32 મિનિટ પેહલા
- કૉપી લિંક
1 એપ્રિલના રોજ, સીરિયામાં ઈરાનના દૂતાવાસ નજીક ઇઝરાયલના હવાઈ હુમલામાં ઈરાનના બે ટોપ આર્મી કમાન્ડર સહિત 13 લોકો માર્યા ગયા હતા. ત્યારથી ઈરાન દ્વારા ઇઝરાયલ પર હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી.
12 દિવસ પછી એટલે કે 13 એપ્રિલની રાત્રે ઈરાને ઇઝરાયલ પર 300થી વધુ મિસાઈલોથી હુમલો કર્યો. એક સમયે એવું લાગતું હતું કે વિશ્વ બીજા યુદ્ધની અણી પર પહોંચી ગયું છે. જોકે, આવું કંઈ થયું નથી. ત્યારથી સ્થિતિ તંગ છે પરંતુ નિયંત્રણમાં છે.
ઈરાન રશિયા, ચીન અને અમુક અંશે ભારત સિવાયના દરેક પ્રભાવશાળી દેશ અથવા બ્લોક સાથે વિવાદમાં છે. દુનિયા સાથે ઈરાનના સંબંધો કેવી રીતે બગડવા લાગ્યા? વિદેશી બાબતોના નિષ્ણાત નમ્રતા હસીજાએ જણાવ્યું કે આજે ઈરાનના કયા દેશ સાથે કયા પ્રકારના સંબંધો છે…
આ તસવીર ઈરાનમાં ઈસ્લામિક ક્રાંતિના સમયની છે. 1979માં ઈરાનની રાજધાની તેહરાનમાં આયાતુલ્લાહ ખામેનીની તરફેણમાં ઉગ્ર દેખાવો થયા હતા.
ધાર્મિક ક્રાંતિથી સમસ્યાઓ શરૂ થઈ
1979 પહેલા ઈરાનના અમેરિકાથી લઈને ઇઝરાયલ સુધીના ઘણા દેશો સાથે ખૂબ જ સૌહાર્દપૂર્ણ સંબંધો હતા. ઈરાનમાં ઈસ્લામિક ક્રાંતિ થઈ ત્યારે 1979થી પરિવર્તન આવ્યું. 1926થી ત્યાં શાસન કરનાર રાજવંશને ઉખાડીને ફેંકી દેવામાં આવ્યો હતો.
ત્યાં રાજવંશની જગ્યાએ ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનનો જન્મ થયો. સત્તાની વાસ્તવિક તાકાત આ ક્રાંતિનું નેતૃત્વ કરનાર ધાર્મિક નેતા આયાતુલ્લા રૂહોલ્લાહ ખામેનીના હાથમાં આવી અને તેમણે તમામ પશ્ચિમી દેશો સાથેના સંબંધો ખતમ કરીને પેલેસ્ટાઈનીઓ સાથે ઉભા રહેવાની જાહેરાત કરી.
ઈરાનના આતંકવાદી જૂથો સાથે ગાઢ સંબંધો છે
વર્ષોથી, ઈરાન લેબનોનના હિઝબુલ્લાહ, ઈરાકના શિયા મિલિશિયા જૂથ, પેલેસ્ટાઈનના હમાસ અને યમનના હુતી જૂથોને માત્ર વૈચારિક રીતે જ નહીં પણ શસ્ત્રોથી પણ સમર્થન આપી રહ્યું છે. ઈરાન આ જૂથો માટે એક પ્રકારના રક્ષક તરીકે કામ કરે છે. આ એવા જૂથો છે જે અમેરિકા, પશ્ચિમી દેશો અને ઇઝરાયલને પોતાના દુશ્મન તરીકે જુએ છે. આ કારણે ઈરાન આ બધા દેશોથી આપોઆપ કપાઈ જાય છે.
અમેરિકા અને બ્રિટન, સૌથી શક્તિશાળી ખ્રિસ્તી પ્રભુત્વ ધરાવતા દેશો અને ઇઝરાયલ, યહૂદી દેશ કે જે મધ્ય પૂર્વનું મુખ્ય કેન્દ્ર છે. મુસ્લિમ પ્રભાવની દ્રષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ સાઉદી અરેબિયા સાથે ઈરાનના સંબંધો અને મુસ્લિમ વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનો નંબર બે દેશ પાકિસ્તાન, એટલે કે લગભગ તમામ દિશામાં રહેલા દેશો, આઉટ ઓફ ટ્રેક ચાલી રહ્યા છે.
અમેરિકાએ ઈરાનને પ્રથમ પરમાણુ રિએક્ટર આપ્યું હતું
ધાર્મિક ક્રાંતિ પહેલા ઈરાન અમેરિકાનું આર્થિક, ટેક્નિકલ અને લશ્કરી ભાગીદાર હતું. અમેરિકાએ ઈરાનને પહેલું પરમાણુ રિએક્ટર પણ આપ્યું હતું. પરંતુ પહેલા ધાર્મિક ક્રાંતિ અને પછી નવેમ્બર 1979માં ઈરાની વિદ્યાર્થીઓના એક જૂથ દ્વારા યુએસ એમ્બેસીમાં કામ કરતા 52 રાજદ્વારીઓને પકડવાથી બંને દેશો વચ્ચેના સંબંધો ખતમ થઈ ગયા.
7 એપ્રિલ 1980ના રોજ, અમેરિકાએ ઈરાન સાથેના તમામ સંબંધો સમાપ્ત કરવાની સત્તાવાર જાહેરાત કરી. ત્યારથી બંને વચ્ચે કોઈ સંબંધ નથી. અમેરિકા પણ ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને ચિંતિત છે અને તેથી જ તેણે તેના પર ઘણા વર્ષોથી આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે.
ઈરાનમાં અમેરિકા અને ઇઝરાયલ વિરુદ્ધ આવા પ્રદર્શન સામાન્ય છે.
ઈસ્લામિક ક્રાંતિ પછી ઇઝરાયલ સાથેની મિત્રતા દુશ્મનીમાં બદલાઈ ગઈ
ઈરાન ઇઝરાયલને માન્યતા આપનારો બીજો મુસ્લિમ દેશ હતો. પરંતુ એપ્રિલ 1979માં આયાતુલ્લા ખામેની ઈરાન પરત ફર્યા કે તરત જ ઈરાને ઇઝરાયલ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા. જો કે તેમ છતાં બંને દેશો વચ્ચેના સંબંધો આટલા નીચા સ્તરે પહોંચ્યા ન હતા.
1980માં ઈરાન પર ઈરાકના ઓચિંતા હુમલા બાદ ઇઝરાયલે ઈરાનને લશ્કરી અને લોજિસ્ટિક સહાય પૂરી પાડી હતી. 1985થી સંબંધો બગડવા લાગ્યા.
2006ના લેબનોન યુદ્ધ પછી બંને વચ્ચેના સંબંધો તેમના સૌથી નીચા સ્તરે પહોંચ્યા હતા, જ્યારે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ પર ઇઝરાયલ પર હુમલો કરવા માટે હિઝબોલ્લાહને સીધો ટેકો આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારથી બંને એકબીજા સામે પ્રોક્સી વોરમાં વ્યસ્ત છે.
ઇરાન-સાઉદીમાં વર્ચસ્વ માટે લડાઈ
ઈરાન અને સાઉદી અરેબિયા બંને લગભગ 45 વર્ષથી એકબીજાના કટ્ટર હરીફ છે. બંને મધ્ય પૂર્વમાં પ્રાદેશિક શક્તિઓ છે. એકબીજાના પડોશી આ બે દેશો વચ્ચે પ્રાદેશિક વર્ચસ્વની લડાઈ છે એટલું જ નહીં, ધાર્મિક મતભેદો પણ સંઘર્ષમાં વધારો કરે છે. આ પરસ્પર સંઘર્ષનું મૂળ ઈરાનની ઈસ્લામિક ક્રાંતિ છે.
1979 પહેલા સાઉદી અરેબિયા પોતાને મુસ્લિમ જગતનો નેતા માનતો હતો, પરંતુ આ ક્રાંતિએ તેને પડકારવાનું શરૂ કર્યું. 2010ના દાયકામાં આરબ દેશોમાં થયેલી હિલચાલને કારણે સર્જાયેલી રાજકીય અસ્થિરતાનો લાભ લઈને ઈરાન અને સાઉદી અરેબિયા બંનેએ સીરિયા, બહેરીન અને યમન જેવા દેશો પર પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કર્યો હતો.
આતંકવાદે ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને બગાડ્યા
મુસ્લિમ વસ્તીની દ્રષ્ટિએ વિશ્વના બીજા સૌથી મોટા દેશ પાકિસ્તાન સાથે ઈરાનના સંબંધો પણ છેલ્લા એક દાયકાથી ઉતાર-ચઢાવથી ભરેલા છે. જૈશ-અલ-અદલની રચના પાકિસ્તાનમાં 2012માં થઈ હતી. ઈરાન તેને આતંકવાદી સંગઠન માને છે. તે ઈરાનમાં રહેતા લઘુમતી સુન્નીઓના પક્ષમાં પોતાનો અવાજ ઉઠાવવાનો દાવો કરે છે.
તે 2013થી ઈરાનના સીમા સુરક્ષા દળોને નિશાન બનાવી રહ્યું છે. ઈરાનમાં 95% શિયાઓ રહે છે, જેમના પર પાકિસ્તાની સુન્ની સંગઠનો દ્વારા લઘુમતી સુન્નીઓ સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બીજી તરફ ઈરાનના આરોપ છે કે આ સંગઠનોને પાકિસ્તાની સેનાની મદદ પણ મળે છે.
ઈરાન પર માનવ અધિકારોના ઉલ્લંઘનનો આરોપ છે
યુરોપિયન દેશો સાથે ઈરાનના સંબંધો પણ અસામાન્ય છે. માનવાધિકાર અંગે ઈરાનનો ટ્રેક રેકોર્ડ સારો રહ્યો નથી. આ ગંભીર માનવાધિકાર ભંગને કારણે યુરોપિયન યુનિયને સૌપ્રથમ 2011માં ઈરાન સામે પ્રતિબંધો લાદ્યા હતા. ત્યારથી આ પગલાં દર વર્ષે વધારવામાં આવે છે.
અગાઉ, ઈરાન દ્વારા યુક્રેન પર રશિયન હુમલાને યોગ્ય ઠેરવ્યા બાદ પણ યુરોપિયન યુનિયને ઈરાન પર અનેક આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા. હવે યુરોપિયન યુનિયનથી અલગ થયેલા બ્રિટને પણ 13 એપ્રિલના રોજ થયેલા તાજેતરના હુમલા અંગે નારાજગી વ્યક્ત કરીને ઈરાન સામે વેપાર પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે.