બ્રાઝિલિયા9 મિનિટ પેહલા
- કૉપી લિંક
- જી-20ના મંત્રીઓએ ફંડ એકત્રિત કરવા માટે પ્રસ્તાવ મૂક્યો
વિશ્વમાં 3 હજારથી વધુ અબજોપતિઓ છે. ગરીબી અને જળવાયુ સંકટને પહોંચીવળવા માટે દર વર્ષે 26.08 લાખ કરોડ રૂપિયા (250 બિલિયન પાઉન્ડ)ની જરૂરત છે તેના માટે આ અબજોપતિઓએ 2% વેલ્થ ટેક્સ ચૂકવવો જોઈએ. આ પ્રસ્તાવ ચાર મોટા જી-20 દેશોના નાણાપ્રધાનોએ રજૂ કર્યો છે. બ્રાઝિલ, જર્મની, દક્ષિણ આફ્રિકા અને સ્પેનના મંત્રીઓએ તેમના પ્રસ્તાવમાં જણાવ્યું હતું કે અસમાનતા ઘટાડવા અને ફંડની જરૂરિયાતને પહોંચી વળવા માટે સુપર રિચ પર ટેક્સ લાદવો જોઈએ.
તેમનું કહેવું છે કે કોરોના મહામારી, યુક્રેન-રશિયા યુદ્ધ અને ઈઝરાયલ-હમાસ સંઘર્ષના કારણે અર્થવ્યવસ્થાને પહોંચેલા નુકસાનમાંથી બહાર આવવા માટે વધુમાં વધુ ફંડ એકત્ર કરવાની જરૂર છે. પ્રસ્તાવમાં દાવો કરાયો હતો કે ગયા વર્ષે દુષ્કાળ, પૂર અને ગરમીના કારણે થયેલા નુકસાનની ભરપાઈ માટે વેલ્થ ટેક્સમાંથી મળનાર ફંડ પૂરતું હશે. જી-20માં ભારત પણ મુખ્ય ભાગીદાર છે.
મંત્રીઓએ જણાવ્યું હતું કે ‘હવે આંતરરાષ્ટ્રીય સમુદાય અસમાનતાનો સામનો કરવા અને વૈશ્વિક મુદ્દે વધુ ગંભીર બને. સરકારો પાસે વધુ સમાનતાને પ્રોત્સાહન આપવા માટેના મુખ્ય સાધનોમાંનું એક કરનીતિ છે. તેના થકી સરકારોને સામાજિક સુરક્ષા, શિક્ષણ અને આબોહવા સંરક્ષણમાં રોકાણ કરવાની પણ જરૂર છે. નોંધનીય છે કે બ્રાઝિલ પ્રમુખ વિકસિત અને વિકાસશીલ દેશોના સમૂહ જી-20નું અધ્યક્ષ છે.
ફ્રાન્સના અર્થશાસ્ત્રીઓ બ્લૂ પ્રિન્ટ તૈયાર કરશે
ફ્રાન્સના અર્થશાસ્ત્રી ડેનિયલ ઝુકમેન વેલ્થ ટેક્સ યોજનાની તકનીકી વિગતોનો મુસદ્દો તૈયાર કરી રહ્યા છે. જૂનમાં જી-20 દ્વારા આ અંગે ફરીથી ચર્ચા કરાશે. ફ્રાન્સે વેલ્થ ટેક્સ લાદવાના પ્રસ્તાવને સમર્થન આપવાનો સંકેત આપ્યો છે. જ્યારે અમેરિકા વૈશ્વિક વેલ્થ ટેક્સનું સમર્થન કરતું નથી, જોકે તેનો વિરોધ પણ કર્યો નથી.
કોરોનામાં અબજોપતિઓ સૌથી વધુ અમીર બન્યા
આ વર્ષે પ્રકાશિત થયેલા ઓક્સફેમના સંશોધન અહેવાલ મુજબ, કોરોના મહામારી દરમિયાન અને તે પછી સંપત્તિની કિંમતોમાં થયેલા વધારાને કારણે 2023ના અંતમાં અબજોપતિઓની સંપત્તિમાં 274.96 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ 2020ના અંતે અબજોપતિઓની કુલ સંપત્તિ કરતાં 34% વધુ છે.