33 મિનિટ પેહલા
- કૉપી લિંક
વર્ષોથી આ રિવાજ છે કે સૌથી મૂલ્યવાન વસ્તુઓ સૌથી સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવે છે. આ બધું આપણે આપણી જાતે નહીં, પરંતુ કુદરત પાસેથી જ શીખ્યા છીએ. આપણે પર્વતો, નદીઓ, સમુદ્ર, બધું જ સામે જોઈએ છીએ, જ્યારે બધી ધાતુઓ અને ખનિજો માટી અને પર્વતોની અંદર સુરક્ષિત છે.
એ જ રીતે પૃથ્વી પર વૃક્ષો, છોડ, ફળો, શાકભાજી છે. જ્યારે મૂળ શાકભાજી જમીનની અંદર રહે છે. કુદરતે આ શાકભાજીને સૌથી સુરક્ષિત સ્થાન આપ્યું છે. આવું કરવા પાછળનું કારણ આ ખાસ શાકભાજીમાં પોષણ મૂલ્ય, સ્વાસ્થ્ય લાભો અને ઔષધીય ગુણો છે.
આદુ, બીટ, ડુંગળી અને સલગમ (ગાજર જેવી એક શાકભાજી) કેટલીક એવી શાકભાજી છે, જે જમીનની અંદર ઊગે છે. તમારા ડાયટમાં આ મૂળ શાકભાજીનો સમાવેશ કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે.
આજે ‘તબિયતપાણી ‘માં આપણે આ કંદમૂળ શાકભાજી વિશે વાત કરીશું. તમે એ પણ શીખી શકશો કે
- કયું કંદમૂળ શાક ખાવાથી શું ફાયદો થાય છે?
- આમાં કયાં પોષકતત્ત્વો હોય છે?
- આપણે એનો ખોરાકમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ?
કંદમૂળ પ્રાચીન સમયથી આપણા ડાયટનો એક ભાગ છે, પરંતુ આપણે ભાગ્યે જ એના ફાયદાઓ જાણીએ છીએ. ચાલો… આ ગ્રાફિકલી સમજીએ-
ચાલો… ગ્રાફિકમાં આપેલા કેટલાક કંદમૂળ વિશે વિગતવાર જાણીએ-
ડુંગળી
- ડુંગળી સૌથી વધુ ઉપયોગમાં લેવાતું કંદમૂળ છે. એનો ઉપયોગ મોટે ભાગે શાકભાજી રાંધવામાં થાય છે
- ડુંગળીમાં ફાઈબર, વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે.
- નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ,એન્ટીઓક્સિડન્ટ એવું સંયોજન છે, જે આપણા કોષોને ઓક્સિડેટિવ નુકસાનથી સુરક્ષિત કરી શકે છે.
ડુંગળી ખાવાના ફાયદા:
નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, દરરોજ 100 ગ્રામ કાચી ડુંગળી ખાવાથી ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓના બ્લડશુગરનું લેવલ કંટ્રોલમાં આવે છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર, ડુંગળીમાં શક્તિશાળી કેન્સરવિરોધી ગુણધર્મો છે. એમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ કેન્સરનું જોખમ ઘટાડે છે.
કેવી રીતે ખાવી: તમામ શાકભાજીમાં મિક્સ કરીને ખાઈ શકાય છે. સલાડ, સૂપ, ઈંડાં અને ભાત સાથે ખાઈ શકાય છે. કાચી પણ ખાઈ શકાય છે.
શક્કરિયાં
- શક્કરિયાં એ સૌથી સ્વાદિષ્ટ શાકભાજી પૈકી એક છે. એ એટલું જ પૌષ્ટિક પણ છે.
- શક્કરિયાંમાં ફાઈબર, વિટામિન સી, મેંગેનીઝ અને અન્ય વિટામિન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. એમાં બીટા-કેરોટીન, ક્લોરોજેનિક એસિડ અને એન્થોકયાનિન સહિત ઘણા એન્ટીઑકિસડન્ટ્સ પણ હોય છે.
શક્કરિયાં ખાવાના ફાયદા:
સાયન્સ ડાયરેક્ટમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, જો 12 અઠવાડિયાં સુધી દરરોજ 4 ગ્રામ સફેદ શક્કરિયાંના અર્કનું સેવન કરવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓના બ્લડશુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે.
નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, શક્કરિયાંમાં વિટામિન A ભરપૂર પ્રમાણને કારણે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકે છે, જેના કારણે આંખોની રોશની પણ જળવાઈ રહે છે અને ત્વચાનું સ્વાસ્થ્ય સારું રહે છે.
કેવી રીતે ખાવાં: શક્કરિયાંને બાફી અથવા શેકીને ખાઈ શકાય છે. તમે એને સેન્ડવિચ બનાવીને ખાઈ શકો છો. તમે એને સલાડમાં મિક્સ કરીને અથવા ફ્રાય કરીને ખાઈ શકો છો અને કંઈપણ ઉમેર્યા વગર ખાઈ શકો છો.
આદુ
- આદુ એ ચાઈનીઝ છોડ છે. એ હળદર પરિવારમાંથી છે.
- આદુમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. એમાં જીંજરોલ નામનું એક ખાસ સંયોજન પણ હોય છે, જેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે.
આદુ ખાવાના ફાયદા:
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર, આદુ ખાવાથી ગર્ભવતી મહિલાઓને ઉબકા આવવાની સમસ્યામાં મદદ મળે છે.
આદુ દુખાવા અને સોજામાં રાહત આપે છે. નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, આદુનો અર્ક પિરિયડ્સના દુખાવામાં પણ રાહત આપે છે અને ઑસ્ટિયોઆર્થરાઇટિસમાં પણ રાહત આપી શકે છે.
કેવી રીતે ખાવું: આદુને ચા, સૂપ અને સ્મૂધીમાં ઉમેરી શકાય છે. ખાસ સ્વાદ માટે એને શાકભાજીમાં પણ ઉમેરી શકાય છે.
બીટ
- બીટ એ સૌથી પૌષ્ટિક મૂળ શાકભાજી છે. એમાં ફાઈબર, ફોલેટ અને મેંગેનીઝ ભરપૂર માત્રામાં જોવા મળે છે.
- બીટમાં નાઈટ્રેટ ભરપૂર માત્રામાં હોય છે. આ ફાયદાકારક પ્લાન્ટ સંયોજનો છે, જે રક્તવાહિનીઓને આરામ આપે છે.
- નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર, બીટ ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને હાર્ટ પણ હેલ્ધી રહે છે.
બીટ ખાવાના ફાયદા:
નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, બીટ ખાવાથી શારીરિક પ્રવૃત્તિમાં સુધારો થાય છે. આ મગજમાં લોહીનો પ્રવાહ પણ સુધારે છે, જે માનસિક સ્વાસ્થ્ય માટે સારું છે.
બીટના અર્કમાં કેન્સરવિરોધી ગુણ હોય છે. જો કોઈને પહેલાંથી જ કેન્સર છે તો એની વૃદ્ધિની ઝડપ ઘટાડી શકાય છે.
કેવી રીતે ખાવું: તમે બીટનો રસ, અથાણું બનાવી શકો છો. એને ઉકાળીને કે શેકી પણ ખાઈ શકાય છે.
લસણ
- લસણ એ ડુંગળી જેવી શાકભાજીના પરિવારની મૂળ શાકભાજી છે.
- લસણમાં મેંગેનીઝ, વિટામિન બી-6 અને વિટામિન સી ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. એમાં ઘણાં વધુ પોષકતત્ત્વો હોય છે.
લસણના ફાયદા:
આયુર્વેદમાં લસણના અનેક ઔષધીય ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં હાજર વિશેષ સંયોજન એલિસિન એને ફાયદાકારક બનાવે છે.
નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ લસણ ખાવાથી બ્લડપ્રેશર, કોલેસ્ટેરોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સ કંટ્રોલમાં રહે છે. એનાથી હૃદયની તંદુરસ્તી પણ સુધરે છે.
લસણ ખાવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. એનાથી સામાન્ય શરદી અને ઉધરસમાં પણ રાહત મળે છે.
કેવી રીતે ખાવું: લસણને આપણે સૂપ, ચટણી કે કોઈપણ વાનગીમાં મિક્સ કરીને ખાઈ શકીએ છીએ.
મૂળો
- જો આપણા ભોજનની થાળીમાં સલાડના રૂપમાં મૂળો હોય તો એનો સ્વાદ વધે છે. એમાં ઘણાં પોષકતત્ત્વો પણ હોય છે.
- મૂળામાં કાર્બોહાઈડ્રેટ અને કેલરીનું પ્રમાણ ઓછું હોય છે, જ્યારે એમાં ફાઈબર અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે.
મૂળા ખાવાના ફાયદા:
મૂળામાં એન્ટીફંગલ ગુણ હોય છે. આ ખાવાથી આપણે તમામ પ્રકારનાં ફંગલ ઇન્ફેક્શનથી સુરક્ષિત રહીશું.
નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, મૂળાનાં પાન ખાવાથી પેટના અલ્સર ઝડપથી મટે છે.
કેવી રીતે ખાવા: ભોજન કે નાસ્તાને સ્વાદિષ્ટ બનાવવા માટે તમે એમાં મૂળો ઉમેરી શકો છો. સ્લાઇસેસ, સેન્ડવિચ અથવા સલાડમાં પણ ઉમેરી શકાય છે.
ગાજર
- ગાજર સૌથી વધુ ઉપયોગમાં લેવાતું કંદમૂળ એક છે. એમાં સૌથી વધુ પોષકતત્ત્વો પણ જોવા મળે છે.
- ગાજરમાં વિટામિન A અને વિટામિન K હોય છે. એમાં શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ બીટા-કેરોટીન પણ હોય છે.
ગાજર ખાવાના ફાયદા :
ગાજર ખાવાથી ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો થાય છે અને કોલેસ્ટેરોલ લેવલ પણ સુધરે છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિસિનમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, ગાજરમાં હાજર બીટા-કેરોટીન સ્તન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને પેટના કેન્સરનું જોખમ ઘટાડે છે.
ગાજર ખાવાથી ઉંમર સંબંધિત અનેક વિકારો દૂર થાય છે. વૃદ્ધાવસ્થામાં પણ આંખોની રોશની સારી રહે છે.
કેવી રીતે ખાવાઃ કાચા ગાજર ખાવાથી સૌથી વધુ ફાયદો થાય છે. એને રાંધીને ખાઈ પણ શકાય છે. શાક અને ખીર બનાવી શકો છો.