્દીમાં ભાષણ આપ્યા અને છેલ્લે 10 મિનિટની આસપાસ ફરીથી ગુજરાતમાં બોલ્યા હતા. આ દરમિયાન ચારેય સભામાં સ્થાનિક લોકોને સીધા અસર કરે એવી વાતો પણ કહી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ જાહેર થયો ત્યારે કઈ સીટ પર કયા ઉમેદવાર માટે પ્રચાર કરશે એ વાત પણ નક્કી હતી. જેમાં સુરેન્દ્રનગરની સભામાં રાજકોટથી ઉમેદવાર પરશોત્તમ રૂપાલા આવશે તેવો ઉલ્લેખ હતો. પરંતુ સ્ટેજ પર ન તો રૂપાલાની હાજરી જોવા મળી, ન તો કોઈ ખાલી ખુરસી હતી, ન તો સભામાં તેમના નામનો ઉલ્લેખ થયો.
સામાન્ય રીતે એવું થયું હોય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાના અંતમાં ઉમેદવારોના નામ બોલે છે, જે તે ઉમેદવાર સ્ટેજ પર ઊભા થાય છે અને વડાપ્રધાન જનતાને અપીલ કરે છે કે આ ઉમેદવારને જીતાડજો. પણ સુરેન્દ્રનગરમાં રૂપાલા વિશે કાંઈ બોલ્યા ન હતા. હા, સુરેન્દ્રનગરમાં એટલું તો બોલ્યા કે સૌરાષ્ટ્રે જ મને પહેલીવાર ધારાસભ્ય બનાવ્યો હતો.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું હતું, સતત વ્યસ્તતાના કારણે અને આખા દિવસના કાર્યક્રમોના કારણે રૂપાલા હાજર નથી રહી શક્યા.
વડાપ્રધાન મોદીની સુરેન્દ્રનગર સભાની તસવીર.
જામનગરમાં વડાપ્રધાન મોદીએ આ પ્રવાસની છેલ્લી સભા રાખી હતી. થોડા દિવસ પૂર્વે જ જામનગરથી ભાજપના ઉમેદવાર પૂનમ માડમનો ક્ષત્રિયોએ વિરોધ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ જામનગરમાં સભા પહેલાં એક સૂચક મુલાકાત કરી.
વડાપ્રધાન મોદીએ જામનગરની સભામાં કહ્યું, તમને થતું હશે કે નરેન્દ્રભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા? મુખ્યમંત્રી પણ પાઘડી પહેરાવવા માટે જતા હતા. મેં કહ્યું, તમે આના ઉપર જ પાઘડી મૂકો. આ પાઘડી ઉતારાય એવું નથી. હું જામસાહેબના દર્શન કરવા ગયો હતો. મારા ઉપર એમનો અનન્ય પ્રેમ રહ્યો છે. જામસાહેબ પાઘડી પહેરાવે પછી તો કાંઈ બાકી જ ન રહે. જામસાહેબની પાઘડી મોટો પ્રસાદ છે.
જામનગરના ભાષણમાં જ વડાપ્રધાન મોદીએ પોતે મુખ્યમંત્રી હતા એ સમયનો એક કિસ્સો યાદ કર્યો. ભૂચર મોરીના યુદ્ધની યાદમાં થયેલા એક કાર્યક્રમનો ઉલ્લેખ કરતા કહ્યું, મને ક્ષત્રિય સમાજના આગેવાનો આમંત્રણ આપવા આવ્યા હતા. મને કોઈએ કાનમાં કહ્યું, તમે આવશો તો નહીં પરંતુ નિમંત્રણ આપવું અમારું કર્તવ્ય છે. મેં પૂછ્યું, કેમ નહીં આવું એમ માનો છો? એમણે કહ્યું, અમે ઘણા મુખ્યમંત્રીઓને ભૂતકાળમાં આમંત્રણ આપ્યા હતા. પણ કોઈએ એમના કાનમાં કહી દીધું હશે કે તમે આ કાર્યક્રમમાં જાઓ તો મુખ્યમંત્રી પદ જતું રહે. મેં કહ્યું, મારા ક્ષત્રિય સમાજના બલિદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી, હું એ કાર્યક્રમમાં ગયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરી એ સમયની તસવીર.
જામનગરને બાદ કરતા વડાપ્રધાન મોદી અન્ય ત્રણ સભામાં પાકિસ્તાન, આતંકવાદ મુદ્દે કોંગ્રેસ પર સણસણતા આરોપ લગાવ્યા હતા.
આણંદમાં કહ્યું, પાકિસ્તાનના હાથમાં આજે ભીખ માગવા કટોરો છે. કોંગ્રેસ આતંવાદ મુદ્દે ડોઝિયર મોકલતી હતી. અમે આતંકીઓને ઘરમાં ઘૂસીને મારીએ છીએ. કોંગ્રેસ નબળી પડી અને પાકિસ્તાન રડે છે.
સુરેન્દ્રનગરમાં કહ્યું, પાડોશી દેશથી 10 વર્ષ પહેલા બોમ્બ ફેંકાતા હતા. સુરક્ષા કારણોસર મોટી કંપનીઓ નહોતી આવતી. ભારત હવે ઘરમાં ઘૂસીને મારે છે.
જૂનાગઢમાં કહ્યું, કશ્મીરમાં અલગાવવાદી જેહાદીઓની મેજબાની થતી. તેની તસવીરો પણ છે. 26-11નો હુમલો થયો તેમાં કસાબ અને બીજા આતંકીઓને બચાવવા કોંગ્રેસના નેતાઓ આગળ આવ્યા. બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં આતંકીઓ માર્યા ગયા તો કોંગ્રેસની મેડમની આંખોમાં આંસુ હતા. અફઝલ ગુરુને માફી આપવા સુપ્રીમ કોર્ટથી લઈ રાષ્ટ્રપતિ સુધી પહોંચ્યા હતા.
જો કે ત્રણ તલાકનો કાયદો બનાવ્યાની વાત તેમણે માત્ર જૂનાગઢમાં જ કહી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું, 3 તલાક પર પ્રતિબંધ લગાવ્યો જેથી દેશની મુસ્લિમ દીકરીઓ સન્માનથી જીવી શકે. દીકરી ત્રણ તલાક સાંભળી ઘરે પાછી આવે તો પરિવારનું શું થાય?
ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં અંદાજિત 3 લાખ પાટીદાર મતદાર, 2 લાખ કોળી મતદાર ઉપરાંત ત્રીજા ક્રમે અંદાજે 2 લાખ જેટલા મુસ્લિમ મતદારો પણ છે.
ચાર સભાની સૂચક વાત
આણંદ- જય સરદાર સાથે ભાષણ પૂરું કર્યું.
જૂનાગઢ- જય…જય…ગિરનારી સાથે સભાની શરૂઆત
શેરનાથ બાપુ, મુક્તાનંદ બાપુ અને મહેશગિરી બાપુનું નામ લીધું.
સુરેન્દ્રનગર- પરશોત્તમ રૂપાલાની સૂચક ગેરહાજરી, પીએમ મોદીએ પણ ઉલ્લેખ ન કર્યો
જામનગર- પૂનમ માડમે મંચનું થોડા સમય સંચાલન કર્યું
(સ્ટોરી ઈનપુટ- જામનગરથી જીજ્ઞેશ કોટેચા અને હીરેન હીરપરા, જૂનાગઢથી રક્ષિત પંડ્યા અને વનરાજ ચૌહાણ, સુરેન્દ્રનગરથી મનીષ પારીક, આણંદથી સારથી એમ. સાગર અને સંકેત સુથાર)