હેલ્લો, રાકેશભાઈ બોલો છો? સામેથી જવાબ મળે- જય હિન્દ, જય ટાટા. હા, રાકેશ બોલું છું… ફોન કરનારને બે ઘડી તો નવાઈ લાગે જ કે, જયહિન્દ તો ઘણા બોલે પણ આ ‘જય ટાટા’ શું છે? – તો જવાબ એ છે કે રાકેશભાઈ ‘ટાટા પરિવાર’ને ફોલો કરે છે. એમ કહીએ કે એ તો રીતસર ટાટાના
.
કોણ છે રાકેશ પ્રજાપતિ? રાકેશભાઈ પ્રજાપતિ અમદાવાદના બિઝનેસમેન છે. બિલ્ડર પણ છે. એમની પાસે પાંચેક રેસ્ટોરન્ટ છે. પણ ટાટા પ્રેમના કારણે એમણે ટાઈટન આઈ પ્લસ, ટાઈટન ઘડિયાળ, તનિષ્કના શો રૂમ પણ કર્યા. આ બધા બિઝનેસ તેમણે ટાટા પરિવારના વિચારોના આધારે આગળ ધપાવ્યા છે. નરોડામાં રહેતા રાકેશ પ્રજાપતિએ નરોડાના જ અનંતા કોમ્પલેક્સમાં ‘ટાટા ગેલેરી’ બનાવી છે. જેમાં ટાટા પરિવારના ફોટા, તેની વિગતો, રતન ટાટાના જીવન પરનાં પુસ્તકો, એક ટીવીમાં ટાટા વિશે ચાલતા વીડિયો એ બધું જ છે. રતન ટાટાના જન્મ દિવસે જ તેમણે આ ગેલેરીનું ઓપનિંગ કર્યું હતું.
રાકેશભાઈને ‘ટાટા પ્રેમ’ કેવી રીતે થયો? દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં રાકેશભાઈ પ્રજાપતિ કહે છે, ચાર વર્ષ પહેલાંની વાત છે. કોવિડથી બધે હાહાકાર હતો. અલગ અલગ સમાચાર આવી રહ્યા હતા. એવામાં એક સમાચાર એવા આવ્યા કે, કોવિડ સામે લડવા માટે રતન ટાટાએ દેશને 1500 કરોડનું અનુદાન આપ્યું. આ વાત મને પ્રભાવિત કરી ગઈ. મેં ટાટા પરિવારની સ્ટોરીઓ વાંચવાનું ચાલુ કર્યું ત્યારે મને ખબર પડી કે ટાટા કંપની નથી પણ ટાટા ટ્રસ્ટ છે. તે તેની કમાણીના 60થી 66 ટકા ટ્રસ્ટમાં આપે છે અને તેમાંથી અલગ અલગ NGOને મદદ કરે છે. ટાટા પરિવારની બીજી વાત એ સ્પર્શી ગઈ કે, એ એવું વિચારતા કે વિદેશમાં જે વસ્તુઓ બને છે તે આપણે ત્યાં કેમ ન બની શકે? તેમણે જ વોકલ ફોર લોકલનો પાયો નાખ્યો અને આજે દેશની પ્રગતિ જોઈ રહ્યા છીએ, તેમાં ટાટા પરિવારનો બહુ મોટો હાથ છે.
રાકેશભાઈએ ટાટા ગેલેરી બનાવી છે
પોતે મર્સિડીસ વેચીને ટાટા કાર ખરીદી, 100 વ્યક્તિને ટાટા કાર લેવડાવી ટાટાનો હેતુ, ઉદ્દેશ અને દેશપ્રેમ જાણીને રાકેશભાઈએ નક્કી કર્યું કે, દેશસેવા માટે બિઝનેસ કરે તેને સપોર્ટ આપવો જ જોઈએ. રાકેશભાઈ દિવ્ય ભાસ્કરની વાતચીતમાં કહે છે, સૌથી પહેલાં મેં મારી મર્સિડીસ કાર વેચીને ટાટા હેરિયર ગાડી ખરીદી. મેં નક્કી કરી લીધું કે, હું હવે કોઈપણ કામ કરીશ તો ટાટા સાહેબ માટે જ કરીશ. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 100થી વધારે લોકોને ટાટાની ગાડી લેવડાવી હશે. હું જાતે જાઉં. બુકિંગ લઉં. જે ગાડી ખરીદે તેના માટે કેક લઈને જાઉં, ગિફ્ટ આપું. ટાટાની કોઈપણ વસ્તુ જે વ્યક્તિ વાપરતી હોય તેના માટે મેં સર્ટિફિકેટ બનાવ્યું છે તે આપું. મને ટાટા સાહેબનું એક વાક્ય હજી મનમાં ગુંજ્યા કરે છે કે, ‘હિન્દુસ્તાન માટે હું સર્વસ્વ વેચી નાખીશ’. દેશ માટે આટલી મહાન વિભૂતિ આવું વિચારતી હોય તો આપણે પણ એના માટે કાંઈક કરવું જોઈએ. હું ટાટાનું માર્કેટિંગ નથી કરતો પણ હું લોકોને ટાટાની વસ્તુઓ વાપરવાથી ભારત દેશને શું ફાયદો થાય છે, તે સમજાવું છું. તમે 25 રૂપિયાનું ટાટા મીઠું લેશો તો તેમાંથી 10 રૂપિયા તો દેશ સેવા માટે જ જવાના છે.
ટાટા સાહેબ આપણી વચ્ચે નથી પણ તેમના વિચારોને જાળવવાની જવાબદારી આપણી છે રાકેશભાઈ પ્રજાપતિ કહે છે, મેં ટાટા સાહેબની વિદાયના સમાચાર સાંભળ્યા ત્યારે દુ:ખ તો થયું પણ આવા મહામાનવો શરીરથી ભલે વિદાય લે પણ તેમના વિચારો તો આપણી આસપાસ હોય જ છે. ટાટા સાહેબને શ્રદ્ધાંજલી આપવી હશે તો આપણે તેમના વિચારોને જીવંત રાખવા પડશે. આપણે સવારથી સાંજ સુધી ટાટા સાહેબ સારા… ટાટા સાહેબ સારા… એમ કહીએ તો એનાથી નહીં ચાલે, પણ એ જે કામ કરતા હતા અથવા એ જે પ્રોડક્ટ બનાવે છે તે વાપરીને દેશ સેવામાં યોગદાન આપીએ તો એ સાચી શ્રદ્ધાંજલિ છે. ફરીવાર કહું છું કે, હું તેમના બિઝનેસનું માર્કેટિંગ નથી કરતો પણ તેમના દેશપ્રેમના વિચારો, ઉદ્દેશ લોકો સુધી પહોંચાડવા માગું છું.
રતન ટાટાએ મળવા એપોઈન્મેન્ટ આપી હતી પણ મેળ ન પડ્યો! રતન ટાટાને મળવાની તક રાકેશભાઈને મળી હતી પણ એ તક હાથમાંથી સરકી ગઈ. રાકેશભાઈ પ્રજાપતિ વાત આગળ વધારતાં કહે છે, શું થયું એ તમને કહું. વાત એમ છે કે મારા મિત્ર કમલેશ પ્રજાપતિ હાસ્ય કલાકાર છે. તેના મિત્ર જીતુભાઈ લાખાણીનો મુંબઈમાં ટેઈલર્સનો બહુ મોટો સ્ટોર છે. જે ઘણી સેલિબ્રિટીના કપડાં સીવે છે. હું તેમને મુંબઈમાં મળ્યો. જીતુભાઈ લાખાણીએ કહ્યું કે, મારા મિત્ર મોહનભાઈ છે તેમને ટાટા પરિવાર સાથે સારા સંબંધ છે. હું તમારી મળવાની વાત કરી જોઉં છું. તેમના પ્રયાસથી 2023ના ઓગસ્ટ મહિનામાં રતન ટાટાએ પોતાના ઘરે મળવા એપોઈન્મેન્ટ આપી હતી. જવાનું નક્કી જ હતું પણ કદાચ નસીબ સાથ નહીં આપતું હોય. એ જ અરસામાં મને આંખો આવેલી, એટલે કન્જક્ટિવાઈટીસ હતું. ટાટા સાહેબની ઉંમર હતી એટલે આવી સ્થિતિમાં તેમને મળવું યોગ્ય ન લાગ્યું. આપણા કારણે ચેપ લાગી જાય તો ય ખોટું. એ વખતે મારે મારો સ્વાર્થ ન જોવાય. મેં જ સામેથી સાચું કહી દીધું. એ એપોઈન્મેન્ટ કેન્સલ થઈ. પછી કેટલાક પ્રયાસ થયા પણ મળી શક્યા નહીં. પણ મારો ઉદ્દેશ એક જ છે કે, ટાટા પરિવારનું જે કાર્ય છે તેને આપણે આગળ લઈ જઈએ તો રતન ટાટા જ્યાં હશે ત્યાં ખુશ થશે.
જે વ્યક્તિ ટાટાની વસ્તુઓ ખરીદે તેને રાકેશભાઈ ગિફ્ટ આપે છે.
અમદાવાદમાં ટાટા મોલ બનાવવાનો સંકલ્પ રાકેશભાઈ પ્રજાપતિ કહે છે, મને ટાટા સાહેબનું વાક્ય બહુ ગમે છે. તમે કોઈ વ્યક્તિને પૈસા આપીને મદદ ન કરો પણ તેને પગભર બનાવીને મદદ કરો. આ વાક્યને વળગી રહીને ઘણા લોકોને બિઝનેસ શરૂ કરાવીને પગભર કર્યા છે. કોઈ એક રૂપિયો આપે તો ય બિઝનેસમાં પાર્ટનર બનાવું છું.પણ તેનામાં એથિક્સ હોવા જોઈએ. ટાટા સાહેબ ભલે સદેહે નથી પણ આપણા સારા કામથી એમનો જીવ ખુશ થાય એવું મારે કરવું છે. વધારે ને વધારે લોકોને પગભર બનાવવા છે. મારો એક સંકલ્પ એ છે કે અમદાવાદમાં ટાટા મોલ બનાવવો. જેમાં તમામ વસ્તુઓ ટાટાની જ હોય અને મોલનું ઓપનિંગ પણ ટાટા પરિવારની જ કોઈ વ્યક્તિ આવીને કરે.
રતન ટાટાના અંતિમ દર્શન માટે આઈકાર્ડ આવ્યું હતું રાકેશભાઈની ‘ટાટા ભક્તિ’થી ટાટા પરિવાર પણ પરિચિત છે. એટલે તેમણે રતન ટાટાના અંતિમ દર્શનમાં હાજર રહી શકે તે માટે અંતિમ દર્શનનું આઈકાર્ડ મોકલ્યું હતું પણ હવનાષ્ટમીના ધાર્મિક કાર્યક્રમના કારણે જઈ શકાયું નહીં. રાકેશભાઈ કહે છે, હવે આપણી જવાબદારી વધી ગઈ કે ટાટા સાહેબના વિચારોને લોકો સુધી પહોંચાડવા પડશે. માત્ર સ્ટેટસમાં રતન ટાટાના ફોટા મૂકવાથી કાંઈ નહીં થાય. ટાટાના વિચારોનો અમલ કરીશું તો ભારતની પ્રગતિને કોઈ રોકી નહીં શકે.
જેઆરડી ટાટાની પુણ્યતિથિ હોય કે રતન ટાટાનો બર્થ ડે, બધું સેલિબ્રેટ કરે રાકેશભાઈ પ્રજાપતિનો ટાટા પ્રેમ એટલો બધો છે કે, તેમણે અમદાવાદના નરોડામાં બનાવેલી ટાટાની ગેલેરીમાં જેઆરડી ટાટાની પુણ્યતિથિ હોય કે રતન ટાટાનો બર્થ ડે હોય, બધું સેલિબ્રેટ કરે. રતન ટાટાના જન્મ દિવસે જ ટાટા ગેલેરીનું ઓપનિંગ કર્યું. રતન ટાટાની ભવ્ય રંગોળી કરાવી. રતન ટાટાના વિચારો વાક્યરૂપે લખ્યા. ટાટા ગેલેરી જોવા કોઈપણ આવે, રાકેશભાઈ રતન ટાટાના જીવન ચરિત્રની બૂક તેમને આપે છે. એટલું જ નહીં, કોઈપણ વ્યક્તિ ટાટાની કાર યુઝ કરતી હોય કે ટાટાનું સોલ્ટ પણ વાપરતી હોય એ ખબર પડે તો રાકેશભાઈ એમને ખાસ ટાટાનું સર્ટિફિકેટ આપે છે. સાથે વી લવ ટાટા ફેમિલી લખેલું વૂડન મોબાઈલ સ્ટેન્ડ અથવા માટીના વાસણો ભેટમાં આપે છે. રાકેશભાઈ કહે છે, ભેટ એ માત્ર વસ્તુ નથી પણ આ પ્રકારની વસ્તુઓ અને સર્ટિફિકેટ આપીને હું ટાટાના વિચારો લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરું છું. આપણે ટાટા પરિવારના પથ પર ચાલીને દેશ માટે સેવા ભાવનાથી કાંઈ પણ કરીશું તો હું માનીશ કે, જેમ રામ સેતુ બનાવવામાં ખિસકોલીએ ભૂમિકા ભજવી હતી તેમ આપણે નાનું યોગદાન આપી શકીશું. અમદાવાદના ઓઢવમાં ગીરીબાપુની કથાનું આયોજન હતું ત્યારે તેમણે પણ રાકેશભાઈના ટાટા પ્રેમની વાત કરી હતી.
રાકેશભાઈ ટાટા ગેલેરીમાં આરતી પણ ઉતારે છે.
ટાટા ગેલેરીમાં આરતી પણ ઉતારે છે રતન ટાટાનો બર્થ ડે હોય ત્યારે રાકેશભાઈ રતન ટાટાના ફોટાવાળી ટી-શર્ટ પહેરે છે. તેમના વિઝિટિંગ કાર્ડમાં પણ ટાટા પરિવારની ઉપલબ્ધિ વર્ણવી છે. ટાટા ગેલેરીમાં સમયાંતરે તે આરતી ઉતારે છે. રતન ટાટાનો બર્થ ડે હોય ત્યારે તેમનો કટઆઉટ વાળો ફોટો મૂકીને કેક કટિંગ કરે છે. ટાટાની પોતાની 287 કંપની છે, તેનું લિસ્ટ ગેલેરીમાં રાખ્યું છે એટલે કોઈ પણ આવે તો ખબર પડે કે ટાટાનું યોગદાન કેટલી કંપનીમાં છે. ટાટાની દરેક પ્રોડક્ટના ફોટા ગેલેરીમાં છે. ટાટા કારના દરેક મોડેલના ફોટા, એર ઈન્ડિયા, ગેલેરીમાં નાનું ટીવી છે તેમાં ટાટા સાહેબનો વીડિયો ચાલુ રહે છે. રાકેશભાઈનો ટાટા પ્રેમ અને દેશ પ્રેમ એટલો છે કે, તેમણે ટાટાની કારને તિરંગો કલર કરાવ્યો છે અને તેનો નંબર 1526 રાખ્યો છે. 15મી ઓગસ્ટ, 26 જાન્યુઆરી! જય હિન્દ, જય ટાટા…