જામનગર2 કલાક પેહલાલેખક: જીજ્ઞેશ કોટેચા, કમલ પરમાર
- કૉપી લિંક
ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો જંગ સમાપ્ત થઈ ગયો છે. ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે. પહેલા એક તરફી લાગતી ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલન બાદ ભારે રસાકસીભરી સ્થિતિમાં ફેરવાઈ ગઈ હતી. તેમાં પણ ખાસ કરીને જામનગરમાં ખરાખરીનો જંગ જામ્યો હતો. ક્ષત્રિય મતદાતાઓના પ્રભુત્વવાળી બેઠક પર શું પરિણામ આવશે એ તો સમય જ બતાવશે, પણ વોટિંગ પેટર્ન પરથી અમુક સંકેતો મળી રહ્યા છે.
જામનગર લોકસભા સીટમાં 7 વિધાનસભા સીટનો સમાવેશ થાય છે. જેમાં કાલાવડ, જામનગર રુરલ, જામનગર નોર્થ, જામનગર સાઉથ, જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકા વિધાનસભાનો સમાવેશ થાય છે. ભાજપ તરફથી આહિર નેતા પૂનમ માડમ તો કોંગ્રેસ તરફથી લેઉવા પાટીદાર જે પી મારવિયા મેદાનમાં હતા. આ લોકસભા સીટમાં કુલ 18.18 લાખ મતદાતાઓ છે.
કાલાવડ, જામનગર રુરલ અને જામ જોધપુર કોંગ્રેસ તરફી મતદાનનો સંકેત
જામનગર લોકસભામાં આવતી ત્રણ વિધાનસભા સીટ કાલાવડ, જામનગર રુરલ અને જામ જોધપુરમાં ક્ષત્રિય મતદાતોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે. આ સિવાય આ સીટ પર પાટીદાર મતદારોનું પણ પ્રભુત્વ છે. અહીં કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર જે પી મારવિયાના સમર્થનમાં મત પડ્યા હોવાનું કહેવાય રહ્યું છે. મતદાન શરૂ થયું ત્યારથી જ મોટા પ્રમાણમાં અહીં મતદારોની લાઈનો લાગી હતી. સાંજના પાંચ વાગ્યામાં સુધીમાં કાલાવડ, જામ જોધપુર અને જામનગર રુરલ એમ ત્રણ સીટ પર મળીને કુલ 3.85 લાખ મત પડ્યા હતા.
ખંભાળિયા, દ્વારકામાં પૂનમ માડમના પડખે રહ્યા હોવાની વાત
આહિર મતદાતાઓના પ્રભુત્વાળી વિધાનસભા સીટ ખંભાળિયા અને દ્વારકામાં ભાજપના પૂનમબેન માડમ તરફથી મોટાપાયે મતદાન થયાનું કહેવાઈ રહ્યું છે. પોતાના સમાજના ઉમેદવારને હારથી બચાવવા માટે આહિર સમાજના મતદાતાઓએ વોટિંગ કર્યાની વાત સામે આવી રહી છે. બીજું કે ખંભાળિયા અને દ્વારકા વિધાનસભા સીટ મતદાતાઓની સંખ્યા વધુ છે. એટલે અહીં મતદાનની ટકાવારી ઓછી હોવા થતાં કુલ મતદાનમાં વધુ અસર કરી શકે છે. મતદાનની શરૂઆત અહીં ધીમી રહી હતી, પાછળથી ખાસ્સી સંખ્યામાં મતો પડ્યા હતા. સાંજના પાંચ વાગ્યામાં સુધીમાં ખંભાળિયા, દ્વારકા એમ બે સીટમાં મળીને કુલ 2.93 લાખ મત પડ્યા હતા.
જામનગર નોર્થ સીટ પર કાંટાની ટક્કર
જામનગર શહેરમાં આવતી જામનગર નોર્થ સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જામી હોવાના વાવડ છે. અહીંથી ભાજપમાંથી રીવાબા જાડેજા ધારાસભ્ય છે. આ સીટ પર મોટી સંખ્યામાં ક્ષત્રિય મતદાતાઓ પણ છે. પણ અહીં શહેર વિસ્તાર હોવાથી વિકાસના કામથી અંજાયા હોવાથી આંદોલનની અસર કેટલી થઈ હશે એ જોવું રહ્યું. બીજી એક વાત એ પણ છે કે ક્ષત્રિય મતદાતાઓએ કોંગ્રેસ તરફ મતદાન કર્યું હોય તો અન્ય જ્ઞાતિના લોકો ભાજપ તરફ ખેંચાયા હોય તો નવાઈ નહીં.
જામનગર સાઉથ ભરેલું નાળિયેર, મતદારો નક્કી કરશે કોણ બનશે સાંસદ?
નિષ્ણાતોના મતે જામનગર સાઉથ વિધાનસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસને અનુમાન લગાવવામાં મુશ્કેલી લાગી રહી છે. આ સીટ ભરેલા નાળિયેર સમાન છે. અહીંથી જે પાર્ટીને લીડ મળશે તે જામનગર લોકસભા સીટ પર વિજેતા જાહેર થઈ શકે છે. આ સિવાય મુસ્લિમ સમુદાયે કેટલા પ્રમાણમાં વોટિંગ કર્યું છે એ પણ એક ફેક્ટર જોવું રહ્યું.
પાતળી સરસાઈથી જ થશે હાર-જીતનો ફેંસલો
ગઈ ચૂંટણીમાં આ સીટ પર પૂનમ માડમનો 5.91 લાખ મત મળ્યા હતા અને તેમનો 2.36 લાખના મતથી વિજય થયો હતો. જ્યારે આ વખતે આવું એક તરફી પરિણામ આવવાની કોઈ જ શક્યતા નથી. જે પણ જીતશે બહુ જ પાતળી સરસાઈથી જીતશે.