અમુક પળો પેહલા
- કૉપી લિંક
કાંતિ અમૃતિયાને સામાજિક આગેવાનોના સીધા સવાલ
ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનના દિવસો આંગણીના વેઢે ગણી શકાય એટલા બાકી છે. ત્યારે ચૂંટણીનો પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે અને તે માટે ઉમેદવારો અને કાર્યકર્તાઓ ધાર્મિક, સામાજિક કાર્યક્રમમાં પણ હાજરી આપી તેમની પાર્ટીને મત આપવા અપીલ કરતા હોય છે. ત્યારે મોરબીમાં સતવારા સમાજ દ્વારા શક્તિધામ ખાતે ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યાં ગઈકાલે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને કચ્છ-મોરબી લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાએ હાજરી આપી હતી. ત્યારે સતવારા સમાજના આગેવાનોએ વાડી વિસ્તારના વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેને લઈ સ્ટેજ પર જોવા જેવી થઈ હતી.મોરબીમાં શક્તિધામ મંદિરે ચાલી રહેલા મહોત્સવમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને કચ્છ-મોરબી લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાએ હાજરી આપી હતી. ત્યારે સ્ટેજ પરથી સમાજ આગેવાનોએ વાડી-વિસ્તારમાં આજની તારીખે ટપાલ આવતી નથી, લાઈટ કનેક્શન નથી મળતાં અને પાણી તેમજ ભૂગર્ભ ગટરનાં કામો બાકી છે સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. વહેલી તકે કામ કરાવી આપજો તેવી આપીલ કરી હતી.જેનો જવાબ આપતા કાંતિ અમૃતિયાએ કહ્યું કે, કામ ચાલુ છે, જલદીથી થઈ જશે. ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે જેટલી વાડી બાકી હોય એ ધ્યાન આપજો, જો નબળું કામ થાય તો બંધ કરાવી દેજો. પાણીની લાઈનનું કામ ચાલે છે. ટ્રસ્ટને આપેલું સ્માશાનનું કામ પૂરું થઈ ગયું છે. સ્કૂલનું કામ ચાલુ છે. બાકીનાં નાનાં-મોટાં કામ હશે તે અરવિંદભાઈ અને અમારી મહાકાળવાળી ટીમ સાથે મારી અંગત લાગણી છે. કોઈપણ કામ હોય તો મારા ઘરે આવી શકો છો અને વાડી-વિસ્તારના જે પ્રશ્ન હોય તેનું નિરાકરણ આપણે કરીશું. પણ આચારસંહિતાના કારણે અત્યારે બોલવામાં મર્યાદા હોય કેમ કે વીડિયો ઊતરતો હોય. આ ધાર્મિક છે એટલે આપણે કંઈ ચર્ચા કરવી નથી. રાત્રે હું આવીશ અને આ મંદિર ઉપર બેસીને આપણે ચર્ચા કરીશું.ધારાસભ્ય સામે આગેવાનોએ પ્રશ્નોનો મારો ચલાવતા ધારાસભ્યએ મહાકાળ ગ્રૂપ સાથે મારી લાગણી છે અને કોઈપણ કામ હોય તો ઘરે આવી શકો છો એવું કહ્યું હતું. અમૃતિયાએ આવું કહેતાની સાથે જ સમાજના આગેવાને લાગણી છે, પરંતુ બે વર્ષથી ધક્કા ખવડાવો છો, હવે આશા રાખીએ ધક્કા ન ખવડાવે અને કામ કરો તેવું મોઢા પર ચોપડાવ્યુ હતું. ત્યારે કાંતિભાઈએ મને આવ્યાને એક વર્ષ થયું છે બોલતા આગેવાને 30 વર્ષ થયા તમે છો, વર્ષ નથી થયું તેવું જણાવ્યું હતું. જે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.
કેજરીવાલના પત્ની પ્રચાર માટે ગુજરાત આવ્યા
અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ રોજના હજારો મુસાફરોને સુવિધા પૂરી પાડ છે. ત્યારે દેશના કોઈપણ વ્યસ્ત રહેતા એરપોર્ટ પર રોજ બપોરે 12 વાગ્યા સુધી ફ્લાઈટની અવરજવરનું પ્રમાણ સૌથી વધુ રહેતું હોય છે. અમદાવાદ એરપોર્ટ ઉપર પણ મધ્યરાત્રિથી વહેલી સવાર સુધી ફ્લાઈટની અવરજવરનું પ્રમાણ વધુ રહેતાં કેટલીક ફ્લાઇટને ટેક ઓફ લેન્ડિંગ માટે ATM(એર ટ્રાફિક મેનેજમેન્ટ) દ્વારા સિગ્નલ ન મળતાં વિલંબિત થવું પડતું હોય છે. આજે દિલ્હીથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટને આ કારણોસર 256 મુસાફરો સાથે હવામાં બે ચક્કર લગાવવા પડ્યાં હતાં. આ ફ્લાઈટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં પત્ની પણ સવાર હતાં.સુનીતા કેજરીવાલે જણાવ્યું હતું કે, કેજરીવાલજીનો અવાજ લોકો સુધી ન પહોંચી શકે તે માટે આ લોકોએ બળજબરી તેમને જેલમાં રાખ્યા છે. પરંતુ દેશની જનતા સમજદાર છે. આ ઘટનાનો જવાબ વોટ દ્વારા આપશે. આ ઉપરાંત કેજરીવાલના પત્ની રાજકારણમાં જોડાવા અંગે કોઈપણ જવાબ આપ્યા વિના ત્યાંથી હેલિકોપ્ટરમાં બોટાદ જવા માટે રવાના થયા હતા.દિલ્હીથી સવારે 9:50 વાગ્યે ઉડાન ભરીને સવારે 11:30 વાગ્યે અમદાવાદના એરપોર્ટના રન-વે પર ઉતરાણ કરતી એર ઇન્ડિયાની ફ્લાઈટ AI423 આજ રોજ દિલ્હીથી તેના નિશ્ચિત સમય કરતાં 10 મિનિટના વિલંબ ટેકઓફ થઈને અમદાવાદ જવા રવાના થઈ હતી. પરંતુ અમદાવાદ પહોંચતા પહેલાં એર ટ્રાફિક મેનેજમેન્ટ દ્વારા ઉતરાણ કરવા માટેનું સિગ્નલ ન મળતા અથવા તો રન-વે ક્લિયર ન હોવાથી ફ્લાઈટને હવામાં ગુજરાતમાં પ્રવેશ કર્યા બાદ અમદાવાદથી નજીક બે ચક્કર લગાવવાં પડ્યાં હતાં.
આગામી સમયમાં તાપમાનનો પારો આસમાને પહોંચશે
આજથી પાંચ દિવસ રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે,કચ્છ, પોરબંદર, દીવ, ભાવનગર અને વલસાડમાં પાંચ દિવસ દરમિયાન હીટવેવની શક્યતા છે. આ સાથે જ આ પાંચ શહેરોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કચ્છથી લઈને દમણ સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં અકળામણનો અનુભવ રહેશે અને ગરમ તથા ભેજયુક્ત હવાને લીધે ડિસ્કમ્ફર્ટનો અનુભવ થશે. હાલમાં ગુજરાત પર આવતા પવનની દિશા ઉત્તર પશ્ચિમ દિશા તરફથી છે. આથી તાપમાન આગામી ત્રણ દિવસ દરમિયાન યથાવત્ રહેશે. ત્યારબાદ એકથી બે ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. તેમજ છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતનાં 8 શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.આ ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન અમરેલીમાં રાજ્યનું સૌથી વધુ 41.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. તેમજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા સહિત સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાની સપાટીથી 20 કિલોમીટર સુધીના અંતરમાં ગરમ પવનો ફૂંકાવાને કારણે ત્યાં વસવાટ કરતા લોકોને અકળામણનો અનુભવ થશે. પવનની દિશા પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી હોવાથી તાપમાનનો પારો આગામી પાંચ દિવસ દરમિયાન તેની ઊંચાઈ ઉપર રહેશે. આગામી એક સપ્તાહ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતાઓ નથી આ સાથે જ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.હવામાન વિભાગે અગાઉ વ્યક્ત કરેલી આગાહી અનુસાર આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી રહે તેવી શક્યતાઓ છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ કાળઝાળ ગરમીમાં શેકાયા બાદ રાત્રે લઘુતમ તાપમાન 23.8 ડિગ્રી સેલ્સિયસ થઈ જતા શહેરીજનોને રાહતનો અનુભવ થયો હતો. જ્યારે ગાંધીનગરમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 6.6 ડિગ્રી સેલ્સિયસ ઘટીને 20 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત આજે અમદાવાદ શહેરમાં 41 અને ગાંધીનગર શહેરમાં 40 ડિગ્રી સેલ્સિયસની આગાહી કરવામાં આવી છે.અમદાવાદ શહેરમાં વહેલી સવારે 8:00 વાગ્યે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયા બાદ ધીમે ધીમે તાપમાનમાં વધારો થતાં 11:00 વાગ્યા સુધીમાં 34 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ત્યારબાદ બપોર દરમિયાન એટલે 1:00 વાગ્યા સુધીમાં શહેરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી પહોચી શકે છે. આ ઉપરાંત ધીમે ધીમે જમીની સ્તરનું તાપમાન વધવાથી અને આકાશમાંથી અંગ દઝાડતી ગરમીને કારણે સાંજના 4:00 થી 6:00 વાગ્યા સુધીમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને વટાવી દે તેવી શક્યતાઓ છે. જો કોઈને સાંજના સમય બહાર નીકળવાની ઇચ્છા હોય તો ગરમીથી બચવા માટે સંપૂર્ણ તૈયારી સાથે નીકળવું હિતાવહ રહેશે. ત્યારબાદ ધીમે ધીમે તાપમાનમાં ઘટાડો થઇને સાંજના 8:00 વાગ્યા સુધીમાં 37 ડિગ્રી સેલ્સિયસ અને રાત્રે 11:00 વાગ્યા સુધીમાં 32 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થઈ શકે છે.
સાબરકાંઠામાં ઓનલાઈન પાર્સલમાં બ્લાસ્ટ થતા બેના મોત
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે દર્દનાક બનાવ સામે આવ્યો છે. વેડા ગામના વણઝારા પરિવારના ઘરે આવેલ પાર્સલ ખોલતાંની સાથે જ બ્લાસ્ટ થતાં પિતા અને પુત્રીનું મોત નીપજ્યું છે. પાર્સલ ખોલતાં જ જોરદાર ધડાકો થયો હતો અને પિતાનું ઘટના સ્થળે અને પુત્રીનું સારવાર દરમિયાન મોત થવા પામ્યું છે. બંનેના મૃતદેહ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટની જાણ થતાં વડાલી પોલીસ અને ઈડર ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સારવાર હેઠળ ખસેડાયેલા ઈજાગ્રસ્તોના નજીક બ્લાસ્ટ થયો હોવાને લઇ ફોરેન પાર્ટિકલ્સ શરીરમાં ઘૂસ્યા. રેડિયોલોજી અને તબીબો દ્વારા ચોક્કસ અનુમાન લગાવવા તપાસ શરૂ કરાઈ.પ્રાપ્ત માહિતી અનુસાર વણઝારા જિતેન્દ્રભાઈના નામે આ પાર્સલ આવ્યું હતું અને તેમાં હોમ થિયેટર હોવાની માહિતી હાલ સામે આવી છે. જે પાર્સલ ઘરે પહોંચતા પરિવારના સભ્યોએ તેને ખોલ્યું હતું. ત્યારે ઈલેક્ટ્રોનિક સામાનનું પાર્સલ જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયું હતું. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે જ્યારે બેની હાલત ગંભીર છે. આ ઘટનાને લઈ ગામલોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે રામદેવપીરના મંદિર પાસેના વણઝારા વાસમાં રહેતા પરિવારના ઘરે એક પાર્સલ આવ્યું હતું. જે પાર્સલમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ હતું. આ પાર્સલ ખોલતાંની સાથે જ ધડાકાભેર બ્લાસ્ટ થવા પામ્યો હતો. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તો અન્ય ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને પ્રથમ વડાલી સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બર્થ ડે પાર્ટીમાં દારૂની છોળો ઊડી
અમદાવાદ શહેરમાં થોડા સમય પહેલાં સિંધુભવન રોડ પર બર્થ ડે પાર્ટી બાદ એક સ્પા ગર્લને માર મારવાનો વીડિયો સામે આવ્યો હતો. ત્યાર બાદ આ વીડિયો ખૂબ વાઇરલ થયો અને આ સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે ફરી એક વખત અમદાવાદના પૂર્વ વિસ્તારનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક સ્પાની અંદર સ્પા ગર્લ બર્થ ડે પાર્ટી મનાવી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. તેની સાથે બીજી યુવતીઓ પણ છે અને બર્થ ડે કેકની સાથે દારૂનો ગ્લાસ માથા પર મૂકીને એનિમલ ફિલ્મના સોંગ જમાલકુડુ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો નરોડા વિસ્તારનો હોવાની વાત વહેતી થઈ છે, જે અંગે અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.આ વીડિયો અંગે ડીસીપી ઝોન-4 કાનન દેસાઈને આ અંગે પૂછતાં તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.વાઇરલ થયેલા આ વીડિયોમાં દેખાતાં દૃશ્યો પ્રમાણે બે યુવતી નરોડાના એક કોમ્પ્લેક્સમાં આવેલા સ્પામાં બર્થ ડે પાર્ટી મનાવી રહી છે અને તેની સાથે બીજા લોકો પણ છે. તેઓ પણ મન મૂકીને નાચી રહી છે. બે યુવતી માથા પર દારૂનો ગ્લાસ મૂકીને એનિમલ ફિલ્મના સોંગ ઉપર ઠૂમકા લગાવી રહી છે. આ વીડિયો વાઇરલ થયા બાદ ખરેખર કયા સ્પાનો આ વીડિયો છે એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
નરેન્દ્ર મોદીને ફરી પીએમ બનાવવા 45 રાજવીઓનો સપોર્ટ
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે આગામી તા. 7 મેના મતદાન થવાનું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે 2 મેના તેઓ સૌરાષ્ટ્રમાં જામનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે રાજકોટના રાજવીને ત્યાં રાષ્ટ્ર પ્રથમને ધ્યાનમાં રાખી પ્રથમ ચિંતન બેઠકમાં ગુજરાતનાં 45 સ્ટેટના રાજવીઓ દ્વારા રાષ્ટ્રહિત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. આ તકે રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ કોઈ ઉમેદવારને બદલે નરેન્દ્ર મોદીને મત આપવાની વાત કરી છે. આ સાથે નાના વિવાદોને ભૂલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષમાં વિચારીને રાષ્ટ્રહિત માટે વર્ષ 2024ની ચૂંટણીમાં મોદીને 400+ કમળના ફૂલની ભેટ આપવાની છે. જ્યારે ક્ષત્રિય સમાજના આંદોલન અંગે તેમણે કહ્યું કે, ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પક્ષ વચ્ચે હાલ સંવાદ ચાલુ છે અને ભવિષ્યમાં તેનું સુખદ સમાધાન થઈ જશે.રાજવીઓની પ્રેસ કોન્ફરન્સ બાદ કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, કોઈપણ પાર્ટી માટે હંમેશાં રાષ્ટ્ર પ્રથમ હોય છે. શું છેલ્લાં 5 વર્ષમાં જ મંદિરો બન્યાં છે? હમીરસિંહ ગોહિલે સોમનાથ મંદિર માટે બલિદાન આપ્યું તે આપને નથી દેખાતું? નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે કેટલાં મંદિરોને તોડવા માગ્યા એ આપને ખ્યાલ છે? આજે ગામડે-ગામડે ક્ષત્રિય સમાજનો ધર્મરથ ફરી રહ્યો છે, ત્યારે મયૂર રાજા આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ કરે તે તેઓને શોભતું નથી. સાચા રાજપૂત તરીકે માત્ર એક ભૂલને માફી આપવી જોઈએ પરંતુ આ પુરુષોત્તમભાઈએ અત્યાર સુધીમાં અનેક જ્ઞાતિઓને ગાળો આપી છે.રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટના રણજિત વિલાસ પેલેસ ખાતે સૌરાષ્ટ્ર અને ગુજરાતના પૂર્વ રાજવીઓની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના જતન માટે ગહનતાપૂર્વક વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. 45 રાજવીઓએ તેમાં સપોર્ટ આપ્યો છે. જેમાં 15 અહીં ઉપસ્થિત છે, જ્યારે 25ના લેટર ઓફ સપોર્ટ સ્વરૂપે મંતવ્યો મળ્યાં છે. જેમાં કચ્છ, ભાવનગર અને ગોંડલના રાજવીના લેટર ઓફ સપોર્ટ મળ્યાં છે.
ક્ષત્રિયોના વિવાદ વચ્ચે પીએમ મોદી જામસાહેબને મળ્યા
ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં પીએમ મોદીનો આજે પ્રચારનો બીજો દિવસ છે. આજે સવારે આણંદ અને સુરેન્દ્રનગરમાં જાહેરસભાઓને સંબોધ્યા બાદ બપોરે જૂનાગઢમાં ત્રીજી સભાને સંબોધી હતી. જૂનાગઢમાં સરદાર પટેલના પ્રદાનને યાદ કરી કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, હું તો વિચારીને ક્યારેક કાંપી ઉઠું છું કે, સરદાર પટેલ ન હોત તો તેને ગુજરાતના ગૌરવની ચિંતા એ લોકો ન કરત અને મારું જૂનાગઢ પણ પાકિસ્તાન પાસે ચાલ્યું ગયું હતો. આ મારા ગીરના સિંહ દુનિયાની સામે ગર્જના કરે છે તે આપણી પાસે ન હોત. જૂનાગઢમાં યોજાયેલી વિજય વિશ્વાસ સભાના માધ્યમથી વડાપ્રધાને જૂનાગઢ, અમરેલી અને પોરબંદર લોકસભા બેઠકને આવરી લીધી હતી.ગુજરાત પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીએ આજે આણંદ અને ખેડા લોકસભા બેઠક માટે વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં જાહેર સભાને સંબો હતી. આ તકે મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, INDI ગઠબંધનની રણનીતિની પોલ તેના જ એક નેતાએ ખોલી નાખી છે, INDI ગઠબંધન કહે છે મુસ્લિમો વોટ જેહાદ કરો, હવે તમે સમજો વિપક્ષનો ઈરાદો કેટલો ખતરનાક છે’. સંપૂર્ણ અહેવાલ વાંચવા માટે અહી ક્લિક કરોસુરેન્દ્રનગરમાં વિપક્ષને આડેહાથ લેતા કહ્યું હતું કે, કોંગ્રેસ રામ અને શિવ ભક્તોને લડાવવા માગે છે
માર્કેટમાં કેસર કેરીની ઓફિશિયલ એન્ટ્રી
તાલાલા ગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ વચ્ચે કેસર કેરીની હરાજી શરૂ થઈ છે. ગત વર્ષ કરતાં 12થી 15 દિવસ હરાજી મોડી શરૂ થઈ છે. તો કેસર કેરીનો ગઢ ગણાતા તાલાલા મેંગો માર્કેટમાં પ્રથમ 10 કિલોનું બોક્સ રૂપિયા 12 હજારમાં ગાયનાં ચારા માટે ગયું. કેસર કેરીના 10 કિલોના એક બોક્સનો ભાવ રૂપિયા 625થી 1350નો બોલાયો હતો અને સરેરાશ ભાવ 950 રહ્યો હતો. કેસર કેરીની સિઝન આ વખતે ટૂંકી રહેવાનું અનુમાન લાગવાઈ રહ્યું છે. કેસર કેરીના ઓછા ઉત્પાદનને કારણે આ વર્ષે ભાવ પણ ઊંચા રહેશે. જેને લઈ કેસર રસિયા માટે કેસરનો સ્વાદ થોડો દોહલો રહેશે.તાલાલા APMC ખાતે દર વર્ષે એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં હરાજીની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે કેસર કેરી મોડી થવાને કારણે હરાજી પણ મોડી શરૂ થઈ છે. કેસરના ઓછા ઉતારાની ભીતિને કારણે ભાવ પણ ઊંચા રહેવા પામ્યા છે. ગીર-સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે. દર વર્ષે મોટી માત્રામાં કેસર કેરીનું ગીરમાં ઉત્પાદન થાય છે અને દેશ-વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થાય છે, પરંતુ વર્તમાન સિઝન કેસર માટે માફક ન હોવાનું સામે આવ્યું છે. ગ્લોબલ વોર્મિંગને કારણે આ વખતે આંબા પર આવરણ આવવામાં ખાસ્સો સમય લાગ્યો હતો. આજે પ્રથમ તબક્કાની કેરી બજારમાં આવી છે. કમોસમી વરસાદ અને રોગ જીવાતને કારણે આ વર્ષ કેસર કેરીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવના છે. તો રોગ જીવાતને કારણે કેસરમાં ખરણ પણ વધ્યું હતું.તાલાલા મેંગો માર્કેટમાં પ્રથમ દિવસે 10 કિલોના કુલ 5760 બોક્સની આવક થઈ છે. તો અત્યાર સુધીમાં યુકે, કેનેડા, યુએઈ સહિતના દેશોમાં કેસરના 3 કિલોના 4400 બોક્સ એક્સપોર્ટ કરવામાં આવ્યા છે. આ વખતની સિઝન ટૂંકી ચાલશે. આ વર્ષે 60 ટકા કેસરનું ઉત્પાદન ઓછું થવાની સંભાવનાને કારણે કુલ 6થી 7 લાખ બોક્સ આ સિઝન દરમિયાન આવશે તેવી ધારણા કેસર કેરીના વેપારી કાળુભાઈ બોરીચાએ વ્યક્ત કરી હતી.
મહીસાગર નદીમાં કાર ખાબકતા 1નું મોત
લુણાવાડા તાલુકાના હાડોડ ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં જુના પુલ પરથી કાર ખાબકી. મળતી પ્રાથમિક માહિતી મુજબ કારમાંથી હાલ એક વ્યક્તિનો મૃતદેહ નદીમાં જોવા મળી રહ્યો છે. જોકે કારમાં અન્ય કેટલા વ્યક્તિ સવાર હતા તે હજી જાણી શકાયું નથી. હાલ મહીસાગર જિલ્લાની પોલીસે ઘટનાસ્થળે દોડી આવી તાપસ હાથ ધરી છે. જ્યારે કાર નદીના પાણીમાં ગરકાવ થઈ છે, જેને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બનવા અંગેની જાણ થતાં લુણાવાડા ફાયર વિભાગની ટીમે બોટ સાથે પહોંચી મહીસાગર નદીમાં તપાસ હાથ ધરી છે.બનવા અંગેની જાણ થતાં લુણાવાડા ફાયર વિભાગની ટીમે બોટ સાથે પહોંચી મહીસાગર નદીમાં તાપસ હાથ ધરી છે. હાલ નદીમાં ખાબકેલી કારમાંથી લુણાવાડાના કાકચીયા ગામના વતની મયુર પટેલ નામના યુવકની લાશને બહાર કાઢી પીએમ અર્થે લુણાવાડાની સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે. કાર લઈને આવતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બ્રિજ ખખડધજ અને તૂટેલી હાલતમાં હોવાથી ત્યાંથી પસાર થતા ચાલકે કાબૂ ગુમાવતા બ્રિજના તૂટેલા સ્લેબ પર કારનું ટાયર ચડી જતા કાર બેકાબૂ થઈ નદીમાં ખાબકી હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ બહાર આવ્યું છે.પાલિકાની ફાયર ટીમ અને ટાઉન PI, Dy.sp સહિતનો કાફલો ઘટનાસ્થળે ખડકાયો છે. સાથે નદીમાં ખાબકેલી કારમાં સવાર અન્ય કોઈ હતું કે કેમ તેની શોધખોળ હાથ ધરી હતી.