Updated: Apr 30th, 2024
Lok Sabha Elections 2024 | રાજકોટમાં રાજા મહારાજાઓ વિષે અનુચિત અને ખોટી ટિપ્પણી કરવા બદલ પરશોત્તમ રૂપાલા સામે આશરે સવા મહિનાથી ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યો છે અને હવે આ આંદોલન અંતિમ તબક્કામાં પ્રવેશ્યું છે ત્યારે કેટલાક ક્ષત્રિય નેતાઓના વિરોધાભાસી નિવેદન, અન્ય રાજકીય નેતાઓની ટીપ્પણીના વાયરલ વીડિયો વગેરે અનુસંધાને કોર કમિટિના અગ્રણીઓએ જણાવ્યું કે અમારું આંદોલન અસરકારક અને સફળ થશે એટલે ક્ષત્રિય સમાજના રોષને અન્ય દિશામાં વાળવાના અને ફાંટા પાડવાના પ્રયાસો થશે તે માટે અમે અગાઉથી તૈયારી રાખી છે પરંતુ, અમે સોશ્યલ મિડિયામાં જાત જાતના નિવેદનોની હાલ કોઈ નોંધ લેવા માંગતા નથી અને અમારું લક્ષ્ય રૂપાલા અને રૂપાલાને છાવરનાર ભાજપ વિરુધ્ધ પ્રચંડ મતદાન કરાવવું અને તેના પર 7 મે સુધી વળગી જ રહીશું.
ક્ષત્રિયોની કોર કમિટિના અગ્રણીઓ રમજુભા તથા પી.ટી.જાડેજાએ જણાવ્યું કે અમે કોઈ વાતથી દોરવાઈને આંદોલનને ઢીલુ પાડી દઈએ તે સંભવ નથી. અમારા સમાજમાં કોઈ પણ ફાંટા નથી, તમામ મક્કમ છે, અડીખમ છે. અમારી દિશા એ જ રહેશે પરંતુ, હાલ જે કેટલીક ઘટનાઓ બની તેના પગલે રણનીતિ થોડી બદલીશું પણ નિશાન ઉપર તો રૂપાલા-ભાજપ જ રહેશે.
કેટલાક ભાજપ તરફી ક્ષત્રિય આગેવાનો નિવેદનો કર્યે રાખે છે અને તે પહેલાથી કરે છે. ગુજરાતમાં અમારી મુખ્ય 92 સંસ્થાઓના એક પણ હોદ્દેદાર ઝૂક્યાં નથી. આંદોલનથી હટ્યા નથી. અમે ભાજપ વિરુદ્ધ ખાસ કરીને રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, પાટણ, ભરુચ સહિતની બેઠકો પર ક્ષત્રિયોને સો ટકા મતદાન કરાવવા તૈયારી કરી લીધી છે.
આ મતદાન ભાજપ વિરુદ્ધ હશે પણ તે માટે અમારી બેઠકોમાં અમે કોંગ્રેસ કે કોઈ વિપક્ષને મંચ પર સ્થાન આપતા નથી. તેમણે ઉમેર્યું કે ભાજપના કેન્દ્રીય મંત્રી રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેન-બેટીનું અપમાન કર્યા બાદ જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલ અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પણ અમારા વિરુધ્ધ અભદ્ર ટીપ્પણીઓ કરી છે, પરંતુ તેમના વિરુદ્ધ પણ અમે મોરચો ખોલ્યો નથી. ત્યારબાદ રાહુલ ગાંધી, ભાવનગરના આપ ઉમેદવાર ઉમેશ મકવાણા વગેરેના થયા પરંતુ, આવા સોશિયલ મિડિયાના મેસેજોથી આંદોલનની દિશા નહીં બદલાય. અમારો હાલ એક જ લક્ષ્ય છે રૂપલા અને તેની પડખે ઊભેલો ભાજપ.