પાંજરાપોળની પાછળ જમીન ખરીદ્યા બાદ કોર્પોરેટર રાજેશ દલસુખભાઇ પ્રજાપતિએ પાંજરાપોળની જમીનમાંથી રસ્તો કાઢ્યોે
Updated: Apr 28th, 2024
વડોદરા : નેશનલ હાઇવેની સામેની બાજુ આવેલી વડોદરા પાંજરાપોળની જમીન ઉપર કબજાનો ભાજપના કોર્પોરેટરનો દાવો વડોદરા સિવિલ કોર્ટે ફગાવી દીધો છે.
કેસની વિગત એવી છે કે દરજીપુરામાં વડોદરા પાંજરાપોળની ૧૪૦૦ એકરથી વધુ જમીન આવેલી છે, જ્યાં સેંકડોની સંખ્યામાં પશુઓની દેખભાળ રાખવામા આવી રહી છે. આ જમીન ઉપર હાલમાં પણ અનેક ગણોતિયાઓનો કબજો છે. દરમિયાન, પાંજરાપોળની જમીનની પાછળ જ વડોદરાના ગોરવા વિસ્તારના ભાજપાના કોર્પોરેટર રાજેશ દલસુખભાઇ પ્રજાપતિએ જમીન ખરીદી હતી. પોતાની જમીનમાં આવવા-જવા માટે રાજેશ પ્રજાપતિએ પાંજરાપોળની જમીનમાંથી રસ્તો કાઢ્યો હતો અને ફેન્સિંગ કરીને ઝાંપો પણ મૂકી દીધો હતો.
આ મામલે પાંજરાપોળના ટ્રસ્ટીઓએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો,જેમાં પોતાની જમીનમાં આવવા-જવા માટે પાંજરાપોળની જમીનમાંથી રસ્તો કાઢ્યો છે તે કાયદેસર છે અને નક્શ પ્રમાણે છે તેવો દાવો રાજેશ પ્રજાપતિએ કર્યો હતો. જો કે પાંજરાપોળના ટ્રસ્ટીઓએ જૂના નક્શાઓ કોર્ટ સમક્ષ લાવીને સાબિત કરી આપ્યું હતું કે રાજેશ પ્રજાપતિની જમીનમાં આવવા જવા માટે નાળિયો રસ્તો છે,નહી કે પાંજરાપોળની જમીનમાંથી. આ તથ્યને ધ્યાનમાં રાખીને કોર્ટે પાંજરાપોળની તરફેણમાં ચુકાદો આપીને રાજેશ પ્રજાપતિનો દાવો ફગાવી દીધો છે.