બેઇજિંગ19 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભૂકંપનું કેન્દ્ર ગાંસુના લિન્સિક્યા શહેરમાં જમીનથી 10 કિમી નીચે હતું.
સોમવારે રાત્રે (18 ડિસેમ્બર) ચીનના ઉત્તર-પશ્ચિમમાં ગાંસુ અને કિંઘાઈ પ્રદેશમાં ભૂકંપ આવ્યો હતો. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, ભૂકંપની તીવ્રતા 6.2 હતી. અહેવાલો અનુસાર, પાકિસ્તાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર, બંને પ્રાંતોમાં લગભગ 116 લોકોનાં મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે. ગાંસુમાં 105 અને પડોશી પ્રાંત કિંઘાઈમાં 11 લોકોનાં મોત થયા છે.
ભૂકંપનું કેન્દ્ર ગાંસુની જિશિશાન કાઉન્ટીમાં જમીનથી 10 કિમી નીચે હતું, જે કિંઘાઈની સરહદથી લગભગ 5 કિલોમીટર (3 માઈલ) દૂર હતું. જો કે, યુએસ જીઓલોજિકલ સર્વેએ ભૂકંપની તીવ્રતા 5.9 દર્શાવી છે.
નકશા પરથી સમજો કે ભૂકંપમાં ક્યાં સૌથી વધુ નુકસાન થયું…
ભૂકંપના કારણે પાયાના માળખાને નુકસાન થયું
ચીનના CCTV ન્યૂઝ અનુસાર, ભૂકંપના કારણે પાણી અને પાવર લાઈનોને મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. બીજી તરફ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બચાવ ટુકડીઓને ભૂકંપથી ઘાયલ થયેલા લોકોને બચાવવા માટે તમામ જરૂરી પ્રયાસો કરવા અપીલ કરી છે. ભૂકંપ પ્રભાવિત લોકો માટે યોગ્ય વ્યવસ્થા કરવા પણ આદેશ આપ્યો હતો.
ભૂકંપ બાદ કુલ 1,440 જેટલા ફાયર ફાઈટર્સને બચાવ કામગીરી માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગાંસુ અને આસપાસના વિસ્તારોના 1,603 ફાયર ફાઈટર્સને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે.
ભૂકંપ સંબંધિત તસવીરો…
કાટમાળમાંથી મોટી સંખ્યામાં ઘાયલોને બહાર કાઢવામાં આવી રહ્યા છે, મૃત્યુઆંક વધવાની આશંકા છે.
ઘાયલોને મધરાત્રે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, અત્યાર સુધીમાં 200થી વધુ લોકો ઘાયલ થયા છે.
ઘાયલોને કાટમાળમાંથી બહાર કાઢવા માટે ચીન સરકારની બચાવ ટુકડીઓ સ્ટ્રેચર અને અન્ય જરૂરી સાધનો સાથે મોડી રાત્રે રવાના થઈ ગઈ હતી.
ગાંસુમાં ભૂકંપ પ્રભાવિત શહેરોમાં 580 ફાયર ફાઈટર્સ પહોંચી ગયા છે, બચાવ કામગીરી ચાલી રહી છે.
ચીનમાં વારંવાર ભૂકંપ આવે છે
ચીનમાં સતત ભૂકંપ આવતા રહે છે. ઓગસ્ટ 2023માં પૂર્વ ચીનમાં 5.4 ની તીવ્રતાનો હળવો ભૂકંપ આવ્યો, જેમાં 23 લોકો ઘાયલ થયા અને ડઝનેક ઇમારતો ધરાશાયી થઈ. સપ્ટેમ્બર 2022 માં પણ, સિચુઆન પ્રાંતમાં 6.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 100 લોકો માર્યા ગયા હતા.
2008માં 7.9ની તીવ્રતાના ભૂકંપમાં 87 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. જેમાં 5335 શાળાના બાળકોનો સમાવેશ થાય છે.
જાણો ભૂકંપ કેવી રીતે આવે છે?
આપણી પૃથ્વીની સપાટી મુખ્યત્વે 7 મોટી અને ઘણી નાની ટેક્ટોનિક પ્લેટોથી મળીને બનેલી છે. આ પ્લેટ્સ સતત તરતી રહે છે અને ક્યારેક એકબીજા સાથે અથડાય છે. ઘણી વખત, અથડામણને કારણે, પ્લેટોના ખૂણાઓ વળે છે અને જ્યારે ખૂબ દબાણ હોય છે, ત્યારે આ પ્લેટો તૂટવા લાગે છે.
આવી સ્થિતિમાં, નીચેથી નીકળતી ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને આ ડિસ્ટર્બન્સ પછી ભૂકંપ આવે છે. જેના કારણે જમીનમાં ફોલ્ટલાઈન સર્જાઈ છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. આ સ્કેલ પર, 2.0 અથવા 3.0 ની તીવ્રતાનો ધરતીકંપ હળવો છે, જ્યારે 6 તીવ્રતાના ભૂકંપનો અર્થ શક્તિશાળી ભૂકંપ છે.
આ રીતે આપણે ભૂકંપની તીવ્રતાનો અંદાજ લગાવીએ છીએ
ધરતીકંપની તીવ્રતા તેના કેન્દ્ર (અધિકેન્દ્ર)માંથી નીકળતી ઊર્જાના તરંગો પરથી અંદાજવામાં આવે છે. આ તરંગ સેંકડો કિલોમીટર સુધી ફેલાય છે અને વાઇબ્રેશનનું કારણ બને છે. પૃથ્વીમાં પણ તિરાડો દેખાય છે. જો ધરતીકંપનું કેન્દ્રબિંદુ છીછરી ઊંડાઈ પર હોય તો તેમાંથી નીકળતી ઉર્જા સપાટીની ખૂબ જ નજીક હોય છે, જે મોટી તબાહીનું કારણ બને છે.