Vadodara Ramnavmi Rathyatra : રામનવમી નિમિત્તે આગામી રવિવારે શહેરમાં ઠેર-ઠેર ભગવાન શ્રીરામની શોભા યાત્રા નીકળનારી છે. કુંભારવાડા વિસ્તારમાંથી નીકળનારી શોભાયાત્રા સાંજે ચાર કલાકે કુંભારવાડાથી નીકળી ફતેપુરા ચાર રસ્તા, અદાણીય ફૂલ ચાર રસ્તા, ચાંપાનેર દરવાજા, માંડવી, એમ.જી રોડ, લહેરીપુરા દરવાજા, ન્યાયમંદિરથી હઠીલા હનુમાન મંદિર આવીને પૂર્ણ થશે. આ શોભા યાત્રાને અનુલક્ષીને શહેર પોલીસ કમિશનર દ્વારા રવિવારે તારીખ છઠ્ઠીના બપોરે ત્રણ વાગ્યાથી સોમવાર યાત્રા પુરી ન થાય ત્યાં સુધી ટ્રાફિક ડાઈવર્ઝન અને નો-પાર્કિંગ ઝોન માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
શહેરમાં નિકળનારી શોભાયાત્રાના રૂટને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તેમજ શોભાયાત્રાના રૂટ તરફ આવતા તમામ માર્ગો પરનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે આ ઉપરાંત શોભા યાત્રા જેમ આગળ વધશે તેમ પાછળના રસ્તા પરના પોઇન્ટ ખોલી દેવામાં આવશે.